Posts filed under 'society'

કિતને પાપડ બેલને પડતે હૈ?

નવરાત્રિની એક રાત્રિએ અમદાવાદમાં ભ્રમણ દરમિયાન નજરે પડેલાં અને રજૂ કરવા લાયક લાગેલાં કેટલાંક મજેદાર અવલોકનો.

Continue Reading 3 comments 26/09/2009

વાહ ભાઈ વાહ! સુચિત્રા કૃષ્ણમૂર્તિ પણ આ જ કહે છે

જાણીતી અભિનેત્રી અને દિગદર્શક શેખર કપૂરની ભૂતપૂર્વ પત્ની સુચિત્રા કૃષ્ણમૂર્તિ  પણ ‘બહેરા કાન પર દયા જ ખવાય’ પોસ્ટમાં વ્યક્ત મારા વિચારો જેવા જ વિચારો ધરાવે છે તે જાણી-વાંચી આનંદ થયો. લો! તમે પણ વાંચો, સુચિત્રા પણ ઘોંઘાટથી કેવો ત્રાસ અનુભવે છે.

http://www.suchitra.com/2009/06/the-5-am-wake-up-call/

Add comment 25/09/2009

ઉજવણીના આનંદમાં મોતનો મલાજો નહીં પાળવાનો?

શું ગરબા રમવાના હરખમાં સોસાયટીમાં થયેલું મોત પણ ભૂલી જવાય?

Continue Reading 7 comments 25/09/2009

બહેરા કાન પર દયા જ ખવાય!

ઉત્સવો આપણને સાત્વિકતા તરફ વાળવા જોઈએ,તામસિકતા તરફ નહીં

Continue Reading 1 comment 24/09/2009

ન્યૂઝ વીક કહે છે : વી આર ઓલ હિન્દુઝ નાવ!

હિન્દુઓને અને તેના માટે કામ કરતી સંસ્થાઓને ભાંડવાની આ દેશમાં ફેશન થઈ ગઈ છે. જો તમારે ઇન્ટેલેક્ચ્યુઅલ (બુદ્ધિજીવી) અને સેક્યુલર દેખાવું હોય તો તેમ કરવું જરૂરી પણ છે. અખબારથી માંડીને ટીવી ચેનલો અને હિન્દી ફિલ્મો-સાહિત્ય અને નવલકથા તમામ ક્ષેત્રે આવું દુખદ વલણ જોવા મળે છે. હિન્દુઓનો પક્ષ લેનાર વ્યક્તિ કે સંગઠનને કટ્ટરવાદી-ફાસીવાદી-હિટલરવાદી જાહેર કરી દેવામાં આવે છે.

પણ સુખદ સમાચારનો વાયરો ફૂંકાયો છે અમેરિકા તરફથી. (હજુ સુધી આ લેખ વિશે ક્યાંય કેમ નથી લખાયું તે આશ્ચર્ય છે.) અમેરિકાના ‘ન્યૂઝવીક’ સામયિકમાં ગયા મહિને લિઝા મિલરે એક લેખ લખ્યો હતો, જેનું મથાળું હતું : We Are All Hindus Now!

વાંચીને આશ્ચર્ય થાય એવું છે કે આ બહેન આવું કટાક્ષમાં તો નથી કહી રહ્યા ને? પણ તેમનો આ લેખ વાંચશો તો ખબર પડશે કે બિલકુલ સત્ય વાત છે.

ભારતમાં જે મોટું પરિવર્તન, ખાણીપીણીથી લઈને વેશભૂષા અને રહેણીકરણીમાં આવી રહ્યું છે તેને લઈને કોઈ લેખ લખે તો તેનું શીર્ષક કદાચ આવું થાય :

We Are All Christians/Americans Now!

Add comment 08/09/2009

‘ઈમરાન હાશ્મી…’ પાર્ટ ટૂ : સોસાયટીમાં કે પડોશમાં આવતા કોઈને રોકી શકાય?

ઈમરાન હાશમીના કિસ્સામાં એવું નથી કે તે મુસ્લિમ છે એટલે તેને ફ્લેટ વેચવાનો ઈનકાર કરવામાં આવ્યો.  પણ… એક બહુ કડવું સત્ય લખવા જઈ રહ્યો છું કે તે મુસ્લિમ હોય તે જ કારણે માનો કે ફ્લેટ વેચવા ખરેખર ઈનકાર કરવામાં આવ્યો  હોય તો તેના કારણો શું હોઈ શકે?

ગુજરાતની વાત જ કરીએ કે ગુજરાતીઓની મુંબઈમાં સોસાયટી હોય તો સામાન્ય રીતે ગુજરાતીઓ મુસ્લિમોને કે ફોર ધેટ મેટર, પરપ્રાંતીયોને બાજુમાં રાખવાનું પસંદ કેમ નથી કરતા? એક મોટું કારણ શાકાહાર છે. માંસાહાર રંધાતો હોય તે (દલીલ કરનારાઓ એવી દલીલ કરી શકે કે ગુજરાતીઓ પણ મોટા પાયે માંસાહાર કરવા લાગ્યા છે- પણ તે હજુ ઈંડાની લારી પૂરતું છે, ઘરમાં એ દૂષણ હજુ નથી પ્રવેશ્યું) સહન નથી થઈ શકતું. એટલે તો ગુજરાતમાં એવી રેસ્ટોરન્ટ નથી. જૈનો સહિત ઘણા ગુજરાતીઓ માંસાહારવાળી રેસ્ટોરન્ટમાં જમવાનું પસંદ નથી કરતા.  ઘણાને તો પરપ્રાંતીયો સરસિયા તેલમાં રાંધે તે તેલની વાસ પણ સહન નથી થતી હોતી! આ જાણેલો અનુભવ છે.

