દારૂ, સેક્સ, કપડાં: સભ્યતાનાં બંધનો ખ્રિસ્તી પંથમાં પણ છે જ

Published by

on

(ભાગ-૨)

ગઈ કાલે ૩૧ ડિસેમ્બર ધામધૂમથી ઉજવાઈ! આપણે ગઈ કાલના ક્રિસમસ, સાંતા ક્લૉઝ, ૩૧ ડિસેમ્બર, ખ્રિસ્તી પંથ અને મોજમજા: ભ્રમ અને સચ્ચાઈ લેખમાં જોયું કે હિન્દુ તહેવારોમાં બંધન વધુ છે તેવી માન્યતા ખોટી છે. ૨૫ ડિસેમ્બર એ ઈસુનો જન્મદિન છે તેમ છાતી ઠોકીને કહી શકાય તેમ નથી. સાંતા ક્લૉઝની પરિકલ્પના પણ નરી કલ્પના જ છે જે માર્કેટિંગના વિચારમાંથી જ ઉદ્ભવેલી છે. આ જ રીતે ૩૧ ડિસેમ્બર એ વર્ષનો અંત છે તેમ પણ વ્યાપક રીતે ન કહી શકાય. આજે આપણે એ સચ્ચાઈ જાણવાનો પ્રયાસ કરીએ કે શું ખરેખર ખ્રિસ્તી પંથમાં ક્રિસમસ અંગે, દારૂ અંગે, ટૂંકાં કપડાં અંગે કે સેક્સ અંગે કોઈ બંધનો જ નથી? આપણે ત્યાં નવરાત્રિ જે રીતે પૈસા કમાવવાનું નિમિત્ત બની ગઈ છે અને તેની ધર્મ પ્રમાણે ઉજવણી નથી થતી તેમ ક્રિસમસનું પણ નથી થયું ને.

જો ક્રિસમસને સાચા અર્થમાં ઉજવવી હોય તો તેમાં ક્રિસમસ પહેલાં સાચા અર્થમાં ખ્રિસ્તી પંથ પાળતા લોકોએ ઉપવાસ એટલે કે ‘ફાસ્ટ’ રાખવાના હોય છે. કેટલાક ૧ ડિસેમ્બરથી ૨૪ ડિસેમ્બરની મધ્ય રાત્રિ સુધી ઉપવાસ કરે છે તો કેટલાક ૧૫ નવેમ્બરથી ૨૪ ડિસેમ્બરની મધ્યરાત્રિ સુધી. આ ઉપવાસના દિવસોમાં વચ્ચે વચ્ચે તમે જમી શકો (કેટલેક અંશે જૈનોમાં આવતા ઉપવાસની જેમ) અને તે દિવસે માછલી, દારૂ, રેડ મીટ, પૉલ્ટ્રી, મીટ પ્રૉડક્ટ, એગ, ડેરી પ્રૉડક્ટ, તેલ લઈ શકાય. આનો અર્થ શું થયો? માંસમચ્છી ઉપવાસના દિવસે નહીં ખાવાનાં. તેલ પણ નહીં ખાવાનું. હિન્દુઓમાં શાકાહારના જે ગુણગાન છે અથવા તો માંસાહારને તામસી ખોરાક માનીને નિષેધ કરાયો છે તેનો નિષેધ ખ્રિસ્તી પંથમાં પણ ઉપવાસના દિવસો પૂરતો છે. બીજી એક માન્યતા એ છે કે હિન્દુ ધર્મમાં કેટલા બધા સંપ્રદાયો અને કેટલા બધા પેટા સંપ્રદાયો છે જ્યારે મુસ્લિમોમાં કે ખ્રિસ્તીઓમાં નથી. આ લિબરલો-સેક્યુલરોએ ફેલાવેલો ભ્રમ છે! એક અંદાજ પ્રમાણે ખ્રિસ્તી પંથમાં ૩૩,૦૦૦થી વધુ પેટા સંપ્રદાયો છે! આમાંનો એક ઇસ્ટર્ન ઑર્થૉડૉક્સ ક્રિસમસ પૂર્વેના ઉપવાસમાં દર શનિ-રવિ ફીસ્ટ (એટલે કે ઉપવાસ નહીં રાખવાની) છૂટ આપે છે. એટલે તે દિવસે માછલી, દારૂ અને તેલ લઈ શકાય. જ્યારે દર મંગળ અને ગુરુએ તેલ અને દારૂની છૂટ!

