Read, Think, Respond- જયવંત પંડ્યાનો બ્લોગ

ગાંધી, ખાન અને ઠાકરે : સાચી વાત કોણ કરે?

07/02/2010 · 7 Comments

રાજકારણ-પ્રદેશકારણ

રાહુલ ગાંધી, શાહરુખ ખાન અને શિવસેના…

વિતેલા કેટલાક દિવસોમાં આ ત્રણેય ચર્ચામાં રહ્યા. માન્યું કે શિવસેનાને રાજ ઠાકરેની મ.ન.સે.ને મળેલા મતોને જોતાં પોતાનું વર્ચસ્વ પુનઃ સ્થાપવું છે, એટલે તે આ બધી ગર્જનાઓ કરે છે, પણ કેટલીક વાતો તેની માનવી પડે તેવી છે.

પહેલી તો, એમાં કોઈ બેમત જ ન હોઈ શકે કે મુંબઈ આખા ભારતનું શહેર કે નગરી છે. મુંબઈ કંઈ કાશ્મીર થોડું છે જેમાં તમારે જમીન ખરીદવી હોય તો ન ખરીદી શકો, જ્યાંથી, તમે પંડિત હો ને તમને ખદેડી મૂકવામાં આવે છતાં ભારત સરકાર (પછી તે કૉંગ્રેસ હોય કે ભાજપ) કંઈ ન કરે? પ્રશ્ન એ છે કે મુંબઈ કે થોડી મોટી કલ્પના કરીએ તો મહારાષ્ટ્ર, કે પછી ભારતનું કોઈ પણ રાજ્ય લો તો ત્યાં પહેલેથી કેટલીક જાતિ વસે છે. ગુજરાતમાં ગુજરાતી, કેરળમાં મલયાલી, પંજાબમાં પંજાબી, હરિયાણામાં હરિયાણવી…ત્યાં બહારના લોકો આવીને મૂળ સંસ્કૃતિ-ભાષાને બદલવા પ્રયાસ કરે તે ઘણા – ચાલો તેમને રૂઢિચુસ્ત જ નામ આપો-ને પસંદ ન પડે. આખરે, કોઈ પણ ઘરમાં પત્ની તરીકે સ્ત્રી આવે અને આવતા વેંત બધું બદલવા લાગે તો ઘરના લોકોને પસંદ પડશે? આનો જવાબ દિલ પર હાથ રાખીને આપો જોઈ!

મુંબઈમાં કદાચ દક્ષિણ ભારતીયો સાથે કે છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ભારતીયો સાથે, એટલે જ, મરાઠી માનૂસ અથવા તો  (ભલે સેક્યુલરો રાજી રહે) મરાઠી માનૂસના બની બેઠેલા ઠેકેદારોને સંઘર્ષ ઊભો થયો કે થાય છે, ગુજરાતીઓ સાથે આવું ઓછું બન્યું છે…કેમ કે ગુજરાતીઓ બહુતયા ભળી જનારી પ્રજા છે. અરે, અહીં ગુજરાતમાં જ, ખાસ તો અમદાવાદમાં,  ઉત્તર ભારતીયો-પંજાબીઓ -રાજસ્થાનીઓના કારણે, ઘણી વાર બે ગુજરાતીઓ પણ વાતચીત સીધી હિન્દીમાં શરૂ કરી દેતા હોય અને પછી તેમાં જ હંકાવ્યે રાખતા હોય પછી શું કહેવું? બહાર જાય તો તો ગુજરાતીઓ તેમની સંસ્કૃતિ અપનાવી જ લેવાના ને! આમેય ગુજરાતીઓ મોટા મનના ખરાને. જુઓને, ગુજરાતી ભાષામાં જ રોજ પડે ને કેટલા અંગ્રેજી શબ્દો ઉમેરાતા જાય છે. એક કટાર લેખકે કંઈક કંઈકના બદલે તાજેતરમાં સમથિંગ સમથિંગ લખ્યું હતું. આવું લખવાની જરૂર ખરી?

હવે વાત પાકિસ્તાની ખેલાડીઓને આઇપીએલમાં આમંત્રવાની.

શાહરુખ ખાન મને ગમતો કલાકાર છે, અત્યંત ગમતો નહીં. એવું તો કોઈ નથી. રોમેન્ટિઝમમાં શાહરુખને કોઈ ન પહોંચે. તેણે ઘરમાં સર્વધર્મ સમભાવનું ઉદાહરણ પણ બેસાડ્યું છે, તે પણ સ્વીકાર્યું. એ પણ માની લઈએ કે આઇપીએલને ચર્ચામાં રાખવા (જેમ ગયા વખતે તેણે સુનીલ ગાવસ્કરની ટીકા કરી હતી) તેણે પાકિસ્તાની ખેલાડીઓનો મુદ્દો ઉઠાવ્યો, પરંતુ તેને પ્રશ્ન પૂછાવો જોઈએ કે ખાન ભાઈ, તને ચર્ચામાં રહેવા બીજા કોઈ મુદ્દા ન મળ્યા? મુંબઈ પર ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ જે હુમલા થયા, (અથવા તો તે અગાઉ થયેલા અસંખ્ય હુમલાઓ ) તે પછી પણ તને પાકિસ્તાન પ્રત્યે કેમ પ્રેમ ઉભરાઈ આવે છે? અહીં ઘણા ખેલાડીઓ છે તેને જ, તક આપવી હોય તો આપ ને.

શિવસેનાના ‘સામના’ કે ‘દોપહર કા સામના’, જે હોય તે, માં સાચું જ લખાયું અને રાહુલ ગાંધી પ્રત્યે મુંબઈના લોકોનો પ્રેમ જોઈને તેણે નિરાશાથી લખ્યું કે જવા દો. આ લોકો માટે લડવા જેવું જ નથી, નહીં તો રાહુલ ગાંધીએ બિહારમાં ટિપ્પણી કરી હતી કે ઉત્તર ભારતીયોએ મુંબઈમાં લોકોને ત્રાસવાદી હુમલા વખતે બચાવેલા. તો શું મરાઠીઓ એ હુમલામાં રક્ષા કરવા નહોતા આવ્યા? હેમંત કરકરે, વિજય સાલસકર, અશોક કામટે વગેરે મરાઠી નહોતા? એ વાત સાચી કે આ બધા પહેલા તો ભારતીયો છે એટલે આ ચર્ચા જ નકામી છે, પણ શ્રીમાન રાહુલ મહાશય! તમે પણ શિવસેનાથી ઉતરતા તો નથી જ. એ વાતે તમારી જરૂર પ્રશંસા કરવી જોઈએ કે તમે કલાવતીના ઘરે જમવા કે લોકલ ટ્રેનમાં જવા સહિતના પ્રશંસનીય પગલાં ભરો છો (પણ માધ્યમો કે સુરક્ષાને સાથે લઈને.) શિવસેનાએ અંતે શાહરુખ સામે પારોઠનાં પગલાં ભર્યાં. બને કે કદાચ બંને વચ્ચે પૈસાથી લઈને કોઈ પણ રીતે સમાધાન થઈ ગયું હોઈ શકે, પરંતુ વાત તેણે ઉઠાવેલા મુદ્દાની છે. તેણે ઉઠાવેલા મુદ્દાઓ ખોટા નહોતા/નથી.

હકીકતે, લોકો જ પોતાના પર હુમલા હવે ભૂલી જાય છે અને એટલે જ તેમણે ચૂંટેલી સરકાર પણ. નહીં તો ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર આટલા હુમલા થયા, થતા રહે છે અને ભારત કંઈ પણ કરી ન શક્યું. અરે, હમણાં હમણાં તો ઓસ્ટ્રેલિયાએ ભારતને કહી દીધું : વંશવાદના હુમલાની રોકકળ હવે બંધ કરો! અરે! પાકિસ્તાન, બાંગલાદેશ, નેપાળ જેવા બગલબચ્ચુ પડોશીઓ પણ ભારતનું નાક વારેવારે ખેંચી જાય છે. (ભાજપની સરકારમાં બાંગલાદેશે આપણા બીએસએફના જવાનોને મારી નાખ્યા હતા, યાદ છે ને?) ચીનની સામે તો આપણો અવાજ જ નથી નીકળતો.

આ દેશને તો આઇપીએલ, ક્રિકેટ મેચો, હિન્દી ફિલ્મો,  બિગ બોસ, સ્વયંવરો, સારેગમપ, મ્યૂઝિક કા મહામુકાબલા, ઝલક દિખલા જા, નચ બલિયે, જેવા શો અને સિરિયલો , મોબાઇલ, ઇન્ટરનેટનું કેફ જ આપ્યે રાખો.  મોબાઇલ સસ્તા કરતા જાવ, પણ દૂધ, ખાંડ, કઠોળ ભલે મોંઘા થતા.  કહે છે કે જ્યારે મોગલો અને તે પછી અંગ્રેજોનું આક્રમણ થયું  ત્યારે રાજાઓ પાસે સમૃદ્ધિ ઘણી હતી અને એટલે તેઓ ભોગવિલાસમાં ડૂબેલા હતા. અહીં તો રાજા નહીં, પ્રજા પણ ડૂબી જાય તો શું કરવાનું? માત્ર આર્થિક સમૃદ્ધિથી કંઈ નહીં વળે, સાથોસાથ સુરક્ષા પણ જોઈએ, વિશ્વના દેશોમાં  વજન પણ પડવું જોઈએ, નહીંતર આર્થિક સમૃદ્ધિનો  કોઈ અર્થ નથી,  શ્રીમન મનમોહનસિંહજી!

સિંહ જેવી ત્રાડ પાડતા પણ શીખો! સાચા સિંહ બનો!

→ 7 CommentsCategories: national
Tagged: , , , , , , , , , , ,

આવું ચ્યમ થાય છ?

07/02/2010 · Leave a Comment

નેટ મૂંઝવણ

મથાળું વાંચીને ભરમાઈ ન જતાં. મેહાણવી (મહેસાણી ભાષા)ને લગતી કોઈ વાત નથી. આ તો, સૌરાષ્ટ્રની બોલીમાં ઘણી વાર લખાતું હોય એટલે થયું કે મેહાણવીમાં મથાળું આપું.

