મુંબઈ પર 26મી નવેમ્બરની રાત્રે ત્રાસવાદીઓએ હુમલા કર્યા. સતત ત્રણ દિવસ- 59 કલાક સુધી યુદ્ધ ચાલ્યું. સેના, પોલીસ અને એન.એસ.જી. કમાન્ડોએ અંતે અલબત્ત ત્રાસવાદીઓનો ખાતમો બોલાવ્યો. પણ ગણ્યાગાંઠ્યા વીસ-પચ્ચીસ ત્રાસવાદીઓ કેમ આખા દેશને હંફાવી જાય છે તે મૂળ પ્રશ્ન કેટલાક પેટા પ્રશ્નો અને મુદ્દાઓને જન્મ આપે છે. તેની કેટલીક ચર્ચા અહીં કરી છે.
સંવેદના મરી પરવારી છે?
મુંબઈમાં ત્રાસવાદીઓએ હુમલા કર્યા તેને મહિનો થવા આવ્યો છે. સમયને સરી જતા વાર નથી લાગતી. મનોરંજનનાં અનેક સાધનો ઉપલબ્ધ હોય ત્યારે તો બિલકુલ નહીં. એક ચર્ચા એવી છે કે લોકોની સંવેદના બિલકુલ મરી પરવારી છે. પહેલાં તો પોતાની શેરીમાં કોઈનું મરણ થતું તો લોકો ટેપ, રેડિયો બંધ રાખતા. ટીવી આવ્યા પછી ટીવી પણ ચાલુ ન કરતા. હવે તો જેના ઘરમાં મરણ થયું હોય તે જ ટીવી ચાલુ કરી દે છે,બેસણામાં છાપાં વંચાય છે. ટી.વી., મોબાઇલ, આઇપોડ, એફ.એમ. રેડિયો, ઇન્ટરનેટ, કમ્પ્યૂટર, ડીવીડી પ્લેયર, વગેરે અનેક ઉપકરણો તમારાં મનોરંજન માટે ચોવીસે કલાક હાજર છે. સમય પસાર કરવો (ટાઇમપાસ) એ હવે સહેલું બની ગયું છે. પરિણામે ઘરમાં સ્વજન ગુજરી ગયું હોય તો પણ બહુ વેદના થતી નથી તેવું જણાય છે. અગાઉ સ્વજન ગુજરી જાય ત્યારે લોકો સતત ખરખરે આવતા રહેતા અને વાતોમાં પણ સ્વજનની જ વાતો થતી, પરિણામે સ્વજનની યાદ તાજી રહેતી. જ્યારે હવે એવું થતું નથી.
આ સારું છે કે ખરાબ તેનો નિર્ણય વાચકો પર છોડું છું.
આવા ‘નિર્દોષ’ લોકો મરાવા જ જોઈએ!
‘અભિયાન’ના લેખ બાબતે સહયોગી પત્રકાર દિવ્યાશા દોશી સાથે એક તસવીર બાબતે વાત થઈ. મુંબઈમાં જ્યાં ત્રાસવાદી હુમલા થયા હતા તે તાજ હોટલ બાજુ લોકોનું ટોળું ભેગું થયું હતું તેની તસવીર હતી.. એક ભાઈ તેની પત્ની અને દીકરા સાથે સસ્મિત વદને તસવીર ખેંચાવી રહ્યા હતા! હવે ત્રાસવાદી હુમલો થયો હોય, દેશ સામે જાણે યુદ્ધ છેડાયું હોય તેવું વાતાવરણ હોય ત્યારે કોઈ આવી તસવીર કેવી રીતે પડાવી શકે? દંભ કરવા ખાતર પણ કોઈ હસતી તસવીર ન પડાવે. અને ખરેખર તો જે રીતે હુમલો થયો, લોકો મરાયા તે જોતાં તો દેશ માટે ખરેખર શોકનું જ વાતાવરણ હતું/છે. દિવ્યાશાબહેને કહ્યું કે એ પરિવાર ફરવા આવ્યો હતો. અને આવા અનેક લોકો હતા જે મુંબઈ ફરવા આવ્યા હતા અને હુમલાના સ્થળે પણ ફરવાના બહાને આવી ગયા હતા. તેમને દિવ્યાશાબહેને પૂછ્યું તો તેમાંના કોઈકે કહ્યું પણ ખરું, આવો તમાશો ફરી ક્યારે જોવા મળવાનો! બોલો, પોતાના દેશબંધુઓ મરાતા હોય ત્યારે તેને તમાશામાં ખપાવનારા લોકો નિર્દોષ ગણાય? ત્રાસવાદી હુમલામાં આવા નિર્દોષ પણ મરાય તો કોઈને દુઃખ ન થવું જોઈએ.