બીજું કારણ જે મુસ્લિમોના કેસમાં જ નહીં ઘણી હિન્દુ જાતિઓના કિસ્સામાં પણ લાગુ પડતું હોય છે. અમુક ધર્મ કે જાતિઓના લોકોને  સોસાયટીમાં મકાન વેચવા કે ભાડે આપવાની વણલિખિત મનાઈ હોય છે તે છે દાદાગીરી, બહેન-દીકરીઓની સલામતી. (અહીં  યાદ રહે  કે બધા મુસ્લિમો એવા નથી હોતા પણ એક છાપ જે બંધાઈ ગઈ છે તેની વાત છે, જેમ કે મહારાષ્ટ્રમાં ભૈયાઓ પ્રત્યે છાપ બંધાઈ ગઈ છે)

અમારા ભાવનગરની જ વાત કરું તો, આજથી દસ બાર વર્ષ પહેલાં અલંગમાં કમાયેલા સુખી સંપન્ન મુસ્લિમોએ શિશુવિહાર વિસ્તારની આજુબાજુ મકાનો લેવાનું શરૂ કર્યું ત્યાર પછી હિન્દુઓ ધીમેધીમે ત્યાંથી ખસતા ગયા. ભાવનગરની ભૂગોળથી પરિચિત લોકો જાણી શકે કે આજે શિશુવિહારથી આગળ વધીને મુસ્લિમો છેક માણેકવાડી સુધી આવી ગયા છે. અને સાંભળેલી વાત મુજબ, માણેકવાડીમાં જે હિન્દુ પરિવારો રહેતા હતા તેમને વિસ્તાર ખાલી કરવાની ધમકીઓ પણ અપાઈ હતી. અને કેટલાક  કિસ્સામાં કારણ તરીકે અસભ્યતા, મેનરિઝમનો અભાવ, અસ્વચ્છતા અને બહેન-દીકરીઓની સલામતી ગણાવાય છે. એમ જોવા જાવ તો ગુજરાતમાં પણ સિંધીઓની અલગ સોસાયટી નથી હોતી? કેમ? વચ્ચે એક ગુજરાતી અખબારમાં એક જાહેરાત એવી પણ જોઈ હતી કે મકાન માત્ર મુસ્લિમોને જ વેચવાનું છે. અમદાવાદાના જુહાપૂરામાં કોઈ હિન્દુ રહે છે? અરે, તેને માત્ર અંદર જવું હોય તો પણ ફફડતા જવું પડે તેવી સ્થિતિ છે તે સહુ કોઈ જાણે છે.

હકીકતે માણસ તેનો પડોશી પસંદ નથી કરી શકતો તેવી ઉક્તિ છે, પણ એ ભૌગોલિક કિસ્સામાં. (ભારત તેના પડોશીઓને બદલી શકે?). પણ માનો કે, ભારત કોઈ દેશ નહીં, પણ વ્યક્તિ છે અને તેને અગાઉથી ખબર છે કે પાકિસ્તાન લખણે કેવું છે તો શું તેને બાજુમાં રહેવા આવવા દેશે?

અને ગુજરાત પૂરતી જ વાત રાખીને કહીએ તો જૈનો મોટા ભાગે દહેરાસરની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે અને આવા ફ્લેટમાં જૈનો મોટા ભાગે વસતા હોય છે. એ વાત અલગ છે કે જૈનો તથા હિન્દુઓની અમુક જાતિ વચ્ચે મોટા પાયે સામ્યતાવાળી સંસ્કૃતિ હોવાથી તેઓને સાથે રહેવામાં કોઈ મુશ્કેલી નથી નડતી.

મૂળ તો, સમાન વિચારવાળા, સમાન સંસ્કૃતિ, રીતરિવાજો ધરાવનારાઓને સાથે રહેવામાં વધુ મજા આવે અને આ ક્રમ આજકાલનો નથી, આદિકાળનો છે. અને તેના માટે ફોર્સ ન પાડી શકાય. અરે, માનવની વાત છોડો, પ્રાણીઓ કે પક્ષીઓ પણ એક સાથે જોવા મળે છે કેમ? દરેકને પોતાની સુરક્ષા વહાલી હોય છે. લગ્ન બાબતમાં પણ એક જ વિસ્તારના, એક જ પેટાજ્ઞાતિમાં યોગ્ય સાથી શોધવામાં આવતા હોય છે તેનું કારણ પણ એ જ છે કે ભાષા સરખી હોય, રીતરિવાજો સરખા હોય, રહેણીકરણી સરખી હોય એટલે છોકરીને બહુ વાંધો ન આવે. બીજું, ધર્મની વાત જવા દો. આપણી આજુબાજુ સોસાયટીઓ તરફ નજર દોડાવીને કિસ્સા શોધીશું તો ખબર પડશે કે ઘણી સોસાયટીઓના લોકોને તેમનામાં કોઈ બગડેલી કેરી જેવું એટલે કે ખરાબ ચાલચલગત ધરાવતું માલૂમ પડે તેમને ફ્લેટ વેચવા દેવાતો નથી કે વેચ્યો  હોય તો ખાલી કરાવાય છે.  કુંવારા વ્યક્તિને એકલાને મકાન ભાડે કે વેચાતું મેળવવામાં તકલીફ પડે જ છે.  તો કુંવારો છોકરો કે છોકરી કોની આગળ ફરિયાદ કરવા જાય? (માનનીય વડા પ્રધાનશ્રી, કુંવારાઓની સમસ્યા સાંભળવા એક કુંવારા પંચની રચના કરવામાં આવે તેવી અમારી કુંવારાઓ વતી હાર્દિક અપીલ છે! :) –  )

અને ઈમરાન જો ગુજરાતમાં કોઈ સોસાયટીમાં મકાન લેવા આવે તો તેને એ નાતે તો મકાન ન પણ મળે કે તે સિરિયલ કિસર તરીકેની ઈમેજ ધરાવે છે. (અહીં ફરી એક વાત. અભિનેતા પ્રાણને પણ સમાજ સારી નજરે નહોતો જોતો, કોઈ છોકરાનું નામ પ્રાણ પરથી નહોતું પડાતું.) અને ફિલ્મસ્ટારોની ચાલચલગત તો જવા દો, પણ લાઇફસ્ટાઈલ પણ સભ્ય સમાજને કદાચ ન અનુકૂળ પડે. કેમ? અભિનેત્રી પ્રીતિ  ઝિંટાની સામે આજુબાજુના રહીશોએ,  તેને ત્યાં મોડી રાત્રે પાર્ટી ચાલતી હતી અને મોટા મોટા અવાજે સંગીત ચાલી રહ્યું હતું ત્યારે ફરિયાદ કરી હતી તેનો  કિસ્સો જાણીતો છે જ ને?

