નોટબંધી: લોકોને મુશ્કેલી પડી પણ…

Published by

on

(અભિયાનના તા.૧૧/૧૧/૧૭ના અંકમાં પ્રકાશિત થયેલો લેખ.)

આઠ નવેમ્બર ૨૦૧૬. આ તારીખ, મહિનો અને વર્ષ લોકોને વર્ષોવર્ષ યાદ રહી જવાનો છે. સારી કે ખરાબ રીતે તે જુદી વાત છે. રાત્રે કરાયેલી જાહેરાત અને તે જ દિવસ રાતથી રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટ બંધ થઈ ગઈ. દિવાળીના તહેવારોની મજા બધી ઉતરી ગઈ.

આઠ તારીખ નજીક આવી રહી છે ત્યારે લોકો સંદેશાઓ ફરતા કરી રહ્યા છે. સાવધાન…આઠ તારીખ આવી રહી છે.

મિડિયા અને ખાસ તો રાહુલ ગાંધી ફરી ફરીને યાદ અપાવી રહ્યા છે કે ભાજપે નોટબંધી અને જીએસટીના નામે લોકોને હેરાન કરી નાખ્યા.

પરંતુ હું જેને નૉટિકલ સ્ટ્રાઇક કહું છું તે નોટબંધી જેવા આકરા નિર્ણયને લેવા માટે ખરેખર છપ્પનની છાતીવાળો નેતા જોઈએ. અને આવા નિર્ણયો અત્યારની સ્થિતિમાં નરેન્દ્ર મોદી જ લઈ શકે. (અને હજુ અમદાવાદનું કર્ણાવતી, કલમ ૩૭૦, રામમંદિર વગેરે મુદ્દે  તેમની પાસેથી આકરા નિર્ણયોની અપેક્ષા છે.) વિચાર કરો, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુર જેવા પાંચ રાજ્યોની ચૂંટણી માથે ઝળુંબતી હોય તેવા સમયે જ નોટબંધીનો નિર્ણય લીધો અને લોકોને કેટકેટલી મુશ્કેલીઓ પડી! કોઈને લગ્નના લીધે તકલીફ પડી તો કોઈને બીમારીના લીધે. કોઈને પ્રવાસમાં તકલીફ પડી તો કોઈને કોઈ ફી ભરવામાં. પરંતુ સરેરાશ દરેક વ્યક્તિએ આ નિર્ણયને હસતાં હસતાં સ્વીકારી લીધો. ટીવી ચેનલોએ લાઇને લાઇને ફરી ફરીને મોઢામાં આંગળા નાખીનાખીને બોલાવવાની કોશિશ કરી પરંતુ જે નેતાએ પોતાની છબી રાષ્ટ્રને સમર્પિત વ્યક્તિની બનાવી દીધી હોય અને બે વર્ષમાં સારાં કામો કરી બતાવ્યાં હોય તેને જનતા પણ સમર્થન કરે જ છે. વર્ષોથી એવી નેગેટિવ માનસિકતા મિડિયાના મોટા ભાગના વર્ગોએ બનાવી દીધી છે કે પત્રકાર કે ટીવી કેમેરો જુએ એટલે લોકો રોદણાં જ રોતાં હોય, પરંતુ આ નિર્ણયમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હોવા છતાં લોકો કહી રહ્યા છે કે મોદીજીએ દેશના ભલા માટે, આપણા ભલા માટે નિર્ણય લીધો છે ને? અમે મુશ્કેલી સહન કરી લઈશું.

બિહારના કટિહાર જિલ્લાના મનસાહી પ્રખંડમાં એક યુગલ સરસ્વતી સાહની અને રાજાકુમારના મહેમાનોને માત્ર ચા-પાણી અને લાડુ આપી પંડિત વગર અગ્નિની સાક્ષીએ માત્ર રૂ. ૧,૧૦૦માં લગ્ન કર્યા. સુરતની દક્ષા પરમારે તો કમ્પ્યૂટર એન્જિનિયર એવા ભરત મારુ સાથે માત્ર ચા પીવડાવીને લગ્ન કર્યાં. મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના માંડાઈ ગામના ઉમાશંકરનાં લગ્ન તો સાધના પાટીલ સાથે શાસ્ત્રોક્ત વિધિથી પરંતુ નિ:શુલ્ક જ થયા. ઉલટાનું મંદિરના વહીવટકર્તાઓએ હાજર લોકોને જમાડ્યા. (‘પીકે’ જેવી ફિલ્મો મંદિરનો વિરોધ કરે છે, પરંતુ મંદિર સમાજસેવાનાં કામો કરે જ છે.)

