Archive for June 5th, 2009

બ્રિટનના સાંસદોનું ખર્ચ કૌભાંડ : જ્યારે વાડ જ ચીભડાં ગળે…

ભારતમાં પંદરમી લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે બીજી બાજુ બ્રિટનમાં રાજકીય ધરતીકંપ મચી ગયો હતો. એવો ધરતીકંપ જેના આફ્ટરશોક હજુ ઘણા સમય સુધી ચાલતા રહેવાના છે. બ્રિટનના વડા પ્રધાન ગોર્ડન બ્રાઉને પોતે માફી માગવી પડી હોય તેવા આ ધરતીકંપની તીવ્રતા એ વાત પરથી અંદાજાઈ જશે કે તેમાં તમામ પક્ષના સાંસદો સંડોવાયેલા હતા અને તેનું એપીસેન્ટર હતું હાઉસ ઓફ કોમન્સ!

હકીકતે આપણે એવું માનીએ છીએ કે ભારતમાં રાજકારણીઓ સૌથી ભ્રષ્ટ છે, પણ બ્રિટનનું આ કૌભાંડ જાણશો તો ચોંકી જશો અને એવાં તારણ પર પહોંચી જશો કે કાગડા સર્વત્ર કાળા જ હોય. બ્રિટનમાં સાંસદોના ખર્ચનું કૌભાંડ ત્યાંના અખબાર ‘ડેઇલી ટેલિગ્રાફ’એ ઉઘાડું પાડ્યું છે. સાંસદોએ પોતાના ખર્ચા માટે સરકાર સમક્ષ મૂકેલા દાવાની વિગતો ‘ડેઇલી ટેલિગ્રાફ’ રોજે રોજ પાના ને પાના ભરીને છાપી રહ્યું છે. અને ખર્ચા પણ કેવા? બાથરૂમના પ્લગ, લોન મોવર્સ, સિલ્કના કુશન, ટેલિવિઝન સેટ, પોટેડ પ્લાન્ટ અને કૂતરાનું ભોજન…આ બધાં ખર્ચા માટે સાંસદોએ દાવા રજૂ કર્યા છે.

બીજા બધા દેશોની જેમ બ્રિટનમાં પણ સાંસદોને જે વિસ્તારમાં તેઓ રહેતા હોય તેમાં અને જ્યાં સંસદ મળતી હોય તે રાજધાનીમાં રહેવા માટેનો ખર્ચ ચૂકવવામાં આવે છે અને તે વાજબી પણ છે. તેમને પ્રવાસનો ખર્ચ અને તેમનાં કાર્યાલયોમાં જે કંઈ કર્મચારીગણ રાખવો પડે તેનો ખર્ચ પણ ચૂકવવામાં આવે છે.
પણ આ પ્રકારની સરકારી મદદનો ગેરફાયદો ઉઠાવવાનું કઈ હદ સુધી વાજબી? સાંસદો તેમના બીજા ઘરના વધારાના ખર્ચા માટે જે વળતર મળતું હોય છે તેનો ગેરફાયદો ઉઠાવતા રહ્યા હતા. અને આ કંઈ ઓફિસમાંથી ઘરે લઈ જવાતાં ‘નોટપેડ’ કે પેન કે પછી બાળકોના શાળાના પ્રૉજેક્ટ માટે લઈ જવાતી સ્ટેશનરી કે પછી વિદેશમાં રહેતા પોતાના નિકટના સગાને ઘરના બદલે ઓફિસમાંથી કરાયેલ આંતરરાષ્ટ્રીય કોલ નહોતો. અલબત્ત, સાંસદો આ તો બધું કરતા જ રહ્યા છે. પરંતુ અહીં એવા બધા ખર્ચા તેમણે ગણાવ્યા છે જેના માટે બીજા સામાન્ય માણસને પણ શરમ થાય.

ત્યાંના સાંસદો એવું કરતા રહ્યા છે કે એક નિવાસસ્થાનને તેમનું બીજું ઘર બતાવીને તેઓ ભથ્થું લઈ લે. તેની સજાવટ, ફર્નિશિંગ અને ફરી ફનિર્શંિગ માટે લોકાના નાણાં બેફામ વપરાય. પછી એ ઘર વેચી દે અને બીજું ઘર લે. તેમાં ફરી એનું એ જ ચક્કર ચલાવે.
આ તો કંંઈ નથી, કોણે અને કેવી કેવી હસ્તીએ કેવા કેવા ખર્ચા કર્યા તે જાણશો તો તમને ચક્કર આવી જશે, ભલે તમે બ્રિટનના કરદાતા નાગરિક ન હો! વડા પ્રધાન ગોર્ડન બ્રાઉને તેમના રસોડા, સેટેલાઇટ ટીવી અને લાઇટ બલ્બ માટે ૧૦,૮૦૦ પાઉન્ડનો દાવો કર્યો! બ્રાઉને તેમના ભાઈને સફાઈ સેવા માટે ૬,૦૦૦ પાઉન્ડ ચૂકવ્યા અને એક જ પ્લમ્બિંગ બિલ માટે બે વાર દાવા કર્યા. ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લૈર પણ કંઈ પાછળ નથી. તેમણે હાથીદાંતથી સજાવેલું રસોડું બનાવવા તેમજ આગા કૂકર રિપેર કરાવવા ૧૦,૬૦૦ પાઉન્ડનો દાવો કર્યો! ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન, લેબર પાર્ટીના સાંસદ, જેમને સૌથી આળસુ સાંસદનો ખિતાબ મળેલો છે (!) તેવા જોન પ્રેસ્કોટ ‘પ્રેઝઝા’એ તેમનાં આખાં ઘરમાં મોક ટ્યૂડર બોર્ડ લગાવવા માટે તેમજ ભોજનનાં બિલનો ખર્ચ ૯,૮૦૦ પાઉન્ડ રજૂ કર્યો.

