ઈશ્વરની દુનિયા, ફિલ્મ, સિરિયલ, રિયાલિટી શો અને ક્રિકેટ : શું બધે હીરો, હિરોઇન અને વિલન હોય જ?
શ્રી રામ, સીતાજી અને રાવણ.
શ્રી કૃષ્ણ, રૂક્મિણી અને સામે-કંસ, જરાસંધ, દુર્યોધન…
રામાયણ અને મહાભારત એ બે મહાકાવ્યોને આપણે ધર્મગ્રંથો તરીકે સ્વીકાર્યા છે. શ્રીરામ અને શ્રી કૃષ્ણ આપણા રિયલ હીરો છે. આ બે ધર્મગ્રંથો ઉપરાંત જેટલી પણ ધર્મકથા સાંભળશો તો તેમાં દેવ અને દાનવની વાત આવશે જ. માતાજીના ચંડીપાઠમાં પણ માતાજી અને સામે પક્ષે શુંભ, નિશુંભ, મહિષાસુર, ચંડ, મુંડ વગેરેની વાત આવે છે.
સવાલ એ છે કે શું હીરો, હિરોઈન અને વિલનની વાત માત્ર ફિલ્મોમાં નહીં, બધે જ આવે?
નવલકથા, નવલિકા,વાર્તા (રાજા, રાણી અને એક દુષ્ટ પ્રધાન કે રાક્ષસની બાળપણમાં સંભળાવાતી વાર્તા)માંય નાયક, નાયિકા અને દુષ્ટ માનવીની વાત હોય છે જ.
હીરો-હિરોઇન અને વિલન વગર આપણી હિન્દી ફિલ્મોય અધૂરી છે. જોકે, છેલ્લા ઘણા સમયથી, ખાસ તો મલ્ટિપ્લેક્સ સિનેમા અને રામગોપાલ વર્મા, સંજય ગુપ્તા, મહેશ માંજરેકર જેવા દિગ્દર્શકો આવ્યા પછી નાયક-નાયિકા ૨૪ કેરેટના સોના જેવા જ હોય તેવું બતાવાતું નથી.
કોઈ પણ સિરિયલો લો, તેમાંય આ આ ત્રણ પ્રમુખ તત્ત્વો હશે જ.
રિયાલિટી શોમાં રિયાલિટી હોવાનું કહેવાય છે, પરંતુ ખરેખર તો તેય સ્ક્રિપ્ટેડ હોય તેવું લાગે છે. ‘બિગ બોસ’ની કોઈ પણ શ્રેણી લો, તેમાં એક પુરુષ એવો હશે જેને થોડો સારો બતાવાયો હશે, એક રૂપાળી સ્ત્રી હશે અને એક વ્યક્તિ એવી હશે જેના પર લોકોને ધિક્કાર છૂટે. (ગઈ શ્રેણીમાં રાહુલ મહાજનને હીરો, મોનિકા બેદી-પાયલ રોહતગીને તેની હિરોઈન અને રાજા ચૌધરીને વિલન બતાવવા પ્રયાસ હતો, આ વખતે હીરો તરીકે પ્રવેશ, હિરોઇન તરીકે ક્લાઉડિયા અને વિલન તરીકે કમાલ ખાન છે. કમાલ આઉટ થઈ ગયો હોવા છતાં તેને વાઇલ્ડ કાર્ડ દ્વારા લઈ અવાયો. દેશનો આદેશ કોણ માને છે?)
કમનસીબે, ક્રિકેટમાંય આવું થવા લાગ્યું છે. શ્રીસંત અને હરભજનનું લાફા પ્રકરણ થયેલું તે શું હતું?
સૂરજ બડજાત્યાની ફિલ્મોમાં દેખાડાય છે તેવા લોકો- તેવી દુનિયા ક્યાંય હશે ખરા? કે બધું જ સ્ક્રિપ્ટેડ જ હશે? ઈશ્વરને કહેવાનું મન થાય છે કે તું આવી સ્ક્રિપ્ટ કેમ લખે છે, જેમાં હીરો-હિરોઈન છેક સુધી વિલનના હાથે પીટાયા રાખે અને છેલ્લા સીનમાં હીરો વિલનને બેત્રણ મુક્કા મારે?
