Posts filed under 'vhp'
લાલકૃષ્ણ આડવાણી, જશવંતસિંહ, સંઘ અને કંધાર પ્રકરણ : ભૂલ કોની હતી?

સ્ટ્રોબ તાલબોટ્ટ સાથે જશવંત : જશના માથે જૂતાં!
સૌથી પહેલા તો જશવંતસિંહની વાત. જશવંતસિંહે ઝીણા પર પુસ્તક લખ્યું ને કથિત રીતે ઝીણા કરતાં નહેરુ-સરદારને ભારતના ભાગલા માટે જવાબદાર ગણાવ્યા એમાં તેમની હકાલપટ્ટી થઈ. તેમને કોઈ પણ ઔપચારિકતા વિના રુક્ષતાથી કાઢી મૂકવામાં આવ્યા.
યે તો સરાસર નાઇન્સાફી હૈ! અરે ભાઈ, જે સ્થાપનાકાળથી સંકળાયેલા હોય તેમની સાથે આવો વ્યવહાર. સંઘ પણ લોકોને જોડવાની વાત કરે છે-લોકોને સાથે લઈને ચાલવાની વાત કરે છે. એકાએક જશવંતસિંહ એટલા બધા ખરાબ થઈ ગયા? માન્યું કે તેમની ઘણી ભૂલો હતી. તેઓ ગત ચૂંટણીમાં નોટ વહેંચતા પકડાયા હતા. ચૂંટણી પછી જાહેરમાં તેમણે પક્ષ સામે અવાજ ઉઠાવ્યો હતો. (પણ પક્ષમાં તેમનો અવાજ નહીં સંભળાયો હોય ત્યારે ને?)
બીજું તો ઠીક, પણ તેમણે વિદેશ મંત્રી તરીકે જે ભૂમિકા ભજવી હતી તેની નોંધ ઇતિહાસમાં લેવી પડી હોત, પણ આ બધાય દેકારા (ભાજપના ઉધામા)ના કારણે જ આ ન બન્યું. પોખરણ -૨ પછી અમેરિકાએ ભારત પર પ્રતિબંધો મૂક્યા હતા તે પછી અમેરિકાના વિદેશ પ્રધાન સ્ટ્રોબ તાલબોટ્ટ સાથે તેમણે મંત્રણાઓનો દોર ચલાવ્યો હતો અને અમેરિકાને ભારતની તાકાત માનવી પડી હતી. એ સિવાય ફ્રાન્સ, જર્મની સહિતના યુરોપીય દેશો અને તુર્ક જેવા આરબ દેશો સાથે પણ સંબંધો સુધારવામાં તેમની ભૂમિકા પ્રશંસનીય હતી. તે પછી યશવંતસિંહાને વિદેશ મંત્રી બનાવાયેલા પણ તેઓ કોઈ ઉલ્લેખનીય કામગીરી (જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી) કરી શક્યા નહોતા.
માટે જશવંતસિંહ સાથે જે વર્તન થયું તે યોગ્ય નથી. ભાજપની સરકાર ફરી (જો) બનત તો તેમની વિદેશ પ્રધાન તરીકે સેવાનો સારો ઉપયોગ કરી શકાયો હોત.
****************
હવે બીજી વાત.

અડવાણી : કિસ કે સુનાઉં હાલ દિલ-એ-બેકરાર કા!
અત્યારે લાલકૃષ્ણ આડવાણીને પણ હટાવવાની વાત ચાલી રહી છે, જાણે કે તેમણે પક્ષમાં કંઈ કર્યું જ નથી, તેઓ સત્તાલાલસુ છે, પદને વળગી રહ્યા છે વગેરે વાતો ચાલી રહી છે. ઝીણા વિવાદ પછી માધ્યમો સહિત પક્ષની અંદર પણ કોઈ મહત્ત્વ નથી મળી રહ્યું. પક્ષમાં આજકાલ છવાયેલા નેતાઓ પોતાને તેમના કરતાં મોટા સમજવા લાગ્યા છે. આ ભારતીય સંસ્કૃતિ નથી. આડવાણીએ પક્ષના માટે આપેલો ભોગ-બલિદાન વિસરવું યોગ્ય નથી અને કંધાર (તે મુદ્દે આ જ લેખમાં આગળ છણાવટ વાંચો) મુદ્દે જે કંઈ હોય તે, પણ તેમની ટીકા કરવી યોગ્ય નથી.
આડવાણી, અટલ બિહારી વાજપેયી, મુરલી મનોહર જોષી, ગોવિંદાચાર્ય, કુશાભાઉ ઠાકરે, સુંદરસિંહ ભંડારી, પ્રમોદ મહાજન (અલબત્ત, સરકારમાં આવ્યા પછીની તેમની ભૂમિકાની વાત નથી), ઉમા ભારતી જેવા અનેક કાર્યકર્તા – જે બાદમાં નેતા બની ગયાની મદદથી ભાજપ અત્યારે જે છે તે છે. પણ તેમાં આડવાણી, વાજપેયી અને જોષીની ભૂમિકા દેખાય તેવી હતી. આડવાણીની રથયાત્રાના કારણે ભાજપ સત્તામાં આવે તેવી ભૂમિકા રચાઈ ગઈ હતી. (રાજીવ ગાંધીની હત્યા ન થઈ હોત તો શું ખબર પક્ષ સત્તામાં હોત પણ ખરો?)