દારૂ અંગે બાઇબલ શું કહે છે? કેનાના લગ્નમાં જ્યારે દારૂ ખાલી થઈ જાય છે ત્યારે માતા મેરીના કહેવાથી જિસસ પાણીને દારૂમાં ફેરવી દઈ ચમત્કાર કરે છે અને તેમનો આ પહેલો ચમત્કાર છે તેવું ગૉસ્પેલ ઑફ જૉન (જૉન વિષયક ક્રાઇસ્ટની કથા)માં આવે છે. દારૂના વિરોધીઓ આનો બચાવ એ રીતે કરે છે કે જિસસે પાણીને જેમાં પરિવર્તિત કર્યું તે હકીકતે દ્રાક્ષનો રસ (જ્યુસ) હતો. અર્થાત દારૂ નહોતો. દારૂ ત્યારે કહેવાય જ્યારે દ્રાક્ષના રસમાં ફર્મેન્ટેશન (આથો) આવે, પરંતુ કેટલાક કહે છે કે ના, ના, એ દારૂ જ હતો. તે વખતે અનફર્મેન્ટેડ અને ફર્મેન્ટેડ વચ્ચેનો ભેદ બધા જાણતા હતા. આ જ રીતે જિસસ લાસ્ટ સપરમાં ઉલ્લેખ છે કે તેમણે વાઇનનો કપ લીધો અને તેમના અનુયાયીઓને પીવા આપ્યો.

પરંતુ ઑલ્ડ ટેસ્ટામેન્ટમાં એરોન અને તેના દીકરાઓ, પ્રિએસ્ટ (પૂજારી)ને તેઓ જ્યારે લૉર્ડ (ભગવાન) સમક્ષ સેવા કરવા જાય ત્યારે દારૂ કે બીજું કોઈ કડક પીણું પીવાની ના પાડવામાં આવી છે. (લેવિટિકસ ૧૦:૯) આ જ રીતે નાઝરાઇટ લોકોને (જેઓ ગૉડની સેવા કરવા સમર્પતિ થયા હોય) તેઓ પ્રતિજ્ઞા હેઠળ હોય ત્યારે વાઇન પીવા પર પ્રતિબંધ મૂકાયો છે. બાઇબલ બુક ઑફ પ્રૉવર્બમાં વાઇન અને સ્ટ્રૉંગ ડ્રિન્ક પીવા સામે ભરપૂર ચેતવણીઓ છે. “જેઓ વાઇન પીવે છે તેની વાઇન મજાક ઉડાવે છે” (પ્રૉવર્બ્સ ૨૦:૧) “અને તેમને બદલામાં સંતાપ, દુઃખ, પીડા અને ઈજા આપે છે અને તે પણ કોઈ કારણ વગર.” (પ્રૉવર્બ્સ ૨૩:૨૯, ૩૦) “અંતે તે (વાઇન) નાગની જેમ દંશ દે છે અને ઝેરીલા સાપની જેમ ઝેર આપે છે.” (શ્લોક ૩૨, એનઆઈવી)

જિસસ અને તેમના અનુયાયીઓ દારૂ પીતા હતા, પરંતુ આ શ્રીકૃષ્ણની સોળ હજાર રાણી જેવી વાત છે. દારૂ પીવા સામે વાંધો નથી, પરંતુ તેના અતિરેક સામે જરૂર છે. અને તકલીફ અતિરેકથી જ થાય છે. જો આપણે મન પર કંટ્રોલ રાખી શકતા હોત તો તો ઝેર પણ એક મર્યાદામાં અમૃત સમાન જ છે ને. શિવજીને ક્યાં ઝેરની અસર થાય છે? પરંતુ એમ નથી કરી શકતા તેથી તે નુકસાનકારક છે. વળી, ભોજન એ જરૂરિયાત છે, દારૂ એ જરૂરિયાત નથી. દારૂથી બિનજરૂરી ખર્ચ થાય છે, અકસ્માતની સંભાવના રહે છે, તેના નશામાં ઝઘડા, બિનજરૂરી વિવાદો, બળાત્કાર જેવા અપરાધો થવાની સંભાવના રહે છે અને શરીરને તો નુકસાન થાય જ છે. એટલે જ એફિશિયન્સ (૫:૧૮, એનએલટી)માં કહેવાયું છે, “દારૂનો નશો ન કરો કારણકે તે તમારી જિંદગી બરબાદ કરી નાખશે.” એટલે પ્રૉટેસ્ટન્ટ (ખ્રિસ્તી પંથનો એક સંપ્રદાય જે અમેરિકામાં વધુ રહે છે)ના પેટા સંપ્રદાય એવન્જેલિકલના લોકો દારૂ પીતા નથી.