Add comment 27/11/2009
હાશ! અમદાવાદ-ભાવનગર હાઇવે ફોર ટ્રેક બનશે!
ભાવનગર…એક ખૂણામાં પડી ગયેલું ગુજરાતનું શહેર. બીજી બધી વાતો જવા દઈએ તોય જ્યારથી ભાવનગરથી અમદાવાદ આવવાનું થતું હતું અને ૨૦૦૩માં અમદાવાદ સ્થાયી થયા પછી અમદાવાદથી હવે ભાવનગર જવાનું થાય છે ત્યારે એક પ્રશ્ન જરૂર થતો હતો. અમદાવાદ-ભાવનગર હાઇવે ક્યારે ફોર ટ્રેક બનશે?
આજના ‘સંદેશ’માં સમાચાર છે કે, આખરે હવે એ નક્કી થયું છે (હજુ પણ ક્યારે ખરેખર સાકાર થશે તે પ્રશ્ન તો છે જ) કે ભાવનગર-અમદાવાદ હાઇવે ફોર ટ્રેક બનશે.
બીજી વાત, કલ્પસર યોજનાની વાતો પણ ઘણાં વર્ષોથી (ચીમનભાઈ મુખ્યમંત્રી હતા તે સમયથી) સાંભળતો આવ્યો છું. તેની તો હવે વાત સંભળાવાનીય બંધ થઈ ગઈ છે. મોદીજી, રાજકીય રીતે બહુ શક્તિશાળી નહીં તેવા ભાવનગરના વિકાસ તરફ દૃષ્ટિ કરશો? બાકી, અસામાજિક- રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિની રીતે ભાવનગર ઘણું સંવેદનશીલ બનતું જાય છે. ખાસ તો આસપાસ દરિયાકિનારો હોવાથી.
1 comment 27/11/2009
મનમોહનસિંહની ‘આ અબ લૌટ ચલે’ અપીલ અંગે વિચારણાલાયક પ્રશ્નો
આપણા વડા પ્રધાન મનમોહનસિંહે પરદેશી બની ચૂકેલા ભારતીયોને સ્વદેશ પાછા આવીને ભારતના વિકાસમાં સહયોગ આપવાની અપીલ તેમના અમેરિકાના પ્રવાસ દરમિયાન કરી. અપીલ તો સારી છે, પરંતુ વિચારવું જોઈએ કે,
- ભારતીયો સ્વદેશ છોડીને કેમ જાય છે?
- જો બિનનિવાસી ભારતીયો ભારતમાં પાછા આવી જશે તો તેમની વ્યવસ્થા અહીં થઈ શકે તેમ છે?
- શું ભારતની વસ્તી એમ જ ફાટફાટ થતી નથી? અને તેના કારણે ઘરથી માંડીને ટ્રાફિક સહિતના પ્રશ્નો ઉદ્ભવેલા નથી?
- શું બિનનિવાસી ભારતીયોને પરદેશમાં જે સુખસગવડ મળે છે તેવી અહીં મળશે? તેમને ત્યાં જે પેકેજ મળે છે, ત્યાં જે આદરસન્માન મળે છે, તેમની જેવી કદર ત્યાં થાય છે તેવી અહીં થઈ શકશે?
અલબત્ત, બિનનિવાસી ભારતીયો પાછા ફરે તો ભારતને ફાયદો જ છે, કમ સે કમ, ઘૂસણખોર બાંગ્લાદેશીઓ કરતાં તો સારા જ. જોકે, દેશની પ્રગતિમાં તેમના આવવાથી કેટલી ઝડપ આવે તે જોવું પડે કેમ કે, ભારતની હવા જ કંઈક એવી હોય કે કેમ ખબર નહીં, બહાર જઈને આપણા ભારતીયોની શક્તિ વધુ ખીલે છે.
3 comments 27/11/2009
ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત કરો ને!
સુનીલ શેટ્ટી આપણા ગુજરાતી અભિનેતા એવા મનોજ જોશીને ટકોર કરી ગયો. દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, ફિલ્મ ‘દે ધના ધન’ના પ્રમોશન માટે અમદાવાદ આવેલા અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી અને મનોજ જોશી પૈકી મનોજ જોશી લોકો સાથે હિન્દીમાં વાતો કરતા હતા ત્યારે સુનીલે ટકોર કરી,
‘ભાઈ, ગુજરાતી છો તો ગુજરાતીમાં વાતો કરો ને.’
