રાજકારણ-પ્રદેશકારણ
રાહુલ ગાંધી, શાહરુખ ખાન અને શિવસેના…
વિતેલા કેટલાક દિવસોમાં આ ત્રણેય ચર્ચામાં રહ્યા. માન્યું કે શિવસેનાને રાજ ઠાકરેની મ.ન.સે.ને મળેલા મતોને જોતાં પોતાનું વર્ચસ્વ પુનઃ સ્થાપવું છે, એટલે તે આ બધી ગર્જનાઓ કરે છે, પણ કેટલીક વાતો તેની માનવી પડે તેવી છે.
પહેલી તો, એમાં કોઈ બેમત જ ન હોઈ શકે કે મુંબઈ આખા ભારતનું શહેર કે નગરી છે. મુંબઈ કંઈ કાશ્મીર થોડું છે જેમાં તમારે જમીન ખરીદવી હોય તો ન ખરીદી શકો, જ્યાંથી, તમે પંડિત હો ને તમને ખદેડી મૂકવામાં આવે છતાં ભારત સરકાર (પછી તે કૉંગ્રેસ હોય કે ભાજપ) કંઈ ન કરે? પ્રશ્ન એ છે કે મુંબઈ કે થોડી મોટી કલ્પના કરીએ તો મહારાષ્ટ્ર, કે પછી ભારતનું કોઈ પણ રાજ્ય લો તો ત્યાં પહેલેથી કેટલીક જાતિ વસે છે. ગુજરાતમાં ગુજરાતી, કેરળમાં મલયાલી, પંજાબમાં પંજાબી, હરિયાણામાં હરિયાણવી…ત્યાં બહારના લોકો આવીને મૂળ સંસ્કૃતિ-ભાષાને બદલવા પ્રયાસ કરે તે ઘણા – ચાલો તેમને રૂઢિચુસ્ત જ નામ આપો-ને પસંદ ન પડે. આખરે, કોઈ પણ ઘરમાં પત્ની તરીકે સ્ત્રી આવે અને આવતા વેંત બધું બદલવા લાગે તો ઘરના લોકોને પસંદ પડશે? આનો જવાબ દિલ પર હાથ રાખીને આપો જોઈ!
મુંબઈમાં કદાચ દક્ષિણ ભારતીયો સાથે કે છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ભારતીયો સાથે, એટલે જ, મરાઠી માનૂસ અથવા તો (ભલે સેક્યુલરો રાજી રહે) મરાઠી માનૂસના બની બેઠેલા ઠેકેદારોને સંઘર્ષ ઊભો થયો કે થાય છે, ગુજરાતીઓ સાથે આવું ઓછું બન્યું છે…કેમ કે ગુજરાતીઓ બહુતયા ભળી જનારી પ્રજા છે. અરે, અહીં ગુજરાતમાં જ, ખાસ તો અમદાવાદમાં, ઉત્તર ભારતીયો-પંજાબીઓ -રાજસ્થાનીઓના કારણે, ઘણી વાર બે ગુજરાતીઓ પણ વાતચીત સીધી હિન્દીમાં શરૂ કરી દેતા હોય અને પછી તેમાં જ હંકાવ્યે રાખતા હોય પછી શું કહેવું? બહાર જાય તો તો ગુજરાતીઓ તેમની સંસ્કૃતિ અપનાવી જ લેવાના ને! આમેય ગુજરાતીઓ મોટા મનના ખરાને. જુઓને, ગુજરાતી ભાષામાં જ રોજ પડે ને કેટલા અંગ્રેજી શબ્દો ઉમેરાતા જાય છે. એક કટાર લેખકે કંઈક કંઈકના બદલે તાજેતરમાં સમથિંગ સમથિંગ લખ્યું હતું. આવું લખવાની જરૂર ખરી?
હવે વાત પાકિસ્તાની ખેલાડીઓને આઇપીએલમાં આમંત્રવાની.
શાહરુખ ખાન મને ગમતો કલાકાર છે, અત્યંત ગમતો નહીં. એવું તો કોઈ નથી. રોમેન્ટિઝમમાં શાહરુખને કોઈ ન પહોંચે. તેણે ઘરમાં સર્વધર્મ સમભાવનું ઉદાહરણ પણ બેસાડ્યું છે, તે પણ સ્વીકાર્યું. એ પણ માની લઈએ કે આઇપીએલને ચર્ચામાં રાખવા (જેમ ગયા વખતે તેણે સુનીલ ગાવસ્કરની ટીકા કરી હતી) તેણે પાકિસ્તાની ખેલાડીઓનો મુદ્દો ઉઠાવ્યો, પરંતુ તેને પ્રશ્ન પૂછાવો જોઈએ કે ખાન ભાઈ, તને ચર્ચામાં રહેવા બીજા કોઈ મુદ્દા ન મળ્યા? મુંબઈ પર ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ જે હુમલા થયા, (અથવા તો તે અગાઉ થયેલા અસંખ્ય હુમલાઓ ) તે પછી પણ તને પાકિસ્તાન પ્રત્યે કેમ પ્રેમ ઉભરાઈ આવે છે? અહીં ઘણા ખેલાડીઓ છે તેને જ, તક આપવી હોય તો આપ ને.