આવા સમયે લોકો સાથેના વ્યક્તિગત સંબંધો અને મોબાઇલ બંને કામ આવ્યાં. કરિયાણા-દૂધ-છાપા-ટેલિવિઝન ચેનલ વગેરેએ ઉધાર પર માલ-સેવા આપ્યાં. મોબાઇલથી પેમેન્ટ થયા. એટીએમ કાર્ડથી ખરીદી થઈ. નવી પેઢી જે નાણાંનું મહત્ત્વ ઓછું સમજે છે તેમને ખ્યાલ આવ્યો કે કરકસરથી, સાદગીથી પણ ચાલી શકે. એક-એક રૂપિયાનું મહત્ત્વ સમજાયું. મહિલાઓની વર્ષોની બચતની ટેવ સારી હતી પરંતુ તેમને આ નાણાં જમા કરાવવાં પડ્યાં, પરંતુ મહિલાઓએ હસતા મોઢે આ યજ્ઞમાં પોતાની આહુતિ આપી.

બીજી તરફ, આ સમયે લોકોમાં માનવતા પણ બહાર આવી. યાદ રહે કે ભારતના લોકોની પોઝિટિવ વાતો મિડિયાના ઘણા વર્ગમાં નથી આવતી. અમેરિકાના ટેક્સાસમાં પૂર આવ્યું ત્યારે લૂટફાટ થઈ હતી જ્યારે મુંબઈમાં ટ્વિટર પર લોકો પોતાના વિસ્તારમાં ફસાયેલા લોકોને ઘરે આવવા આમંત્રણ આપતા હતા. આ જ રીતે નોટબંધીના સમયે પણ લોકોએ, સંસ્થાઓ અને બૅન્કોએ માનવતા દાખવ્યાનાં અનેક ઉદાહરણો છે.

મુંબઈની મેજિક દિલ નામની ડૉક્ટરોની સંસ્થાએ કટોકટીની આ ક્ષણોમાં એક મિસ્ડ કૉલ પર ઘરે આવીને ઉધારી પર દર્દીના ઈલાજ કર્યા. રાંચીમાં વિનાયક હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરે ૧૦થી ૧૩ નવેમ્બર દર્દીઓને નિ:શુલ્ક ટ્રીટમેન્ટ આપી. મેંગ્લુરુ જેવા દક્ષિણ ભારતના શહેરમાં શીખ ભાઈ બલવિન્દરસિંહ વીરડીએ રેલવે મથકે અંદાજે ૨,૦૦૦ લોકોને નિ:શુલ્ક ભોજન આપ્યું. પંજાબમાં પણ શીખ બંધુઓએ બૅન્ક ગ્રાહકોને લંગર (નિ:શુલ્ક ભોજન) અને પાણી પૂરી માનવતા દર્શાવી. કેરળના એર્નાકુલમના કક્કાનાદમાં એક ચર્ચે રવિવારે પ્રાર્થનામાં આવેલા ખ્રિસ્તી બંધુઓ માટે દાનપેટી ખુલ્લી મૂકી દીધી.

મુંબઈની એક જગ્યાએ એચડીએફસી બૅન્કની આગળ ખુરશીઓ મૂકાઈ લોકોને બેસીને પોતાના વારાની રાહ જોવાની સુવિધા પૂરી પડાઈ. મુંબઈની એક પત્રકાર પૂજા મહેતાએ પોતાની માતા પંજાબ નેશનલ બૅન્કમાં કર્મચારી છે તો તે ત્યાં પત્રકારના નાતે ગઈ પરંતુ પરિસ્થિતિ જોઈ તે પણ ત્યાં કામ કરવા બેસી ગઈ! બૅન્કો પાસે રૂ. ૧૦૦ની ઓછી નોટો હતી. સ્ટાફને કમને રૂ. ૨,૦૦૦ની નોટો આપવી પડતી હતી. સ્વાભાવિક જ લોકો ગુસ્સામાં અથવા હતાશ હતા. સુરક્ષા કર્મચારીઓને લોકોને નિયંત્રિત કરવામાં મુશ્કેલી પડી રહી હતી. આવામાં એક ગ્રાહકે આગળ આવીને લોકોને નિયંત્રિત કરવામાં મદદ કરી.  ગુવાહાતીમેંક  પૂર્વ બૅન્ક કર્મચારી નમિતા લહકર જ્યારે પૈસા જમા કરાવવા ગયાં ત્યારે લોકોનો ખૂબ ધસારો જઈ તેઓ ગ્રાહકના બદલે બૅન્કના પોતાના પૂર્વ સાથીઓને મદદ કરવામાં જોડાઈ ગયા. ભૂજમાં પોલીસ કર્મચારીઓએ બૅન્ક લાઇનમાં ઊભા રહેલા લોકોને પીવાનું પાણી આપ્યું. ઉત્તર પ્રદેશમાં પણ મહિલા પોલીસે બૅન્ક ગ્રાહકોને પીવાનું પાણી આપ્યું. ચેન્નાઈમાં એસબીઆઈની બૅન્કોમાં સ્વયંસેવકોએ મોટી સંખ્યામાં લોકોને એક્સચેન્જ ફોર્મ ભરવા, પાણી આપવા સહિતની મદદ કરી. એક બૅન્ક કર્મચારીએ મોટી સંખ્યા જોઈ જમવાનું જતું કર્યું.