હવાલાકાંડ થયો ત્યારે પદની સહેજ પણ લાલચ રાખ્યા વગર-જરા પણ વિલંબ વગર આડવાણીએ રાજીનામું આપી દીધું હતું અને તે પછી વાજપેયીને જ સતત આગળ કર્યા હતા. વાજપેયી સક્રિય હતા ત્યાં સુધી આડવાણી પાછળ જ રહ્યા. અને વાજપેયી નિષ્ક્રિય થયા પછી આડવાણી જ સ્વાભાવિક રીતે તેમના ઉત્તરાધિકારી બનવાને લાયક હતા અને અત્યારે પણ છે જ.
****************

સંઘના વરિષ્ઠ અધિકારીઓ - સુદર્શનજી અને ભાગવતજી
અત્યારે ખોટી રીતે એક નવો કન્સેપ્ટ ઉભરી રહ્યો છે. ઉંમરમાં વૃદ્ધો ન ચાલે. કમનસીબે રા.સ્વ.સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે પણ ભાજપમાં યુવાન નેતાની વાત કહી. કોંગ્રેસમાં પણ યુવાન નેતાની વાત ચાલી રહી છે. મિડિયામાં તો યુવાનોની વાત ઘણા સમયથી ચાલે જ છે, અને મિડિયાની વાત રાજકીય પક્ષો પૂરતી મર્યાદિત નથી. હિન્દી ફિલ્મોમાં ૪૦થી મોટી ઉંમરના અભિનેતા તેમનાથી નાની ઉંમરની અભિનેત્રીઓ સાથે ભૂમિકા ભજવે કે કોલેજિયન બને ત્યારે તે ટીકા કરવા લાગે છે.
યુવાનોમાં જોશ હોય છે, પણ કામ માટે જે હોશ જોઈએ તે અનુભવી વ્યક્તિ જ આપી શકે અને અનુભવ તો ઠરેલ-વધુ ઉંમરવાળા પાસે હોય ને. (અપવાદ બંને તરફે હોઈ શકે છે. યુવાન પણ ઠરેલ હોઈ શકે અને વૃદ્ધો પણ સાઠે બુદ્ધિ નાઠી જેવું વર્તન કરી શકે). આડવાણી ઉંમરની રીતે વૃદ્ધ હોઈ શકે પણ કામની રીતે – શારીરિક રીતે વૃદ્ધ થયા લાગતા નથી. જો આ બખેડો ન થયો હોત તો તેઓ ભાજપમાં નવું જોમ પૂરવા રથયાત્રા કાઢવાના હતા. આખા ભારતમાં ભાજપના કાર્યકર્તાઓને મળવાના હતા. ગૃહ મંત્રી તરીકે પણ તેમની કામગીરી ઘણી સારી રહી. કાશ્મીરમાં તેમના સમયમાં ઘણા ત્રાસવાદીઓનો સફાયો થયો હતો. રોજે રોજ એકબે-એકબે કરતાં ઘણા ત્રાસવાદી સાફ થતા હતા. તેમણે મોદીને બચાવવામાં ભૂમિકા ભજવી હોય તો તે પણ યોગ્ય જ હતી. વાજપેયી દિલથી વિચારનારા માણસ. પણ આવા કિસ્સામાં સંતુલિત બુદ્ધિથી વિચારવું જરૂરી હતું.
ખેર. હવે તો વાત વટે ચડી ગઈ છે. જશવંત ગયા છે અને આડવાણી પણ જશે. તે બંને અત્યારે જે રીતે ચિતરાઈ રહ્યા છે તેવું નથી. તેઓ ખરાબ નથી, તેમનો સમય ખરાબ છે.
****************
ભાજપ અને તેમના સાથી સંગઠનો- સંઘ, વિહિપ વગેરે ઘણી વાર તેમની અને ઘણી વાર મિડિયાની માયાજાળમાં ફસાઈ જતા હોય છે. તેનો મોટો દાખલો એટલે ઝીણા મુદ્દે આડવાણીનો વિવાદ. ત્યારે સંઘ અને વિહિપ જો કટાસરાજ મંદિરના પુનઃ ઉદ્ઘાટનના મુદ્દે બોલ્યા હોત-પ્રચાર કર્યો હોત તો સારું રહેત. પણ વિહિપના બડબોલિયા નેતાઓ ચૂપ ન રહી શક્યા. મિડિયાએ તો ખોટું (અથવા જાતે કરીને) અર્થઘટન કર્યું જ હતું. તેમની માયાજાળમાં આખો પરિવાર આવી ગયો. (ડૉ. હેડગેવારે અમસ્તું જ કંઈ સંઘને પ્રસિદ્ધિ પરાંગમુખ નહોતો રાખ્યો. અત્યારે ફરી સંઘે તેના છ અધિકારીઓને મિડિયા માટે નિયુક્ત કર્યા છે. ફરી એ જ થવાનું. જશવંતસિંહના ઝીણા વિવાદ પછી જે રીતે કુ.સી.સુદર્શનજી બોલ્યા તેનો વિવાદ થયો જ, ભલે સુદર્શનજી જરા પણ ખોટું નથી બોલ્યા. અને તેનો સવાલ ભાગવતજીને પણ શુક્રવાર તા. ૨૮ની પત્રકાર પરિષદમાં પૂછાયો જ હતો. એટલે મિડિયા ગમે તેમ સંઘને ભેરવવાનું છે, ખાસ કરીને જ્યારે તેમાં મોટા ભાગના સામ્યવાદી, સ્યુડો સેક્યુલર અને માત્ર સનસનાટી ઈચ્છતા પત્રકારો છે.