શિવસેનાના ‘સામના’ કે ‘દોપહર કા સામના’, જે હોય તે, માં સાચું જ લખાયું અને રાહુલ ગાંધી પ્રત્યે મુંબઈના લોકોનો પ્રેમ જોઈને તેણે નિરાશાથી લખ્યું કે જવા દો. આ લોકો માટે લડવા જેવું જ નથી, નહીં તો રાહુલ ગાંધીએ બિહારમાં ટિપ્પણી કરી હતી કે ઉત્તર ભારતીયોએ મુંબઈમાં લોકોને ત્રાસવાદી હુમલા વખતે બચાવેલા. તો શું મરાઠીઓ એ હુમલામાં રક્ષા કરવા નહોતા આવ્યા? હેમંત કરકરે, વિજય સાલસકર, અશોક કામટે વગેરે મરાઠી નહોતા? એ વાત સાચી કે આ બધા પહેલા તો ભારતીયો છે એટલે આ ચર્ચા જ નકામી છે, પણ શ્રીમાન રાહુલ મહાશય! તમે પણ શિવસેનાથી ઉતરતા તો નથી જ. એ વાતે તમારી જરૂર પ્રશંસા કરવી જોઈએ કે તમે કલાવતીના ઘરે જમવા કે લોકલ ટ્રેનમાં જવા સહિતના પ્રશંસનીય પગલાં ભરો છો (પણ માધ્યમો કે સુરક્ષાને સાથે લઈને.) શિવસેનાએ અંતે શાહરુખ સામે પારોઠનાં પગલાં ભર્યાં. બને કે કદાચ બંને વચ્ચે પૈસાથી લઈને કોઈ પણ રીતે સમાધાન થઈ ગયું હોઈ શકે, પરંતુ વાત તેણે ઉઠાવેલા મુદ્દાની છે. તેણે ઉઠાવેલા મુદ્દાઓ ખોટા નહોતા/નથી.
હકીકતે, લોકો જ પોતાના પર હુમલા હવે ભૂલી જાય છે અને એટલે જ તેમણે ચૂંટેલી સરકાર પણ. નહીં તો ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર આટલા હુમલા થયા, થતા રહે છે અને ભારત કંઈ પણ કરી ન શક્યું. અરે, હમણાં હમણાં તો ઓસ્ટ્રેલિયાએ ભારતને કહી દીધું : વંશવાદના હુમલાની રોકકળ હવે બંધ કરો! અરે! પાકિસ્તાન, બાંગલાદેશ, નેપાળ જેવા બગલબચ્ચુ પડોશીઓ પણ ભારતનું નાક વારેવારે ખેંચી જાય છે. (ભાજપની સરકારમાં બાંગલાદેશે આપણા બીએસએફના જવાનોને મારી નાખ્યા હતા, યાદ છે ને?) ચીનની સામે તો આપણો અવાજ જ નથી નીકળતો.
આ દેશને તો આઇપીએલ, ક્રિકેટ મેચો, હિન્દી ફિલ્મો, બિગ બોસ, સ્વયંવરો, સારેગમપ, મ્યૂઝિક કા મહામુકાબલા, ઝલક દિખલા જા, નચ બલિયે, જેવા શો અને સિરિયલો , મોબાઇલ, ઇન્ટરનેટનું કેફ જ આપ્યે રાખો. મોબાઇલ સસ્તા કરતા જાવ, પણ દૂધ, ખાંડ, કઠોળ ભલે મોંઘા થતા. કહે છે કે જ્યારે મોગલો અને તે પછી અંગ્રેજોનું આક્રમણ થયું ત્યારે રાજાઓ પાસે સમૃદ્ધિ ઘણી હતી અને એટલે તેઓ ભોગવિલાસમાં ડૂબેલા હતા. અહીં તો રાજા નહીં, પ્રજા પણ ડૂબી જાય તો શું કરવાનું? માત્ર આર્થિક સમૃદ્ધિથી કંઈ નહીં વળે, સાથોસાથ સુરક્ષા પણ જોઈએ, વિશ્વના દેશોમાં વજન પણ પડવું જોઈએ, નહીંતર આર્થિક સમૃદ્ધિનો કોઈ અર્થ નથી, શ્રીમન મનમોહનસિંહજી!
સિંહ જેવી ત્રાડ પાડતા પણ શીખો! સાચા સિંહ બનો!