ઉત્તર પ્રદેશના સહારનપુરનના પિંજોરા ગામના શિવકુમાર પાઠક નાના ખેડૂત છે. તેમણે રૂ. ૩,૦૦૦ની કિંમતની રૂ. ૧૦૦ અને રૂ. ૫૦ની નોટો જમા કરાવી જેથી છુટ્ટાની મારામારીના સમયમાં બૅન્ક ગ્રાહકોને તે આપી શકાય. આ પૈસા તેમની બચતના હતા.

ગરીબ ગણાતા ઑડિશાના ભુવનેશ્વરમાં પાણીપુરી જેને ત્યાં ગુપચુપ કહે છે તે વેચનારા શિવશંકર પાત્રા જેવા અનેક લોકો હવે ડિજિટલ રીતે પૈસા સ્વીકારતા થઈ ગયા છે.

આ નોટબંધીથી સૌથી મોટો ફટકો ત્રાસવાદીઓને પડ્યો. પાકિસ્તાન તરફથી નકલી નોટો ઘૂસાડીને ત્રાસવાદ, ડ્રગ્ઝ વગેરે અનૈતિક કાર્યો દ્વારા ભારતને અંદરથી જ ખોખલું કરવાનું ષડયંત્ર ચાલતું હતું તેને જબરો ઘા વાગ્યો. કાશ્મીરમાં પથ્થરબાજી બંધ થઈ ગઈ છે. જોકે આનાથી એમ માનવું યોગ્ય નથી કે ભવિષ્યમાં ત્રાસવાદી ઘટના નહીં જ બને. બળાત્કાર વિરોધી કાયદો હોવા છતાં બળાત્કાર થાય જ છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તેના લીધે આ કાયદો કાઢી નાખવો.

કાળાં નાણાંને પણ મોટો ફટકો આનાથી પડ્યો છે. કેટલાક વિરોધીઓ નહીં માને, પરંતુ આ હકીકત છે. તેમની દલીલ છે કે બેન્કમાં ૯૦ કે ૯૫ ટકા રકમ આવી ગઈ તો આમાં કાળાં નાણાંને ફટકો કેવી રીતે પડ્યો? પરંતુ ખરું કામ હવે શરૂ થશે. બૅન્કમાં આવેલા નાણાંના આધારે આવકવેરા વિભાગ અને એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટોરેટ પોતાની કાર્યવાહી કરશે.

શંકાસ્પદ એવાં ૧૮ લાખ ખાતાંની ચકાસણી અત્યારે ચાલુ છે. રૂ. ૨.૮૯ લાખ કરોડની કેશ ડિપોઝિટની તપાસ કરાઈ રહી છે. એડવાન્સ ડેટા એનાલિટિક્સમાં ૫.૫૬ લાખ નવા શંકાસ્પદ કેસો મળી આવ્યા છે. રૂ. ૨૯,૨૧૩ કરોડની અઘોષિત આવક પકડાઈ અને લોકો દ્વારા સ્વીકારાઈ. રૂ. ૧૬,૦૦૦ કરોડનું કાળું નાણું નોટબંધી પછી પાછું ફર્યું નથી.

સાથે આડ અસર તરીકે એ પણ ફાયદો થયો કે ૫૬ લાખ નવા કરદાતાઓ ઉમેરાયા.નોટબંધીમાં રૂ. ૫૦૦ની નોટ વટાવવા લોકોએ એડવાન્સ ટૅક્સ ભર્યો. નગરપાલિકા, મ્યુનિસિપલ કૉર્પોરેશન વગેરેની આવકમાં ખૂબ જ વધારો થયો.

કેટલાક અમીરોને પોતાના ડ્રાઇવર, કામવાળા, માળી કે ધોબીનો સહારો લઈ તેમની પાસે તેમના ખાતામાં નાણાં જમા કરાવવાં પડ્યા. આ એક જાતની મોટી ક્રાંતિ હતી. ગરીબોને પોતાનું મહત્ત્વ સ્થાપિત થતાં આનંદ થયો. આ પણ એક કારણ હતું કે જ્યાં ગરીબો મોટી સંખ્યામાં છે તેવા ઉત્તર પ્રદેશમાં ભાજપને નોટબંધી છતાં પ્રચંડ વિજય મળ્યો.