સમુદાય અને સ્થાનિક સરકાર તેમજ શ્રમ મંત્રી હેઝલ બ્લીયર્સે એક જ વર્ષમાં લંડનની ત્રણ જુદીજુદી સંપત્તિ માટે દાવો કર્યો અને ત્રણ મહિનામાં ફર્નિચર માટે ૫,૦૦૦ પાઉન્ડનો દાવો કર્યો. એવો પણ આક્ષેપ છે કે આ માનુનીએ તેમના મતવિસ્તાર સેલફોર્ડમાંથી દક્ષિણ લંડનમાં ફ્લેટ ખરીદ્યો. તેના માટે તેમણે પ્રતિ માસ ૮૦૦ પાઉન્ડનો વળતરનો દાવો કર્યો. બાદમાં તેમણે આ ફ્લૅટ ૪૫,૦૦૦નો નફો લઈને ફ્લૅટ વેચી દીધો, તેના પર કેપિટલ ગેઇન ટેક્સ પણ ન ચૂકવ્યો!

માત્ર લેબર પાર્ટીના જ નહીં, કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદો પણ આવા જ નીકળ્યા. અને નીચલા ગૃહ ‘હાઉસ ઓફ કોમન્સ’ (આપણે ત્યાં લોકસભા છે તેમ)ના જ નહીં, ‘હાઉસ ઓફ લોડર્સ’ (જેમ કે આપણી રાજ્યસભા)ના સાંસદોએ પણ આવા જ ખર્ચાના દાવા કરીને ખર્ચ વસૂલી લીધો..કરદાતાની કેડ પર!

એક તરફ, એવા સમાચાર છે કે બ્રિટનમાં છેલ્લાં ૩૦ વર્ષમાં ન અનુભવાઈ હોય તેવી મંદી છે. ઘર ચલાવવાનો ખર્ચ પૂરો કરવા ત્યાંની પ્રજા સંઘર્ષ કરી રહી છે. નોકરીઓમાંથી રોજે રોજ સેંકડો માણસો છૂટા કરાઈ રહ્યા છે. મોંઘવારી ઘટવાનું નામ લેતી નથી. પેટ્રોલડિઝલના ભાવ પણ સતત વધી રહ્યા છે. આવા સમયે આવા સમાચાર પ્રજાને ધક્કો પહોંચાડે તે સ્વાભાવિક છે.

પણ આ ડઠ્ઠર રાજકારણીઓ કહેવાતા પ્રજાના સેવકોએ શું પ્રતિક્રિયા આપી?
વડા પ્રધાન ગોર્ડન બ્રાઉને કહ્યું કે બધો વાંક ‘સિસ્ટમ’ (પ્રણાલી)નો છે. લેબર પાર્ટીનાં નાયબ નેતા હેરિએટ હરમને તો વળી ઓળિયોઘોળિયો સાંસદોના બદલે હાઉસ ઓફ કોમન્સના અધિકારીઓ પર નાખ્યો કે વાંક તેમનો જ છે. સાંસદો તો દાવો મૂકે પણ સંસદના અધિકારીઓએ તો તે તપાસવા જોઈએ ને!

બ્રિટનના રાજકારણને હચમચાવી મૂકનાર આ કૌભાંડને બહાર લાવવાનો શ્રેય પત્રકાર હીધર બ્રૂકને જાય છે. તેણે ફ્રીડમ ઑફ ઇન્ફોર્મેશન એક્ટ, ૨૦૦૦ હેઠળ સાંસદોના ખર્ચના દાવાની વિગતો જાણવા વિનંતી કરી. ઇન્ફોર્મેશન ટ્રિબ્યુનલે આ વિનંતી માન્ય રાખી પરંતુ હાઉસ ઑફ કોમન્સના અધિકારીઓએ આ નિર્ણયને એક કાયદા હેઠળ પડકાર્યો એમ કહીને કે આ ગેરકાયદે ઘૂસણખોરી છે (સાંસદોની જિંદગીમાં). છેવટે વાત હાઇ કોર્ટમાં પહોંચી અને કોર્ટના આદેશના આધારે હાઉસ ઓફ કોમન્સના અધિકારીઓ સાંસદોના ખર્ચની સંપૂર્ણ વિગતો જુલાઈ ૨૦૦૯માં પ્રસિદ્ધ કરવા તૈયાર થયા. પરંતુ તે અગાઉ જ ‘ડેઈલી ટેલિગ્રાફ’એ આ વિગતો પ્રકાશિત કરવા માંડતા હોબાળો મચી ગયો. હવે આ વિગતો કેવી રીતે ‘લિક’ થઈ તેની તપાસ થવાની છે! આ પ્રકરણમાં એકાદ બે સાંસદો તથા ગૃહના અધ્યક્ષ સિવાય કોઈનાં રાજીનામાં આવ્યા નથી. નાયબ નેતા હેરિએટ હરમને ૨૦મી મેએ સાંસદોના ખર્ચાને કાબૂમાં રાખવા માટે સંસદીય ધોરણો સત્તામંડળ (પાર્લામેન્ટરી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી)ની રચના કરી નાખી છે.