આ જ રીતે પાર્ટી કરવા વિશે પણ સ્પષ્ટ ઉલ્લેખ છે. “વાઇલ્ડ પાર્ટીઓમાં ભાગ ન લો અને નશો ન કરો, વ્યભિચાર ન કરો અને અનૈતિક જીવન ન જીવો અથવા લડાઈ કે ઈર્ષા ન કરો.” (રોમન્સ ૧૩:૧૩ એનએલટી) ખ્રિસ્તીઓને આદેશ અપાયો છે કે એવી કોઈ પણ ચીજ જે તેમના દેહનો કબજો લઈ લે અથવા તેના તમે ગુલામ બની જાવ (માસ્ટર્ડ) તે ન લેવી. (૧ કૉરિન્થિયન્સ ૬:૧૨; ૨ પીટર ૨:૧૯)

પશ્ચિમના ચશ્માથી જ બધું નિહાળતા-પશ્ચિમને, ખાસ કરીને અમેરિકાને તમામ બાબતોમાં આદર્શ માનતા ભારતની ખોટી ટીકા કરતા બુદ્ધુજીવીઓને ખબર નથી કે અમેરિકામાં પણ એક સમયે દારૂબંધી લદાઈ હતી! ત્યાં પણ ખ્રિસ્તીઓ, ખાસ કરીને તેનો પેટા સંપ્રદાય પ્રૉટેસ્ટન્ટ દારૂબંધીની તરફેણમાં છે. ઈ.સ. ૧૬૫૭માં મેસેચ્યુસેટ્સની જનરલ કૉર્ટે સ્ટ્રૉંગ દારૂ ચાહે તે રમ હોય કે વ્હિસ્કી, વાઇન હોય કે બ્રાન્ડી, તેને “ઇન્ડિયન્સ”ને વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. (અહીં કૉર્ટ એટલે અદાલત નહીં, પરંતુ વિધાનસભા અર્થ લેવો. અને ઇન્ડિયન્સ એટલે ત્યાંના મૂળ વતનીઓ જે આમ તો સેંકડો વર્ષો પૂર્વે ભારતમાંથી જ ગયા હતા.) ઈ.સ. ૧૮૨૬માં જ્યૉર્જિયામાં સંગઠિત રીતે ટેમ્પરન્સ (દારૂ પીવાથી દૂર રહેવું) ચળવળ શરૂ થઈ હતી. તેને ડ્રાય ક્રુસેડ એટલે કે દારૂ સામેની જેહાદ એવું નામ પણ આપવામાં આવેલું. જાણીને નવાઈ લાગશે પરંતુ સચ્ચાઈ છે કે ઈ.સ. ૧૮૬૯માં અમેરિકામાં નેશનલ પ્રૉહિબિશન પાર્ટી સ્થપાયેલી જે હજુ પણ અસ્તિત્વમાં હોય તેવો (ડેમોક્રેટિક અને રિપબ્લિકન પછી) સૌથી જૂનો ત્રીજો પક્ષ છે! સામાન્ય રીતે લિબરલો મહિલાઓ પ્રત્યે ઉદાર હોય તેવી માન્યતા છે પરંતુ અમેરિકામાં છેક ૧૯૨૦માં મહિલાઓને મતાધિકાર મળેલો તેની સામે આ પ્રૉહિબિશન પાર્ટીએ તેની સ્થાપનાથી જ મહિલાઓને પક્ષની સભ્ય તરીકે સ્વીકારવાનું શરૂ કરી દીધું હતું. ૧૮૭૩માં વીમેન્સ ક્રિશ્ચિયન ટેમ્પરન્સ યુનિયન સ્થપાયેલું. દારૂડિયા પતિઓના અત્યાચારોથી બચવા શિક્ષણ મારફતે દારૂથી લોકોને બચાવવા તેનું અભિયાન હતું. પ્રૉટેસ્ટન્ટ પંથીઓ ખાસ કરીને એવન્જેલિકલ પ્રૉટેસ્ટન્ટ દારૂ પીવાને નુકસાનકારક અને પાપકારક માને છે. દારૂથી કુટુંબ અને પ્રતિષ્ઠા બરબાદ થાય છે, ગરીબી, અવ્યવસ્થા અને અપરાધ વધે છે તેમ માને છે. પહેલાં લોકોને દારૂ છોડવાની અપીલો થઈ અને પછી દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવા કાયદો બદલવા માટે પગલાં લેવાયાં. ૧૮૮૧માં કેન્સાસ મદ્ય પીણાંઓ પર પ્રતિબંધ મૂકનારું પ્રથમ રાજ્ય બનેલું. જ્યૉર્જિયામાં ઈ. સ. ૧૯૦૮થી ૧૯૩૫ સુધી દારૂ પર પ્રતિબંધ રહ્યો.