આ નિર્ણયના બે વર્ષ પહેલાં નરેન્દ્ર મોદી સરકારે ગરીબોના જન ધન ખાતા ખોલાવી દીધા હતા. એટલે નોટબંધીથી ગરીબોને અપેક્ષા કરતાં ઓછી તકલીફ પડી. અગાઉ આ જ ભાજપે નોટબંધી કરવાની યુપીએ સરકારની વિચારણા હતી ત્યારે વિરોધ કર્યો હતો તેનું કારણ આ જ હતું કે પહેલાં પૂરતી તૈયારી કરવી પડે.

આમ છતાં, મોદી સરકાર પર પૂરતી તૈયારી વગર નોટબંધીના નિર્ણયનો આક્ષેપ થયો. પરંતુ આ નિર્ણય મોદી સરકારના મંત્રીઓને પણ જાણ કર્યા વગર કરાયો હતો. જો આ માહિતી બહાર પડે કે અગાઉ વહેલાસરથી નિર્ણયની જાણ થઈ જાય તો કાળાં નાણાં ધરાવતા લોકો પોતાના નાણાં સગેવગે ન કરી નાખે. તો પણ સ્કૂટર વગેરે વાહનોનાં વેચાણમાં ઊછાળો તો આવ્યો જ. એક્સિસ સહિત કેટલીક બૅન્કોના અધિકારીઓએ કાળાં નાણાંને ધોળાં કરવામાં મદદ પણ કરી.

પૂરતી તૈયારી સાથે લીધેલા નિર્ણય પછી પણ કેટલાક ફેરફાર સમય-સ્થિતિ મુજબ, લોકોની માગણીઓ મુજબ તેમાં સુધારાવધારા કરવા જરૂરી હોય છે. નોટબંધીના નિર્ણય પછી જેમ જેમ દિવસો પસાર થતા ગયા અને લોકોનો પ્રતિસાદ સામે આવતો ગયો તેમ સરકારે અક્કડ રહેવાના બદલે નિર્ણયો બદલ્યા.

યુકે જે એક સમયે ભારતનો શાસક દેશ હતો તેમાં પણ ગત ૧૫ ઑક્ટોરે એક પાઉન્ડના સિક્કાને બંધ કરી દેવામાં આવ્યો, પરંતુ ત્યાં કોઈ નેટેગિટિવિટી નથી ફેલાવાઈ.

નરેન્દ્ર મોદી અને ભાજપ લોકોમાં નોટબંધીનો નિર્ણય દેશના હિતમાં હોવાનું લોકોને સમજાવવામાં સફળ રહ્યા. આથી નોટબંધી પછી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવામાં, મહારાષ્ટ્ર-ઓડિશા-ચંડીગઢ-ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો વિજય થયો.

અમુક અમુક સમયે નોટબંધી જરૂરી હોય છે. ભવિષ્યમાં પણ આવું બની શકે છે. રોકડ વ્યવહારો કાળાં નાણાંના સર્જનમાં મદદરૂપ થતાં હોય છે. આની સામે ડિજિટિલ પેમેન્ટને પ્રોત્સાહન આપતી સરકારે પણ ડિજિટલ પેમેન્ટ સરળ બને, તે માટેની સુવિધા સરળ બને અને ખાસ તો બૅન્કો દ્વારા કાર્ડ દ્વારા પૈસા ઉપાડવા-ચૂકવવા પર બેફામ ચાર્જ લેવાય છે તે બધું બંધ થાય એ પણ જરૂરી છે. સાથે જ કાળાં નાણાં અટકે-પકડાય, નવા કરદાતાઓ વધ્યા- નગરપાલિકા-મહાનગરપાલિકાની આવક વધે તો વિકાસ પણ દેખાવો જોઈએ. નહીંતર જો સત્તાધીશો દ્વારા સત્તાનો અને જનતાનાં નાણાંનો ઉપયોગ જ લોકોને દેખાશે તો આગામી નોટબંધી કે આવા કોઈ નિર્ણય વખતે જનસમર્થન નહીં મળે.

One response to “નોટબંધી: લોકોને મુશ્કેલી પડી પણ…”

  1. મનસુખલાલ ગાંધી Avatar

    જો ટીવી અને અખબારો ભલે નેગેટીવ સમાચારો આપે પણ સાથે સાથે પોઝીટીવ સમાચારો પણ આપે અને તટસ્થતા દર્શાવે તો લોકોને પણ ખબર પડે કે શું સારું અને શું ખરાબ….પણ, ટીવીની મોટા ભાગની ચેનલો તો માત્ર ને માત્ર નેગેટીવ સમાચારોમાંજ (કોઈ પણ કારણસર) રત રહે છે અને સામાન્ય જનો આવી વાતોથી ભરમાઈ જાય છે.

    બહુ સુંદર લેખ..

Leave a reply to મનસુખલાલ ગાંધી Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.