પત્રકારોને પત્રકારધર્મ શીખવાડવો જોઈએ?
એનડીટીવી ઇન્ડિયા પર ‘મુકાબલા’ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકાર દિબાંગ ચર્ચા કરતા હતા. તેમાં ગૃહમંત્રી (હવે ભૂતપૂર્વ) શિવરાજ પાટિલની ભૂલ બતાવતા દિબાંગે કહ્યું કે પાટિલની મૂર્ખામી જુઓ કે દેશના ગૃહમંત્રી ક્યારે એન.એસ.જી.ના કમાન્ડો નીકળશે, તેઓ કેટલી સંખ્યામાં છે, તે બધું જ તેમણે માધ્યમોને કહી દીધું. પણ દિબાંગભાઈ સહિત કેટલાક પત્રકારોને સવાલ એ છે કે માધ્યમો એ માહિતી પ્રસારિત શા માટે કરે છે?
રેડિફ. કોમ પર કોઈ પણ સમાચારની નીચે વાચકો મોટી સંખ્યામાં સંદેશા પાઠવતા હોય છે. તેમાં એક વાચકે પાઠવેલો સંદેશો સાચો હોય તો, કારગિલમાં ‘બહાદૂરીપૂર્વક’ રિપોર્ટિંગ કરનાર બરખા દત્તના કારણે ટાઇમ્સ ઓફ ઈન્ડિયાની પત્રકાર સબિનાનું મોત થયું ગણાય. બરખાએ સબિના હોટલમાં છઠ્ઠા માળે છે તેવું જણાવ્યું. ચેનલો જોઈ રહેલા ત્રાસવાદીઓ આવી હાઇપ્રોફાઇલ વ્યક્તિને મારે તો કેટલી પબ્લિસિટી મળે!
એ જ રીતે મુંબઈ એ.ટી.એસ.ના વડા હેમંત કરકરેના મોત માટે પણ ઇલેક્ટ્રોનિક મિડિયા જવાબદાર નથી? તેઓ બુલેટપ્રૂફ જેકેટ અને હેલમેટ પહેરીને રવાના થયા તે બધું જ ‘લાઇવ’ બતાવાયું!ત્રાસવાદીઓને ક્યાં ગોળી મારવી તેની ખબર પડી ગઈ.
અને જે રીતે ઇલે. મિડિયાના પત્રકારો ઉશ્કેરાઇ જવાય તે રીતે સામાન્ય વાતમાં પણ ઊંચા અવાજે, ઉશ્કેરાયભર્યા સ્વરે રિપોર્ટિંગ કરતા હોય છે તેની શી જરૂર છે, ભાઈ? અમુક ચેનલિયા પત્રકારોએ તો નાટક પણ ભજવ્યા. સૂતા-સૂતા રિપોર્ટિંગ કરે! અને પાછળ ગોળીબારો નથી થતા તે જોઈ – સાંભળી શકાય તેમ હતું. પણ તેઓ એવું દર્શાવવાનો પ્રયાસ કરતા હતા કે અમે ગોળીબારોની વચ્ચે પણ રિપોર્ટિંગ કરીએ છીએ. ઘટનાસ્થળે સિગારેટ પીવાની મનાઈ હતી તોય પત્રકારો સિગારેટ પીતા હતા તેવું એક અહેવાલમાં વાંચવા મળ્યું. આવા સમયે એન.એસ.જી.ના વડા જે.દત્તાનો ક્વોટ લેવાતો હતો. ખરેખર તો તેમને કાર્યવાહી માટે મુક્ત રખાવા જોઈએ. લતા મંગેશકરને વારંવાર પૂછાતું હતું, આપ કો યે સિચ્યુએશન મેં ક્યા યાદ આતા હૈ. એમ કહીને આડકતરી રીતે તમે ‘એ મેરે વતન કે લોગોં’ ગાવ એવો ઈશારો કરાતો હતો!