એટલે કોંગ્રેસ સરકાર તો  આવા કિસ્સામાં કોઈ અનામત જેવો કાયદો લાવી શકે છે. સરકાર આવો કાયદો લાવે  કે પ્રતિકૂળ પડોશી સાથે રહેવાની ફરજ પડે તો? તો સહઅસ્તિત્વના – એકબીજાની સંસ્કૃતિ, રીતરિવાજો, સભ્યતાનો સમાદર કરીને રહેવું જોઈએ. જો એમાંથી કોઈ એક પક્ષ બીજા પક્ષ પર હાવિ થવા જાય તો સંઘર્ષ નિશ્ચિત છે અને પછી તો ડાર્વિનવાદ પ્રમાણે, સશક્ત જ પ્રભાવી રહેવાનો.

5 comments 03/08/2009

ઈમરાન હાશમી જૂઠો છે અને તેનો પબ્લિસિટી સ્ટંટ છે

‘ધ ટ્રેન’ ‘કિલર’, ‘જન્નત’ જેવી ઘણી ફિલ્મો ન ચાલતી હોવાના કારણે નવરા બેઠેલા ઈમરાન હાશમીએ નવું ઉંબાડિયું મૂકીને મુસ્લિમ-હિન્દુ સમાજનું ધ્રૂવીકરણ મજબૂત કર્યું છે. પાલિ હિલ જેવા પોશકૉસ્મોપોલિટન વિસ્તારમાં અભિનેતા અનિલ ધવન જે સોસાયટીની મેનેજમેન્ટ કમિટીમાં છે તે નિબાના હાઉસિંગ સોસાયટીમાં પોતાને પ્રવેશવા ન દીધો અને તેને ફ્લૅટ વેચવામાં નથી આવતો કારણકે તે મુસ્લિમ છે એવું ઈમરાનભાઈ તેમના મામા મહેશ ભટ્ટ (બીજું કોણ હોય?)ની સાથે રહીને કહે છે.

સદ્નસીબે (અને હંમેશની જેમ) ગુજરાતી અખબારોએ તો આ વિવાદ બહુ ચગાવ્યો નથી, પણ કમનસીબે (અને હંમેશની જેમ) હિન્દીઅંગ્રેજી ચૅનલોએ તેને ભરપૂર ઉછાળ્યો છે. શનિવારે (તા.૧ ઓગસ્ટ)ના રોજ એક ચેનલ પર આ મુદ્દે ચર્ચા હતી જેમાં ‘માનવંતા’ મહેમાનો હતા રાષ્ટ્રીય લઘુમતી પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ તરલોચનસિંહ, બહુજન સમાજ પક્ષમાંથી કાઁગ્રેસમાં જોડાયેલા રાશિદ અલવી, સમાજશાસ્ત્રી મધુ કિશ્વર અને ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં ‘રાઇટ વ્યૂ’ નામની કૉલમ લખતા તરુણ વિજય.

ચર્ચામાં સ્વાભાવિક જ એન્કરને પોતાની વાત જ સિદ્ધ કરવી હતી અને જ્યારથી ખાનગી સમાચાર ચૅનલો ચાલુ થઈ છે ત્યારથી જોવા મળ્યું છે તેમ, ઍન્કર તરુણ વિજય કે મધુ કિશ્વરને બોલવા જ નહોતો દેતો. એન્કરની વાત તોય સિદ્ધ થઈ શકી નહીં કેમ કે સદ્ભાગ્યે રાશિદ અલવી એવા મતના હતા કે આ બાબતને મુદ્દો બનવા જ ન દેવી જોઈએ. સરદાર તરલોચનસિંહનું પણ કહેવું હતું કે દિલ્લીમાં ૧૯૮૪માં રમખાણો થયા તે પછી શીખોને પણ મકાન મેળવવામાં તકલીફ પડતી હતી. આટલા હોબાળા પછી આ ટીવી ચર્ચામાં મહેશ ભટ્ટે એટલી પીછેહટ કરી કે અમારી ફરિયાદ આખા સમાજ સામે નથી પણ એક નિવાસી સોસાયટી (નિબાના) સામે છે. શબાનાએ જોકે મુસ્લિમોને ઘર મેળવવામાં તકલીફ પડતી હોવાનું કહ્યું. (તો પછી મુંબઈમાં તેઓ ત્રિશંકુની જેમ આકાશમાં રહે છે?) મધુ કિશ્વરે કહ્યું કે કાશ્મીરમાં અમારા ઘરને સળગાવી દેવાયું, મારા કાકાની હત્યા થઈ તો પણ અમે મુદ્દો બનાવ્યો નથી. તરુણ વિજયે પણ કહ્યું કે શબાનાબહેન કાશ્મીરના પંડિતો મુદ્દે ક્યારેય બોલ્યા છે ખરા? તો ચર્ચાના એન્કરે મધુની આખી વાતને મચકોડતા કહ્યું કે તમે એમ કહેવા માગો છો કે એનાથી ઈમરાન કે શબાનાને ઘર નથી મળતું તે વાત વાજબી છે?

હકીકતે તો ઈમરાન જુઠો છે. તરુણ વિજયે સાચું જ કહ્યું કે જેમ રાખી સાવંત (સારું થયું કે તેમણે હિન્દુનું નામ લીધું, નહીં તો એક ઓર મુદ્દો થાત) વિવાદો ઊભા કરી પબ્લિસિટી મેળવે છે અને તેના લીધે કાર્યક્રમો કે ફિલ્મો મેળવે છે તેવો જ આ ઈમરાનનો પબ્લિસિટી સ્ટંટ છે.