અમેરિકામાં ઈ. સ. ૧૯૨૦માં આખા દેશમાં દારૂબંધી લદાઈ હતી, માનવામાં આવશે? બીજા વિશ્વ યુદ્ધ પછી આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને દારૂબંધી ઉઠાવી લેવાઈ. જોકે અમેરિકામાં કેન્સાસ, મિસિસિપી અને ટેનેસી એ ત્રણ રાજ્યો દારૂબંધીવાળા રાજ્યો આજની તારીખે પણ છે! કેટલાંક પરગણાંઓ (કાઉન્ટી) પણ દારૂબંધી ધરાવે છે જેમ કે ટૅક્સાસનાં ૨૫૪ કાઉન્ટી પૈકી ૭૪ સંપૂર્ણપણે દારૂબંધી ધરાવે છે! એલબામા, અર્કન્સાસ, વર્જિનિયામાં પણ ઘણાં બધાં કાઉન્ટી દારૂબંધીવાળા છે. એટલે અમેરિકામાં દારૂ ખરીદીને એક સ્થળેથી બીજા સ્થળે જવામાં બહુ ધ્યાન રાખવું પડે! ભારતમાં મણિપુર જેવા ખ્રિસ્તીઓના પ્રભુત્વવાળા રાજ્યમાં ખ્રિસ્તીઓ આદિવાસી વિસ્તારમાં દારૂબંધી ઉઠાવવાનો વિરોધ કરે છે. ખ્રિસ્તીઓના બહુમતીવાળા ઝેક રિપબ્લિકનમાં દારૂના કારણે મોતના લીધે વર્ષ ૨૦૧૨માં દારૂબંધી કરી દેવાઈ છે! ડેન્માર્ક સિવાયના નૉર્ડિક દેશો (ફિનલેન્ડ, આઈસલેન્ડ નૉર્વે અને સ્વીડન)માં દારૂના વેચાણ અંગે કડક કાયદા છે અને તેના પર આકરો વેરો પણ લદાયેલો છે. ઑસ્ટ્રેલિયામાં પણ કેટલાક વિસ્તારો ડ્રાય ઝૉન તરીકે જાહેર થયા છે. કારણ જાણવું છે? દારૂના નશાના કારણે ડ્રાઇવિંગ અકસ્માત, હિંસા અને અસભ્ય વર્તન. ન્યૂઝીલન્ડમાં પણ ૧૮૮૦માં દારૂ સામે ઝુંબેશ શરૂ થયેલી. ઘણા દેશોમાં ચૂંટણી પહેલાં અને પછી દારૂબંધી લદાય છે.

ભારતમાં મહાત્મા ગાંધીજી દારૂને સામાજિક દૂષણ માનતા અને તેના પર પ્રતિબંધ હોવો જોઈએ તેમ માનતા હતા. તેમણે કહેલું કે “જો હું ભારતનો સરમુખત્યાર બનું તો દારૂની દુકાનોને કોઈ વળતર આપ્યા વગર જ બંધ કરી દઉઁ.” તેથી જ તો ગુજરાતમાં દારૂબંધી આવી અને ગત વર્ષે બિહારમાં પણ લદાઈ.

લિબરલો-સેક્યુલરો હિન્દુ ગ્રંથોનો આધાર લઈ દાવો કરતા હોય છે કે દેવતાઓ પણ સોમરસનું પાન કરતા હતા અને સોમરસ એટલે દારૂ. આ લોકો ખોટા છે. સોમ એટલે ચંદ્ર. સૌમ્ય એટલે નાજુક. ચંદ્ર સાથે સંકળાયેલું. અને શતપથ બ્રાહ્મણમાં  સોમરસ અને સુરા આ બંને વચ્ચે સ્પષ્ટ ભેદ સમજાવેલો છે. સોમ અમૃત છે અને સુરા વિષ છે. નિરુક્ત શાસ્ત્ર મુજબ, સોમનો અર્થ એક ઔષધિ પણ થાય છે.