પણ ખુદ સાંસદોના ધોરણો નીચે જાય ત્યારે કોને કહેવું? ભારતની જેમ બ્રિટનની પ્રજાને પણ આ સવાલ મૂંઝવી રહ્યો છે.

2 comments 05/06/2009

કાંગારુ કેમ બન્યા વરુ?

‘મારો દીકરો ઉપકારસિંહ બબ્બલ ૨૦૦૪માં ઑસ્ટ્રેલિયા હૉસ્પિટાલિટી મૅનેજમૅન્ટનો કોર્સ કરવા ગયો હતો. તેને ૭ મેએ મેલબૉર્નમાં ઑસ્ટ્રેલિયન ટૅક્સીડ્રાઇવરે મારી નાખ્યો અને તેનો મૃતદેહ રેલવે ટ્રેક પર ફેંકી દીધો. ઑસ્ટ્રેલિયન પોલીસે મારા દીકરાનું પોસ્ટમૉર્ટમ કરવાનો પણ ઇનકાર કરી દીધો. અમને ઑસ્ટ્રેલિયન પોલીસે એમ કહ્યું કે મારા દીકરાએ આત્મહત્યા કરી છે. મારો દીકરો તો ત્યાં પરમેનન્ટ રેસિડન્ટ (પી. આર.) સ્ટેટસ મળી જવાથી ઘણો ખુશ હતો. તે શા માટે આત્મહત્યા કરે. મને શંકા છે કે તેની હત્યા જ થઈ છે…ઑસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરાતો હોવાનું બબ્બલે મને અનેક વાર કહ્યું હતું.’

ઉપરોક્ત હૃદયદ્રાવક વિધાનો જે પિતાનાં છે તેમનું નામ જગજિતસિંહ. અને તેઓ ‘ભજ્જી’ તરીકે જાણીતા ક્રિકેટર હરભજનસિંહના પિતરાઈ થાય. યસ! એ જ ભજ્જી જેની સામે ઑસ્ટ્રેલિયાના ક્રિકેટર ઍન્ડ્ર્યુ સાયમંડ્સે વંશીય (રેસિયલ) ટિપ્પણી કરી હોવાનો આક્ષેપ કરી ગામ ગજવ્યું હતું.

હવે દાવ બદલાઈ ગયો છે. બૅટિંગ કરતી ટીમ (ઑસ્ટ્રેલિયા) ફિલ્ડિંગમાં છે અને ફિલ્ડિંગ કરતી ટીમ (ભારત) બૅટિંગમાં. મતલબ કે ફરિયાદી આરોપી બન્યો છે અને આરોપી ફરિયાદી. એ વખતે તો બે વ્યક્તિ વચ્ચેની વાત હતી. આ વખતે બે વ્યક્તિ વચ્ચેની વાત નથી, બે દેશના નાગરિકો વચ્ચેના સંઘર્ષની છે બે સંસ્કૃતિ વચ્ચેની અથડામણની છે અને તેમાં સત્ય કોઈ એકના પક્ષે નથી!

બંને પક્ષે સત્ય શું છે અને સંઘર્ષનું કારણ શું છે તે સમજતાં પહેલાં આ મુદ્દાને હવા કેમ મળી તે જાણીએ.

એક તરફ ૨૮ મેએ ગુજરાતમાં અને દેશના અન્ય ભાગોમાં ૧૨મા ધોરણનાં પરિણામો જાહેર થઈ રહ્યાં હતાં અને તેની સાથે સાથે ૧૨ પછી કારકિર્દીની દિશા કઈ પકડવી તેની ચર્ચા કરતા પરિસંવાદોકાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું હતું. અખબારો જાહેરખબરો અને કારકિર્દી માર્ગદર્શનના લેખોથી છલકાઈ રહ્યાં હતાં. તેમાં સ્વાભાવિક જ વિદેશમાં શિક્ષણની જાહેરખબરો અને લેખોનો સમાવેશ થતો હતો. પરંતુ સાથે સાથે અખબારોમાં ઑસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાના સમાચાર પણ છૂટકપુટક ચમક્યા હતા.