આ વાત સાચી લાગે છે કેમ કે અનિલ ધવને અને સોસાયટીના સેક્રેટરી મુજબ, ઈમરાન હળાહળ જૂઠું ચલાવે છે. પહેલા તો સોસાયટીમાં પ્રવેશની વાત. અનિલ ધવન (યાદ રહે, તે પોતે પણ અભિનેતા છે અને તેમના ભાઈ ડેવિડ ધવન જાણીતા નિર્દેશક છે જેમની ફિલ્મોમાં ચર્ચની વાત ઘણી વાર આવે છે) કહે છે કે અમારી મિટિંગ ચાલતી હતી ત્યારે ઈમરાન તેના પરિવાર સાથે ધસી આવ્યો હતો. સેલિબ્રિટી હોવાથી તેને ગમે ત્યાં આવી રીતે ધસી આવવાનો હક નથી મળી જતો. સોસાયટીના સેક્રેટરી જે. બી. ચેત્રીનું પણ આ જ કહેવું છે. જે.બી. ચેત્રી તો કહે છે કે તેમણે પોતે ૩૦ વર્ષ પહેલાં એક મુસ્લિમ પાસેથી જ ફ્લેટ લીધો છે તો પછી કેવી રીતે તેઓ મુસ્લિમ હોવાના આધાર પર ઈમરાનને ફ્લેટ વેચવા ઈનકાર કરે? (http://www.mid-day.com/news/2009/aug/010809-J-B-Chetry-Nibbana-society-Pali-Hill-denying-apartment-Emraan-Hashmi-muslim.htm) મિડ ડેમાં જ આવેલા અહેવાલ મુજબ, ખાર, સાંતાક્રુઝ, બાંદ્રા અને જુહૂના દલાલો આ વાતથી ચોંકી ગયા છે. તેમના કહેવા મુજબ, પાલિ હિલ તો પંચરંગી વિસ્તાર છે અને તમામ ધર્મના લોકો અહીં રહે છે. (મિડ ડેના માલિક મુસ્લિમ છે એ નોંધવું જોઈએ.)

સારી વાત એ છે કે શાહરુખ ખાન અને સલમાન ખાન બંનેએ કહ્યું છે કે તેમને ધર્મના આધારે ક્યારેય ભેદભાવનો સામનો નથી કરવો પડ્યો. સલમાન ખાને તો સ્પષ્ટ કહ્યું કે એવું હોત તો સલમાન સલમાન ન હોત, આમિર આમિર ન હોત અને શાહરુખ શાહરુખ ન હોત.

ઈમરાન જેવી મુસ્લિમ સેલિબ્રિટી આવો વિવાદ ઊભો કરે ત્યારે બહુ કરુણા ઉપજે છે કારણકે આવું હોત તો પાલિ હિલમાં દિલીપકુમારનો બંગલો ન હોત. આમિરનું ઘર ન હોત.

અગાઉ નદીમ-શ્રવણ પૈકીના નદીમે ગુલશનકુમાર હત્યા કેસમાં લંડનથી ભારત ન આવવા માટેનું કારણ આપતા કહ્યું હતું કે તેને લાગે છે કે તે મુસ્લિમ હોવાથી તેને ભારતમાં ન્યાય નહીં મળે! મેચ ફિક્સિંગ કૌભાંડમાં પકડાયેલા ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને પણ કહ્યું હતું કે તે મુસ્લિમ હોવાથી તેને ફસાવવામાં આવી રહ્યો છે. જ્યારે નદીમની ધૂનો પસંદ કરાતી હતી, દર વર્ષે ઍવોર્ડ મળતા હતા, ક્રિકેટ ટીમ મેચો જીતતી હતી અને અઝહરની વાહ વાહ થતી હતી ત્યારે આ લોકો ભૂલી ગયા હતા કે તેઓ મુસ્લિમ છે છતાં દેશની બહુમતી પ્રજા તેમને માથે ઊંચકીને ફરે છે.

ઈમરાનને કદાચ તેના આ નિવેદનની ગંભીરતાનો ખ્યાલ નહીં હોય પણ તેના નિવેદન અને લઘુમતી પંચ સમક્ષ મામલાને લઈ જવાના કારણે મુસ્લિમ-હિન્દુ ધ્રૂવીકરણ ઓર મજબૂત થયું છે અને કમનસીબે દેશની સુરક્ષા માટે આ સારું નથી, ખાસ કરીને જ્યારે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં ચીનપાકિસ્તાનને જોડતા કારાકોરમ નેશનલ હાઇવે પર તાજેતરમાં જ ૧૬ હવાઈ મથકોનું નિર્માણ થયું હોય અને પાકિસ્તાન સરહદ પર ધડાધડ બંકરો બનાવી રહ્યું હોય ત્યારે અને જ્યારે ઑસ્ટ્રેલિયામાં આપણા પર વંશીય હુમલાઓ થઈ રહ્યા હોય ત્યારે.


2 comments 02/08/2009

દારૂબંધી ઉઠાવવા અને સજાતીય સંબંધોને ગુનો ન ગણવા અંગે

દારૂબંધી ઉઠાવવા અને સજાતીય સંબંધોને ગુનો ન ગણવા અંગે ચિત્રલેખાના  ૩ ઓગસ્ટ ૨૦૦૯ના તાજા અંકમાં ગુણવંત શાહની કોલમ (દારૂબંધી અંગે) અને સ્વામી રામદેવનો ઇન્ટરવ્યૂ (સજાતીય સંબંધ અંગે) વાંચી લેવા દારૂબંધી ઉઠાવી લેવાના હિમાયતીઓ અને સજાતીય સંબંધોના તરફદારોને વિનંતી.

