06.21.09

ભાઈ! તમારી સરીખું કોઈ નહીં થાય!

Posted in personal tagged , , , , , , , , , , , , , , , , , , , at 5:38 am by jaywantpandya

એક સુંદર જાહેરખબર અમદાવાદના સેટેલાઇટ રોડ પર જોવા મળી.

પિતાજી, પપ્પા, પોપ… લવ રિમેઇન્સ સેમ!

વાત સાચી છે, પિતાનો પ્રેમ બદલાતો નથી, ચાહે તેમને સંબોધન ગમે તે નામે કરો.

હું મારા પિતાજીને ભાઈ કહીને બોલાવતો. હું કંઈ એટલી મોટી -૫૦-૬૦ વર્ષ વિતાવી ચૂકેલ પેઢીનો નથી. હું તો હજુ ત્રીસીમાં છું, પણ છતાં અમે- હું ને મારી બે બહેનો અમારા પિતાજીને ‘ભાઈ’ના સંબોધનથી બોલાવતા.

મારાં પ્રેમાળ માતાપિતા અને પ્રથમ ગુરુ- બા તરલાબહેન અને ભાઈ ગજેન્દ્રભાઈ પંડ્યા

મારાં પ્રેમાળ માતાપિતા અને પ્રથમ ગુરુ- બા તરલાબહેન અને ભાઈ ગજેન્દ્રભાઈ પંડ્યા

આજે હું જે કંઈ છું-ફિલ્મ, સંગીત (વાદન સહિત), ચિત્ર, ધર્મ-તત્ત્વજ્ઞાન વગેરે તમામ બાબતો મારા પિતાજીની (હવે હું ભાઈ જ લખીશ), મારા ભાઈ-શ્ની ગજેન્દ્રભાઈ પંડ્યાની જ  દેન છે.

અલબત્ત, આજે હું જીવતો છું, સંપૂર્ણ સ્વસ્થ રીતે તે પણ મારા માતા-પિતા અને બહેનોના કારણે! મને ખૂબ જ નાનપણમાં પોલિયો થઈ ગયો હતો ને તે વખતે આજના જેટલી અસરકારક દવા નહોતી. મારા ભાઈ એલોપેથિકમાં નહોતા માનતા. તેઓ માનતા કે જો મને ડોક્ટર પાસે લઈ જવામાં આવશે, ત્યારે અમે રાણાવાવમાં રહેતા હતા, તો જામનગરના ડોક્ટર (ત્યારે જામનગર જ નજીકનું સૌથી મોટું તબીબી દૃષ્ટિએ કેન્દ્ર હતું) કૂતરાને ગાંઠિયા નાખવાનું કહી દેશે અને જો જયુભાઈ (તેઓ મને આ નામે જ બોલાવતા, તેઓ કોઈને પણ નાનામાં નાનો છોકરો કે છોકરી કેમ ન હોય, બધાને માનવાચક બોલાવતા, મારામાં પણ એ ટેવ તેમની પાસેથી જ આવી છે) જીવતો રહેશે તો એવી હાલતમાં હશે કે આપણે તેને જોઈને દુ:ખી થ’શું.

પરંતુ બીજી બાજુ, આયુર્વેદમાં પણ તેમને ઇલાજ મળે નહીં. છેવટે, તેઓ વાત કરતા તેમ,તેઓ ઇશ્વરના શરણે ગયા. ઇશ્વરને કહ્યું, ‘જીવાડવા હોય તો અમને બંનેને તંદુરસ્ત રીતે જીવાડજે.’ અને ચમત્કાર થયો. આ શરણાગતિની મિનિટોમાં જ તેમને જે પુસ્તકમાંથી ઇલાજ કેમેય કરીને નહોતો મળતો તે જ પુસ્તકમાં એ જ પાનું ઉઘડી ગયું. મારો ઇલાજ મળી ગયો. અમે રાણાવાવમાં રહેતા હતા એટલે મારી દવા માટે જે કંઈ ઔષધિ જોઈએ તે આજુબાજુના લોકો પાસેથી સરળતાથી મળી રહેતી. મારી બહેનો-સોનલ (બેની) અને શીલાબહેન (શીલુ) મારી બાજુમાં સતત બેસી રહે. મારી હાલત એવી ઢીંગલા જેવી હતી. આંખોના ડોળા, ઢીંગલાને જેમ ફેરવો તે બાજુ ફરે, તેમ મારા ડોળા પણ મને જેમ ફેરવો તેમ ફરે. બોલું તો ગોટા વળે. મારી તાકાત પર બેસી શકું નહીં. બંને મોટી બહેનો મારી બાજુમાં બેસે તો જ બેલેન્સ રહે. ચાલી શકતો નહીં. પણ માતાજીની દયાથી ધીમેધીમે ફેરફાર થવા લાગ્યો. જોકે મારી બહેનો કહે છે તેમ, સાથે આ દયા રાણાવાવમાં પૂજાતા-સંતાન થાય એટલે તેને લઈને જેમને પગે લાગવા જવું પડે તે ખાખરિયા બાપાની પણ હતી. ખેર, એ જે કંઈ હોય તે ઇશ્વરની દયા થઈ અને હું બચી ગયો.

