હમણાં એક જાતઅનુભવ થયો. એક્સિસ બેન્કમાં મારું ખાતું છે. ત્યાં હું અકસ્માત પામેલા મારાં સાળી માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવા ગયો હતો. રકમ મામૂલી હતી. ૧૦૦ રૂ.ની. ફોર્મ ભરીને લાઇનમાં ઊભો રહ્યો. વારો આવ્યો ત્યાં ટેલર કેબિન બહાર કોઈ મહાશય સાથે વાત કરતા હતા. પેલા મહાશયે મને કહ્યું કે બાજુની બારી પર જતા રહો. મેં દલીલ કરી, આટલી વારથી લાઇનમાં ઊભો છું, હવે વારો લઈ લો ને. એટલે કમને પેલા ટેલરને પાછું આવવું પડ્યું. કદાચ એટલે જ તેમણે મારી પાસે આઈડી પ્રૂફ માગ્યું. મેં દલીલ કરી કે ૧૦૦ રૂ.ની મામૂલી રકમ માટે આઇ.ડી. પ્રૂફ આપવાનું? ૨૫,૦૦૦ કે તેનાથી વધુ રકમ હોય તો હું સમજી શકું, તો કહે, નિયમ છે. મેં કહ્યું, નિયમ હોય તો લેખિત બતાવો. તો ના પાડી અને ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢવાની ના પાડી. ઘણી વાર આપણા પક્ષવાળા જ આપણી વિરુદ્ધ હોય તેમ, એક ગ્રાહક જે મારી પાછળ ઊભા હતા અને તેમને મારી રકઝકથી મોડું થતું લાગ્યું એટલે મને કહે કે ટેલરની વાત સાચી છે, નિયમ તો પાળવો જ પડે. તેમની સાથે દલીલ કર્યા વગર, હું ઘરે પાછો આવ્યો અને આઇ.ડી. પ્રૂફ લઈને પાછો ગયો.
આ વખતે પાછો લાઈનમાં ઊભો રહ્યો. લાઇનમાં પાછળ ઊભેલા એક અન્ય ભાઈએ મને કહ્યું કે બાજુની બારી પર કોઈ નથી, જતા રહો. મને થયું કે આની પહેલાં, મને બેન્કવાળા ભાઈએ જ બાજુની બારી પર જવાનું કહેલું તો લાવ જતો રહું. ત્યાં આમેય કોઈ નથી. બાજુની બારી પર એક બહેન હતા. તેમણે મને પેલી બારી પર જ ડિમાન્ડ ડ્રાફ્ટ નીકળશે તેમ કહ્યું. એટલે ગ્રાહકની લાઈનમાં જે ભાઈએ મને આ બારી પર જવાની સલાહ આપી હતી તેમણે મારી જગ્યા કરી આપી. મારો વારો આવ્યો એટલે પેલા ટેલરભાઈએ ફરી આઇડી પ્રૂફની દલીલ કરી. મેં કહ્યું, આ રહ્યું આઈડી પ્રૂફ, પણ મને નિયમ બતાવો. એટલે તેમણે મેનેજર પાસે જવા કહ્યું.
મેનેજર પાસે જઈને મેં કહ્યું કે મારે ફરિયાદ કરવાની છે. એટલે પહેલાં ૧૦ મિનિટ તો બીજા કોઈ ભાઈ મળવા આવેલા તેમની સાથે જ વિતાવી. તે ભાઈ ઉપરના માળે ગયા એટલે ફોનમાં તેમના સહકર્મચારીને કહ્યું કે આ જે ભાઈ આવ્યા છે તે લપિયા છે, તેને તું ફૂટાવજે. ફોન પત્યો. મને એમ કે હવે મારી વાત સાંભળશે. પણ ના. તેમણે હવે પોતાનું કામ હાથમાં લીધું. તે પછી વળી ફોન. છેવટે હું તેમને વાત સંભળાવી શકું તેટલો સદ્નનસીબ નિવડ્યો ખરો. મેં તેમને મારી વાત કરી, તો મને કહે, તમને બીજી બારી પર જવા કહેલું તે હું જ હતો.
લો બોલો. એ મેનેજર જ હતા, જેમણે મને બીજી બારી પર (તેમની ભાષામાં કહીએ તો, ફૂટવા) કહેલું, કારણ તેમને ટેલર સાથે વાત કરવી હતી. મેં કહ્યું, તમે કહેલું, પણ બીજી બારી પરના બહેન મને ફરી ટેલર પાસે મોકલે છે. તો તમે લોકો શું ગ્રાહકો સાથે ચલકચલાણું રમો છો? અને ૧૦૦ રૂ.ની મામૂલી રકમ અને તેય મારે જીપીએસસીને ચૂકવવાની છે, તેના માટે આઇડી પ્રૂફ માગો છો? તો કહે, નિયમ છે. મેં કહ્યું, ડીડી મારો નથી. મારા સાળીનો છે. વળી, મારા અહીં એકાઉન્ટ છે. એ એકાઉન્ટ તો એમ ને એમ તમે નહીં ખોલ્યા હોય ને. અને એવું હોય તો તમે આરબીઆઈની ગાઇડલાઇન બતાવો.
તો મને કહે, ગાઇડલાઇન તો દળદાર હોય તે તમને કઈ રીતે બતાવી શકું? અને નિયમ મુજબ જાવ તો તમને ડીડી જ ન મળે! તમારી સાળીને જ અહીં લેવા આવવું પડે. આમ કહી, ફરી કોઈ ફોન પર પરોવાઈ ગયા. હું એમ કહીને ત્યાંથી નીકળી ગયો કે તમને મારી ફરિયાદ સાંભળવામાં કોઈ રસ નથી.