2 comments 27/07/2009

શું અખબારો-ટીવી ચેનલોમાં પણ સેન્સર બોર્ડની પરવાનગી હોવી જોઈએ?

ફિલ્મો અને નાટકોને રિલીઝ કરતા પહેલાં સેન્સર બોર્ડની પરવાનગી મેળવવી જરૂરી છે. એના કારણે ક્યારેક સાચી તો ક્યારેક ખોટી રીતે પરંતુ સેન્સર બોર્ડની તલવાર લટકેલી રહે છે. ફિલ્મોમાં હિંસા અને સેક્સ એ બંનેને કાબૂમાં રાખવાની સત્તા જો કોઈની પાસે હોય તો સેન્સર બોર્ડ પાસે છે અને બીજી દર્શકો પાસે. ૨૦૦૪થી ૨૦૦૫ દરમિયાન ‘મર્ડર’, ‘હવસ’, ‘શીશા’, ‘અબ બસ’, ‘ગર્લફ્રેન્ડ’, ‘તૌબા તૌબા’ જેવી સેક્સપ્રચૂર ફિલ્મો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી હતી, પણ અંતે એ બધી ફિલ્મોથી દર્શકો કંટાળી ગયા ને આજે માત્ર અંગપ્રદર્શન અને સેક્સી દૃશ્યોના સહારે  ’ફિલ્મના સહારે મલ્લિકા’ થવા નીકળેલી મલ્લિકા શેરાવતો, નેહા ધૂપિયાઓ, ડાયના હેડનો, પાયલ રોહતગીઓ, અમૃતા અરોરાઓ ગોતી હાથ જડતી નથી!

અખબારો અને ટીવી ચેનલો બાબતે આવું થશે? આ સવાલ એટલે ઉદ્ભવે છે કે ગુજરાતી સહિતનાં અખબારોમાં રોજબરોજ આપણા માથે સેક્સ એટલું બધું પીરસાઈ રહ્યું છે કે હવે ચીતરી ચડે છે. હિરોઈનોના ક્લિવેજવાળા ફોટા, વિદેશના તો કોઈ પણ, ત્યાં કોઈ ‘ભૂજિયોભાઈ પણ ન ઓળખતો હોય’ પણ સેક્સી પોઝ આપ્યો હોય તેવી યુવતીના ફોટા છાપવામાં આવે છે, સેક્સને લગતા કોઈ પણ સર્વે હોય કે વિદેશમાં સેક્સને લગતા કોઈ પણ સમાચાર હોય ત્યારે એવું માનીને તે છાપવામાં આવે છે કે આ ‘સમાચાર’ દ્વારા ‘તમારી મરજી’નો ‘ ‘સંદેશ’ પહોંચી રહ્યો છે! ચેનલોમાં પણ કોઈ મોડલ રેમ્પ વોક કરતા હાથે કરીને કે પછી અકસ્માતે ટોપ સરકાવી દે અને પછી ‘હાય હાય આવું થઈ ગયું’ના શોરબકોરની સાથે વિશેષ કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવે છે. વિરોધ હોય તો પાછળ દૃશ્યો શા માટે બતાવવામાં આવે છે તે તો આઇનસ્ટાઇન માટે પણ કોયડો બની રહે!

ક્યાંક એવું તો નથી ને કે જે લોકો આવા સમાચાર છાપે છે, લખે છે અને પોતાની કોલમમાં વિકૃતિઓને સમર્થન આપે છે, એવા ઓઠા હેઠળ, કે દંભ ન કરવો જોઈએ તે ગણ્યાગાંઠ્યા લોકો જ વિકૃત છે? વધી રહેલા બળાત્કારની સંખ્યા પાછળ આ કારણને પણ તપાસવું જોઈએ. ઘણા ‘વેવલા’ઓ દલીલ કરશે કે સલવાર પહેરતી સ્ત્રીઓ પર પણ બળાત્કાર થાય છે. કોઈ એક ખોટી વાતને લઈને બીજી ખોટી વાતને સમર્થન આપવાથી બીજી ખોટી વાત સાચી નથી થઈ જતી. દુઃશાસને ચિરહરણ કર્યું હતું એટલે દુર્યોધનને તેમ કરવાનો પરવાનો નથી મળી જતો.

અને મહત્ત્વની વાત એ છે કે ફિલ્મો અને નાટકોને તો ‘એ’ સર્ટિફિકેટ મળે છે એટલે બાળકો તેમાં નથી જઈ શકતા (એ વાત અલગ છે કે થિયેટરમાં તેવું કોઈ જોતું નથી ને હવે તો મોબાઈલ અને લારીમાં સીડી દ્વારા પણ ખુલ્લેઆમ ‘બધું’ મળે છે, પણ અગેઇન, આ ‘બધું ‘ મળે છે એટલે પેલી વાત સાચી નથી સાબિત થઈ જતી)  તેમ અખબારો અને ટીવી ચેનલો માટે પણ વિચારવું પડશે.

નહીં તો એ સમય દૂર નથી જ્યારે અમેરિકા અને બ્રિટનની જેમ છઠ્ઠા-સાતમા ધોરણમાં ભણતા આપણા વિદ્યાર્થીઓ પણ સાહેબને મારી નાખતા અને કુંવારી માતા-પિતા બનતા થઈ જશે!

અત્યારે શરીરથી પુખ્ત લોકોએ માનસિક રીતે પણ પુખ્ત બનવું પડશે!

5 comments 22/06/2009

તમે આજે કોઈ પુણ્યકાર્ય કર્યું?

મારાં શ્રીમતીએ મને એક સુંદર વાત કરી. તેઓ સુરેન્દ્રનગરની આર.પી.પી. હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે રોજ એક સારું-પુણ્યનું કાર્ય કરીને જવું પડતું. શાળાએ જાવ એટલે હોમ વર્કની જેમ જ શિક્ષક પૂછે ‘તમે આજે શું પુણ્યકાર્ય કર્યું?’ આના પરિણામે વિદ્યાથીર્ઓમાં સારું કામ કરવાની ભાવના વિકસતી.