ચેનલો અને અખબારો પણ ત્રાસવાદીઓ માટે ‘ફિદાયીન’ શબ્દનો ઉપયોગ કરે છે. તેના માટે પણ વિવેકભાન હોવું જોઈએ. મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી ‘ફિદાયીન’ એટલે જે સારા હેતુ માટે પોતાનું જીવન ન્યોચ્છાવર કરી દે તે. પણ શું ત્રાસવાદી સારા હેતુ માટે જીવન ન્યોચ્છાવર કરી દેનાર હોય છે? તેને ‘ફિદાયીન’ કહી શકાય?
પત્રકારોને કોઈ પણ રીતે સનસનાટી મચાવે તેવી વાતો જોઈતી હોય છે, ઇલે. મિડિયાને ખાસ. એટલે ઘણી બધી વાર આંખનું કાજળ ગાલે ઘસી નાખે છે. જેમ કે અશોક સિંઘલ, વિશ્વ હિન્દુ પરિષદના નેતાએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મોહમ્મદ ગઝનવી સાથે (ગાંધીનગરમાં મંદિરો તોડવાના સંદર્ભે) સરખાવ્યા તે બાબત. તેની હકીકત પત્રકાર જપન પાઠકે તેમની વેબસાઇટ deshgujarat.com પર આપી છે, જે અક્ષરશઃ નીચે મુજબ છે.
અશોક સિંઘલે એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ગઝનીએ મંદિરો તોડ્યા તો તે ઈસ્લામનો ફેલાવો કરવા ઈચ્છતો હતો તેથી તોડ્યા. પણ તેમણે એ જાણવું છે કે અત્યારે મંદિરો કેમ તોડવામાં આવી રહ્યા છે. આની પાછળની ઈચ્છા શું છે?(ગઝનીએ ઈસ્લામ ફેલાવવો હતો તેને એ લાભ થયો હતો પણ મોદીને મંદિરો તોડીને કયો લાભ જોઈએ છે?) આ મંદિરો તો ચાલીસ વર્ષથી છે. અત્યારે કેમ તોડવામાં આવી રહ્યા છે?
એટલેકે અશોક સિંઘલનો પ્રશ્ન આ મંદિરો તોડવાથી શું લાભ લણવાની ગણતરી મંડાઈ રહી છે એના વિશેનો હતો. આનો અખબારોએ ‘મોદીને ગઝની સાથે સરખાવ્યા’ અને ‘ઔરંગઝેબ સાથે સરખાવ્યા’એવો મતલબ લઈ લીધો. મંદિરો તોડવાની વાત હોય કે અશ્વિન પટેલની ધરપકડની વાત હોય. મોદીની મહેચ્છા શું હોઈ શકે છે એ વિશે અંદર બહાર ગુજરાત કોલમમાં હું અગાઉ લખી જ ગયો છું. જે પ્રશ્ન મેં ઉઠાવ્યો હતો એ જ અશોક સિંઘલે ગાંધીનગરમાં ડેમોલીશન થયેલા ત્રણ મંદિરોના સ્થળે જઈને ઉઠાવ્યો કે (મોદીની) ઈચ્છા શું છે, લાભ શું છે અને આ જ ટાઈમીંગ કેમ?