ઘરે આવીને એક્સિસ બેન્કને મેઇલ કર્યો, તો બીજા દિવસે બેન્કના મેનેજરે ફોન કરીને તેમના કર્મચારીઓ દ્વારા ઢીલાશ અને કામ ઠેલવાની વૃત્તિ માટે દિલગીરી વ્યક્ત કરી. જોકે આઇડી પ્રૂફની વાત તો પકડી જ રાખી.
પછી બેન્ક ઓફ બરોડામાં ગયો ત્યાં આઈડી પ્રૂફ વગર જ ડિમાન્ડ ડ્રાફ્ટ તો નીકળી ગયો, પણ પ્રિન્ટ કાઢવાની વાત આવી ત્યાં મહિલા કર્મચારી નાસ્તો કરવા બેસી ગયા. આમ ને આમ ૨૦ મિનિટ નીકળી ગઈ. પૂછ્યું તો કહે, રિસેસ છે. બોર્ડ બતાવીને કહ્યું કે રિસેસ ૨ વાગે પડે છે. અત્યારે ૧ વાગ્યો છે તો કહે, મને ડાયાબિટિસ છે એટલે નાસ્તો કરવો પડે. મેં કહ્યું, સાચી વાત છે, પણ પ્રિન્ટ આપતા કેટલી વાર લાગે? છેવટે નાસ્તો પતાવીને પ્રિન્ટ કાઢી આપી ખરી.
તો વાત આમ છે. બેન્કોનું ખાનગીકરણ થયા પછી પણ સેવામાં ખાસ કોઈ ફરક પડ્યો નથી, કારણ આપણી માનસિકતા છે. બધા નહીં, તોય ઘણા ખરા ભારતીય કર્મચારીઓ સરકારી ઢબે જ કામ કરે છે. અમારી અખબારો- મેગેઝિનોમાં પણ આવા જ અનુભવો થાય છે. એચઆર ડિપાર્ટમેન્ટ હોય કે એકાઉન્ટ કે પછી બીજા કોઈ વિભાગ. લાસરિયા વેડા અને પોતાનું કામ બીજા પર ઢોળવાની મનોવૃત્તિ જ કામ કરે છે. એક જગ્યાએ મને પ્રમોશન માટેનો લેટર મળતા પંદર દિવસ લાગેલા. છેવટે ઉપલા અધિકારીને કહ્યું તો કહે, એચઆર મેનેજરને હું કહું છું. મેં તો સાઇન કરી દીધેલી છે. કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય કે બેન્ક હોય કે અન્ય કોઈ પ્રકારની કંપની, વગ ધરાવતા લોકો, ધનિક લોકો, ઉપલા અધિકારીઓ વગેરેનાં કામો ફટાફટ કરી આપશે. બાકી બધા જાય ચૂલામાં.
આવી હાલત હોય ત્યાં અણ્ણાના મુદ્દા યાદ આવે. તેમણે નિમ્ન કર્મચારીઓને લોકપાલ હેઠળ આવરી લેવા કહ્યું છે. નિર્ધારિત સમયની અંદર કામ ન થાય તો તેને ભ્રષ્ટાચાર ગણવાની તેમની માગણી છે. અણ્ણા વ્યક્તિ તરીકે કે નેતા તરીકે મહાન હશે કે નહીં હોય તે અલગ મુદ્દો છે, પણ તેમણે જે મુદ્દાઓ ઉપાડ્યા છે તે તો મહાન – મોટા છે જ. આ દેશમાં બધું જ સડી ગયેલું છે. અને કમનસીબે, આપણી મનોવૃત્તિ જ સાલી, સડેલી છે. સ્વાધ્યાય પરિવારથી માંડીને આરએસએસ સુધીના સંગઠનો આ વાત કહેતા રહ્યા છે. આખો સમાજ ક્યારેય નહીં બદલાય. વ્યક્તિએ બદલવું પડશે. વ્યક્તિ પરિવર્તન થકી સમાજપરિવર્તન આવશે. પણ, સાલું થાય છે એવું કે આવા સમાજસુધારક સંગઠનોમાં જ સડેલી વ્યક્તિઓ ઘૂસી જઈ તેને સડાવી નાખે છે. સંઘના સ્વયંસેવકો વાઘેલા, યેદીયુરપ્પા, ગડકરી જેવા નીકળે છે. સ્વાધ્યાય પરિવારમાં શું થયું છે તે બધાને ખબર છે. કમનસીબી એ છે કે દુષ્ટો – દુર્જનો, ભ્રષ્ટાચારીઓ વચ્ચે એકતા છે, પણ સજ્જનો (દા. ત. અણ્ણા ટીમ)માં એકતા નથી. સજ્જનોને તેમનો અહંકાર એક થવા દેતો નથી.
એટલે ક્યારેક થાય છે કે આપણો દેશ ચમત્કારને જ નમસ્કાર કરે છે. અમદાવાદમાં હેલમેટના કાયદાનું કેટલું ચુસ્તીથી પાલન થાય છે તે બધા જાણે છે. નો પાર્કિંગમાં વાહન પાર્ક કર્યું હોય તો ટોઇંગ વાન વાળા સ્કૂટર ઉપાડી જાય છે. પરિણામે મોટી સંખ્યામાં હેલમેટ પહેરતા થયા છે. વાહન પાર્કિંગમાં ધ્યાન રાખવામાં આવે છે. આમ, કાયદાનું ચુસ્તીથી પાલન થાય તો ભ્રષ્ટાચારની બાબતમાં, કર્મચારીઓ દ્વારા કામમાં ઢીલાશ વગેરે બાબતો દૂર થાય જ. એમાં કોઈ બે મત નથી.