મૂળ વાત એ છે કે વર્ડપ્રેસમાં પેરેગ્રાફ પાડો તો જે ઇન્ડેન્ટ (એટલે કે ખાંચો પડવો- થોડી જગ્યા છૂટવી) છૂટવો જોઈએ તે છૂટતો નથી. એટલે હું એક લાઇનની જગ્યા છોડતો હોઉં છું. હવે થાય છે એવું કે બ્લોગમાં ન્યૂ પોસ્ટમાં જઈને લખતી વખતે અથવા તો વર્ડ કે નોટ પેડમાંથી કમ્પોઝ થયેલું ચોંટાડતી (પેસ્ટ) વખતે તો બે પેરેગ્રાફ વચ્ચે એક લાઇનની જગ્યા (જેને કમ્પ્યૂટરની ભાષામાં લાઇન બ્રેક કહે છે) દેખાય પણ જ્યારે એ પોસ્ટ પબ્લિશ કરું તો નહીં! તેને એડિટ કરીને ફરી બે પેરેગ્રાફ વચ્ચે એક લાઇનની જગ્યા છોડી જોઈ અને તેને અપડેટ કરી જોયું તો એનું એ જ. છેલ્લી બે પોસ્ટમાં આવું થયું. જોકે તેની અગાઉની પોસ્ટમાં પેરેગ્રાફ વચ્ચે લાઇન જોવા મળે છે.

આવું ચ્યમ થાય છ?

પાછું અલગ-અલગ થીમ અજમાવતો હતો તો કેટલીક થીમમાં છેલ્લી (લેટેસ્ટ) બે પોસ્ટમાં બે પેરેગ્રાફ વચ્ચેની લાઇન દેખાય!

ટેક્નોલોજી સેવી કોઈ કહેશે કે આવું ચ્યમ થાય છ?

(આ પોસ્ટમાં બે પેરેગ્રાફ વચ્ચે લાઇન દેખાય છે તેના માટે મેં એચટીએમએલ કોડનો સહારો લીધો છે, પણ તેના માટે તમારે લાઇનની આગળ <p> ટાઇપ કરવું પડે. પછી જે તે વાક્ય અને અંતમાં
< br / > ટાઇપ કરવું પડે અને તે પણ પોસ્ટના કંપોઝ બોક્સની ઉપર વિઝ્યુઅલમાંથી એચટીએમલનો વિકલ્પ બદલીને, નહીંતર એવું છપાઈ જાય; જેમ કે મેં અહીં એચટીએમએલમાં આ લાઇનને બ્રેક કરી છે અને પછી વિઝ્યુઅલમાં જઈને <p> ટાઇપ કર્યું છે જેના લીધે તમે આ અંગ્રેજી મૂળાક્ષર પીને આગળપાછળ બ્રેકેટમાં જોઈ શકો છો.)

→ Leave a CommentCategories: blog · computer · internet
Tagged: , , , , , , ,

વર્ડપ્રેસ થીમ : જિસે ઢૂંઢતા હૂં મૈં હર કહીં વો થીમ હૈ કહાં

07/02/2010 · 2 Comments

વર્ડપ્રેસની નવાજૂની
વર્ડપ્રેસ થીમનાં અનેક રૂપો (થીમ) અજમાવી જોયાં, પણ એકેય પૂરેપૂરું પસંદ પડતું નથી. કોઈમાં ફોન્ટ- મારે જોઈએ છે તેવાં – માફકસરના (એકદમ ઝીણાં નહીં) નથી. ઓસડિયા, કનેક્શન્શ વગેરે થીમમાં લેઆઉટ અને રંગ સારા મળી રહે છે, પરંતુ ફોન્ટ એકદમ ઝીણા થઈ જાય છે. જેમાં મોટા ફોન્ટ છે તેમાં લેઆઉટ ફિક્કો દેખાય છે.
કોઈ હવે એવી થીમ બનાવે જેમાં લેઆઉટ અને ફોન્ટ તમે મનપસંદ રાખી શકો તો સારું. એડિટ સીએસએસનો વિકલ્પ છે પણ તે મને ફાવતું નથી.

→ 2 CommentsCategories: blog · computer · internet
Tagged: , , ,

ઈ-પત્ર : લિપ્યાંતરની એક વધુ સુવિધા

07/02/2010 · Leave a Comment

નેટના ખબર અંતર
વાત એ સમયની છે જ્યારે ભારતમાં નેટ નવું નવું હતું. એ વખતે (અંદાજે ૨૦૦૦થી ૨૦૦૨ વચ્ચેનો સમયગાળો)  ઇ-પત્ર નામની એક વેબસાઇટ ધ્યાનમાં આવી હતી જે મેઇલની સુવિધા તો યાહૂ મેઇલની જેમ પૂરી પાડતી જ હતી પરંતુ સાથે સાથે તમને ભારતીય ભાષામાં મેઇલ કરવા દેતી હતી. તમે ka લખો એટલે ક થાય તેવી સુવિધા.
ગૂગલે તો છેલ્લાં એક-બે (ચોક્કસ સમયગાળો ખબર નથી) વર્ષથી આ સુવિધા આપી છે. એમાંય ગૂગલના મેઇલમાં અર્થાત્ જીમેઇલમાં તો કદાચ છેલ્લાં એકાદ વર્ષથી જ મેઇલની અંદર કમ્પોઝ કરતી વખતે આ લિપ્યાંતર અર્થાત્ ટ્રાન્સલિટરેશનની સગવડ છે. તે માટેય જોકે તમારે લેબમાં જઈને એ વિકલ્પ સક્રિય કરવો પડે.
ઇ-પત્ર વેબદુનિયા નામની વેબસાઇટની સુવિધા છે અને વેબદુનિયા એટલે મધ્યપ્રદેશના સમાચારપત્ર ‘નઇ દુનિયા’નું સાહસ. ગુજરાતીમાં સમાચાર આપવામાં પણ કદાચ વેબદુનિયા જ પ્રથમ છે.
ઇ-પત્રમાં ઘણા સમયથી લોગ ઇન નહોતો થયો. ખાતું ચાલુ હોવા અંગે પણ શંકા હતી. જોકે સદ્નનસીબે ખાતું ચાલું હતું એટલે આ ધ્યાનમાં આવ્યું.
અને હા, એ કહેવાનું રહી ગયું કે ગૂગલની ટ્રાન્સલિટરેશનમાં જેમ તમે ટાઇપ કરો એટલે ગૂગલ પોતે જ શબ્દ સૂચવે છે તેમ ઇ-પત્રમાં પણ એડિટરના વિકલ્પમાં જવાથી તમને શબ્દસૂચન મળી રહે છે. જેમને ગુજરાતી યુનિકોડમાં ટાઇપ કરવું છે તેમને માટે આ સારી સુવિધા છે. ઇ-પત્રમાં ખાતું ખોલાવી, સંદેશ કમ્પોઝ કરી તેને કોપી કરી ઇચ્છિત જગ્યાએ પેસ્ટ કરી શકાય છે.
બાય ધ વે, હમણાંથી એવું અવલોકન કર્યું છે કે ગૂગલમાં સર્ચ કરતી વેળાએ ઇચ્છિત ચીજ મળવાનું પ્રમાણ ઘટી ગયું છે, ચાહે તે વેબ, ઇમેજ કે ન્યૂઝ હોય.

→ Leave a CommentCategories: computer · internet · language
Tagged: , , , , , , , , , , ,

‘રણ’થી પાછો છવાયો છે રામુ નામનો જણ!