પંજાબી બલજિન્દરસિંહ અને આંધ્રપ્રદેશના શ્રવણકુમાર પર હુમલો થયો તેના સમાચારે આ આખા મામલાને ગંભીર બનાવી દીધો, કેમ કે ઑટોમોબાઇલ એન્જિનિયર બનવા ઑસ્ટ્રેલિયા ગયેલો શ્રવણકુમાર મરણાસન્ન થઈ ગયો. ઑસ્ટ્રેલિયામાં ભણવા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ ઉપર હુમલાના ઉપરાઉપરી સમાચારોએ આખો મામલો ગંભીર બનાવી દીધો…એટલે સુધી કે અત્યાર સુધી ચૂપચાપ અપમાન ગળી જતા, માર ખાઈ લેતા, ગાળો સહન કરી લેતા, પૈસા લૂંટી જાય તો પણ મૌન રહેતા ભારતીય વિદ્યાર્થીઓને લાગ્યું કે હવે પાણી માથા સુધી આવી ગયું છે. એટલે અત્યાર સુધી અસંગઠિત રહેલા (અને એટલે જ પીડિત અને શોષાઈ રહેલા) ભારતીય વિદ્યાર્થીઓએ સંગઠિત થઈ રેલી કાઢી. રેલી કાઢી તો પણ ઑસ્ટ્રેલિયાની પોલીસને ગમ્યું નહીં. ગાંધીચીંધ્યા માર્ગે રેલી કાઢનાર વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ થયો. ૧૮ વિદ્યાર્થીઓની અટકાયત થઈ. મામલો એટલો તો ગંભીર બન્યો કે રાષ્ટ્રીય કક્ષાએ, સત્તાની ધુરા સંભાળ્યા બાદ તરત જ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહને આ મામલામાં ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન કેવિન રુડ સાથે વાત કરવી પડી અને ઑસ્ટ્રેલિયામાં ભણવા ગયેલા વિદ્યાર્થીઓમાં તેમજ હુમલાનો ભોગ બનેલા વિદ્યાર્થીઓમાં ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં હોવાથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે ત્યાંના વિદ્યાર્થીઓ સાથે ફોન પર વાત કરી. સામે પક્ષે ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન કેવિન રુડે પણ કહેવું પડ્યું ઃ સૉરી! પણ અમે રેસિયલ (વંશવાદી) નથી. ૯૦,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ અને ૨ લાખથી વધુ ભારતીય મૂળના ઑસ્ટ્રેલિયનોનું હંમેશાં અહીં (ઑસી.માં) સ્વાગત જ છે. અમે આ પ્રકારના બનાવોને અટકાવવા બનતાં પગલાં લઈશું.

પણ આ લખાય છે ત્યાં સુધી તો હુમલાઓ અટક્યા નથી. હૈદરાબાદના એક ટૅક્સીડ્રાઇવર પર નશામાં ધૂત એક માણસે હુમલો કર્યાનો બનાવ બન્યો છે. જોકે વિદ્યાર્થીઓના બોલકા વિરોધ અને વડા પ્રધાનની દરમિયાનગીરીથી હવે કહે છે કે ઑસ્ટ્રેલિયામાં નફરતવિરોધી કાનૂન બનાવવા વિચારણા થઈ રહી છે. આ કાનૂન કોઈ પણ અપરાધ વખતે તેમાં કોઈ ખાસ સમુદાય તરફ પૂર્વગ્રહ કામ કરે છે કે નહીં તે ધ્યાનમાં લેશે.

પરંતુ લાખ રૂપિયાનો સવાલ એ છે કે પોલીસ આ હુમલાઓ બાબતે સક્રિય ભૂમિકા ભજવશે તો આ કાનૂન કામનો ને? ત્યાંની પોલીસ (અને ફૉર ધેટ મૅટર, ત્યાંનું મીડિયા પણ) આ હુમલાઓને ગંભીરતાથી લેતું જ નથી. ત્યાં ગયેલા વિદ્યાર્થીઓના અનુભવો જાણતાં એ બાબત બહાર આવી છે કે પોલીસ આ મામલે બિલકુલ સંવેદનશીલ અને ગંભીર નથી. (અને એનો પુરાવો અહિંસક રેલી યોજનાર ભારતીય વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને તેમની અટકાયત છે.) અને આ તો ઉપરાઉપરી કેટલાક મામલાઓ બહાર આવ્યા અને પાછા તેમાં મરણપથારી સુધી પહોંચી ગયાના કેટલાક મામલા આવ્યા એટલે આટલો ઊહાપોહ મચ્યો, બાકી ત્યાં વર્ષોથી રહેતા લોકો તો એમ કહે છે કે આ રંગભેદનો વંશીય ભેદભાવનો મામલો કંઈ આજકાલનો નથી, વર્ષોજૂનો છે. એમાં મૂળ તો ગોરાઓ ભારતીયો પર રાજ કરતા હતા તે અને ભારતીયોને તુચ્છ ગણવાની માનસિકતા કામ કરે છે.

આ માનસિકતા દિનપ્રતિદિન વધી રહી છે. વધુ હિંસક બની રહી છે. ત્યાં રહેતા ભારતીયો અનુસાર, છેલ્લા એક વર્ષમાં નહીં નહીં તો સોએક જેટલા વિદ્યાર્થીઓ પર હુમલા થયા છે. છેલ્લા એક મહિનામાં ૨૦ લોકો આ માનસિકતાનો ભોગ બન્યા છે. બીજી તરફ કેટલાક ‘લખણવંતા’ વિદ્યાર્થી, નોકરિયાત કે ભારતીય ત્યાં જઈને ભારતમાં મળતી ‘આઝાદી’ ભોગવવા જાય છે જે ત્યાંની શિસ્તબદ્ધસ્વચ્છતાપ્રિય પ્રજાને પસંદ પડતું નથી. પરિણામે પહેલાં અણગમો જન્મે છે અને પછી તે કાળક્રમે ઘૃણામાં પરિણમે છે. માબાપ દ્વારા ઉપેક્ષિત, નશાખોર અને ઉચ્છૃંખલ ઑસ્ટ્રેલિયાઈ તરુણો આ ઘૃણા સાથે હિંસક બને છે. આમેય, તેમના જનીનમાં લોહીમાં મૂળ તો પેલી ગુનેગાર કેદીઓવાળી હિંસક માનસિકતા તો રહેલી છે જ. આ બધાંનું પરિણામ એટલે હિંસક હુમલા!

