તાજેતરમાં અમિતાભ બચ્ચન પોતાની ફિલ્મ ‘પા’ના પ્રમોશન માટે ગાંધીનગરનો આંટો ખાઈ ગયા. તેમણે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત પણ લીધી અને બંનેએ એકબીજાની પીઠ થાબડી સંતોષ મેળવ્યો. બંનેની તસવીરો સાથે જોઈને સામ્યતા કરવાનું મન થાય. આ રહી કેટલીક સામ્યતાઓ :
(૧) એક તો બંને દાઢી રાખે છે. અમિતાભ ‘પા’ દાઢી રાખે છે, નરેન્દ્ર મોદી ‘આખી’ દાઢી રાખે છે.
(૨) અમિતાભની યુવાવસ્થામાં ફિલ્મોમાં જેવી છબિ હતી તેવી જ છબિ ગુજરાતમાં નરેન્દ્ર મોદીની છે. એંગ્રી યંગ મેનની. ફિલ્મોમાં વિજય (અમિતાભનું પાત્ર) સંઘર્ષ કરીને આગળ આવતો અને ગુંડાઓનો સફાયો કરતો, તેમ નરેન્દ્ર મોદીએ પણ સંઘર્ષ કરીને આગળ આવીને, ગુંડાઓ તો ન કહેવાય, પણ વિરોધીઓને પરાસ્ત કર્યા છે. ફિલ્મોમાં અમિતાભ જેમ ગુસ્સાવાળા દેખાતા, તેમ નરેન્દ્ર મોદીની છબિ પણ ગુસ્સાવાળા વ્યક્તિ તરીકેની જ છે. જોકે, તેમની રમૂજ વૃત્તિ પણ ઉમદા છે.
(૩) અમિતાભ બચ્ચન અને નરેન્દ્ર મોદી મિડિયાને એકસરખા ધિક્કારે છે. અમિતાભ મિડિયા વિરુદ્ધ તેમના બ્લોગમાં બળાપો કાઢતા રહે છે. નરેન્દ્ર મોદી પણ મિડિયામેનને મોંઢે જ સંભળાવી દેવા અથવા તો જાહેર પ્રવચનોમાં તેમની ‘ફિરકી’ લેવા માટે જાણીતા છે.
(૪) અમિતાભ અને નરેન્દ્રભાઈ બંને સરખા ‘વર્કોહોલિક’ (કામઢા) છે. વહેલી સવારે કસરત સાથે બંનેની દિનચર્યા શરૂ થઈ જાય છે, જે મોડી રાત સુધી ચાલે છે.
(૫) બંને પોતાની આગવી રીતે લોકોના સંપર્કમાં રહે છે. બંને બ્લોગ પણ લખે છે. જોકે, નરેન્દ્રભાઈ નિયમિત રીતે તેને અપડેટ નથી કરી શકતા એ અલગ વાત છે.
(૬) બંને સાહિત્યપ્રેમી ખરા.
(૭) બંનેના અવાજ સારા છે, બુલંદ અવાજ છે. બંને સારા વક્તા છે. બોલે ત્યારે શ્રોતાજનો મુગ્ધ બની જાય છે. બંનેની આંખો પ્રભાવશાળી છે.