ખ્રિસ્તીઓને બંધનમાં ડ્રેસની વાત પણ આવે. સામાન્ય રીતે ખ્રિસ્તી બહુલતા પશ્ચિમી દેશોમાં જોવામાં આવે છે. આથી એક ભ્રમ એ પણ ફેલાયેલો છે કે પશ્ચિમી સંસ્કૃતિ એટલે ખ્રિસ્તી સંસ્કૃતિ! એટલે ડ્રેસ હોય કે મુક્તપણે શારીરિક સંબંધો બાંધવાની વાત હોય, ખ્રિસ્તી પંથમાં આ બધામાં છૂટછાટો ખૂબ જ છે તેમ આપણે માની લઈએ છીએ. પરંતુ આવું નથી. ખ્રિસ્તી પંથની સ્ટાન્ડર્ડ બુક બાઇબલ મુજબ, ભલે તેમાં સ્ત્રીઓ કે પુરુષો માટે કેવાં કપડાં પહેરવા તેના કોઈ ચોક્કસ નીતિ-નિયમો આલેખાયા નથી, પરંતુ બાઇબલે એક ગાઇડલાઇન અથવા નીતિવિષયક સિદ્ધાંતો ચોક્કસ આપ્યા છે. આદમ અને ઇવે ગાર્ડન ઑફ ઇડનમાં ફળ ખાવાનું પાપ કર્યું તે પછી ગૉડે તેમની નગ્નતા ઢાંકવામાં મદદ કરી હતી. (જિનેસિસ ૩:૨૧)

અર્થાત્ નગ્નતા એ સભ્યતા નથી. એ ખ્રિસ્તી પંથ મુજબ પણ અનપેક્ષિત બાબત છે. જો કપડાં તમારા દેહને નગ્ન બનાવતાં હોય તો એ બાઇબલ મુજબ ખોટું જ છે અને ખોટું એટલે પાપ. ‘પ્રૅક્ટિસિંગ પ્રૉટેસ્ટન્ટ્સ: હિસ્ટૉરિયન્સ ઑફ ક્રિશ્ચિયન લાઇફ ઇન અમેરિકા, ૧૬૩૦-૧૯૬૫’ પુસ્તકમાં લેખકો લૉરી એફ. મેફલી, લેઇ ઇ. શિમ્ડ્ટ અને માર્ક વલેરીએ લખ્યું છે, “શરીરને રજૂ કરવાની બાબતમાં ડ્રેસ મહત્ત્વનો છે. કૉજિક (ચર્ચ ઑફ ગૉડ ઇન ક્રાઇસ્ટ)ના મહિલાઓના વિભાગનાં નેતા લિઝી રૉબિન્સને મહિલાઓને સૂચના આપી હતી કે “dress as Becometh Holiness.” પવિત્રતા માટે પોશાકનો અર્થ થાય છે કે શરીર ઢંકાયેલું રહેશે, ગરમ વાતાવરણમાં પણ.” અહીં પ્રૉટેસ્ટન્ટ અને ખાસ કરીને અમેરિકા વિશેના પુસ્તકની વાત એટલે કરી કે કેટલાક ગુજરાતી કૉલમિસ્ટોની બુદ્ધિ અમેરિકા અને ફ્રાન્સમાં જઈને અટકી જાય છે અને ત્યાંનું ખોટું ચિત્રણ આપણી સમક્ષ કરે છે.

ન્યૂ ટેસ્ટામેન્ટમાં પણ કહેવાયું છે કે

I also want women to dress modestly, with decency and propriety, not with braided hair or gold or pearls or expensive clothes, but with good deeds, appropriate for women who profess to worship God. (NIV, 1 Timothy 2:9-10)

અને આ જુઓ.

Your beauty should not come from outward adornment, such as braided hair and the wearing of gold jewelry and fine clothes. Instead, it should be that of your inner self, the unfading beauty of a gentle and quiet spirit, which is of great worth in God’s sight. For this is the way the holy women of the past who put their hope in God used to make themselves beautiful. (NIV, 1 Peter 3:2-5)

અર્થાત્ આંતરિક સૌંદર્યને ખ્રિસ્તી પંથ પણ મહત્ત્વ આપે છે! આત્માની સુંદરતાનું અગત્ય છે. મોંઘા ખર્ચાળ કપડાંનું નહીં. ઘરેણાં-આભૂષણો કામનાં નથી.