પણ, ભાઈનું આયુર્વેદનું ખૂબ જ જ્ઞાન હતું. અમારા ઘરમાં એલોપેથીની દવા આવી નથી, ભાઈ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી. હજુ આજની તારીખે પણ મોટા ભાગે હું આયુર્વેદિક દવા જ લઉં છું.

ભાઈ ચિત્રો બહુ સારા દોરતા. પોરબંદરમાં રહેતા ત્યારના પડોશી (તેઓ હજુ પણ ત્યાં જ રહે છે) નભુભાઈ પલાણ (જાણીતા સાહિત્યકાર અને ઇતિહાસવિદ-નરોત્તમભાઈ પલાણ) અમે વેકેશનમાં અમારા સ્નેહીસંબંધી દિવુબહેન (દિવ્યાબહેન ઓડેદરા- બાલુબામાં શિક્ષિકા છે) તેમના ઘરે જઈએ ત્યારે કહેતા તે તારા ભાઈ રંગોળી બહુ સરસ કરતા હતા.

કઈ બાબતમાં તેમનું જ્ઞાન નહોતું? એવું પૂછો તો થાય કે લગભગ દરેક વિષયમાં તેમનું જ્ઞાન સારું એવું હતું. જે કોઈ વિષયમાં પડે તે વિષયનું પૂરું જ્ઞાન મેળવી લે. મેટ્રિક ભણેલા તોય અંગ્રેજી ખૂબ જ સારું. ભાવનગર પોર્ટમાં નોકરી કરતા ત્યારે ડ્રાફ્ટિંગ કરવું પડતું તો એટલું સરસ ડ્રાફ્ટિંગ કરે. અક્ષરો – ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં ખૂબ જ સારા. પોર્ટ પછી બેન્કમાં નોકરી મળી ગયેલી. તેમને ચિત્ર ઉપરાંત સંગીતની પણ સારી જાણકારી. અમારા ઘરમાં હાર્મોનિયમ-વાંસળી અને માઉથ ઓર્ગન હતું. તે ત્રણેય વાદ્યો સારી રીતે વગાડી જાણતા. (મારા દાદા શ્રી મુકુંદરાયને પણ હાર્મોનિયમ સારું વગાડતા આવડતું એટલે એમ કહો કે એ વારસો જ હતો ને મને પણ એ વારસામાં મળ્યું છે.) કોઈ ગીત ગાતા હોય ને ક્યાંક એકાદ સૂરની પણ ચૂક થઈ હોય તો શીખવાડે. ઉચ્ચારો પણ શુદ્ધ જ કરવાના. ભાષા પણ શુદ્ધ જ હોવી જોઈએ. હું ગાળો બોલતા ન શીખું એટલે રાણાવાવમાં મારી બા (માતા) મને શાળાએ મૂકવા ને તેડવા આવે. ફિલ્મોનું પણ જબરદસ્ત જ્ઞાન. રાજ કપૂરના અને તેની ફિલ્મોના તો જબરદસ્ત ફેન. હું પણ તે જ કારણે ફેન છું. ‘દિવ્ય ભાસ્કર’માં પહેલાં હું પ્રિન્ટર ડેસ્ક (દેશવિદેશના સમાચારોના વિભાગ)માં હતો. છ મહિના પછી મને ફિલ્મની પૂર્તિ ‘નવરંગ’ સંભાળવાનું કહેવામાં આવ્યું ત્યારે ડિસેમ્બરમાં બકુલ ટેલર સાથે મેં રાજ કપૂર સ્પેશિયલ અંક બહાર પાડ્યો હતો. તેમાં રાજ કપૂર પર જે મેં લેખ લખેલો તે કોઈ પણ રેફરન્સ વગર- બિલકુલ મોઢે જ – મૌલિક રીતે જ લખ્યો હતો. અને તેના વખાણ મુંબઈના જાણીતા ફિલ્મ પત્રકાર અને તે વખતે ‘નવરંગ’માં મારા સહયોગી શ્રીકાંત ગૌતમે તેના વખાણ કરેલા. એટલે, ફિલ્મ-ટીવી-અખબારો વગેરે ‘બિટવિન ધ લાઇન્સ’ જોવાનું તેમણે મને શીખવાડ્યું. અમારા ઘરમાં સવારથી રાત રેડિયો ચાલે. તેમાં ‘૯૦ના દાયકાની શરૂઆતમાં ટી સીરિઝ અને અનુરાધા પૌડવાલનાં ગીતો વધુ આવવા લાગેલા. ભાઈ કહેતા કે પૈસા દઈને પોતાનાં ગીતો વગાડાવતા હશે. ત્યારે મને લાગતું કે આવું તો થોડું હોય. પણ આજે પત્રકારત્વમાં આવ્યા પછી લાગે છે કે એ શક્ય છે અને કદાચ એમ હતું પણ.