ઠીક છે. સમાચાર એવા છે કે અમિતાભ બચ્ચન જે દિવસે ગાંધીનગર આવ્યા તે દિવસે અમરસિંહે સમાજવાદી પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. આ બંને બાબતોને જોડીને એવી ટેબલસ્ટોરી લખાઈ કે ફિલ્મી પડદાના ‘શહેનશાહ’ હવે ગુજરાતના ‘જાણતા રાજા’ તરફ ઢળી રહ્યા છે. જોકે આ ટેબલસ્ટોરી સાચી હોવાની પૂરી શક્યતા છે. અમિતાભ જે જગ્યાએ પહોંચ્યા છે ત્યાં તેમને કોઈ ને કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાવું પડે. પહેલાં તેઓ કાઁગ્રેસ સાથે સંકળાયેલા હતા. સંકળાયેલા જ નહીં, તેમાંથી ચૂંટાયા પણ ખરા, પણ એ ક્ષેત્ર ફાવ્યું નહીં, એટલે છોડી દીધું, પણ પડદા પાછળ જોડાણ ચાલુ રાખ્યું. પરમ મિત્ર રાજીવ ગાંધી ગયા પછી સોનિયા સાથે બહુ ફાવ્યું નહીં (તેનાથી કદાચ વિરુદ્ધ પણ વાત હોઈ શકે.) અને અમરસિંહનો સાથ મળ્યો એટલે સમાજવાદી પક્ષના મહોરા (ગોવિંદાચાર્યની ભાષામાં કહીએ તો મુખૌટા) બની ગયા. સમાજવાદી પક્ષના રાજપાટમાં ફાયદો પણ મેળવ્યો. પત્ની જયાને સાંસદ બનાવીને રાજ્યસભામાં મોકલ્યાં. હવે અમરસિંહ ન રહેતા, મોદીની શાલનો પાલવ પકડ્યો હોય તેવું બની શકે.
અમિતાભ ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બને કે ન બને (આમ તો, મોદીને ગુજરાત માટે અમિતાભની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જરૂર જ નથી, પોતે જ એકે હજારા છે.) પણ હિન્દુત્વવાદી પક્ષ ભાજપના બ્રાન્ડ એમ્બેસેડર જરૂર બની શકે. કેમ? કારણો આ રહ્યાં : (નીચેના દરેક વાક્યમાં ‘છબિ’ શબ્દ પર ખાસ ભાર મૂક્યો છે.)
(૧) એક તો, તેમની છબિ પરિવારવાદી છે. રેખા સાથે તથાકથિત પ્રણય પ્રકરણને બાદ કરીએ તો મોટા ભાગે અમિતાભ એકપત્નીવ્રતા જેવી છબિ ઉપસાવી શક્યા છે. હંમેશાં પરિવાર સાથે જ હોય છે. પોતે બાબુજી (પિતા) હરિવંશરાય અને માતા તેજી સાથે જ રહ્યા. છેક સુધી તેમની સેવા કરી. દીકરા અભિષેક સાથે પણ મિત્રતા જેવા સંબંધો છે. સાધુનો ભૂતકાળ ન જોવાય તેમ ઐશ્વર્યા રાયનો ભૂતકાળ ન જોઈએ તો ઐશ્વર્યા બચ્ચન એક આદર્શ વહુની ભૂમિકામાં હાલ તો ફિટ દેખાય છે.
(૨) શિસ્તપ્રેમી છે. સંસ્કારી વ્યક્તિ તરીકેની છબિ છે. હંમેશાં શુદ્ધ હિન્દી બોલે છે. ‘બિગ બોસ’માં પણ તેમણે શુદ્ધ હિન્દીનો જ આગ્રહ રાખેલો. ભાજપ જેને યુસૂફખાન તરીકે ઓળખવાનું પસંદ કરશે તે દિલીપકુમાર, શાહરુખ ખાન, જાવેદ અખ્તર વગેરેની જેમ ઉર્દૂના ડોઝવાળું હિન્દી બોલતા નથી. શાહરુખ કરતાં વિરુદ્ધ, શિષ્ટાચારવાળી વ્યક્તિ છે. સુપરસ્ટાર તરીકેનું અભિમાન છલકાતું નથી.
(૩) પરિવાર સાથે અવારનવાર મંદિરોની મુલાકાત લેતા જોવા મળે છે. આમ, ‘ધાર્મિક’ માણસ પણ છે.
(૪) ફિલ્મોદ્યોગમાં શાહરુખ, સલમાન ખાન, આમિર ખાન, સૈફ અલી ખાન…વગેરે ખાનોને આટલી મોટી ઉંમરે પણ સબળ હરીફાઈ પૂરી પાડે છે.
આમ, ભાજપ અને અમિતાભ હાથ મેળવે તો ફાયદો પરસ્પર બંનેને છે.
(To read it in English, please click : http://jaywant-pandya.blogspot.com/ or
http://jaywantpandya.instablogs.com/entry/amitabh-and-narendra-modi-rishtey-main-to-hum-sab-ke/ or
મારો બ્લોગ વાંચવા બદલ આભાર.