30/01/2010 · 1 Comment

(દિવ્ય ભાસ્કરમાં હતો ત્યારે ફિલ્મ સમીક્ષા કરવાની થતી હતી.  હવે તો તે કરવાનું થતું નથી, પણ ‘રણ’ જોયા પછી ફિલ્મ સમીક્ષા કરવાનું રોકી શકતો નથી.)
ગુજરાતીમાં રણ એટલે રેતીની ભૂમિ જેને હિન્દીમાં મેરુભૂમિ અથવા ઉર્દૂમાં રેગિસ્તાન કહે છે, પરંતુ હિન્દીમાં રણ એટલે યુદ્ધ. એટલે તો યુદ્ધના મેદાનને રણમેદાન કહેવામાં આવે છે.
આ રણ એટલે કે યુદ્ધ લડી રહ્યા છે વિજય હર્ષવર્ધન મલિક (અમિતાભ બચ્ચન, વિજય નામ તેમના સિવાય બીજા કોનું હોય?!). તેઓ એક ન્યૂઝ ચેનલના માલિક છે પરંતુ તેમના જ એક કર્મચારી અમરીષ કક્કડ (મોહનીશ બહલ)એ નવી ચેનલ ખોલી છે અને તેના પર સેન્સેશનિલઝમ એટલે કે સનસનાટી અને મનોરંજનને જ સ્થાન છે. અમરીષની ચેનલ નંબર વન બની ગઈ છે જ્યારે વિજય મલિકની ચેનલને ટીઆરપીના ફાંફા પડી રહ્યા છે. ઉપરાંત તેમની ચેનલના કોઈ પણ નવા શો અંગેના વિચારો અમરીષની ચેનલ પાસે પહોંચી જાય છે. વિજયનો દીકરો જય (સુદીપ) અમેરિકાથી ભણીને આવ્યો છે. ચેનલનો દોર તેના હાથમાં આવે છે અને તે તેના બનેવી તથા ઉદ્યોગપતિ નવીન શંકલ્યા તથા વિપક્ષના નેતા મોહન પાંડે (પરેશ રાવલ)ની સાંઠગાંઠવાળી જાળમાં ફસાઈ જાય છે અને વિજય મલિકની ચેનલ પર એક પછી એક જૂઠાણા દર્શાવવામાં આવે છે….
પત્રકારત્વ પર ફિલ્મો તો અનેક બની ગઈ, પણ ઘણા વખતે એક ફ્રેશ ફિલ્મ આવી છે. અમિતાભની પોતાની જ ‘મૈં આઝાદ હૂં’માં શબાના આઝમી આવો જ એક હાથો જય મલિકની જેમ બને છે. ‘જાને ભી દો યારોં’માં પણ ઉદ્યોગપતિપત્રકારોની સાંઠગાંઠ દેખાડવામાં આવી હતી. આ બધામાં છેલ્લે ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ને સનસનાટીભર્યા ટીવી પત્રકારત્વ પરની કદાચ સૌથી પહેલી ફિલ્મ કહી શકાય.
પત્રકારત્વમાં બને છે એવું કે અખબાર કે ચેનલ ચલાવવા જાહેરખબરોનો ટેકો જોઈએ, પણ જેમ કોઈ પણ ઈમારત બનાવવામાં સિમેન્ટ, રેતી, કપચી વગેરેના નિશ્ચિત પ્રમાણ હોય છે તે પ્રમાણ જો ન જાળવાય તો ઈમારત તૂટી પડે તેમ જાહેરખબર જ મુખ્ય આધાર બની જાય, તે તો ઠીક, પણ અખબાર કે ચેનલ પૈસા માટે ઉદ્યોગપતિઓ કે રાજકારણીઓના હાથનું પ્યાદું બની જાય ત્યારે શું? શું જરૂરી છે કે એક ચેનલ એક પ્રકારનો શો લાવે એટલે બીજી ચેનલે તેવો શો લાવવો જ?
અનેક વાર એવાં ઉદાહરણો જોવા મળ્યાં છે જ્યારે ચેનલ પલ પલ કી ખબર દેવા માટે અને સબ સે તેઝ સાબિત થવા છબરડા કરી બેસે. કપિલ દેવના બદલે સચીન તેંડુલકરને એક સદીનો ખેલાડી ઘોષિત કરી દેવામાં આવે અને એટલું જ નહીં, તેના પ્રતિભાવો પણ ‘ગોઠવણ કરીને લવાયેલા’ દર્શકો પાસેથી લેવામાં આવે.
‘રણ’માં અમિતાભ કહે છે તેમ હવે સમાચાર રજૂ નથી કરાતા, બનાવવામાં આવે છે. કોઈ ચોક્કસ પરિપ્રેક્ષ્યમાં કહેવાયેલી વાતને કાંટછાંટ (એડિટ) કરીને વારંવાર રજૂ કરીને કોઈ એક વ્યક્તિને હીરો કે વિલન રાતોરાત બનાવી શકાય છે. (આશા ભોસલેએ હિમેશ રેશમિયાના સંદર્ભમાં કહેલી વાત, ‘તો ઉસે થપ્પડ મારના ચાહિયે’ અનેક વાર બતાવાયેલી તે યાદ આવે છે?) રિયાલિટી શો કે ક્રિકેટમાં બનતી ક્ષુલ્લક ઘટનાઓ (અને તે પણ ઘણી વાર વિવાદ માટે ઉપજાવી કઢાયેલી હોય) પર એક કલાકના કાર્યક્રમો અપાય છે ને બેવફૂફ દર્શકો પણ લાગણીસભર રીતે તેના શિકાર બની જાય છે. એસએમએસના મારા ચાલે છે. ક્યાં બિચારું દૂરદર્શન? જેમાં સરકારી સમાચારો સાવ નિરસ રીતે રજૂ કરાતા? સલમા સુલતાન જેવી સમાચાર વાચક તો ભારતીય ટીમ જીતે કે કોઈને એવોર્ડ મળે તોય તેના મોંઢા પર હાસ્ય નહોતું આવતું અને હવે ન્યૂઝ ચેનલ પર રૂપાળી યુવતીઓને એન્કર બનાવી દેવાય છે. પછી ભલે ને પૂરમાં કે ધરતીકંપમાં ફસાયેલાઓને પૂછે કે આપ કો કૈસા લગ રહા હૈ? ક્રાઇમના સમાચારો સમાચારો નથી રહેતા, હોરર શો બની જાય છે. રાતના જોઈ લો તો ઊંઘ ઉડી જાય તેવા દાઢી મૂછના દેખાવવાળો ઘોઘરા અવાજે તમને ડરાવે છે અને રીતસર ઊંઘમાંથી ઉઠાડી દે છે ચૈન સે સોના હૈ તો જાગ જાઈએ! બળાત્કાર, ચોરી, હત્યા વગેરે અપરાધોનું પાછું નાટકીય રૂપાંતર કરીને રજૂ કરવામાં આવે!
નિઃશંક, ટીવી પત્રકારત્વની ઉજળી બાજુ છે જ. ત્રાસવાદી ઘટનાઓની વચ્ચે પણ વારે ઘડીએ પોશાક બદલતા ગૃહ મંત્રીને જવું પડે છે તે ટીવી સમાચાર ચેનલોના કારણે જ. મુંબઈમાં બોમ્બ ધડાકાઓ પછી ચેનલોએ દાખવેલી જાગૃતિ અને ચલાવેલા અભિયાનો પ્રશંસનીય હતા જ. કારગિલની લડાઈનું સ્થળ પર જઈને રિપોર્ટંિગ ભારે હિંમત માગી લેતી વાત હતી. (જોકે મુંબઈ બોમ્બ ધડાકાઓ વખતે કારણ વગર સૂતા સૂતા રિપોટિંગ કરવાના ફારસો પણ થયા). આજે સ્પર્ધાના કારણે અને ઘણી વાર જગ્યા ભરવા પણ, નાના ગામના ઉલ્લેખનીય સમાચારો ટીવીમાં દેખાડાય છે. ક્રિકેટ ટીમ જીતે તો તેને ઊંચકી લેવાય છે અને હારે તો વિશ્લેષણ પણ કરાય છે (એ અલગ વાત છે કે પોતે બહુ સારું નહીં રમેલા ક્રિકેટરો ન્યૂઝ રૂમમાં ગોઠવાઈ જઈ એ વિશ્લેષણ કરે છે.).
૨૪ કલાકની ન્યૂઝ ચેનલો શરૂ થયાને એક દાયકો થવા આવ્યો. એવું કહી શકાય કે ૧૦ વર્ષે કિશોરાવસ્થામાં પ્રવેશ થાય છે. ચેનલો પણ હવે થોડી સમજણ દાખવતી થાય, સનસનાટીને એકબાજુએ રાખી, સમાચારોની વિશ્વસનીયતા નક્કી કરીને પછી સમાચાર રજૂ કરે, ભલે તેમાં મોડા પડાય, તો સારું.
રહી વાત ફિલ્મની તો રામગોપાલ વર્મા ઘણા વખતે સારી ફિલ્મ લાવ્યા છે. ઘણી વાર તો ફિલ્મ જોઈને લાગે કે ક્યાંક આ ફિલ્મ મધુર ભંડારકરની તો નથી ને. ઘણી બધી ચોકસાઈ રાખવા છતાં કેટલીક વાતો છૂટી પણ ગઈ છે; જેમ કે, વિજય મલિક જેવા ખ્યાતનામ અને વિશ્વસનીય પત્રકાર કોઈ ખરાઈ કે ચોકસાઈ વગર તેના દીકરાને ક્યાંકથી (હકીકતે તેણે પોતે જ ફિલ્માવેલી) મળેલી સીડીને આધારભૂત માનીને તેનું પ્રસારણ કરાવી દે? તેમની ચેનલના આઇડિયા બીજી ચેનલ પાસે જતા રહે અને કઈ વ્યક્તિ આ કરે છે તેની તપાસ પણ ન કરાવે? હુડા (કે.કે. રૈના) તો પછી અદ્રશ્ય જ થઈ જાય છે.
અમિતાભ તેમને સોંપાયેલું કામ બહુ સારી રીતે નિભાવી જાય છે. તેમનો અભિનય બહુ જ સંયમિત રહ્યો છે. ક્યાંય ઓવરએક્ટિંગ નહીં. તેમના દીકરા તરીકે સુદીપ યુવાવસ્થાના અમિતાભની યાદ અપાવી જાય છે. ઘણા વખતે પરેશ રાવલ કોેમેડીયનના બદલે વિલન તરીકે જોવા મળ્યા. તેમનો અભિનય પણ સંયમિત છતાં લાજવાબ રહ્યો. રામુએ ફિલ્મમાં પ્રતીકોનો સારો ઉપયોગ કર્યો છે; જેમ કે પરેશ રાવલ આખી ફિલ્મમાં કાળા ચશ્મા પહેરી રાખે છે. જ્યારે પરેશ રાવલની સુદીપને ઓફર મળે છે ત્યારે તેનું મન વિચારોના ચકડોળે ચડે છે તેને દારૂના ગ્લાસને ગોળ ગોળ ફેરવીને તેમાં ફરતા બરફથી રજૂ કરાયું. રાજપાલ યાદવ ચેનલના ઘણા વિદૂષક એન્કરોની યાદ અપાવી જાય છે.
છેલ્લે એક સવાલ. ‘રંગીલા’, ‘દૌડ’, ‘સત્યા’, ‘કંપની’ જેવી ફિલ્મોમાં સારું સંગીત કઢાવી શકનાર રામુ પાછલી ઘણી ફિલ્મોથી એવું સંગીત કેમ કઢાવી નથી શકતા? સંગીત વગર ફિલ્મ અધૂરી છે, મિ. રામુ!

→ 1 CommentCategories: film · film review · media
Tagged: , , , , , , ,

સત્યને પણ ઘાંટો પાડીને બોલવું પડે છે

27/01/2010 · 7 Comments

ગૂગલને ચીનમાં તકલીફ પડી અને અમેરિકાનાં વિદેશ પ્રધાન સુશ્રી હિલેરી ક્લિન્ટને નિવેદન આપ્યું. આપણા સેંકડો નાગરિકો પાકિસ્તાની જેલમાં સબડી રહ્યા છે, તેની કોઈ વાત થતી નથી (દેશમાં પણ કાશ્મીરી પંડિતો મુદ્દે કોઈ કંઈ કરતું નથી.). ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર રોજ હુમલાના બનાવો અહેવાલાય છે, પણ મનમોહનસિંહ મીંદડી જેવા સ્વરે નિવેદનો બહાર પાડે છે. બસ ઇતિ કથા સમાપ્તમ્!

આવું બને છે ત્યારે બજરંગ દળ કે શિવસેના કે પછી રાજ ઠાકરેઓ સારા લાગે છે.  હમણાં શિવસેનાએ નિવેદન આપ્યું કે ઓસ્ટ્રેલિયાના કિક્રેટરોને રમવા નહીં દઈએ. પાકિસ્તાની કિક્રેટરોની તો બોલી જ ન થઈ આ શિવસેનાની ધાકના કારણે. જોકે ઘણા ‘સેક્યુલર’ પત્રકારોને પેટમાં દુખવા આવ્યું છે અને પેટ સાફ પણ નથી થતું. રાજ ઠાકરેના કારણે મુંબઈમાં મરાઠી ભાષાને પ્રાધાન્ય આપવું પડે છે. (ક્યારેક લાગે છે કે ગુજરાતમાં પણ કોઈ ગુજરાતી રાજ ઠાકરેની જરૂર છે. અહીં દુકાનોનાં પાટિયાં મોટા ભાગે અંગ્રેજીમાં જ હોય છે, એટલું જ નહીં, અમદાવાદમાં તો ક્યારેક બિનગુજરાતી ભૂમિ લાગે તેમ, અજાણ્યા લોકો સાથે ફોન કે રૂબરૂ સંવાદની શરૂઆત જ સીધી અંગ્રેજી કે હિન્દીમાં થાય છે. કેટલાક ડોક્ટર કે કહેવાતી ઊંચી પાયરીના લોકો તો વાત જ અંગ્રેજીમાં ફાડફાડ કરે. પોતે ગુજરાત બહાર રહેતા હોય ને અહીં આવ્યા હોય તેવા લોકોય ગુજરાતી નહીં,  હિન્દીમાં જ વાત ચલાવ્યા રાખે.)