હું ભણતો ત્યારે સમાજ ઉપયોગી ઉત્પાદક કાર્ય (અમે તેને સ.ઉ.ઉ.કા.) તરીકે ઓળખતા. તેમાં પણ ઘરમાં અને સમાજ માટે સારાં કાર્યો કરવાની શીખ મળતી.

આજે આવું કંઈ ભણાવાય છે તે ખબર નથી. ન ભણાવાતું હોય તો ભણાવવું જોઈએ. ગણિત વિજ્ઞાન વગેરે સારું આવડે તે જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી સમાજનું હિત વિચારવું સમાજ ઉપયોગી કાર્યો કરવા.

આપણે ત્યાં ઘર તો સ્વચ્છ રખાય છે પણ બહાર સાર્વજનિક સ્થળો-બગીચા સ્ટેશન રસ્તા વગેરે પર ભારે ગંદકી કરાય છે. મંદિર તો દેવોનું-ઈશ્વરનું સ્થાન છે ત્યાં પણ નરી ગંદકી-માખીઓ બણબણતી જોવા મળે છે.

આજના વિદ્યાથીર્ઓમાં વિનય, ચારિત્ર્ય અને ટ્રાફિક સેન્સના પાઠ ભણાવવાની પણ સવિશેષ જરૂર હોય તેમ લાગે છે.

1 comment 16/05/2009

વેલેન્ટાઇન દિવસ, લાલુપ્રસાદ યાદવ અને ભગવા ગુંડારાજ

રામે સીતાને બાગમાં જોયાં. એ પહેલી નજરનો પ્રેમ હતો. રુક્મિણીએ શ્રીકૃષ્ણને પોતાને પરણીને લઈ જવા પત્ર લખ્યો એ કદાચ પહેલો પ્રેમપત્ર હતો. દુષ્યંતે શકુંતલા સાથે લગ્ન કર્યાં તે કદાચ પહેલા પ્રેમલગ્ન હતાં! પાર્વતીજીએ શંકરને પામવા આકરી તપશ્ચર્યા કરી હતી અને એ પાર્વતીજીનાં માબાપે ગોઠવેલાં લગ્ન (ઍરેન્જ્ડ મેરેજ) નહોતાં.

ઘણા લેખકો સંસ્કૃતમાં રચાયેલાં પુરાણા ગ્રંથોને ટાંકીને યુવાનોને ગમે તેવું ‘લોકભોગ્ય’ લખાણ લખીને રૂઢિચુસ્ત સંગઠનોને ભાંડતા રહેવાની પ્રવૃત્તિ કરતા રહે છે. ચૅનલો પણ યુવાનોમાં પોતાની પેઠ પેસાડવા અને રાખવા માટે યુવાનોને ગમે તેવું પીરસ્યા રાખે છે. (અલબત્ત, એ યુવાનોને ગમતું જ હોય છે તે માની લેવામાં આવ્યું હોય છે.) મહેશ ભટ્ટો જેવા નિર્દેશકો અને નિર્માતાઓ તેમજ ઘણાં મેગેઝિનો, અખબારો અને ચૅનલોના તંત્રીઓ, પત્રકારો વગેરે પણ કામક્રીડાંનાં દ્રશ્યો, તસવીરો તથા કામક્રીડાને લગતા સમાચારો લોકોને ગમતા જ હોય છે તેવું માની લઈને પોતાની ફિલ્મોમેગેઝિનો, અખબારો અને ચૅનલોમાં આવું બધું ચલાવ્યા કરે છે. જ્યારે ચર્ચા નીકળે ત્યારે પોતાનો ફિલ્મોવાળા એમ કહીને કરે કે એમટીવીમાં આવું બધું આવે છે અને એ ડ્રોઈંગરૂમમાં બેસીને જોવાય છે જ ને? એમટીવીવાળા એમ કહે કે ઇન્ટરનેટ પર કેટલી પોર્નોગ્રાફી જોવાય છે? પરંતુ આમ બીજાના ગુનાનો સંદર્ભ ટાંકીને પોતે ગુનો કરે છે તે યોગ્ય છે? પુરાણોમાં પ્રેમનો મહિમા છે જ, પરંતુ આજે જે થઈ રહ્યું છે તેને પ્રેમનું નામ આપી શકાય ખરું?

એનડીટીવી ઇન્ડિયા ચૅનલે ૧૪ ફેબ્રુઆરીએ બતાવેલા રિપોર્ટમાં ‘ભગવા ગુંડારાજ’ ટાઇટલ હતું અને ભગવો પટ્ટો ધારણ કરીને નીકળી પડેલા ગુંડાઓ વેલેન્ટાઇન્સ ડેના દિવસે કહેવાતા ‘પ્રેમીઓ અને પ્રેમિકાઓ’ને પીટી રહ્યા હતા તે વારંવાર બતાવ્યું. તે પછી લાલુપ્રસાદ યાદવ વેલેન્ટાઇન બાબા બનીને રાબડી દેવી આગળ જાય છે તે કાર્ટૂન ચિત્ર બતાવ્યું. તે પછી લાલુના સમાચાર બતાવ્યા. તેમાં લાલુને આ અંગે પૂછાયું તો લાલુએ ઠંડકથી કહી દીધું ઃ હું વેલેન્ટાઇનની ઉજવણીની તરફેણમાં નથી!

અહીં બે મુદ્દા વિશે કહેવું છે. રામ સેનાનો બચાવ કરવાનો હેતુ નથી, પરંતુ પબમાં યુવતીઓ જ નહીં, યુવાનો પણ જાય તે આ દેશના હિતમાં છે? માનો કે કોઈ બાપ તેનો દીકરો પબમાં ગયો હોય અને ત્યાં જઈને બે લાફા મારી દે તો?

કોઈ વિદ્યાર્થી બરાબર ન ભણતો હોય તો તેના હિતમાં શિક્ષક ખીજાય અને જરૂર પડે એક લાફો પણ મારી દે. પરંતુ આજે શિક્ષક લાફો મારે તો પણ અખબારો અને ન્યૂઝ ચૅનલોનો મુદ્દો બની જાય છે.