ચાલો, આ હિંસક હુમલા અને કેટલાક ઑસ્ટ્રેલિયનો (આપણે ‘કેટલાક’ શબ્દપ્રયોગ જ પ્રયોજીશું, ૨૦૦૨ પછી દેશવિદેશના મીડિયામાં ‘ગુજરાતીઓ’ લખાતું હતું તેમ નહીં લખીએ) ભારતીયો પર શા માટે આટલા બધા રોષે ભરાયા છે તેનાં કારણો તપાસીએ.

ક્રિકેટ : ક્રિકેટમાં ઑસ્ટ્રેલિયા અજેય હતું. ૧૩ જેટલી ટેસ્ટમૅચ સળંગ જીતનાર ઑસ્ટ્રેલિયાના અશ્વમેઘિ અશ્વને ભારતીય ક્રિકેટ ટીમે જ પકડ્યો હતો. આ જ રીતે વનડેમાં પણ થયું હતું. કોઈ પણ ટૂર્નામેન્ટ હોય, એકમાત્ર ભારત જ ઑસ્ટ્રેલિયાને ભારે પડતું રહ્યું છે. ઑસ્ટ્રેલિયાને અનેક મૅચોમાં વિજય અપાવનાર શેન વૉનને સચીન તેંડુલકરે એવો ધોયો કે તેણે કહ્યું કે સચીન તેંડુલકર હજુ પણ મને સપનામાં આવે છે.

સ્વાભાવિક છે કે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય રમત છે ત્યાંનું રાષ્ટ્રીય ઝનૂન છે. કહે છે કે એન્ડ્ર્યુ સાયમંડ્સ અને ભજ્જીનો જ્યારે વિવાદ થયો હતો ત્યારે પણ ત્યાં ભારતીય લોકો પર હુમલા થયા હતા.

સામે પક્ષે ક્રિકેટ ભારતીયોનું પણ ઝનૂન છે. બીજા કોઈ મામલે સંગઠિત ન થતા ભારતીયો ક્રિકેટ બાબતે એક થઈ જાય છે. સાયમંડ્સભજ્જી વિવાદ વખતે ભારતમાં પણ દેશભક્તિની લહેર જોવા મળી હતી. યાદ છે? એટલે અહીંથી ત્યાં ગયેલા ભારતીયો ટ્રેનમાં કે અન્યત્ર ક્રિકેટની ચર્ચા કરતા હોય અને તેમાંય ખાસ તો ઑસ્ટ્રેલિયાભારત જંગમાં ભારતનો વિજય થયો હોય તેનાથી ખુશ થાય તો સ્વાભાવિક છે કે મૂળ ઑસ્ટ્રેલિયોને તે પસંદ ન જ પડે (જેમ અહીં વસતા કેટલાક મુસ્લિમો પાકિસ્તાન વિજય બાબતે ખુશ થાય તેનાથી ઘણા હિન્દુઓનું લોહી ઊકળી ઊઠે છે તેમ જ.)

આર્થિક સમૃદ્ધિ અને સશક્તીકરણ : વૈશ્વિક મંદી છતાં ભારતે તેનો વિકાસદર જાળવી રાખ્યો છે. આર્થિક રીતે ભારત દિનપ્રતિદિન સમૃદ્ધ થતું જાય છે. ભારતીયો મહેનતુ છે અને તેમની મહેનત હવે રંગ લાવી રહી છે. રાજકીય રીતે પણ ભારતમાં છેલ્લાં દસ વર્ષથી સ્થિરતા જળવાઈ છે. પરમાણુ શસ્ત્રો હોય કે અન્ય પરંપરાગત શસ્ત્રો, સૈન્યની રીતે ભારત ઘણું મજબૂત છે. ભારતનો બોલ હવે વિશ્વસમુદાયે કાને ધરવો પડે છે. જી આઠ હોય કે જી ૨૦, બધે જ ભારતનું હવે વજન પડતું થયું છે. આ બાબત પણ મૂળ યુરોપીય સામ્રાજ્યવાદી માનસિકતા ધરાવતા ઑસ્ટ્રેલિયનોને ખૂંચે તે સ્વાભાવિક છે.

એમાં પાછા, અહીંથી ત્યાં ગયેલા ઘણા લોકો ભારતમાં ભારે સમૃદ્ધિ ધરાવતા હોય એટલે ત્યાં પોતાની સંપત્તિના દેખાડા કરે કે ભારતમાં પોતાની કેટલી સંપત્તિ છે તેની વાતો કરે તેય ત્યાંના લોકોને ન ગમે તે દેખીતું છે.