આ ટકોર મને સ્પર્શી ગઈ છે.
બાકી, અગાઉ પણ એક પોસ્ટમાં મેં લખ્યું હતું કે, ગુજરાતીમાં, ખાસ કરીને, અમદાવાદમાં બે અજાણ્યા મળે એટલે પહેલાં હિન્દીમાં કે અંગ્રેજીમાં જ વાત શરૂ થાય, ખાસ તો જ્યારે બેમાંથી એક વ્યક્તિ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર, ઇન્ટરનેટ પ્રોવાઇડર કે અન્ય કોઈ કંપનીમાં હોય. સરવાળે બને એવું કે બંને ગુજરાતીઓ હિન્દીમાં જ વાતો કરતા હોય. કેવી વક્રતા!
હમણાં એક મિત્ર સાથે મોબાઇલ કંપનીમાં જવાનું થયું. મિત્રે જ સીધી ગુજરાતીના બદલે હિન્દીમાં વાતો શરૂ કરી. મોબાઇલ કંપનીનો પેલો ભાઈ બીજા કોઈ સાથે ગુજરાતીમાં જ વાતો કરતો હતો. તોપણ મિત્ર હિન્દીમાં જ વાતચીત કરે. મિત્રને કહ્યું તો કહે તેમાં શું થયું? હિન્દી રાષ્ટ્રભાષા જ છે ને.
વાત સાચી. હિન્દી રાષ્ટ્રભાષા છે, પણ સાથે ગુજરાતીય માતૃભાષા નથી?
બાકી, સમાચારપત્રો કે સામયિકો તો રોજેરોજ જોઈએ તો દુઃખ થાય તેવા હેડિંગ હોય. અંગ્રેજી શબ્દો હોય તો સમજ્યા, પણ હવે તો ફોન્ટ (લિપિ) પણ અંગ્રેજી હોય, જેમ કે, RSS અને VHPનો એજન્ડા હતો…બેક Cover…Cover story….
આત્યંતિક ભલે લાગે, પણ ગુજરાતમાં એક રાજ ઠાકરેની જરૂર નથી લાગતી? (એ તો ચીમનભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીના કારણે ગુજરાતનું નામ ગાજતું અને ગુજરાતનું ઉપજતું થયું, બાકી, તો દૂરદર્શનમાં ૨૬મી જાન્યુઆરીની ઉજવણી ગુજરાતમાં થઈ તેની એક સેકન્ડની ક્લિપ જોવા મળે તોપણ આનંદ થતો તેવી સ્થિતિ હતી.) જય ગરવી ગુજરાત!
15 comments 26/11/2009
સારું ગીત, ખરાબ પિક્ચરાઇઝેશન
ગઈ કાલે (તા. ૩ નવેમ્બર) ‘બીફોરયુ મ્યુઝિક’ ચૅનલ પર એક ગીત જોયું. ગીતની શરૂઆત અને અંતે ગીતના શરૂઆતના શબ્દો અને ફિલ્મનું નામ આપવાની પ્રથા અનુસાર, ગીતના શબ્દો હતા, ‘પત્તા પત્તા બુટા બુટા હાલ હમારા જાને હૈ’. મન આનંદથી ઉછાળો મારી ગયું.
લક્ષ્મીકાંત-પ્યારેલાલની રૂટિન શૈલીથી હટ કે આ ગીત હતું. લતાજી અને રફીસાહેબે અદ્ભુત ગાયું છે. અદ્ભુત-અદ્ભુત રચના.
પણ એમાં ખાસ વાત શું છે?