રાજ ઠાકરેના સૈનિકોએ પેલા બદમાશ અબુ આઝમીને પાઠ ભણાવ્યો પછી ત્યાંની પ્રજાએ અબુ આઝમીના દીકરાને ભીવંડીની પેટા ચૂંટણીમાં હરાવ્યો અને શિવસેના જીતી ગઈ. પ્રાંતવાદને મહત્ત્વની વાત નથી, હિન્દી રાષ્ટ્રભાષા છે તે કબૂલ, પરંતુ જે પ્રાંતની પોતાની એક અસ્મિતા છે તે તો ન જ મિટવી જોઈએ. જે પ્રાંતને પોતાના લોહીથી વિકસાવ્યો છે તે પ્રજાને મતબેંક માટે હડસેલી દો તે કેવું! આવું જ દેશની બાબતમાં પણ છે. ગુજરાતનો ડાયરો ગુજરાતથી બહાર નીકળીને ‘સજન રે ઝૂઠ મત બોલો’ સિરિયલ દ્વારા રાષ્ટ્ર સુધી પહોંચ્યો, પણ ગુજરાતમાં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિની શી દશા છે તે જુઓ તો ખબર પડે!

ટૂંકમાં, પોતાની વાત કહેવા માટે તમારે ક્યારેક ઘાંટો પાડીને બોલવું પડે કારણકે નમ્રતા કાયરતામાં ખપી જવાનો ભય નહીં, ખાતરી હોય છે. બાગબગીચામાં પ્રેમી યુગલો બેસે તેની ના નહીં, પણ જાહેરમાં તેઓ અભદ્ર ચેષ્ટા કરે અને તેનો વિરોધ કરનારા કટ્ટરવાદીમાં ખપી જાય! કર્ણાટકમાં આછકલાઈ કરવામાં આવે અને તેનો વિરોધ કરનારાને તાલિબાની કહેવામાં આવે.

કોઈ ચિત્રકાર કોઈ એક ચોક્કસ ધર્મના દેવીદેવતાનાં જ નગ્ન ચિત્રો દોરે અને તેની ગુફા પર હુમલા થાય કે તે કલાકારનો વિરોધ થાય ત્યારે સ્વતંત્રતાની અભિવ્યક્તિ પર તરાપ અને ડેનમાર્કનો કોઈ ચિત્રકાર કાર્ટૂન દોરે તો તેની સામે ભારતમાં પ્રદર્શન થાય તે કંઈ નહીં! અહીં તો સલમાન રશદીના પુસ્તક પર પણ પ્રતિબંધ લાગી જાય! ઈરાક પર હુમલા થાય તો તેનો વિરોધ અહીંના કેટલાક નાગરિકો કરે!

શિવસેનાના ડરના કારણે પાકિસ્તાની ખેલાડીઓ અહીં આઇપીએલમાં રમવા નથી આવી શકતા તેનું દુઃખ ત્યાંના ભાઈઓ કરતાં અહીંની ‘બહેનો’ને વધુ થાય છે! એવું જ દુઃખ હોય તો ત્યાં પાકિસ્તાનમાં જઈને રહો ને. પણ ના. ત્યાં આવી બેફામ લખવાની, બેફામ બોલવાની, શબ્દનો વ્યભિચાર કરવાની છૂટ ક્યાં મળે છે?

હિન્દુઓ, હિન્દુ ધર્મ અને ગુજરાતી ભાષા બિચારા બાપડા છે. અહીં તો યોગનો પ્રચાર કરવો હોય તો ય યોગગુરુઓને કહેવું પડે કે તેને હિન્દુ ધર્મ સાથે કંઈ લાગતું વળગતું નથી. અમે તો સર્વધર્મ સમભાવની વાત કરીએ છીએ. પણ તેઓ ગમે તે કહે, વિદેશમાં તો યોગને હિન્દુ ધર્મ સાથે જોડીને જ જોવામાં આવે છે અને એટલે તો યોગ પર ચર્ચો પ્રતિબંધ મૂકી દે છે! હા, એ જ ધર્મ જેને ભારતમાં, ખાસ કરીને હિન્દી ફિલ્મો અને સિરિયલોમાં બહુ ઉદારવાદી, પ્રેમની વાત કરતો,  દીનદુખીઓના દુઃખ દૂર કરતો ધર્મ ગણાવાય છે. (‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ ફિલ્મનાં છેલ્લાં દ્રશ્યો યાદ છે ને?)

ભગવાન શ્રી રામે વાલીનો છળથી વધ કર્યો હતો. આજે જે ‘સેક્યુલરો’, મિડિયા અને એન.જી.ઓ. છે તે જો ત્યારે હોત તો શ્રી રામના માથે માછલાં ધોયા હોત. તેમના પર અયોધ્યાના બદલે શ્રીલંકામાં રાવણના ન્યાયાલયમાં કેસ ચલાવ્યો હોત, કેમકે, રાવણોના કૃત્યો માનવ અધિકારોના નામે માફ છે, પણ રામનું કૃત્ય માફ નથી.

સબ કો સન્મતિ દે ભગવાન!

→ 7 CommentsCategories: hindu · language · national
Tagged: , , , , , , , , , , , , , ,

અમિતાભ બચ્ચન અને નરેન્દ્ર મોદી : રિશ્તે મેં તો…

09/01/2010 · 13 Comments

નરેન્દ્ર મોદી અને અમિતાભ : હમ જહાં ખડે હોતે હૈં લાઇન વહાં સે શુરૂ હોતી હૈ

નરેન્દ્ર મોદી અને અમિતાભ : હમ જહાં પે ખડે હો જાતે હૈં, લાઇન વહીં સે શુરુ હોતી હૈ

તાજેતરમાં અમિતાભ બચ્ચન પોતાની ફિલ્મ ‘પા’ના પ્રમોશન માટે ગાંધીનગરનો આંટો ખાઈ ગયા. તેમણે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત પણ લીધી અને બંનેએ એકબીજાની પીઠ થાબડી સંતોષ મેળવ્યો. બંનેની તસવીરો સાથે જોઈને સામ્યતા કરવાનું મન થાય. આ રહી કેટલીક સામ્યતાઓ  :

(૧) એક તો બંને દાઢી રાખે છે. અમિતાભ ‘પા’ દાઢી રાખે છે, નરેન્દ્ર મોદી ‘આખી’ દાઢી રાખે છે.

(૨) અમિતાભની યુવાવસ્થામાં ફિલ્મોમાં જેવી છબિ હતી તેવી જ છબિ ગુજરાતમાં નરેન્દ્ર મોદીની છે. એંગ્રી યંગ મેનની. ફિલ્મોમાં વિજય (અમિતાભનું પાત્ર) સંઘર્ષ કરીને આગળ આવતો  અને ગુંડાઓનો સફાયો કરતો, તેમ નરેન્દ્ર મોદીએ પણ સંઘર્ષ કરીને આગળ આવીને, ગુંડાઓ તો ન કહેવાય, પણ વિરોધીઓને પરાસ્ત કર્યા છે. ફિલ્મોમાં અમિતાભ જેમ ગુસ્સાવાળા દેખાતા, તેમ નરેન્દ્ર મોદીની છબિ પણ ગુસ્સાવાળા વ્યક્તિ તરીકેની જ છે. જોકે, તેમની રમૂજ વૃત્તિ પણ ઉમદા છે.

(૩) અમિતાભ બચ્ચન અને નરેન્દ્ર મોદી મિડિયાને એકસરખા ધિક્કારે છે. અમિતાભ મિડિયા વિરુદ્ધ તેમના બ્લોગમાં બળાપો કાઢતા રહે છે. નરેન્દ્ર મોદી પણ મિડિયામેનને મોંઢે જ સંભળાવી દેવા અથવા તો જાહેર પ્રવચનોમાં તેમની ‘ફિરકી’ લેવા માટે જાણીતા છે.

(૪) અમિતાભ અને નરેન્દ્રભાઈ બંને સરખા ‘વર્કોહોલિક’ (કામઢા) છે. વહેલી સવારે કસરત સાથે બંનેની દિનચર્યા શરૂ થઈ જાય છે, જે મોડી રાત સુધી ચાલે છે.

(૫) બંને પોતાની આગવી રીતે લોકોના સંપર્કમાં રહે છે. બંને બ્લોગ પણ લખે છે. જોકે, નરેન્દ્રભાઈ નિયમિત રીતે તેને અપડેટ નથી કરી શકતા એ અલગ વાત છે.

(૬) બંને સાહિત્યપ્રેમી ખરા.

(૭) બંનેના અવાજ સારા છે, બુલંદ અવાજ છે. બંને સારા વક્તા છે. બોલે ત્યારે શ્રોતાજનો મુગ્ધ બની જાય છે. બંનેની આંખો પ્રભાવશાળી છે.

ઠીક છે. સમાચાર એવા છે કે અમિતાભ બચ્ચન જે દિવસે ગાંધીનગર આવ્યા તે દિવસે અમરસિંહે સમાજવાદી પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. આ બંને બાબતોને જોડીને એવી ટેબલસ્ટોરી લખાઈ કે ફિલ્મી પડદાના ‘શહેનશાહ’ હવે ગુજરાતના ‘જાણતા રાજા’ તરફ ઢળી રહ્યા છે. જોકે આ ટેબલસ્ટોરી સાચી હોવાની પૂરી શક્યતા છે. અમિતાભ જે જગ્યાએ પહોંચ્યા છે ત્યાં તેમને કોઈ ને કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાવું પડે. પહેલાં તેઓ કાઁગ્રેસ સાથે સંકળાયેલા હતા. સંકળાયેલા જ નહીં, તેમાંથી ચૂંટાયા પણ ખરા, પણ એ ક્ષેત્ર ફાવ્યું નહીં, એટલે છોડી દીધું, પણ પડદા પાછળ જોડાણ ચાલુ રાખ્યું. પરમ મિત્ર રાજીવ ગાંધી ગયા પછી સોનિયા સાથે બહુ ફાવ્યું નહીં (તેનાથી કદાચ વિરુદ્ધ પણ વાત હોઈ શકે.) અને અમરસિંહનો સાથ મળ્યો એટલે સમાજવાદી પક્ષના મહોરા (ગોવિંદાચાર્યની ભાષામાં કહીએ તો મુખૌટા) બની ગયા. સમાજવાદી પક્ષના રાજપાટમાં ફાયદો પણ મેળવ્યો. પત્ની જયાને સાંસદ બનાવીને રાજ્યસભામાં મોકલ્યાં. હવે અમરસિંહ ન રહેતા, મોદીની શાલનો પાલવ પકડ્યો હોય તેવું બની શકે.