વ્યાવસાયિક અને સાંસ્કૃતિક આક્રમણ : આક્રમણ શબ્દ આમ તો અનુચિત છે, પરંતુ જેમ આપણને અહીં મલ્ટિનૅશનલ કંપનીઓ વિદેશી અખબારો વિદેશી ચૅનલો ખ્રિસ્તીઓના ધર્મગુરુ પૉપ આવે છે તે સાંસ્કૃતિક આક્રમણ લાગે છે તેવું ઑસ્ટ્રેલિયનોને આપણું સાંસ્કૃતિક આક્રમણ નહીં લાગતું હોય? શિક્ષણ મેળવવા (અથવા તો તે બહાને) ઘણા ભારતીયો ત્યાં જાય છે અને તેમાંનો મોટો વર્ગ ત્યાં સ્થાયી થઈ જાય છે. ભણવાની વાત હોય, નોકરીની કે ધંધાની, ભારતીયો મહેનતમાં પાછા પડે તેમ નથી. (ઘરઆંગણે ભલે સ્થિતિ જુદી હોય.) એટલે સ્વાભાવિક છે કે ભણવામાં ઘણા ભારતીયો નંબર મેળવે (તાજેતરમાં કાવ્યા શિવશંકર અમેરિકામાં સ્પેલિંગ બીની સ્પર્ધા જીતી તેમ), નોકરીમાં પણ, ભણવાના કારણે તથા મહેનતુ અને બુદ્ધિમાન હોવાના કારણે તેઓ પહેલી પસંદ બને અને ધંધામાંય તેમની મહેનત દેખાય, ઓછા ભાવે ધંધો કરી લે, ઓછા પગારે કામ કરવા તૈયાર થઈ જાય. આ બધાં કારણસર એક તો ભારતીયો ઈર્ષ્યાનું કારણ તો બને જ, સાથે સાથે ત્યાંના મૂળ ઑસ્ટ્રેલિયનોને એમ પણ લાગે કે ભારતીયો તો તેમના પેટ પર પાટુ મારી રહ્યા છે. એમાં વળી મંદી આગમાં ઘી હોમવાનું કામ કરે. ત્યાં વસતા ભારતીયો ટ્રેનમાં ધાર્મિકસાંસ્કૃતિક વાતો કરે કે કાર્યક્રમો યોજે, આપણા અહીંના ધર્મગુરુઓ ત્યાં જાય પોતાના કાર્યક્રમો યોજે એ બધું તેમને ન ગમે તે સ્વાભાવિક છે. ભારતીયો પાછા ભારતીય હોવાનું ગૌરવ લે. પોતાની ભાષામાં અંદરોઅંદર વાતો કરે જેમાં મૂળ ઑસ્ટ્રેલિયોને જરાય ગતાગમ ન પડતી હોય. ઘણા ભારતીય વિદ્યાર્થીઓને ત્યાં ભણવા કરતાં પૈસા કમાવામાંલફરાં કરવામાં અને તે કરતાંય પરમેનન્ટ રેસિડન્ટ (પી.આર.) સ્ટેટસ મેળવવામાં વધુ રસ હોય છે. ટ્રેનોમાં પણ તેઓ ઇમિગ્રેશન અને પી. આર.ની જ વાતો કરતા હોય છે. મોટા ભાગના ત્યાં સ્થાયી પણ થઈ જાય છે. આમ, પૈસા કમાવાલફરાં કરવા અને પી. આર. મેળવી ત્યાં વસી જવું આ ત્રણેય બાબતો ઑસ્ટ્રેલિયનોના મનમાં ભારતીયો પરત્વે તિરસ્કાર અને નફરતની ભાવના પેદા કરે છે.

અસભ્યતા : હવે અસભ્યતા એ તો અહીં પણ મોટો મુદ્દો છે જ. ઘણા લોકો અહીં હિંસક ભલે ન બનતા હોય, વિરોધ તો જરૂર કરે છે જ; જેમ કે, થોડા સમય પહેલાં અભિનેત્રી પ્રીતિ ઝિંટાના ઘરે પાર્ટી હતી જે મોડી રાત સુધી ચાલી અને તેમાં બહુ મોટા અવાજે સંગીત વાગતું હતું તો આજુબાજુના રહેવાસીઓએ તેની પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસના કહેવાથી પાર્ટી અટકાવવી પડી હોવાના સમાચાર હતા. મોબાઇલ મૅનર્સના પણ સવાલો છે જ. મોબાઇલ સુવિધા કરતાં અસુવિધા વધુ સર્જે છે. ફોન આવે એટલે કોઈ પણ કામ પડતું મૂકી માણસ મોબાઇલ પર વાત કરવા લાગી જાય. થિયેટર હોય કે બીજું કોઈ જાહેરસ્થળ, વ્યક્તિ મોટે મોટેથી વાતો કરે. બસમાં ટ્રાવેલિંગ કરતા હોય કે નોકરી મોટેમોટેથી ફોન યા તો કમ્પ્યૂટર પર ગીતો વગાડવાં. જ્યાંત્યાં થૂંકવું નાક નસીકવું. મોટેથી વાતો કરવી. આ બધું અહીંના દેશબંધુઓને પણ ખૂંચતું હોય તો પછી ત્યાં પારકી ભોમ પર અને ખાસ તો ધીમા અવાજે વાત કરવા ટેવાયેલા સ્વચ્છતાપ્રિય ભારે મૅનર્સવાળા ઑસ્ટ્રેલિયનોને આ કેમ કરીને રુચે?