ખાસ વાત એ છે કે, ગીતના શબ્દો વાંચ્યા અને ફિલ્મનું નામ ‘એક નઝર’ વાંચ્યુ ત્યારે મનમાં તરત જ ઝબકારો ન થયો કે તેના કલાકારો કોણ હશે? પહેલી જ ક્ષણે જે શોટ આવ્યો તે દૂરનો હતો એટલે ચિત્ર હજુ પણ સ્પષ્ટ નહોતું. થોડી જ પળોમાં તે પણ થઈ ગયું અને ફરી એક ઉછાળો. ઓહ! આ તો મારા પ્રિય અભિનેતા અમિતાભ બચ્ચન પર ફિલ્માવાયું છે અને તેની સાથે તેમનાં પત્ની જયા, જે તે સમયે જયા ભાદુરી હતાં. મનમાં જ વિચાર્યું : ચાલો! અમિતાભના ખાતામાં વધુ એક કર્ણપ્રિય ગીત છે, ભલેને ફિલ્મ ફ્લોપ ગઈ હતી. પણ જેમ જેમ ગીત જોયું તેમ તેમ નિરાશા થતી ગઈ.
ગીત આટલું સુંદર, પણ બાબુમોશાયના ચહેરા પર ખાસ ભાવ આવતા નહોતા કે નહોતી કંઈ તેમની ખાસિયત મુજબની અદા. એ વખતે અમિતાભ હજુ અમિતાભ નહોતા. અને દિગ્દર્શકે પણ એટલે જ ગીતને ‘લોંગ શોટ’થી ફિલ્માવાનું પસંદ કર્યું હોય તેવું લાગ્યું.
આ છે સારું ગીત પણ ખરાબ ચિત્રીકરણ (પિક્ચરાઇઝેશન)નો નમૂનો. દૂરદર્શન જ હતું ત્યારે પણ અમુક જ ગીતો જોવા મળતા. (હજુય એવું જ છે. આ ‘એક નઝર’નું ગીત આટલાં વર્ષે જોવા મળ્યું. આ ગીત કોઈને ‘સારેગમપ’, ‘વોઇસ ઓફ ઇન્ડિયા’ કે ‘ઇન્ડિયન આઇડોલ’માં ગાવાનું કેમ નથી સૂજતું?) એ વખતે રેડિયો નું ચલણ વધુ હતું. ત્યારે ગીત સાંભળીને ઘણી વાર કલ્પના થતી તેના પિક્ચરાઇઝેશનની. એ વારંવાર સાંભળવાથી એ કલ્પના દૃઢ થતી. ‘કટી પતંગ’ના ‘યે જો મોહબ્બત હૈ’ની પણ કલ્પના કરી હતી કે રાજેશ ખન્ના અને આશા પારેખ વચ્ચે કંઈક ખાટોમીઠો ઝઘડો થયો હશે અને એટલે કાકા આ ગીત ગાતા હશે, પણ જ્યારે ફિ્લ્મ જોઈ ત્યારે? એ કલ્પના ભાંગીને ભુક્કો થઈ ગઈ. કાકા દારૂ પીને ગીત ગાય છે!
આ થયો સારું ગીત પણ ખરાબ ચિત્રીકરણ (પિક્ચરાઇઝેશન)નો વધુ એક નમૂનો.
‘આશિકી’નાં તમામ ગીતો પણ આવા જ નમૂના છે જે તદ્દન ભાવવિહીન રાહુલ રોય અને અનુ અગ્રવાલ પર ફિલ્માવાયાં છે.
તમને આવાં કોઈ ગીત યાદ આવે છે? તો અહીં કોમેન્ટ બોક્સ તમારી રાહ જુએ છે!
(Click to read in English : http://jaywantpandyasblog.blogspot.com/2009/11/good-song-bad-picturisation.html)
2 comments 04/11/2009
‘સોનુ સ્વીટી’ = ‘સોહની મહિવાલ’!
Add comment 29/10/2009
ભાવનગરની નવાજૂની
દિવાળી દરમિયાન ભાવનગર જવાનું થયું. ભાવનગરમાં ૧૩ વર્ષ રહ્યો છું. એટલે આજે પણ લાગણી રહે. અમદાવાદમાં કમાણી છે. અમદાવાદ સાથે પણ લાગણી, કાઠિયાવાડીમાં કહીએ તો, બંધાણી છે. છતાં ભાવનગર, પોરબંદર અને રાણાવાવ પ્રત્યે અદમ્ય ખેંચાણ રહે જ. ભાવનગરમાં ઘણી નવાજૂની છે.