અમિતાભ ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બને કે ન બને (આમ તો, મોદીને ગુજરાત માટે અમિતાભની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જરૂર જ નથી, પોતે જ એકે હજારા છે.) પણ હિન્દુત્વવાદી પક્ષ ભાજપના બ્રાન્ડ એમ્બેસેડર જરૂર બની શકે. કેમ? કારણો આ રહ્યાં :  (નીચેના દરેક વાક્યમાં ‘છબિ’ શબ્દ પર ખાસ ભાર મૂક્યો છે.)

(૧) એક તો, તેમની છબિ પરિવારવાદી છે. રેખા સાથે તથાકથિત પ્રણય પ્રકરણને બાદ કરીએ તો મોટા ભાગે અમિતાભ એકપત્નીવ્રતા જેવી છબિ ઉપસાવી શક્યા છે. હંમેશાં પરિવાર સાથે જ હોય છે. પોતે બાબુજી (પિતા) હરિવંશરાય અને માતા તેજી સાથે જ રહ્યા. છેક સુધી તેમની સેવા કરી. દીકરા અભિષેક સાથે પણ મિત્રતા જેવા સંબંધો છે. સાધુનો ભૂતકાળ ન જોવાય તેમ ઐશ્વર્યા રાયનો ભૂતકાળ ન જોઈએ તો ઐશ્વર્યા બચ્ચન એક આદર્શ વહુની ભૂમિકામાં હાલ તો ફિટ દેખાય છે.

(૨) શિસ્તપ્રેમી છે. સંસ્કારી વ્યક્તિ તરીકેની છબિ છે. હંમેશાં શુદ્ધ હિન્દી બોલે છે. ‘બિગ બોસ’માં પણ તેમણે શુદ્ધ હિન્દીનો જ આગ્રહ રાખેલો. ભાજપ જેને યુસૂફખાન તરીકે ઓળખવાનું પસંદ કરશે તે દિલીપકુમાર, શાહરુખ ખાન, જાવેદ અખ્તર વગેરેની જેમ ઉર્દૂના ડોઝવાળું હિન્દી બોલતા નથી. શાહરુખ કરતાં વિરુદ્ધ, શિષ્ટાચારવાળી વ્યક્તિ છે. સુપરસ્ટાર તરીકેનું અભિમાન છલકાતું નથી.

(૩) પરિવાર સાથે અવારનવાર મંદિરોની મુલાકાત લેતા જોવા મળે છે. આમ, ‘ધાર્મિક’ માણસ પણ છે.

(૪) ફિલ્મોદ્યોગમાં શાહરુખ, સલમાન ખાન, આમિર ખાન, સૈફ અલી ખાન…વગેરે ખાનોને આટલી મોટી ઉંમરે પણ સબળ હરીફાઈ પૂરી પાડે છે.

આમ, ભાજપ અને અમિતાભ હાથ મેળવે તો ફાયદો પરસ્પર બંનેને છે.

(To read it in English, please click : http://jaywant-pandya.blogspot.com/ or

http://jaywantpandya.instablogs.com/entry/amitabh-and-narendra-modi-rishtey-main-to-hum-sab-ke/ or

http://blogs.bigadda.com/jaywantpandya/2010/01/14/amitabh-and-narendra-modi-rishtey-main-to-hum-sab-ke/)

→ 13 CommentsCategories: celebrity · politics
Tagged: , , , , , , ,

અબે, ઇબેની જાહેરખબર મેં યે કૌન?

01/01/2010 · 3 Comments

દૂરદર્શનકાળ! ૨૦૦૯માં દૂરદર્શનનાં ૫૦ વર્ષને ઘણાએ યાદ કર્યા, ઘણાએ નહીં. એ વખતની સ્મૃતિઓ જ્યારે તાજી થઈ જાય છે ત્યારે હૃદયના ઘણા તાર ઝણઝણી ઉઠે છે.

આઈયેં હાથ ઉઠાયેં હમ લોગ : કહાં ગયે વો લોગ?

એ વખતે દૂરદર્શન પર દેખાતા ઘણા કલાકારો હજુ ક્યાંક ને ક્યાંક, નાના કે મોટા પડદે જોવા મળે છે. ‘હમ લોગ’માં એ વખતની સામાન્ય ગૃહિણીઓ જેવી ગૃહિણી ભાગ્યવંતી (જયશ્રી અરોરા) ‘યહાં મૈં ઘર ઘર ખેલી’ સિરિયલમાં જોવા મળે છે. લલ્લુ બનતા રાજેશ પુરી સબ ટીવી પર ‘ગનવાલે દુલ્હનિયાં લે જાયેંગે’માં દેખાતા હતા. આ સિરિયલનું તેમણે નિર્દેશન પણ કરેલું. અત્યારે સબ ટીવી પર ‘સોનુ સ્વીટી’માં સોનુ (વરુણ બડોલા)ના બોસ તરીકે દેખાય છે. નન્હેં (અભિનવ ચતુર્વેદી)ને છેલ્લે ‘સૌદાગર’માં જોયાનું યાદ છે. બસેશરરામ ( વિનોદ નાગપાલ)ને છેલ્લે ‘કર્મા’ ફિલ્મમાં જોયા હતા. બડકી (સીમા ભાર્ગવ ) ને વચ્ચે કોઈક સિરિયલમાં જોયાં હતાં, પણ સિરિયલનું નામ યાદ નથી (અથવા નામ યાદ રાખવા જેવી સિરિયલ નહીં હોય.) ઉષા રાની બનતા રેણુકા ઇસરાની છેલ્લે ‘મહાભારત’માં ગાંધારી તરીકે દેખાયાં હતાં. દાદીમા સુષ્મા શેઠ હવે લગભગ નિવૃત્ત જેવાં છે, બાકી તેઓ ‘દીવાના’ અને ‘બોલ રાધા બોલ’માં ઋષિ (અંગ્રેજી સ્પેલિંગના કારણે રિશી ખોટું લખાય છે) કપૂરનાં માતા તરીકે દેખાયાં હતાં. સિરિયલમાં પ્રિન્સ અજય સિંહ બનેલા આસિફ શેખ ‘રામા ઓ રામા’માં હીરોથી લઈને ‘૯૦ના દાયકામાં બનેલી ડેવિડ ધવનની ફિલ્મો જેવી કે ‘કુંવારા’, રાકેશ રોશનની ફિલ્મો  જેવી કે ‘કરણ અર્જુન’માં નિયમિત રીતે દેખાતા, એટલું જ નહીં, નાના પડદાની જ વાત કરીએ તો, ‘ક્યૂંકિ સાસ ભી કભી બહુ થી’ની સાથે લાંબા સમય સુધી ચાલેલી સિરિયલ ‘યસ બોસ’માં બોસ વિનોદ વર્મા તરીકે એકધારા દેખાયેલા છે. હવે તેઓ  ’યે ચંદા કાનૂન હૈ’માં વકીલ વિભૂતી નારાયણના પાત્રમાં જોવા મળે છે.

આ ઉપરાંત અર્ચના જોગલેકર (કિસ્સા શાંતિ કા સિરિયલ અને ‘સંસાર’ ફિલ્મ ફેમ) ક્યાંય દેખાતી નથી. હા, જયંત કૃપલાણી સાથે ‘મિ. એન્ડ મિસીસ’થી જોયેલાં અર્ચના આજે પણ ‘કોમેડી સર્કસ’માં અર્ચનાહાસ્ય (અટ્ટહાસ્ય કરતાંય ચડી જાય તેને શું કહેવું?!) કરતી અને ‘દે ધના ધન’માં અક્ષયને ધના ધન લાત મારતી જોવા મળે છે.  જયંત કૃપલાણી લગભગ અદૃશ્ય છે. એવું જ ગિરીશ કર્નાર્ડનું છે. (આ બધી વાતો હિન્દી સિરિયલ કે ફિલ્મોના સંદર્ભમાં થઈ રહી છે.)  ’કરમચંદ’ પંકજ કપૂર ફિલ્મોમાં અને હમણાં ‘ઓફિસ ઓફિસ’ સુધી સિરિયલોમાં પણ સક્રિય હતા. હમણાંથી ખાસ દેખાયા નથી. ‘કરમચંદ’ની કિટી સુષ્મિતા મુખર્જી દૂરદર્શન પર ‘કભી સાસ કભી બહુ’માં સાસુ તરીકે તેની સાસુ અને પુત્રવધૂ વચ્ચે પીસાતી (અલબત્ત, રમૂજી સિરિયલમાં) જોવા મળે છે.  દૂરદર્શનકાળની સિરિયલોના કલાકારો  નામો યાદ કરવા બેસીએ તો ઘણી લાંબી યાદી થાય.

પણ સાથે સમાચારવાચકોનાં બેચાર નામો યાદ કરવાનો મોહ છૂટતો નથી. શમ્મી નારંગ, જેબી રમન, વેદ ચતુર્વેદી, રિની સાયમન, મંજરી જોશી, અવિનાશ સરીન, સરલા મહેશ્વરી…આ બધાં ક્યાં છે? કહાં ગયે વો લોગ?

ક્રિકેટની કોમેન્ટરી જેમના વિના અધૂરી ગણાતી : ડૉ. નરોત્તમ પુરી

જોકે હમણાં એક સુખદ આશ્ચર્ય થયું, ઇબે (અબે નહીં) નામની ઓક્શન વેબસાઇટની જાહેરખબરમાં દૂરદર્શનકાળના હમણાં સુધી સાવ ગૂમનામ થઈ ગયેલાં સિતારાને જોઈને. આ બે સિતારા એટલે ક્રિકેટની અંગ્રેજી કોમેન્ટરીમાં હર્ષ (હર્ષા ખોટું છે) ભોગલેની જેમ એ દિવસોમાં અનિવાર્ય મનાતા ડૉ. નરોત્તમ પુરી અને અંગ્રેજી સમાચાર વાચક કોમલ જીબી સિંહ. ડૉ. પુરી તો હજુ એવા ને એવા જ છે. નાની પાતળી મૂછો. પણ કોમલ શરીરે ઘણા ભરાવદાર થઈ ગયાં છે અને ચહેરા પર ઉંમર ચાડી ખાય છે.

સાધના શ્રીવાસ્તવ : દૂરદર્શનના સુવર્ણકાળની સોનેરી સ્મૃતિ

અને હા, ઉદ્ઘોષક તરીકે આવતાં સાધના શ્રીવાસ્તવ! તેમની તસવીર નેટ પર મળી ગઈ. તે જોઈને દૂરદર્શનકાળના, લગભગ મંગળવારે આવતા  ’આપ ઔર હમ’ કાર્યક્રમની યાદ તાજી થઈ ગઈ, જેમાં દર્શકોના પત્રો વંચાતા.