જંગલિયત – સામ્રાજ્યવાદી માનસકિતા – ગોરાકાળાનો ભેદભાવ : ગમે તે કહો, ગોરાકાળાનો ભેદભાવ હોય કે સામ્રાજ્યવાદી માનસિકતા આઈસીસી હોય કે ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ કે પછી ઈંગ્લૅન્ડની ટીમ, ભારતીયોને નીચા દેખાડવાનો ભારતીય ક્રિકેટ ટીમની તાકાત ઓછી કરવાનો એક પણ મોકો ચૂકતી નથી. હરભજનસિંહ રાજેશ ચૌહાણ વગેરે અમસ્તા જ કંઈ વિવાદાસ્પદ બૉલિંગ ઍક્શનના શિકાર નથી બનતા. ગૌતમ ગંભીર દોડતો હતો ત્યારે શેન વૉટસને કોણી મારી હતી અને પછી ગંભીર ઝઘડ્યો તે વિવાદને હજુ એક વર્ષ પણ નથી થયું. તેમાં વૉટસનનો વાંક હોવા છતાં તેને હળવી સજા કરાઈ હતી અને ગંભીરને એક ટેસ્ટમૅચ માટે સસ્પેન્ડ કરાયો હતો. આ મોટા ભાગના યુરોપીય લોકોની માનસિકતા છે; તેમાંય ખાસ કરીને ઈંગ્લૅન્ડના લોકો જ્યાં જ્યાં વસ્યા છે તે તે દેશોના લોકો આવી માનસિકતા ધરાવે છે. એમાંય ઑસ્ટ્રેલિયા તો વળી સજા પામેલા કેદીઓથી જ વસેલો દેશ. એટલે આ માનસિકતામાં જંગલિયત અને હિંસક વૃત્તિ પણ ભળે છે. એટલે માત્ર ઑસ્ટ્રેલિયામાં જ ભારતીયો પર હુમલા થાય છે તેવું નથી. ભૂતકાળમાં લંડનમાં હુમલા થયા છે અને હવે ન્યૂ ઝીલૅન્ડમાં પણ ભારતીયો પર હુમલા થવા લાગ્યા છે.

જંગલી હિંસક (જેનાં પાછાં ટીવીફિલ્મો સહિતનાં અનેક કારણો છે અને નવી પેઢી જંગલીહિંસક બની રહી છે, ચાહે તે અમેરિકાની હોય, બ્રિટનની હોય કે ભારતની) સ્વભાવના કારણે માત્ર ભારતીયો જ નહીં, ઑસ્ટ્રેલિયનો પર પણ હુમલા થાય છે…તે પછી એક સિગારેટ કે બીજી કોઈ ક્ષુલ્લક વાત માટેય હોઈ શકે.

ત્રાસવાદ : અગાઉ કહ્યું તેમ મૂળ ઈંગ્લૅન્ડના લોકો જ્યાં જ્યાં વસ્યા છે તે તે દેશો હંમેશાં સાથે હોય છે. એટલે અમેરિકા પર ૨૬ સપ્ટેમ્બરે ત્રાસવાદી હુમલો થયો તે પછી અમેરિકાને બ્રિટનઑસ્ટ્રેલિયા વગેરેનો સાથ તેના દરેક પગલામાં મળ્યો છે. તેમાં પાછું ઇન્ડોનેશિયામાં થયેલા આતંકવાદી હુમલામાં મોટી સંખ્યામાં ઑસ્ટ્રેલિયનો મર્યા. એટલે ખાસ કરીને મુસ્લિમો સામે ઑસ્ટ્રેલિયનોમાં દ્વેષ વધ્યો. ભારતથી જનારા વિદ્યાર્થીઓમાં મુસ્લિમ પણ હોય. એટલે ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા થવાનું આ પણ એક કારણ છે. શીખો પર તેમની દાઢીના કારણે મુસ્લિમો ગણીને અમેરિકામાં ૨૬ સપ્ટેમ્બર પછી હુમલા થયા જ હતા ને.

પ્રતિકાર : બધા ભારતીયો પ્રતિકાર નથી કરતા, પણ ‘કિંગ’ જેવા ‘સિંહ’ એટલે કે શીખો ચૂપ નથી રહી શકતા. તેઓ પ્રતિકાર કરવા જાય તો સામે પક્ષે ગ્રૂપ બનાવીને આવેલા ઑસ્ટ્રેલિયનો વધુ હિંસક બને છે. બાકી તો, ઘણાનો અનુભવ કહે છે કે તમે અપમાન ગળી જાવ કે પછી ગાળ સાંભળી લો તો વાત આગળ વધતી નથી.

અસંગઠિતતા : એમ તો ચીન પણ આર્થિક રીતે મજબૂત થઈ રહ્યું છે. સૈન્યની રીતે સશક્ત તો છે જ. ચીન, કોરિયા કે જાપાનના વિદ્યાર્થીઓ પણ પોતાની માતૃભાષામાં વાતો કરતા હોય છે. તેમનું પણ સાંસ્કૃતિક આક્રમણ ઑસ્ટ્રેલિયનોને નહીં લાગતું હોય? તો પછી તેમની પર હુમલા કેમ નહીં અને માત્ર ભારતીયો પર જ શા માટે? આવો પ્રશ્ન એકદમ ઉચિત છે. પરંતુ આનો જવાબ એ છે કે એ દેશના વિદ્યાર્થીઓ ગ્રૂપમાં વધુ ફરતા હોય છે અને તેઓ સંગઠિત પણ છે. ત્રીજું, તેમની સરકાર પણ આપણી જેમ માત્ર વિરોધ નોંધાવીને ચૂપ રહી જાય તેવી માંયકાંગલી નથી હોતી. ઑસ્ટ્રેલિયામાં ભણતા વિદ્યાર્થીઓ અને ત્યાં સ્થાયી થયેલા લોકોનું કહેવું છે કે ત્યાં આપણો દૂતાવાસ આ બાબતે સાવ નિષ્ક્રિય જોવા મળે છે. સક્રિય હેલ્પલાઇન ચાલુ કરવી કે બીજી કોઈ રીતે માર્ગદર્શન આપવા બાબતે દૂતાવાસ કંઈ કરતો નથી.