સ્ત્રીઓને બધી સ્વતંત્રતા જોઈએ છે અને ઘણી બધી મળી પણ રહે છે, પરંતુ તે કોઈ ગુનો કરે ત્યારે ‘અબળા’ બની જવું છે.  કોઈ સ્ત્રી સ્વચ્છંદી બનીને અસભ્ય વર્તન કરે ત્યારે? 

અમદાવાદ સહિત દેશનાં ઘણા શહેરોમાં સ્ત્રીઓ બેફામ ડ્રાઇવિંગ કરીને નાસી જાય છે. પુરુષે જો અકસ્માત કર્યો હોય તો ત્યાં સ્થળ પર તેની ધોલાઈ થઈ જાય, પરંતુ સ્ત્રીએ કર્યો હોય તો તેની ધોલાઈ થાય ખરી? ઉલટું, કદાચ તેના ‘ભાઈઓ’ આવીને સામે વાળા નિર્દોષને મારવા લાગે તેવું બને. એટલે પબમાં રામ સેનાએ સ્ત્રીઓની ધોલાઈ કરી તે જેટલું ખોટું હતું તેટલું જ ખોટું યુવાન કે યુવતીઓનું પબમાં જવું છે.

પબ કલ્ચરના મુદ્દે પક્ષાંતર ભૂલી જઈને કર્ણાટકના મુખ્યમંત્રી યેદુરીપ્પા, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક ચવ્હાણ બધાએ પબ કલ્ચરને દૂષણ ગણાવ્યું. એ જ રીતે વેલેન્ટાઇન દિવસનો વિરોધ માત્ર શિવસેના, ભાજપ કે વિહિપ બજરંગ દળવાળા જ કરે છે તેવું નથી. ઉપર કહ્યું તેમ લાલુ પણ તેની વિરુદ્ધમાં છે. તેમણે કહ્યું ઃ આ ભારતીય સંસ્કૃતિ નથી. ભારતીય સંસ્કૃતિ તો શરમ અને લજ્જાની છે.

કાઁગ્રેસ જેને ભાવિ વડાપ્રધાન તરીકે જુએ છે એ રાહુલ ગાંધીએ પણ પોતે વેલેન્ટાઇન દિવસની ઉજવણીની તરફેણમાં ન હોવાનું કહ્યું.

પરંતુ અખબારો અને ન્યૂઝ ચૅનલોને વેલેન્ટાઇન દિવસ અને એવા દિવસો કે મુદ્દામાં બજાર દેખાય છે. ગ્રીટિંગ કાડ્ર્સથી લઈને ગિફ્ટ આર્ટિકલનું પણ મોટું બજાર છે. કપલરૂમથી લઈને હોટલના રૂમોમાં પણ ૧૪મી ફેબ્રુઆરીએ ભીડ જોવા મળે છે. તેનું પરિણામ ૧૪ નવેમ્બરે બાળ દિને જોવા મળે છે!

અખબારો અને ન્યૂઝ ચૅનલોના કર્તાહર્તાઓએ વેલેન્ટાઇન ડેના સમર્થનકારોએ પોતાની જાતને આ પૂછવું જોઈએ. વેલેન્ટાઇન ડેના દિવસે જે થાય છે તે માત્ર પ્રેમ જ હોય છે કે પછી હવસ? સ્વતંત્રતા સારી છે પરંતુ જ્યારે તેમાં સ્વચ્છંદતા આવવા લાગે ત્યારે? રામ સેનાની વિરુદ્ધમાં બોલતી આ ચૅનલો કે અખબારો ત્યારે કેમ ચૂપ થઈ જાય છે જ્યારે મુંબઈમાં એક મુસ્લિમ યુવતીની પીઠ પર ટેટૂમાં ધાર્મિક લખાણના કારણે તે યુવતીને રૂઢિચુસ્તો માર મારે છે? ત્યારે કેમ ‘હરા ગુંડારાજ’ કે ‘તાલિબાની કહર’ જેવું શીર્ષક આપીને ચર્ચાઓ અને સમાચારો નથી અપાતા?

1 comment 15/02/2009

બેન્ડવાજા પર જ નહીં, ઘોંઘાટ પર પણ પ્રતિબંધ જરૂરી

તા. ૧૮ નવેમ્બર ૨૦૦૮ના ‘દિવ્ય ભાસ્કર’માં એક સારા સમાચાર છે. ઃ મુસ્લિમ સમાજે બેન્ડવાજા પર પ્રતિબંધ મૂકવાનું જાહેર કર્યું. આમ તો મુસ્લિમ સમાજ બહુ જ રૂઢિચુસ્ત ગણાય છે અને સુધારા માટે ખાસ જાણીતો નથી, પરંતુ આ સુધારો નોંધનીય છે. જોકે ફરી એ જ વાત છે કે આ સુધારો કરાયો છે તો રૂઢિના નામે જ. એટલે કે એમ કહીને કે શરિયતમાં આ બાબત નથી. સાથે એમ પણ કહેવાયું છે કે આ પૈસાનો બગાડ અને પ્રદૂષણ પણ છે.

ગુડ. બહુ જ સરસ. આ કામ માટે મુસ્લિમ સમાજની પીઠ થાબડવી જોઈએ. એમ તો થોડા સમય પહેલાં જૈન સમાજે પણ રાત્રિના ભોજન નહીં કરવાનું અને એટલે જ રાત્રે લગ્નસમારંભો પણ નહીં યોજવાનો આવકારદાયક નિર્ણય લીધો હતો. મુદ્દે વાત શું છે કે રાત્રે લગ્નસમારંભ યોજાય એટલે કેટલી બધી લાઇટ બળે? મંડપમાં લાઇટ તો હોય જ પણ પ્રવેશદ્વાર અને અંદર રસ્તા પર રોશની તો હોય જ. ઉપરાંત જે પરિસરમાં લગ્ન ચાલતા હોય ત્યાં સ્પીકરમાં સંગીત કે ગીતો વાગતા હોય.