એટલું જ નહીં, ખ્રિસ્તી પંથમાં તો મહિલાઓ માટે વધુ બંધન છે! તેમણે પ્રે (પ્રાર્થના) કરતી વખતે માથું ઢાંકવું ફરજિયાત છે. પુરુષોએ નહીં! ખ્રિસ્તી લેખક અને મેગાચર્ચ પેસ્ટર માર્ક ડ્રિસ્કૉલ તો કહે છે કે જે સ્ત્રી દર્દ, ચિંતા કે પછી બીજા કોઈ કારણસર સેક્સની ના પાડે તે સ્વાર્થી છે અને તે ઈશ્વરની વિરુદ્ધ છે.

સેક્સ અંગે પણ ખ્રિસ્તી પંથમાં સ્પષ્ટ આદેશ છે. જિનેસિસ ૨:૨૪ મુજબ, ગૉડ કહે છે, “તેથી પુરુષ તેના પિતા અને માતાને છોડશે અને પત્ની સાથે જોડાશે, અને તેઓ એક (વન ફ્લૅશ) બનશે.” ૧ કૉરિનથિયન્સ ૬:૧૬ મુજબ, ‘વન ફ્લૅશ’નો અર્થ ઇન્ટરકૉર્સ (સંભોગ) થાય છે. અને તે પુરુષ સ્ત્રી સાથે લગ્ન કરે તે પછી કરવાનો છે. ૧ કૉરિનથિયન્સ ૬:૧૮ મુજબ, આપણે (ખ્રિસ્તીઓએ) સેક્સ્યુઅલ ઇમ્મૉરાલિટીથી ભાગવાનું છે અથવા તેને ટાળવાની છે. આ બધા પછી, હિબ્રુસ ૧૩:૪માં ગૉડ કહે છે, સેક્સ ઇઝ ગુડ. પરંતુ ખ્રિસ્તી ધર્મગુરુઓ જેમ કે સૈન્ટ ઑગસ્ટાઇન તો સેક્સને પાપ માનતા હતા, તો સૈન્ટ પૉલ સેક્સની ઈચ્છાને ઈશ્વર સામે બળવો માનતા હતા અને બ્રહ્મચર્યને મહત્ત્વ આપતા હતા! મધ્ય યુગમાં તો સજાતીય સંબંધો માટે દેહાંતદંડની સજા મળતી હતી! બાળકો પેદા કરવા માટે જ પતિ-પત્ની વચ્ચે સેક્સ માન્ય હતું અને આથી કેટલાંક ‘આસનો’ (જેમ કે સ્ટેન્ડિંગ અપ, વૂમન ઑન ટોપ, ડૉગી સ્ટાઇલ, ઑરલ, એનલ અથવા માસ્ચરબેશન) પર પ્રતિબંધ હતો!  ખ્રિસ્તી પંથમાં છૂટાછેડાને પણ અનૈતિક મનાયા છે.

આમ, ક્રિસમસ અને ૩૧ ડિસેમ્બરને ઘણા ભારતીયોએ મોજમજાના તહેવાર માની લીધા છે પરંતુ ખ્રિસ્તી પંથમાં કપડાંથી લઈ, ખાવાપીવા, ઉપવાસ કરવા, સેક્સ અંગેના સ્પષ્ટ બંધનો છે જ. તો પછી પ્રશ્ન થાય કે આપણી સમક્ષ આવું ચિત્ર કેમ ઊભું થયું? ખ્રિસ્તી પ્રભુત્વવાળા દેશોમાં ઇટ, ડ્રિન્ક અને બી મેરીના બદલે ઇટ, ડ્રિન્ક અને **ની સંસ્કૃતિ કેમ આવી? તેનો જવાબ આગામી લેખમાં મેળવવા પ્રયાસ કરીશું.

(ક્રમશ:)

3 responses to “દારૂ, સેક્સ, કપડાં: સભ્યતાનાં બંધનો ખ્રિસ્તી પંથમાં પણ છે જ”

  1. મનસુખલાલ ગાંધી Avatar
    મનસુખલાલ ગાંધી

    બહુ સુંદર જાણકારી આપી છે.

  2. સંવેદનાનો સળવળાટ Avatar

    ખૂબ જ સરસ સચોટ માહિતીસભર લેખ

    1. Jaywant Pandya Avatar

      આભાર.

Leave a reply to સંવેદનાનો સળવળાટ Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.