કંધાર વખતે એક તો, વિમાન ભારતની સરહદ બહાર ચાલ્યું ગયું હતું. (ભારતની અંદર જ ન રોકી શકાયું તે જરૂર ભૂલ ગણાય. બીજું, કારગિલ વખતે પણ સરહદ પાર નહીં કરવા (ખોટી) સૂચના સૈન્યને અપાઈ હતી તો આ વખતે સરહદપાર જઈને કમાન્ડો ઍક્શન લેવાય તેવી આશા કેમ રાખી શકાય? વળી, તે વખતે સમાચાર ચૅનલોએ હોબાળો મચાવી દીધેલો, ઉતારુઓના સગાઓના વિઝ્યુઅલ બતાવી બતાવીને. સરકારે સર્વપક્ષીય બેઠક પણ બોલાવી હતી. સરવાળે, કોઈનો મત એવો નહોતો કે ગમે તેમ કરીને ત્રાસવાદીઓને તો ન જ છોડવા. મુફ્તિ મોહમ્મદ સઈદની દીકરીની જેમ એક જ વ્યક્તિનો અહીં કિસ્સો નહોતો. છોડવાનો નિર્ણય મજબૂરી હતી અને તેમાં વળી જશવંતને જવું પડ્યું. ગત ચૂંટણીમાં જ્યારે કૉંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે આ વાતનો ભાજપ જડબાતોડ જવાબ આપી શક્યું હોત, પણ એમ ન થઈ શક્યું.
****************
એમ તો રાવણ પણ મહાન શિવભક્ત હતો, પણ તેથી કંઈ તેને દેવ કે ભગવાન ન ગણી શકાય. રાવણનો પૂર્વાર્ધ ન જોવાય. કંસે પણ જો આકાશવાણી ન થઈ હોત તો બહેન-બનેવીને ન પૂર્યા હોત. તેનો પણ પૂર્વાર્ધ ન જોવાય. તેમ ઝીણા પણ એક સમયે રાષ્ટ્રભક્ત હતા. સેક્યુલર પણ હતા. પણ એ તેમનો પૂર્વાર્ધ છે. (તેઓ રાષ્ટ્રભક્તમાંથી કેમ હાડોહાડ કોમવાદી બન્યા તે માટે પાછું ગાંધીજીની ખિલાફત ચળવળ જેવા મુસ્લિમ તુષ્ટીકરણના મુદ્દા જવાબદાર છે. ) પણ તેમણે જે ‘ડાયરેક્ટ ઍક્શન’નો આદેશ આપેલો તે ભૂલી શકાય તેવો નથી, જે લોહી વહેવડાવ્યું હતું તે ભૂલી શકાય તેવું નથી. ગાંધીજી તો તેમને વડા પ્રધાન બનાવવા તૈયાર થઈ ગયા હતા. અને કદાચ એટલે જ સત્તા મેળવવા આતુર નહેરુ અથવા તો બીજો કોઈ વિકલ્પ ન લાગતા, કે પછી, ચાલો, આ રીતે હિન્દુઓ આ તરફ ને મુસ્લિમ પેલી તરફ, એમ ભાગલા થઈ જતા હોય તો ભલે થઈ જાય, પણ પછી તો શાંતિથી રહી શકાશે, એમ વિચારીને નહેરુ-સરદારે ભાગલા સ્વીકારી લીધા હોય તો તે સમયે જે થયું તે, તે સમયના સંજોગો પ્રમાણે યોગ્ય જ ગણાય.
બોધપાઠ તો ઇતિહાસમાંથી એ લેવો જોઈએ કે તે સમયે જે ભૂલો થઈ તે ફરી ન થાય. પણ અત્યારે એવો બોધપાઠ આ વિવાદોના પક્ષકારોમાંથી કોઈ લઈ રહ્યું છે? એવું લાગતું નથી. ઍડવાન્ટેજ? કૉંગ્રેસ¡! ડિસઍડવાન્ટેજ? લોકશાહી, કેમ કે લોકશાહીમાં શાસક અને વિપક્ષ બંને મજબૂત હોય તે ખૂબ જ જરૂરી છે.
3 comments 30/08/2009