link : http://deshgujarat.com/abg/
લાલકૃષ્ણ આડવાણીએ મોહમ્મદ અલી ઝીણા, પાકિસ્તાનના કાયદા-એ-આઝમને બિનસાંપ્રદાયિક ગણાવ્યાની ઘટનામાં પણ એવું જ રિપોર્ટિંગ થયું હતું. ખરેખર તો લાલકૃષ્ણ અડવાણી, હિન્દુવાદી પક્ષ ભાજપના નેતા અને તેમને કટાસરાજ મંદિરના ઉદ્ઘાટન માટે પાકિસ્તાનમાં બોલાવાયા હતા. એટલે પાકિસ્તાન જેવા કટ્ટર મુસ્લિમ દેશમાં એક મંદિરનો જિર્ણોદ્ધાર થાય તે નાનીસૂની વાત નથી. પણ તે વાત ઢંકાઈ ગઈ. આડવાણીએ ત્યાં ઝીણાને બિનસાંપ્રદાયિક નહોતા ગણાવ્યા, ત્યાં તેમણે ઝીણાએ પાકિસ્તાનની રચના વખતે જે પ્રવચન આપ્યું હતું તે ટાંક્યું અને પાકિસ્તાનને બિનસાંપ્રદાયિક બનવાની સલાહ આપી હતી. પણ આ વાત બાજુએ રહી ગઈ અને એ જ વાત મારીમચડીને રજૂ કરાઈ કે આડવાણીએ ઝીણાને બિનસાંપ્રદાયિક ગણાવ્યા. એનો હોબાળો મચી ગયો. તેમના પક્ષ અને સહયોગી સંગઠનોએ તેમને ન જાણે કેવી કેવી ઉપાધિ આપી દીધી- ગદ્દાર અને દેશદ્રોહી વગેરે વગેરે.
જેમને આડવાણી બાબતે વિસ્તૃત વાંચવું હોય તેમના માટે વરિષ્ઠ પત્રકાર દિનાનાથ મિશ્રએ રેડિફ ડોટ કોમ પર લખેલ લેખ અલગ રીતે પ્રસ્તુત કર્યો છે અથવા તો નીચેની લિંક પર ક્લિક કરીને વાંચી શકે છે.
http://www.rediff.com/news/2005/jun/10dm.htm
અમદાવાદમાં બોમ્બ ધડાકા થયા ત્યારે એક અખબારમાં એક સમાચાર આવ્યા હતા કે ગાંધીનગરમાં સચિવાલયમાં એક ભાઈની સુરક્ષા માટે તપાસ કરી તેમાં પેલા ભાઈ ચીડાઈ ગયા. બીજા સમાચાર એવા હતા કે સુરક્ષા માટે તપાસ કરતા હવે લોકોને મોડું થાય છે. બંને સમાચારો ખરેખર છાપવા જોઈએ? તેનાથી તો એવા લોકોને પ્રોત્સાહન મળે જે પોતાની તપાસ માટે તૈયાર થતા નથી.
કેટલાક પત્રકારોને આવા સંજોગોમાં હજુ પણ માલેગાંવ વિસ્ફોટની તપાસનું શું થશે તેની ચિંતા સતાવે છે. અરે મહાશય! કુંભકર્ણનિદ્રામાંથી જાગો. કેટલાક લોકો હજુ પણ આવા સમયેય ભાજપને ઝાટકવાની, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ઝાટકવાની પ્રવૃત્તિમાંથી બહાર આવી શકતા નથી. આ પત્રકારો સોહરાબુદ્દીન અને તેની પત્ની મરાય છે તો છાજિયા લે છે, પણ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને પૂરવામાં આવે ત્યારે તેમની જીભ સિવાય જાય છે. સિમી,લાલુપ્રસાદ યાદવ, મુલાયમસિંહ યાદવ, અબુ આઝમી, અમદાવાદમાં આઇસીએલની મેચોમાં પાકિસ્તાનનો ઝંડો ફરકાવનાર મુસ્લિમો આ બધા વિરુદ્ધ લખતા તેમની કલમમાંથી શાહીની સાથે તેમના શરીરમાં પણ અંતઃસ્ત્રાવ ઝરતા બંધ થઈ જાય છે. તેમનું લોહી થીજી જાય છે. કદાચ, તેમના લોહીનો રંગ લાલ નથી, લીલો છે.