- મિડિયામાં છું એટલે મિડિયાની વાત. ભાવનગરમાં ઘણા છાપાં છે. સવારનાય અને સાંજનાય. અગાઉ મનુભાઈ વ્યાસ અને પછી ભૂતપૂર્વ ધારાસભ્ય સુનીલ ઓઝા અને શામળદાસ આર્ટ્સ કૉલેજના પ્રોફેસર નલીન ભટ્ટના ‘પગદંડી’એ ભૂતપૂર્વ નાણા રાજ્ય મંત્રી પ્રતાપ શાહના ‘સૌરાષ્ટ્ર સમાચાર’ને ઘણી હરીફાઈ પૂરી પાડી હતી. ઘણા વર્ષ પછી તે અલંગના વ્યવસાયી કોમલ શર્મા અને મહેન્દ્ર ગોહિલ પાસે ગયું. હવે તેના મેનેજિંગ તંત્રી બન્યા છે સુકેતુ શાહ, જે અમદાવાદના છે. ‘પગદંડી’ની કદાચ અમદાવાદ એડિશન પણ થશે.
- ભાવનગરમાં કોમલ શર્મા સાથે સાંજનું છાપું ‘સૌરાષ્ટ્ર આસપાસ’ શરૂ કર્યા પછી તેમાંથી છુટા પડીને હિતેશ રવિયાએ ‘સિટી વોચ ગુજરાત’ નામે ભાવનગર શહેર અને જિલ્લા પૂરતી બતાવાતી ૨૪ કલાકની સમાચાર ચેનલ ચાલુ કરી છે અને સાથે ઇ પેપર પણ. તેની વેબસાઇટ છે http://www.citywatchgujarat.com/ તેના મુખ્ય તંત્રી છે કિરણ ગોહિલ, જે અગાઉ ‘સૌરાષ્ટ્ર સમાચાર’, ‘ગુજરાત સમાચાર’, ‘શો ટાઇમ’ અને ‘સૌરાષ્ટ્ર આસપાસ’ સાથે સંકળાયેલા હતા.
-ભાવનગરની આગવી શિક્ષણ સંસ્થા, જેની સાથે શિક્ષણમાં ક્રાંતિ લાવનાર (મૂછાળી મા તરીકે જાણીતા) ગિજુભાઈ બધેકાનું નામ જોડાયેલું છે તેવી દક્ષિણામૂર્તિ શાળાને બંધ કરવાની પેરવી હતી જેના કારણે ભાવનગર સાથે લાગણીથી જોડાયેલા મારા સહિત અનેક લોકોને ચિંતા થઈ હશે, તે હવે બંધ થવાની નથી. (હાશ!)
-નવાપરામાં કબ્રસ્તાનનું દબાણ હટાવીને રોડ પહોળો કરાયો છે. અમદાવાદ જેવા આ પહોળા રોડને જોઈને એટલો આનંદ થાય કે વાત ન પૂછો. એટલું જ નહીં, ઘણા રોડ સારા બનાવાયા છે. બાકી, ભાવનગરમાં હતો અને પત્રકાર નહોતો બન્યો ત્યારથી રોડ વિશે ચર્ચાપત્રો લખી લખીને થાકી ગયો હતો. તે પછી ૨૦૦૩ સુધી ભાવનગર રહ્યો ત્યાર પછી પણ રોડ સુધર્યા નહોતા.
- વચ્ચે ભાવનગરમાં હસમુખ પટેલ એસપી તરીકે, હરિકૃષ્ણ પટેલ ડી.એસ.પી. તરીકે અને સુખદેવસિંહ ઝાલા પી.આઈ. તરીકે રહ્યા હતા ત્યારે ટ્રાફિકના નિયમો, રાત્રે ૧૦ વાગ્યે માઇક બંધ (ભાવનગરમાં ડાયરા અને નમાઝના કારણે ઘોંઘાટ થતો જ રહે છે) કરવાનું વગેરેનું સખ્ત પાલન થતું હતું. ગુનામાં પણ ઘટાડો આવ્યો હતો. દબાણો પણ હટાવાતા હતા. પરંતુ તેમની બદલી થતા હવે પરિસ્થિતિ જૈસે થે છે.