ભાઈ કેટલા દૂરંદેશી હતા તેનો એક દાખલો આપું. ૧૯૮૯માં તેમણે કોઈકની સમક્ષ આગાહી (તેઓ જ્યોતિષી નહોતા) કરેલી કે ભાજપ ધીમેધીમે પણ મકક્મ ગતિએ આગળ વધી રહ્યો છે. તમે જોજો! દસ વર્ષ પછી તે સત્તામાં હશે. તેમની વાત કેટલી સાચી પડેલી! બરાબર દસ વર્ષ પછી ૧૯૯૯માં ભાજપ કેન્દ્રમાં સત્તામાં હતો!

ભાઈ સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રમાં સર્વિસ કરે અને અમારા શિક્ષણ માટે (પોતે ઓછું ભણેલા તેનો રંજ તેમને હંમેશ રહેતો, તોય મેટ્રિક સુધી તો ભણેલા જ) તેઓ હંમેશાં ચિંતિત રહેતા. એટલે શિક્ષણ માટે થઈને પ્રમોશન જતાં કરેલાં. કારણ એ કે, પ્રમોશન લે તો વારેવારે બદલી થયા કરે, ગામડે પણ જવું પડે અને તેથી શિક્ષણને અસર થાય ને. અમારાં સારાં શિક્ષણ માટે થઈને ખાસ વડોદરા તેમણે બદલી કરાવેલી. જોકે મારા દાદાજીની તબિયત સારી ન રહેતી હોવાથી એક વર્ષ પછી અમારે બદલી કરીને ભાવનગર-વતને પાછું આવી જવું પડ્યું તે અલગ વાત છે.

મોટી ઉંમરે ઘર કરેલું એટલે ઘરની સ્થિતિ ઠીક-ઠીક કહી શકાય. લોન લીધેલી એટલે સંકડાશ રહેતી હતી, પણ ખાવાપીવાથી લઈને ભણવાની કોઈ બાબતમાં તેમણે કયારેય અછત અમારા સુધી અનુભવા દીધી નહોતી. પોતે કોઈ તકલીફમાં હોય તો પણ અમને તેની ક્યારેય જાણ થવા દીધી નહોતી. ભણવાને લગતી કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો લાવી આપતા. અંગ્રેજી શીખવાના તેઓ ખૂબ જ આગ્રહી હતા. તેના માટે રેપિડેક્સ, મોર્ડન ઇંગ્લિશ ટીચર, પાઠમાળા, અંગ્રેજીના ક્લાસ જે કંઈ કરવું પડે-ખરીદવું પડે તે લાવી આપતા. હું સંસ્કૃતની પરીક્ષા, પ્રખરતા શોધ કસોટી, શિષ્યવૃત્તિ વગેરે ઇત્તર પ્રવૃત્તિઓમાં ભાગ લઉં તો હંમેશાં પ્રોત્સાહન આપે. મેં અમારી શિશુવિહાર શાળામાં (પ્રણવ બક્ષી વિનય મંદિર) મારા જીવનની પહેલી વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો તેનું વક્તવ્ય –ભાઈએ લખી આપ્યું હતું. ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ પર હતું અને તેની શરૂઆત જ કેટલી સરસ હતી તે આજે પત્રકાર અને લેખક તરીકે મને સમજાય છે- ગુરુ ગોવિંદ દોનો ખડેં કિસ કો લગું પાય, બલિહારી ગુરુ આપ કી ગોવિંદ દીયો બતાય.