રાજેન્દ્રકુમારનું  પેલું ગીત યાદ આવે છે ને, યાદ ન જાયે બીતે દિનોં કી!

(To read it in English, click : http://jaywantpandyasblog.blogspot.com/)

→ 3 CommentsCategories: doordarshan · television
Tagged: , , , , , , , ,

‘તું’કારો કે ‘તમે’કારો :કોને આવકારો?

30/12/2009 · 4 Comments

આપણે ભગવાનને ક્યારેય તુંકારે નથી બોલાવતા. રામ હોય કે વિષ્ણુ, શંકર હોય કે બ્રહ્મા, પાર્વતી હોય કે દુર્ગા કે પછી લક્ષ્મી, બધાને માનવાચક સંબોધન કરીએ છીએ. પ્રભુ તમે મારી પ્રાર્થના સાંભળજો. પણ આમાં કૃષ્ણ એવા ભગવાન છે કે જેના માટે આપણે માનવાચક સંબોધન પણ કરીએ છીએ અને તુંકારો પણ કરીએ છીએ. કાનુડો, કનૈયો એવા તુંકારાવાળા સંબોધન કૃષ્ણને કરીએ છીએ.

આના આધારે એક વાત એવી કહેવાય છે કે જેના પ્રત્યે પ્રેમ હોય તેને આપણે તુંકારે બોલાવીએ. માની સાથે જન્મ પહેલાનો એટલે કે ગર્ભાવસ્થાથી સંબંધ છે. એટલે માને મા કહો, બા કહો કે મમ્મી કે પછી મોમ, તેને ઘણા બાળકો તુંકારે બોલાવતા હશે. પણ પિતાને ક્યારેય તુંકારે નથી બોલાવતા. પિતાનું હંમેશાં માન જાળવવું પડે, નહીં તો આવી બને!

જોકે આ જ કારણોસર ઘણા પિતા એવો આગ્રહ રાખતા હોય છે કે તેમનું સંતાન તેની માને તુંકારે નહીં માનવાચક બોલાવે, જેમ કે, મમ્મી આજે મારા માટે રીંગણાનું શાક કરજો. માનવાચક સંબોધનમાં એક અંતર આવી જાય છે તે ચોક્કસ વાત છે. એટલે સંબોધનમાં જ નહીં વ્યવહારમાં પણ તેનું માન સચવાય છે.

અગાઉ કોલેજકાળમાં જ્યારે વ્યક્તિ પ્રવેશે ત્યારે કોલેજકાળથી એકબીજાને માનાર્થે બોલાવવાનું શરૂ થઈ જતું. રમલામાંથી રમેશનું રમેશભાઈ થઈ જાય. મેહુલિયો મેહુલભાઈ બની જાય. હંસલીનું હંસાબહેન થઈ જાય. આનાથી આદર જળવાતો.

વ્યવસાયમાં પણ એવું જ હતું. એકબીજાને માનાર્થે બોલાવાતા. એ ચલણ હવે ઘટી રહ્યું છે. અંગ્રેજીમાં માનવાચક જેવો શબ્દ નથી. હા, ઇશ્વર માટે Thou વપરાય છે. બાકી, તું અને તમે બંને કિસ્સામાં અંગ્રેજીમાં You જ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ મુજબ, ચાલતા ઘણા લોકો બીજાને તુંકારે તો બોલાવે છે સાથે પોતાને પણ તુંકારે બોલાવાય તેવો આગ્રહ રાખતા હોય છે.

જોકે, કાનુડાના કિસ્સાની જેમ પ્રેમ હોય તો અલગ વાત છે, બાકી મોટા ભાગે તુંકારો મીઠો નહીં, તોછડો લાગતો હોય છે. જોકે મજાની વાત એ છે કે ઘણા લોકો જાતે જ પોતાને માનવાચક બોલાવે. ફોન કરે ત્યારે કહે, ‘ગોપાલભાઈ બોલું છું.’ પોતે જ પોતાની જાતને ગોપાલભાઈ કહી દે જેથી સામેવાળો એ જ નામે બોલાવે.

તમે શેમાં માનો છો, ‘તું’કારામાં કે ‘તમે’કારામાં?

→ 4 CommentsCategories: language · society
Tagged: , , , , , , , ,

યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ કરેંગે…

03/12/2009 · 10 Comments

ઘણા સારા ઇમેઇલો મળતા હોય છે. માત્ર ઇમેઇલનો બ્લોગ બનાવવામાં આવે તો રોજ એક પોસ્ટ મૂકી શકાય. વેદ ઉપનિષદ સાથે સરખામણી કરવી હોય તો એક વાતે કરી શકાય કે આ ઇમેઇલના સર્જક-લેખક કોણ છે તે ખબર પડતી નથી. મોકલનારનું ઇમેઇલ ડિલિટ કરીને ફોરવર્ડ કરાતો હોય છે. ખેર, મને હમણાં મારા અમેરિકા સ્થાયી થયેલા મિત્ર નીલેશ ત્રિવેદી પાસેથી સુંદર ઇમેઇલ મળ્યો. (બાય ધ વે, ઇમેઇલને નારીજાતિ કહી શકાય કે નરજાતિ? એટલે કે ઇમેઇલ મળ્યો કે મળી? ઇમેઇલ એટલે કાગળના સંદર્ભમાં લઈએ તો ઇમેઇલ મળ્યો લખાય. અને ઇમેઇલ એટલે ટપાલ કરીએ તો ઇમેઇલ મળી લખાય.) તેનું ગુજરાતી કરીને, તેમાં મારી ઘણી નવી  ટિપ્પણીઓ ઉમેરીને અહીં આપું છું. આ ઇમેઇલ ૭૦-૮૦માં જ્યારે બાળપણ વિતી રહ્યું હતું ત્યારની રોમાંચક સ્મૃતિઓ તાજી કરી દે છે.

70s-80s : Ballbottom, Maxis, HMT Watches, Fiat...etc.

૧. તમે ૫-૮ વર્ષના હતા ત્યારે પહેલા બેલબોટમ કે પહેલી મેક્સી મેળવીને ખૂબ આનંદ થયો હતો.

૨. ફેન્ટમ અને મેન્ડ્રેક (ફૂલવાડીમાં તેની ચિત્રવાર્તા આવતી હતી તે યાદ હશે)ની ચિત્રવાર્તા વાંચવી આનંદદાયક હતી. નિરંજન, ચાંદામામા, ચંપક, ઝગમગ, લોટપોટ, નંદન વગેરે વાંચવાની કેવી મજા પડતી! થોડા મોટા થયા પછી ચક્રમ, સ્કોપ, કમ્પિટિશન સક્સેસ રિવ્યૂ વાંચતા થયા.

૩. ભાવનગરમાં ગાંધી સ્મૃતિમાં પુસ્તકાલયમાં જઈને મૃચ્છકટિકમ્, મહાભારત, ઝાંસીની રાણી વગેરેની ચિત્રકથાઓ ગુજરાતીમાં જ વાંચવાની કેવી મજા પડતી! અલબત્ત, એ સમય વેકેશનનો જ રહેતો.

૪. કંપાસ બોક્સ વર્ષોના વર્ષ એક જ રહેતું. નટરાજ પેન્સિલ, કેમ્લિન, ફ્લોરા પેન્સિલ વગેરેની બોલબાલા રહેતી.

70s-80s : Ballbottom, Maxis, HMT Watches, Fiat...etc.

૫. ઘરમાં ફઇ અને તેમનાં સંતાનો-પિતરાઇ ભાઈઓ-બહેનોની વેકેશનમાં રાહ આતુરતાથી જોવાતી. તેઓ આવે એટલે મુંબઈ, અમદાવાદ વગેરે શહેરોની નવાજૂની, ત્યાંની ફેશન, ત્યાંના ટ્રેન્ડ જાણવા મળતા. વેકેશનમાં કોઈ છોકરો ઘરની અંદર જોવા ન મળે.

૬. પહેલી કાર એમ્બેસેડર હતી, પરંતુ તેને ઘણીવાર ધક્કો મારીને ચલાવવી પડતી! પછી પદ્મિની, ફિયાટ પણ આવેલી.

૭. કારમાં બારીના કાચ પર કપડાંના સિવેલા પડદા ટિંગાડાતા. બારીનો કાચ ઘણી વાર અડધે સુધી જ ખુલતો.

૮. પેપ્સી કોલા (૨૫ પૈસાની આવતી-પ્લાસ્ટિકની કોથળીમાં ઓરેન્જ કે કાલા ખટ્ટાના શરબતને થિજાવીને બરફ બનાવી દેવાતી), ભૂંગળા, બટેટી, ચણામઠ, વગેરે નાસ્તો રહેતો.

૯. વેકેશનમાં ઘણી વાર દાદીને ગોદડાં ઘરે સીવતા જોયા છે. બાને (મમ્મી) ચેવડો, ચવાણું, પુરી, ફરસી પુરી, મઠિયા, ઘૂઘરા, ફાફડા, સેવ, ગાંઠિયા, સેવમમરા જેવો નાસ્તો બનાવતી જોઈ છે.

૧૦. ઉનાળાનું વેકેશન એટલે કેરી-ગુંદાનું તીખું અથાણું, મુરબ્બો, છુંદો, ગોળ કેરીનું અથાણું ખાવાની સિઝન! સૂકવેલી હળદર-મીઠું લગાડેલી કેરી  ખાવાની કેટલી મજા પડતી! આવી જ રીતે ઉનાળામાં બટેટાની પતરી (વૅફર) પણ ઘરમાં જ બનતી, જે આખું વર્ષ ચાલતી. ઉનાળામાં ઘઉંમાંથી કાંકરા પણ વીણતા.

70s-80s : Ballbottom, Maxis, HMT Watches, Fiat...etc.

૧૧. ઘડિયાળ એટલે એચએમટી, બિસ્કિટ એટલે પારલે જી, ટીવી એટલે ક્રાઉન, સાઇકલ એટલે એટલાસ, ટૂથપેસ્ટ એટલે કોલગેટ.

૧૨. પિક્ચર જોવા જવાનું હોય એટલે તે તો પિકનિક પર જવા જેવું.

૧૩. કપડાંની એક કે બે જોડી દિવાળી પર જ ખરીદવા મળતી. આવું જ ચંપલ કે બૂટનું હતું.

૧૪. સર્કસ જોવા જવાની પણ કેવી મજા પડતી નહીં? રાઇડ્સ, જેને તે વખતે ચકડોળ કહેતા, તેની મજા દિવાળી કે જન્માષ્ટમી પર લાગેલા આનંદ મેળામાં જ મળતી. (હવે તો, અહીં અમદાવાદમાં તો પ્રહલાદ નગર કે વસ્ત્રાપુર તળાવના બગીચામાં કાયમી રાઇડ્સ હોઈ ગમે ત્યારે, ગમે તેટલી વાર તેની મોજ માણી શકાય છે.)