- જોકે કલેક્ટર પ્રદીપ શાહનું સારું કામ હોવાની ચર્ચા છે. જવાહરલાલ નહેરુ (ગધેડિયા ફિલ્ડ)થી આગળ એક એમ્યૂઝમેન્ટ પાર્ક બનાવાઈ રહ્યો હોવાની ચર્ચા છે. કાયમ ચૂર્ણવાળા શેઠ બ્રધર્સના સહયોગથી એક ઔષધ વન બની રહ્યું હોવાનું પણ સાંભળવામાં આવ્યું.
- યુવાનોની કારકિર્દી માટે કામ કરતી વિકાસ વર્તુળ સંસ્થાના બિપીન શાહ વીરભદ્ર અખાડા આગળ સાયન્સ સિટી બનાવી રહ્યા છે. તેની વિકાસ ચેનલ પોઝિટિવ જર્નાલિઝમને પ્રોત્સાહન આપતી ચેનલ છે.
- અમદાવાદમાં ઘણાં વર્ષોથી છે તે ‘વી માર્ટ’ ભાવનગરમાં પણ ખુલી ગયો છે. ભાવનગરમાં યુનિવર્સિટી કેમ્પસ આગળ ‘ઇસ્કોન મોલ’ ઘણા વખતથી બને છે, પરંતુ હજુ બને જ છે. બનીને તૈયાર થાય ત્યારે સાચું.
- ભાવનગર મ્યુનિસિપાલિટીની સરસ વેબસાઇટ પણ છે. http://www.bmc.gujarat.gov.in/
- આ ઉપરાંત ચિરાગ વ્યાસની એક સરસ વેબસાઇટ ભાવનગરને સંબંધિત છે, http://bhavnagaronline.org/
- આ સિવાય http://www.bhavnagarsampurna.com/ અને http://www.bhavnagar.com/ પણ ભાવનગર વિશેની સારી માહિતી પૂરી પાડે છે.
3 comments 24/10/2009
મોબાઇલ, ફેસબુક, હાઇ પ, ઓર્કુટ : મેનર્સની માથાકુટ
(To read this post in English click : http://jaywant-pandya.blogspot.com/)
ઓર્કુટ, ફેસબુક, હાઇ ૫, મોબાઇલ…કોઈ શંકા નથી કે આપણે દિવસે ને દિવસે ટૅક્નૉલૉજીની રીતે હાઇ ફાઇ થતા જઈ રહ્યા છીએ, પણ આ બધાના ઉપયોગમાં પ્રશ્ન આવે છે એટિકેટ કે મેનર્સનો.
મોબાઇલ આજે આલિયા-માલિયા-જમાલિયા બધા પાસે આવી ગયા છે, પણ તેને વાપરવાની રીત ક્યાં છે? ફોન કરનાર પૂછશે, ‘તમે કોણ?’ એલા ભાઈ, તેં ફોન કર્યો છે, પહેલાં તારે કહેવું જોઈએ કે તું કોણ. અચ્છા, ઘણી વાર તો ‘તમે કોણ?’ પૂછીને પછી કહેશે, ‘ફલાણા ભાઈને ફોન આપો.’ (‘આપશો’ નહીં) તો પછી તેં પૂછ્યું શું કામ કે ‘તમે કોણ?’ ઘણાને એવી ટેવ હોય છે કે ફોન કરતાં જ પૂછશે, ‘ક્યાં છો?’ અરે ભાઈ, તારો ફોન આવ્યો એટલે નક્કી લાગે છે કે હું નરકમાં છું. કામને અને પેલી વ્યક્તિ જે સ્થળ પર હોય તે બંને વચ્ચે કોઈ સંબંધ ન હોય. અચ્છા, ફોન કરતી વખતે એમ તો પૂછવાનું જ નહીં કે વાત થઈ શકે તેવું છે કે નહીં. એ તો માની જ લેવાનું.
બીજી મજેદાર વાત એ થાય છે મોબાઇલમાં કે તમે અંકિતભાઈને સમય કાઢીને મળવા ગયા છો પણ તે અંકિતભાઈ પર મોબાઇલ આવે છે એટલે તમારા કરતાં દૂરથી વાત કરતી વ્યક્તિ અગત્યની બની જાય છે. પાછું એવું નહીં કે સામે તમે બેઠા છો એટલે વાત ટૂંકાવવાની.