હું છઠ્ઠા ધોરણમાં હતો ત્યારથી મને શ્રીકૃષ્ણ ભક્તિ-ગીતાજ્ઞાન આપેલું. તેઓ હંમેશાં કોઈ એક ભગવાનના શરણે જઈ તેમને બધી ચિંતા સોંપી દેવામાં માનતા. પૂજાપાઠમાં માને નહીં, પણ દેવીસૂક્ત નાહીને જરૂર કરે. તેઓ કહેતા કે તમારું કર્મ સારું કરો. ગીતાજીની કર્મની થિયરીમાં તેઓ માનતા. ગમે તે કામ કરો તે સારું કરો. સંજવારી (કચરો) કાઢવાની હોય તો પણ સારી રીતે કરો તેમ તેઓ કહેતા. ખોટું બોલાય નહીં. તેમણે બહુ ઓછા મારેલા પણ તેમની ધાક-નૈતિક ધાક જબરદસ્ત હતી. સમરસતા તેમના જીવનમાં વણાયેલી હતી. કોઈ સમાજસેવકની જેમ તેમણે ક્યારેય છાપામાં તેની પ્રસિદ્ધિ કરાવી નથી. રાણાવાવમાં રહેતા ત્યારે તેમની સાથે બેન્કમાં રહેતા એક દલિત ભાઈને અમારે ત્યાં રોજે જમાડતા. એક આદિવાસી ભાઈ બદલી થઈને રાણાવાવ આવેલા. તેમની સાથે પણ સારો વ્યવહાર. મારી બાના પિયરમાં પડોશમાં રહેતા એક ભાઈ તેમના મિત્ર સાથે બદલી થઈને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં રાણાવાવ આવેલા તો તેમને પણ ઘરની ખોટ સાલવા નથી દીધી.

ભાવનગર આવ્યા તો પડોશમાં એક યુગલ સર્વિસ કરે. તેમને તેમના દીકરાને રાખવાની સમસ્યા હતી. તે દીકરાને પણ મારી જેમ જ અમારે ત્યાં રાખ્યો. રાણાવાવમાં તેઓ બધાને મફત દવા આપતા. રાણાવાવથી બદલી થઈને વડોદરા જવાનું હતું તો અમે મોડી રાત્રે બસમાં ગયા કેમ કે ગામવાળા અમને જવા ન દે. તેઓ રાણાવાવ પહેલાં માણાવદર હતા તો તબિયત સારી નહોતી રહેતી એટલે રાણાવાવ બદલી કરાવી તો માણાવદરમાં બેન્ક વાળા તેમને છૂટ્ટા ન કરે તેવું તેમનું કામ બોલતું હતું. ‘તમને અહીં તકલીફ શું છે તે કહો’ એવું એ લોકો કહેતા. માણાવદરમાં કપાસ વગેરેના કારણે બેન્કમાં ખૂબ જ કામ રહે.

અમે ભાઈને કોઈ દિવસ ખોટી રજા તો દૂર રહી, બેન્કમાંથી વહેલા આવ્યા હોય તેવું પણ જોયું નથી! એટલી બધી સંનિષ્ઠાથી કામ કરતા. ક્યારેક મુંબઈથી ફઈ આવ્યા હોય તો પણ રજા કે વહેલા આવવાનું બન્યું નથી. તંદુરસ્તી પણ એવી કે તાવ તો બહુ ક્યારેક જ આવે. છેક સુધી ૧૯૯૮માં કિડની ડેમેજ થયાનું નિદાન થયું ત્યાં સુધી તબિયત એકદમ ફૂલગુલાબી. સ્ટાઉટ (તેમનો આ શબ્દ હતો) બોડી અને તાકાત એવી કે ગાય અમારા વસુંધરા ફ્લેટના પગથિયા ઉપર દરવાજા સુધી આવી જાય અને શેય વાતે જતી નહોય (રોટલી ખાધા પછી પણ) તો તેના બે શિંગડા પકડીને તેને નીચે ઉતારી દે.