તેમને સત્ય ખબર નથી એવું નથી, પરંતુ દેશસ્તરે ઓળખાણ, બુદ્ધિજીવીમાં ખપવાની લાલસા, વિવિધ મંચો પર મળતી તકો, સન્માન, કદાચ ડાબા હાથે વિદેશી મુદ્રામાં સ્વીકારાતી રકમ તેમના મન પર પ્રકાશ પડવા જ નથી દેતી.
નાગરિકધર્મ શું છે?
મહાન અભિનેતા અમિતાભ બચ્ચન કહે છે કે દેશની સુરક્ષા માટે, તેમની સુરક્ષા માટે સરકાર પર હવે તેમને વિશ્વાસ નથી રહ્યો. આ સૂર અનેક નાગરિકોનો હશે. પણ નાગરિક તરીકે આપણે આપણો ધર્મ બજાવીએ છીએ ખરા? એનડીટીવી ઇન્ડિયા પર એક ચર્ચામાં, તમે સુરક્ષા માટે તપાસ થાય તો તેના માટે તૈયાર છો ખરા? તેવા પ્રશ્નના જવાબમાં જાણીતા ટી.વી. કલાકાર શેખર સુમને કહ્યું, તેનાથી શું થશે?તેનાથી બોમ્બ ધડાકા અટકી જશે?
અરે ભાઈ! અટકી જ જાય ને. જો કડક સુરક્ષા તપાસ થઈ હોત તો હોટલ તાજમાં દારૂગોળો અને શસ્ત્રો લઈને કેવી રીતે ત્રાસવાદીઓ ઘૂસી શક્યા હોત. મૂળે, બધા કંઈક ને કંઈક ખોટું કરે છે. માનો કે, ગુજરાતમાં જ કથિત મહાનુભાવોની ગાડી તપાસવામાં આવે તો તેમની કારની ડીકીમાંથી કદાચ દારૂની બોટલો પકડાય. આવાં અનેક ખોટાં કામો ચાલતા હોય છે. પરિણામે જ શેખર સુમન સહિતની સેલિબ્રિટીઓ તપાસ માટે તૈયાર નથી થતી. જ્યારે તપાસ થાય ત્યારે સાંસદો, ધારાસભ્યો હોબાળો મચાવી દે છે. પોલીસને ફોન કરે છે. દરેકનું એવું જ કહેવું હોય છે, ‘શું અમે ત્રાસવાદી છીએ, શું અમે દેશદ્રોહી છીએ?’
દિવાળી પહેલાં અમદાવાદના ઇસ્કોન પાસે આવેલા રિલાયન્સ મોલમાં હું મારી પત્ની સાથે ગયો ત્યારે ખૂબ જ ગિરદી હતી. પરિણામે સુરક્ષા કર્મચારીએ બધાને તપાસ વગર સીધે સીધા જવા દીધા! માનો કે તેમાં કોઈ ત્રાસવાદી ગન સાથે ઘૂસી ગયો હોત અને અંદર આડેધડ ગોળીબારો કર્યા હોત તો?
તકલીફ એ છે કે દરેક જણ પોતાની ફરજ બજાવવામાંથી ચૂકે છે. નાગરિકોએ પણ પોતાની તપાસ થાય તો તેમાં સહયોગ આપવો જોઈએ, ભલે મોડું થાય, અથવા તો સમયનું આયોજન એવી રીતે કરવું જોઈએ કે તપાસ થાય તો પણ નિર્ધારિત જગ્યાએ સમયસર પહોંચી જવાય.
મુંબઈકર અલગ છે?
મુંબઈ પર 26મી નવેમ્બરે હુમલા થયા ત્યારે અનેક સેલિબ્રિટીઓએ કહ્યું કે મુંબઈકર તરીકે દુઃખ થાય છે, મુંબઈ પર આવા હુમલા સામાન્ય થઈ ગયા છે. મુંબઈનો જુસ્સો નહીં તૂટે વગેરે. અરે ભાઈ! તમે માત્ર મુંબઈકર જ છો? મુંબઈ પર જ હુમલા થયા છે? એટલે અમદાવાદમાં હુમલો થાય તો અમદાવાદીઓ જ દુઃખી થાય? આવો પ્રાદેશિકવાદ શા માટે?