બાર્ગેર્નિંગ : ભાવતાલ આપણા લોહીમાં જ છે. (અને એમાં ખોટુંય નથી.) કોઈ પણ જગ્યાએ ગયા હોઈએ, ભાવતાલ કર્યા વગર કોઈ ચીજ ખરીદે તે ભારતીય શાના? આ બાબતે ગુજરાતીઅમદાવાદી તો પાછા અવ્વલ! જેમ ખરીદવામાં તેમ વેપારનોકરીમાં પણ! એટલે શૉપકીપર હોય કે સર્વિસ પ્રૉવાઇડર યા તો પછી જાૅબસીકર પોતાના ભાવમાં શક્ય તેટલી વધુ બાંધછોડ કરવા તૈયાર થઈ જાય. પરિણામે ઍડ્વાન્ટેજ ઇન્ડિયન્સ અને લૉસ ટૂ ઑસ્ટ્રેલિયન્સ!

તો, દોષ તો બંને પક્ષે છે. આપણો પણ વાંક હોય ત્યારે એ વાંક સુધારવાની સાથે એ પણ સમજવું જરૂરી છે કે ગરજ માત્ર આપણા પક્ષે નથી. ઑસ્ટ્રેલિયાના પક્ષે પણ છે. કેમ? ઑસ્ટ્રેલિયા આપણું લાખો ડૉલર વિદેશી હૂંડિયામણ આ શિક્ષણના માધ્યમ થકી તો ખેંચી જાય છે. ઑસ્ટ્રેલિયાને કોલસા અને લોખંડ પછી શિક્ષણ સૌથી વધુ વિદેશી હૂંડિયામણ કમાવી આપતું ક્ષેત્ર છે. મોટીમોટી જાહેરખબરો ભારતનાં માધ્યમોમાં આપી તગડાં કમિશનો આપીને રોકેલા એજન્ટો અને સંસ્થાઓ દ્વારા ઑસ્ટ્રેલિયાની યુનિવર્સિટી અને કૉલેજો મોટા ઉપાડે આપણા વિદ્યાર્થીઓને પોતાને ત્યાં ભણવા બોલાવે છે તે શું બતાવે છે? વધુ ગરજ ઑસ્ટ્રેલિયાને છે. વળી, ત્યાં સ્થાયી થઈ જતા પ્રૉફેશનલ્સ કે ઍમ્પ્લોયીઝ પણ, અમેરિકાની જેમ, ઑસ્ટ્રેલિયાના વિકાસમાં આડકતરો સહયોગ તો આપે જ છે ને. એટલે આ બાબતે ઑસ્ટ્રેલિયાનું નાક ભારત સરકાર બરાબર દબાવી શકે તેમ છે. અને તે નહીં દબાવે તો ભારતીયો તો પરોક્ષ રીતે દબાવવાના જ છે. હિંસક હુમલાઓના દોર પછી ઘણા ભારતીય વિદ્યાર્થીઓ સ્વદેશ પરત આવતા રહ્યા છે અને બીજી તરફ આ વખતે ઑસ્ટ્રેલિયા જવા માગતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી છે ઘટવાની છે.

આમ, સમજવાનું બંને પક્ષે છે, પણ વધુ જવાબદારી ઑસ્ટ્રેલિયનોની છે ઑસ્ટ્રેલિયાની સરકારની છે.

(‘અભિયાન’ના તા.૧૩ જૂનના તાજેતરના અંકમાં છપાયેલો લેખ)

5 comments 05/06/2009


ગરમાગરમ પોસ્ટ

તાજી ટિપ્પણીઓ

shirish dave on ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત …
smdave1940 on લાલકૃષ્ણ આડવાણી, જશવંતસિંહ, સં…
bakuleshdee on યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ…
jaywantpandya on યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ…
kishore modi on યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ…

તારીખીયું

June 2009
M T W T F S S
« May   Jul »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

સંગ્રહ

ખાંખાખોળા કરો

શ્રેણી

સૌથી વધુ ક્લિક

વહીવટીવિભાગ

લટકણિયાં

advani ahmedabad Amitabh Bachchan bhavnagar bjp blog bomb blast congress farah khan gmail gujarat hindu kandhar Karan Johar manmohan singh mohan bhagwat narendra modi pakistan prakash mehra rahul gandhi rss salman khan shahrukh khan taliban અભિયાન અમદાવાદ અમિતાભ અમિતાભ બચ્ચન ઇમેઇલ ઓસ્ટ્રેલિયા ગુજરાતી જયવંત પંડ્યા દિવ્ય ભાસ્કર નરેન્દ્ર મોદી ભાજપ ભાવનગર મનમોહનસિંહ રાહુલ ગાંધી શાહરુખ ખાન સચ કા સામના સલમાન ખાન સેક્યુલર સૌરાષ્ટ્ર સમાચાર સ્લમડોગ મિલિયોનેર હિન્દુ

Blog Stats

Feeds

... જરા નજર તો નાખતા જજો

અત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે?

પૃષ્ઠ

Twitter Updates

live traffic feed