સાચી વાત કહેવામાં કોઈની-તેમનાથી ઉંમરમાં મોટા હોય તેની પણ અને અધિકારીઓની પણ સાડી બારી ન રાખે. અને વિવેક એવો કે ઘરમાં કોઈ પણ આવ્યું હોય ચાપાણી પીને જ જવાના. પોરબંદર એસ.બી.એસ.માં એક ભાઈ હતા. તેઓ ભાઈ (મારા પિતાજી)ની નીચે કામ કરતા. ભાઈએ પ્રમોશન ન લીધું અને પેલા ભાઈએ લીધું અને તેઓ આગળ વધી ગયા. તો મારા ભાઈએ અમને ત્રણેય ભાઈ બહેનોને કહેલું કે પેલા ભાઈની અટક પાછળ સાહેબ લગાવીને જ તેમને બોલાવવાના.

મેં જ્યારે એમસીએમાં એડમિશન લીધું ત્યારે ૧૯૯૫ની સાલ હતી. બે વર્ષ પછી ભાઈ નિવૃત્ત થતા હતા અને એમ.સી.એ.નો કોર્સ ત્રણ વર્ષનો. એટલે મેં તેમને પૂછ્યું કે શું કરું. તો તેમણે કહ્યું કે તું તારે ભણી લે. જોકે એમસીએમાં ભણતા ભણતા હું ટ્યૂશન કરતો હતો-યુરેકા ફોર્બ્સમાં સેલ્સમેન તરીકે પણ ગયો હતો. અમે ત્રણેય ભાઈબહેનો ટ્યૂશન કરતા. પણ આવી તેમની ફિતરત.

૧૯૯૮ની ૧મેએ મારી વચલી બહેન શીલાબહેનના જન્મદિને મને ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં નોકરી મળી ગઈ- સબ એડિટર તરીકે. એટલું જ નહીં, રવિવારની પૂર્તિમાં ફિલ્મની કોલમ પણ ચાલુ થઈ  ‘સિનેવિઝન’ (ઘણા લેખકો-પત્રકારોને ખબર હશે કે કોલમ લખવાનું મળવું અને તેય રવિવારની પૂર્તિમાં અને તેય છેલ્લા પાને તે કેટલી મોટી વાત ગણાય) અને બસ, જૂનમાં તેમની કિડની ડેમેજ થઈ ગયાનું નિદાન થયું. મે માસમાં મારી બહેન શીલુનાં લગ્ન થઈ ગયા હતા. જૂનથી ઓક્ટોબર સુધી બીમાર રહ્યા અને ૨૩ ઓક્ટોબરની રાત્રે તેમનો દેહાંત થઈ ગયો.

વખાણ કરવાનું તેમના સ્વભાવમાં ક્યારેય નહોતું (તેઓ માનતા કે વખાણ કરવાથી પ્રગતિ અટકી જાય છે) પણ તેમની ટીકા પણ મને ન મળી આ મારી નવી નોકરી અને કોલમના સંદર્ભમાં.

હું માનું છું કે આજે તેઓ ભગવાનના ધામ-વૈકુંઠમાં છે અને ત્યાંથી અમારા ત્રણેય ભાઈબહેનો પર આશીર્વાદ વરસાવતા હશે. અમને ત્રણેયને જોઈને તેઓ આનંદ અનુભવતા હશે. અને હા, કાયમ મારા ભાઈ સાથે જ રહેતી મારી બા પણ ભાઈનો સાથ દેવા ઉપર પહોંચી ગઈ છે. તેના પણ આશીર્વાદ અમારા પર છે.

‘અકેલે હમ અકેલે તુમ’નું ગીત યાદ આવે છે, તૂ મેરા દિલ તૂ મેરી જાન, ઓહ આઈ લવ યૂ ડેડી!

(મારી દયામૂર્તિ બા વિશે ફરી ક્યારેક.)