સુરક્ષા જવાનોને રાષ્ટ્રપતિ કરતાં પણ સર્વોચ્ચ પગાર આપો
નાગરિકો માટે સૈન્યતાલીમ ફરજિયાત કરો
પ્રાદેશિકતા અને નાગરિકધર્મમાં ચૂકમાં મૂળ તો દેશભકિતનો અભાવ અને સાથે જ સૌથી મોટી શિસ્તનો અભાવ જવાબદાર છે. અરે! આપણે લગ્નપ્રસંગે બૂફેમાં પણ શિસ્તથી લાઇનમાં ઊભા નથી રહી શકતા, સિગ્નલ પર ટ્રાફિક પોલીસ ન હોય તો સિગ્નલ તોડીને ભાગીએ છીએ. જો શાળાસ્તરે એનસીસી જેવી કે સ્કાઉટની તાલીમ ફરજિયાત કરવામાં આવે તો ઘણો બધો ફેર પડે. આપાતકાળે કેવી રીતે વર્તવું તેની પણ ખબર પડે.
થોડા સમય પહેલાં સમાચાર હતા કે સેનાની ત્રણેય પાંખે પગારવધારો મામૂલી છે તેમ કહીને તે સ્વીકારવાની ના પાડી દીધી. સેના,પોલીસ, એન.એસ.જી. કમાન્ડો વગેરેને કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં મળતા પગારમાં સર્વોચ્ચ પગાર મળવો જોઈએ, ઉત્તમ સુવિધા મળવી જોઈએ. તેઓ શહીદ થાય તો તેમના પરિવારનું અતિ ઉત્તમ રીતે ધ્યાન રખાવું જોઈએ, તો જ સેનામાં, પોલીસમાં ભરતીની સંખ્યા વધશે.
રાવણની નાભિ પર તીર ચલાવો
શ્રી રામ-રાવણનું યુદ્ધ થયું ત્યારે અંતમાં રાવણ કેમે કરીને મરાતો નહોતો. શ્રી રામને અંતે વિભીષણે કહ્યં કે રાવણની નાભિ પર તીર ચલાવો. નાભિ પર તીર વાગતાની સાથે જ રાવણનું મોત થયું. જો ત્રાસવાદરૂપી રાવણનો સર્વનાશ કરવો હશે તો તેની નાભિ પર તીર ચલાવવું પડશે. આ જ ‘રાજધર્મ’છે, જેને અનુસરવા અટલબિહારી વાજપેયીએ નરેન્દ્ર મોદીને 2002માં સલાહ આપી હતી, પણ એ વખતેય ઘણા પત્રકારોએ તેના મનગમતા અર્થો કાઢ્યા હતા.
રામ-રાવણના યુદ્ધ વખતે સદ્ભાગ્યે કોઈએ રાવણની તરફદારી કરી નહોતી, સદ્ભાગ્યે માનવાધિકારવાદીઓ નહોતા. કહેવાતા ગુનેગારતરફી (સેક્યુલર) પત્રકારો નહોતા, નહીં તો રાવણ ઉત્તમ શાસક છે, બળવાન છે, વિદ્વાન છે એમ અનેક કારણો આપી તેની તરફદારી કરી હોત. શ્રી રામે રાવણનું‘એન્કાઉન્ટર’ કર્યું તેમ કહી તેમને પણ વણઝારાની જેમ જેલમાં પૂરાવ્યા હોત. જોકે એ જમાનામાં ધોબીઓ તો હતા જ. એટલે આજના આ સેક્યુલર પત્રકારોને ધોબી તો કહી જ શકાય, જે કપડાં ધોવા કરતાં મેલ ઉડાવવાનું કામ ઝાઝું કરે છે.
રાક્ષસરાજનો અંત લાવવો હશે તો, રાવણોને ઓળખવા પડશે. તેની નાભિ શોધવી પડશે. સાથે જ નાભિ ઓળખવા માટે વિભીષણોને સાથે લેવા પડશે. અને સૌથી મહત્ત્વની વાત. શ્રી રામમાં શ્રદ્ધા જરૂરી
મારો બ્લોગ વાંચવા બદલ આભાર.