૧૫. રેડિયો પર હવા મહેલ કે સવારમાં પ્રભાતિયા સાંભળવાની એક મજા હતી. અમીન સયાનીનું પહેલા ‘બિનાકા ગીતમાલા’ અને પછી ‘સિબાકા ગીતમાલા’ (ઘણા સબાકા પણ કહેતા) તો ઓહોહો! છેક બારમા ધોરણ સુધી એ સાંભળેલું. ડિસેમ્બરમાં આખા વર્ષના ટોપ ટેન કે ટ્વેન્ટી ગીતોની-ગાયક-સંગીતકાર-ગીતકાર-ફિલ્મ-વર્ષ એમ યાદી બનતી.

૧૬. નોટબુકમાં ગીતો લખાતા. એક વાર સાંભળ્યે ગીત ન લખાય. અનેક વાર સાંભળો ત્યારે એક ગીત આખું લખાય.

૧૭. ટીવી જોવા અને પછી વીસીઆર આવતા, કોઈ પણ ઓળખાણ વગર, વગર પૂછ્યે ફ્લેટમાં રહેતા લોકોના ઘરે ફિલ્મ જોવા ઘૂસી જતા. ચારપાંચ પડોશી પૈસા કાઢીને વીસીઆર લાવતા તેવુંય બનતું. વિડિયો કેસેટ લાવવા માટે કોઈની ઓળખાણ આપવી પડતી. મેં એક વાર વિડિયો કેસેટની દુકાનની સામે આવેલા ‘ડોન ન્યૂઝ પેપર’ સ્ટોર (જે આજે પણ ત્યાં જ છે)ના નટુદાદાની ઓળખાણ આપેલી.

૧૮. સવારે દોડવા જતા ત્યારે મંગળવાર હોય તો સવારે ૬.૩૦ વાગ્યામાં ફૂલવાડી લઈને ઘરે આવતા! સ્ત્રી, જી, ધર્મસંદેશ,ગૃહશોભા, ચિત્રલેખા વગેરે મેગેઝિનો ઘણા વંચાતા.

70s-80s : Ballbottom, Maxis, HMT Watches, Fiat...etc.

૧૯. બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી, શટરવાળા કેસની અંદર મૂકાતું. તેની પર રંગીન કાચ લગાડીને ટીવીમાં દેખાતું ચિત્ર રંગીન થયાનો સંતોષ મનાતો. શનિવારે સાપ્તાહિકી આવે તો આખા અઠવાડિયાના કાર્યક્રમોની નોંધ એક નોટબુકમાં કરી લેતા. બુધવારે છાયાગીત અને શુક્રવારે ચિત્રહાર જોવાની ઉત્સુકતા રહેતી.

૨૦. કોઈ નેતા મરી જાય તો ત્રણ દિવસ ટીવીમાં એટલે કે દૂરદર્શનમાં કંઈ ન આવે. માત્ર શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો આવે.

૨૧. ૨૬મી જાન્યુઆરી કે ૧૫ ઓગસ્ટ આવે ત્યારે ‘હમ હોંગે કામિયાબ એક દિન’ કે ‘સારે જહાં સે અચ્છા’ ગીતના રિહર્સલના કાર્યક્રમો એટલા દિવસ આવે કે તમને એ ગીત મોઢે થઈ જાય.

૨૨. પીસી એટલે કે કમ્પ્યૂટર જેવું કંઈક છે તે દૂરદર્શન પર ‘પીસી કી મૌસી’ નામની ફરીદા જલાલ અને સતીશ શાહની એક સિરિયલથી જાણવા મળેલું.

૨૩. બાજુમાં કોઈને ત્યાં ફ્રિજ હોય તો ત્યાં બરફ લેવા બરણી લઈને પહોંચી જતાં. ટ્રેમાંથી બરફ કાઢી, વળતા સૌજન્યમાં ટ્રેમાં પાણી ભરી પાછી ટ્રે ફ્રિજમાં મૂકી દેતા. કોઈ સારી વાનગી બની હોય તો એકબીજાના ઘરે આપવા જવાનો રિવાજ હતો.

૨૪. શિક્ષકો તમારા પરિણામની ચિંતા કરતા. તમે ઇત્તર પ્રવૃત્તિમાં ભાગ લો તે માટે પ્રોત્સાહન આપતા.

૨૫. શાળામાં રોજ અલગ-અલગ પ્રાર્થના રહેતી. ધર્મ સાથે જોડીને વાત કરાતી.

૨૬. ફોટોગ્રાફ મોટા ભાગે ડાર્ક આવતા. વાસ્તવિક કરતાં ઘણા ખરાબ.

તમને આવી કોઈ સ્મૃતિ યાદ આવે છે? તો અહીં કોમેન્ટ રૂપે મૂકો.

(To read this post in English, click : http://jaywant-pandya.blogspot.com/2009/12/70s-80s-ballbottom-maxis-hmt-watches.html)

→ 10 CommentsCategories: society
Tagged: , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

ઈશ્વરની દુનિયા, ફિલ્મ, સિરિયલ, રિયાલિટી શો અને ક્રિકેટ : શું બધે હીરો, હિરોઇન અને વિલન હોય જ?

27/11/2009 · Leave a Comment

શ્રી રામ, સીતાજી અને રાવણ.

શ્રી કૃષ્ણ, રૂક્મિણી અને સામે-કંસ, જરાસંધ, દુર્યોધન…

રામાયણ અને મહાભારત એ બે મહાકાવ્યોને આપણે ધર્મગ્રંથો તરીકે સ્વીકાર્યા છે. શ્રીરામ અને શ્રી કૃષ્ણ આપણા રિયલ હીરો છે.  આ બે ધર્મગ્રંથો ઉપરાંત જેટલી પણ ધર્મકથા સાંભળશો તો તેમાં દેવ અને દાનવની વાત આવશે જ. માતાજીના ચંડીપાઠમાં પણ માતાજી અને સામે પક્ષે શુંભ, નિશુંભ, મહિષાસુર, ચંડ, મુંડ વગેરેની વાત આવે છે.

સવાલ એ છે કે શું હીરો, હિરોઈન અને વિલનની વાત માત્ર ફિલ્મોમાં નહીં, બધે જ આવે?

નવલકથા, નવલિકા,વાર્તા (રાજા, રાણી અને એક દુષ્ટ પ્રધાન કે રાક્ષસની બાળપણમાં સંભળાવાતી વાર્તા)માંય નાયક, નાયિકા અને દુષ્ટ માનવીની વાત હોય છે જ.

હીરો-હિરોઇન અને વિલન વગર આપણી હિન્દી ફિલ્મોય અધૂરી છે. જોકે, છેલ્લા ઘણા સમયથી, ખાસ તો મલ્ટિપ્લેક્સ સિનેમા અને રામગોપાલ વર્મા, સંજય ગુપ્તા, મહેશ માંજરેકર જેવા દિગ્દર્શકો આવ્યા પછી નાયક-નાયિકા ૨૪ કેરેટના સોના જેવા જ હોય  તેવું બતાવાતું નથી.

કોઈ પણ સિરિયલો લો, તેમાંય આ આ ત્રણ પ્રમુખ તત્ત્વો હશે જ.

રિયાલિટી શોમાં રિયાલિટી હોવાનું કહેવાય છે, પરંતુ ખરેખર તો તેય સ્ક્રિપ્ટેડ હોય તેવું લાગે છે. ‘બિગ બોસ’ની કોઈ પણ શ્રેણી લો, તેમાં એક પુરુષ એવો હશે જેને થોડો  સારો બતાવાયો હશે, એક રૂપાળી સ્ત્રી હશે અને એક વ્યક્તિ એવી હશે જેના પર લોકોને ધિક્કાર છૂટે. (ગઈ શ્રેણીમાં રાહુલ મહાજનને હીરો, મોનિકા બેદી-પાયલ રોહતગીને તેની હિરોઈન અને રાજા ચૌધરીને વિલન બતાવવા પ્રયાસ હતો, આ વખતે હીરો તરીકે પ્રવેશ, હિરોઇન તરીકે ક્લાઉડિયા અને વિલન તરીકે કમાલ ખાન છે. કમાલ આઉટ થઈ ગયો હોવા છતાં તેને વાઇલ્ડ કાર્ડ દ્વારા લઈ અવાયો. દેશનો આદેશ કોણ માને છે?)

કમનસીબે, ક્રિકેટમાંય આવું થવા લાગ્યું છે. શ્રીસંત અને હરભજનનું લાફા પ્રકરણ થયેલું તે શું હતું?

સૂરજ બડજાત્યાની ફિલ્મોમાં દેખાડાય છે તેવા લોકો- તેવી દુનિયા ક્યાંય હશે ખરા? કે બધું જ સ્ક્રિપ્ટેડ જ હશે? ઈશ્વરને કહેવાનું મન થાય છે કે તું આવી સ્ક્રિપ્ટ કેમ લખે છે, જેમાં હીરો-હિરોઈન છેક સુધી વિલનના હાથે પીટાયા રાખે અને છેલ્લા સીનમાં હીરો વિલનને બેત્રણ મુક્કા મારે?

→ Leave a CommentCategories: celebrity · film · spirituality · television
Tagged: , , , , , , , , , , , , , , , , , ,

હાશ! અમદાવાદ-ભાવનગર હાઇવે ફોર ટ્રેક બનશે!

27/11/2009 · 2 Comments

ભાવનગર…એક ખૂણામાં પડી ગયેલું ગુજરાતનું શહેર. બીજી બધી વાતો જવા દઈએ તોય જ્યારથી ભાવનગરથી અમદાવાદ આવવાનું થતું હતું અને ૨૦૦૩માં અમદાવાદ સ્થાયી થયા પછી અમદાવાદથી હવે ભાવનગર જવાનું થાય છે ત્યારે એક પ્રશ્ન જરૂર થતો હતો. અમદાવાદ-ભાવનગર હાઇવે ક્યારે ફોર ટ્રેક બનશે?

આજના ‘સંદેશ’માં સમાચાર છે કે, આખરે હવે એ નક્કી થયું છે (હજુ પણ ક્યારે ખરેખર સાકાર થશે તે પ્રશ્ન તો છે જ) કે ભાવનગર-અમદાવાદ હાઇવે ફોર ટ્રેક બનશે.