આપણે બીજા બધા પ્રદૂષણના મુદ્દે ઘણું કામ કરીએ છીએ પણ આ ઘોંઘાટના પ્રદૂષણના મુદ્દે કામ થતું નથી. લગ્નસમારંભોમાં જે પ્રકારે વરઘોડા નીકળે છે તેના પર સમાજે સ્વયંભૂ જ પ્રતિબંધ મૂકવો જોઈએ.

જૂના જમાનામાં વાત અલગ હતી, પણ હવે જે પ્રકારે ટ્રાફિક થતો જાય છે તેના કારણે આ વરઘોડા કેટલો બધો સમય ટ્રાફિક જામ કરી દે છે! અને એવાં તો કેટલાંય લગ્નો યોજાતા હશે. લગ્ન તો ઠીક, પણ ધાર્મિક યાત્રાઓમાં જે ઉત્સાહ (મોટા ભાગે નાચવાની ચળ) હોય છે તે વધુ પડતો જ લાગે છે. તેમાંય બેન્ડવાજા તો ખરા જ. અને છેલ્લાં કેટલાંક વર્ષોથી બેન્ડવાજામાં બેસૂરા અવાજે (પાછો તે માણસ છોકરીના અવાજમાં પણ ગાતો હોય) ગાતો હોય અને સાથે કીબોર્ડ વગાડતો હોય. લગ્ન હોય કે કોઈ સંપ્રદાય કે ધર્મની યાત્રા, તેમાં બેન્ડવાજા ફરજિયાત થઈ ગયા છે જાણે. અને ફટાકડાથી તો તોબા! ફટાકડાનો આનંદ માણવો આબાલવૃદ્ધ સહુને ગમે એમાં ના નહીં, પણ રસ્તા પર ફટાકડા ફોડાય તેમાં અકસ્માત તો થતા થાય પણ રસ્તા પરથી જનારા માણસને બે મિનિટ થોભી જવું પડે કે સાવચેતી તો રાખવી જ પડે. ભરપૂર શક્યતા હોય છે કે ફટાકડો ઊડીને વાહનની પેટ્રોલની ટાંકી પર પડે અને મોટો ધડાકો થાય. અરે ભાઈ, નાચવું જ હોય તો કોઈ મેદાન, વાડી કે પ્લોટ તમે ભાડે રાખો જ છો અને તેમાં તો પાછા દાંડિયારાસ યોજો જ છો તો તેમાં નાચી લો ને. રસ્તા પર નાચવાનો મોહ શાને માટે? તેમાંય ઉનાળામાં લગ્ન હોય તો વરઘોડો ખરેખર ત્રાસદાયક જ લાગે છે.

અમદાવાદ શહેર પૂરતું, કારમાં મોટે મોટેથી સંગીત વગાડવા પર પ્રતિબંધ તો ટ્રાફિક વિભાગે મૂક્યો છે, પણ તેના અમલમાં અન્ય કાયદાઓના અમલ જેવું જ છે, અર્થહીન. બાકી, ફ્લેટમાં કે ટેનામેન્ટમાં કોઈ વીરલા કે વીરલી ધૂમધડાકાભેર સંગીત સાંભળતા હોય તો તેને ટોકવા જતા સામે બેચાર વાતો સાંભળવાની તૈયારી રાખવી પડે તેવો આ સમય છે. નવરાત્રિમાં પણ ગલીએ અને મોહલ્લે આયોજનો થાય છે, પણ તેમાં જો સાઉન્ડનું સ્તર યોગ્ય જાળવવામાં આવે તો તેમાં ભાગ લેનારાને તો મજા પડે જ પડે, પરંતુ જે લોકો બીમાર છે, વૃદ્ધો છે, વિદ્યાર્થીઓ છે તેમને રાહત મળે.
અત્યારે જે મંદી ચાલી રહી છે તેમાં તો ખાસ, એક નિર્ણય લેવા જેવો છે, લગ્ન સાદાઇથી કરવાનો. પણ સવાલ એ છે કે ભપકાની, દેખાદેખીની ટેવ જે પડી છે તેમાંથી કેમ કરીને છૂટાશે?

 

1 comment 21/11/2008


ગરમાગરમ પોસ્ટ

તાજી ટિપ્પણીઓ

jayesh dave on હાશ! અમદાવાદ-ભાવનગર હાઇવે ફોર …
વજેસિંહ પારગી on ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત …
anand mehta on ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત …
arvindadalja on મનમોહનસિંહની ‘આ અબ લૌટ ચલે’ અપ…
પક્જ કનાડા, on ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત …

તારીખીયું

December 2009
M T W T F S S
« Nov    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

સંગ્રહ

ખાંખાખોળા કરો

શ્રેણી

સૌથી વધુ ક્લિક

વહીવટીવિભાગ

લટકણિયાં

advani ahmedabad Amitabh Bachchan bhavnagar bjp blog bomb blast congress farah khan gmail gujarat hindu kandhar Karan Johar manmohan singh mohan bhagwat narendra modi pakistan prakash mehra rahul gandhi rss salman khan shahrukh khan taliban અભિયાન અમદાવાદ અમિતાભ અમિતાભ બચ્ચન ઇમેઇલ ઓસ્ટ્રેલિયા ગુજરાતી જયવંત પંડ્યા દિવ્ય ભાસ્કર નરેન્દ્ર મોદી ભાજપ ભાવનગર મનમોહનસિંહ રાહુલ ગાંધી શાહરુખ ખાન સચ કા સામના સલમાન ખાન સેક્યુલર સૌરાષ્ટ્ર સમાચાર સ્લમડોગ મિલિયોનેર હિન્દુ

Blog Stats

Feeds

... જરા નજર તો નાખતા જજો

અત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે?

પૃષ્ઠ

Twitter Updates

live traffic feed