બીજી વાત, કલ્પસર યોજનાની વાતો પણ ઘણાં વર્ષોથી (ચીમનભાઈ મુખ્યમંત્રી હતા તે સમયથી) સાંભળતો આવ્યો છું. તેની તો હવે વાત સંભળાવાનીય બંધ થઈ ગઈ છે. મોદીજી, રાજકીય રીતે બહુ શક્તિશાળી નહીં તેવા ભાવનગરના વિકાસ તરફ દૃષ્ટિ કરશો? બાકી, અસામાજિક- રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિની રીતે ભાવનગર ઘણું સંવેદનશીલ બનતું જાય છે. ખાસ તો આસપાસ દરિયાકિનારો હોવાથી.

 

→ 2 CommentsCategories: bhavnagar
Tagged: , , , , , , , , ,

મનમોહનસિંહની ‘આ અબ લૌટ ચલે’ અપીલ અંગે વિચારણાલાયક પ્રશ્નો

27/11/2009 · 3 Comments

આપણા વડા પ્રધાન મનમોહનસિંહે પરદેશી બની ચૂકેલા ભારતીયોને સ્વદેશ પાછા આવીને ભારતના વિકાસમાં સહયોગ આપવાની અપીલ તેમના અમેરિકાના પ્રવાસ દરમિયાન કરી. અપીલ તો સારી છે, પરંતુ વિચારવું જોઈએ કે,

- ભારતીયો સ્વદેશ છોડીને કેમ જાય છે?

-  જો બિનનિવાસી ભારતીયો ભારતમાં પાછા આવી જશે તો તેમની વ્યવસ્થા અહીં થઈ શકે તેમ છે?

- શું ભારતની વસ્તી એમ જ ફાટફાટ થતી નથી? અને તેના કારણે ઘરથી માંડીને ટ્રાફિક સહિતના પ્રશ્નો ઉદ્ભવેલા નથી?

- શું બિનનિવાસી ભારતીયોને પરદેશમાં જે સુખસગવડ મળે છે તેવી અહીં મળશે? તેમને ત્યાં જે પેકેજ મળે છે, ત્યાં જે આદરસન્માન મળે છે, તેમની જેવી કદર ત્યાં થાય છે તેવી અહીં થઈ શકશે?

અલબત્ત, બિનનિવાસી ભારતીયો પાછા ફરે તો ભારતને ફાયદો જ છે, કમ સે કમ, ઘૂસણખોર બાંગ્લાદેશીઓ કરતાં તો સારા જ. જોકે, દેશની પ્રગતિમાં તેમના આવવાથી કેટલી ઝડપ આવે તે જોવું પડે કેમ કે, ભારતની હવા જ કંઈક એવી હોય કે કેમ ખબર નહીં, બહાર જઈને આપણા ભારતીયોની શક્તિ વધુ ખીલે છે.

→ 3 CommentsCategories: national
Tagged: , , , , , , ,

ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત કરો ને!

26/11/2009 · 16 Comments

સુનીલ શેટ્ટી  આપણા ગુજરાતી અભિનેતા એવા મનોજ જોશીને ટકોર કરી ગયો. દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, ફિલ્મ ‘દે ધના ધન’ના પ્રમોશન માટે અમદાવાદ આવેલા અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી અને મનોજ જોશી પૈકી મનોજ જોશી લોકો સાથે હિન્દીમાં વાતો કરતા હતા ત્યારે સુનીલે ટકોર કરી,

‘ભાઈ, ગુજરાતી છો તો ગુજરાતીમાં વાતો કરો ને.’

આ ટકોર મને સ્પર્શી ગઈ છે.

બાકી, અગાઉ પણ એક પોસ્ટમાં મેં લખ્યું હતું કે, ગુજરાતીમાં, ખાસ કરીને, અમદાવાદમાં બે અજાણ્યા મળે એટલે પહેલાં હિન્દીમાં કે અંગ્રેજીમાં જ વાત શરૂ થાય, ખાસ તો જ્યારે બેમાંથી એક વ્યક્તિ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર, ઇન્ટરનેટ પ્રોવાઇડર કે અન્ય કોઈ કંપનીમાં હોય. સરવાળે બને એવું કે બંને ગુજરાતીઓ હિન્દીમાં જ વાતો કરતા હોય. કેવી વક્રતા!

હમણાં એક મિત્ર સાથે મોબાઇલ કંપનીમાં જવાનું થયું. મિત્રે જ સીધી ગુજરાતીના બદલે હિન્દીમાં વાતો શરૂ કરી. મોબાઇલ કંપનીનો પેલો ભાઈ બીજા કોઈ સાથે ગુજરાતીમાં જ વાતો કરતો હતો. તોપણ મિત્ર હિન્દીમાં જ વાતચીત કરે. મિત્રને કહ્યું તો કહે તેમાં શું થયું? હિન્દી રાષ્ટ્રભાષા જ છે ને.

વાત સાચી. હિન્દી રાષ્ટ્રભાષા છે, પણ સાથે ગુજરાતીય માતૃભાષા નથી?

બાકી, સમાચારપત્રો કે સામયિકો તો રોજેરોજ જોઈએ તો દુઃખ થાય તેવા હેડિંગ હોય. અંગ્રેજી શબ્દો હોય તો સમજ્યા, પણ હવે તો ફોન્ટ (લિપિ) પણ અંગ્રેજી હોય, જેમ કે, RSS અને VHPનો એજન્ડા હતો…બેક Cover…Cover story….

આત્યંતિક ભલે લાગે, પણ ગુજરાતમાં એક રાજ ઠાકરેની જરૂર નથી લાગતી? (એ તો ચીમનભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીના કારણે ગુજરાતનું નામ ગાજતું અને ગુજરાતનું ઉપજતું થયું, બાકી, તો દૂરદર્શનમાં ૨૬મી જાન્યુઆરીની ઉજવણી ગુજરાતમાં થઈ તેની એક સેકન્ડની ક્લિપ જોવા મળે તોપણ આનંદ થતો તેવી સ્થિતિ હતી.) જય ગરવી ગુજરાત!

→ 16 CommentsCategories: language
Tagged: , , , , , , , , , ,

સારું ગીત, ખરાબ પિક્ચરાઇઝેશન

04/11/2009 · 2 Comments

ગઈ કાલે (તા. ૩ નવેમ્બર) ‘બીફોરયુ મ્યુઝિક’ ચૅનલ પર એક ગીત જોયું. ગીતની શરૂઆત અને અંતે ગીતના શરૂઆતના શબ્દો અને ફિલ્મનું નામ આપવાની પ્રથા અનુસાર, ગીતના શબ્દો હતા, ‘પત્તા પત્તા બુટા બુટા હાલ હમારા જાને હૈ’. મન આનંદથી ઉછાળો મારી ગયું.

લક્ષ્મીકાંત-પ્યારેલાલની રૂટિન શૈલીથી હટ કે આ ગીત હતું. લતાજી અને રફીસાહેબે અદ્ભુત ગાયું છે. અદ્ભુત-અદ્ભુત રચના.

પણ એમાં ખાસ વાત શું છે?

ખાસ વાત એ છે કે, ગીતના શબ્દો વાંચ્યા અને ફિલ્મનું નામ ‘એક નઝર’ વાંચ્યુ ત્યારે મનમાં તરત જ ઝબકારો ન થયો કે તેના કલાકારો કોણ હશે? પહેલી જ ક્ષણે જે શોટ આવ્યો તે દૂરનો હતો એટલે ચિત્ર હજુ પણ સ્પષ્ટ નહોતું. થોડી જ પળોમાં તે પણ થઈ ગયું અને ફરી એક ઉછાળો. ઓહ! આ તો મારા પ્રિય અભિનેતા અમિતાભ બચ્ચન પર ફિલ્માવાયું છે અને તેની સાથે તેમનાં પત્ની જયા, જે તે સમયે જયા ભાદુરી હતાં. મનમાં જ વિચાર્યું : ચાલો! અમિતાભના ખાતામાં વધુ એક કર્ણપ્રિય ગીત છે, ભલેને ફિલ્મ ફ્લોપ ગઈ હતી. પણ જેમ જેમ ગીત જોયું તેમ તેમ નિરાશા થતી ગઈ.

ગીત આટલું સુંદર, પણ બાબુમોશાયના ચહેરા પર ખાસ ભાવ આવતા નહોતા કે નહોતી કંઈ તેમની ખાસિયત મુજબની અદા. એ વખતે અમિતાભ હજુ અમિતાભ નહોતા. અને દિગ્દર્શકે પણ એટલે જ ગીતને ‘લોંગ શોટ’થી ફિલ્માવાનું પસંદ કર્યું હોય તેવું લાગ્યું.

આ છે સારું ગીત પણ ખરાબ ચિત્રીકરણ (પિક્ચરાઇઝેશન)નો નમૂનો. દૂરદર્શન જ હતું ત્યારે પણ અમુક જ ગીતો જોવા મળતા. (હજુય એવું જ છે. આ ‘એક નઝર’નું ગીત આટલાં વર્ષે જોવા મળ્યું. આ ગીત કોઈને ‘સારેગમપ’, ‘વોઇસ ઓફ ઇન્ડિયા’ કે ‘ઇન્ડિયન આઇડોલ’માં ગાવાનું કેમ નથી સૂજતું?) એ વખતે રેડિયો નું ચલણ વધુ હતું. ત્યારે ગીત સાંભળીને ઘણી વાર કલ્પના થતી તેના પિક્ચરાઇઝેશનની. એ વારંવાર સાંભળવાથી એ કલ્પના દૃઢ થતી. ‘કટી પતંગ’ના ‘યે જો મોહબ્બત હૈ’ની પણ કલ્પના કરી હતી કે રાજેશ ખન્ના અને આશા પારેખ વચ્ચે કંઈક ખાટોમીઠો ઝઘડો થયો હશે અને એટલે કાકા આ ગીત ગાતા હશે, પણ જ્યારે ફિ્લ્મ જોઈ ત્યારે? એ કલ્પના ભાંગીને ભુક્કો થઈ ગઈ. કાકા દારૂ પીને ગીત ગાય છે!

આ થયો સારું ગીત પણ ખરાબ ચિત્રીકરણ (પિક્ચરાઇઝેશન)નો વધુ એક નમૂનો.

‘આશિકી’નાં તમામ ગીતો પણ આવા જ નમૂના છે જે તદ્દન ભાવવિહીન રાહુલ રોય અને અનુ અગ્રવાલ પર ફિલ્માવાયાં છે.

તમને આવાં કોઈ ગીત યાદ આવે છે? તો અહીં કોમેન્ટ બોક્સ તમારી રાહ જુએ છે!

(Click to read in English : http://jaywantpandyasblog.blogspot.com/2009/11/good-song-bad-picturisation.html)

→ 2 CommentsCategories: film
Tagged: , , , , , , , , , ,