એસએમએસ બહુ સરસ સુવિધા છે. ટૂંકમાં ઘણી બધી વાત કહી દે છે. પત્ર કરતાં બહુ ઝડપથી સંદેશો પહોંચી જાય છે, વેલ એન્ડ ગુડ. પરંતુ તમે મને એસએમએસ કર્યો એટલે મને કેવી રીતે ખબર પડે કે આ રમેશભાઈનો જ એસએમએસ છે? તમે કહેશો કે નંબર સેવ કર્યો હોય ને. પરંતુ ઘણી વાર એવું બને છે કે નંબર સેવ કર્યો હોવા છતાં કોલ આવે ત્યારે કે એસએમએસ આવે ત્યારે નામ બતાવે નહીં. આથી બહેતર એ જ રહે કે એસએમએસ કરતી વખતે નીચે પોતાની ઓળખ થાય તેવી રીતે નામ લખી દેવું. એટલે કે નીચે રમેશ લખો તો ખબર ન પડે. રમેશ શાહ લખો તો પણ ખબર ન પડે, પણ રમેશ શાહ, ત્રિવેણી ઇન્ફોટેક એવું લખો તો સામેવાળાને ખબર પડી જાય.
ઇમેઇલમાં પણ લોકો આડેધડ ફોરવર્ડ કરતા હોય છે. હકીકતે ફોરવર્ડ કરો તો ફોરવર્ડ કરનારની વિગતો કાઢી નાખવી જોઈએ. (કોપી પેસ્ટ કરનારાને આ બહુ ફાવે!) આનું કારણ એ છે કે ઘણી વાર સામે વાળી વ્યક્તિ તમને ફોરવર્ડ કરનારનું ઇમેઇલ એડ્રેસ સરળતાથી મેળવી લે છે. ઘણી વાર તો મેઇલ એટલી બધી વાર ફોરવર્ડ થયો હોય છે કે તેમાં ઢગલાબંધ મેઇલ એડ્રેસ હોય છે. તે કાઢવામાં તસદી જરૂર પડે, પણ તે જરૂરી હોય છે.
ઓર્કુટ અને ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સમાં ફ્રેન્ડ્સ બનાવવાની બધાને ચળ ઉપડી છે. રમેશ મહેશનો ભાઈબંધ બને અને પછી જુએ કે મહેશનો ભાઈબંધ નીલેશ છે એટલે ફટ દઈને ‘એડ ફ્રેન્ડ’નું બટન દબાવે પરંતુ સાથે મેસેજ ન લખે કે પોતે નીલેશને કેવી રીતે ઓળખે છે. ફેસબુક કે ઓર્કુટમાં મારે જ્યારે આવાં નિમંત્રણો આવે છે ત્યારે હું સામે મેસેજ લખું છું, ‘ભાઈ, ઓળખાણ ન પડી. તમે મને કઈ રીતે ઓળખો છો?’ જો સામે વાળી વ્યક્તિ કહે અને બરાબર લાગે તો જ નિમંત્રણ સ્વીકારવાનું. એક તો હસવું પણ આવે ને ગુસ્સોય આવે તેવો કિસ્સો ફેસબુકમાં બની ગયો.
એક વ્યક્તિએ આવું જ મિત્ર (ખરા અર્થમાં મિત્ર-ફ્રેન્ડ કહેવાય?)નું નિમંત્રણ પાઠવ્યું. તેને સ્વીકારતા પહેલાં સ્વાભાવિક જ મેં ઉપરોક્ત સવાલ પૂછ્યો તો તે વ્યક્તિએ મને સામે પૂછ્યું કે તમે કોણ? મેં કહ્યું, ‘પત્રકાર.’ તો પોતાની ઓળખાણ આપવાના બદલે તેણે મેસેજ મોકલ્યો, ‘વેલકમ!’
2 comments 15/10/2009
લાપતાગંજ : લાપતા મનોરંજનનું સરનામું?
મનોરંજન સાથે સમાજની ચિંતા દર્શાવતી સિરિયલો ગૂમ થઈ હતી, પણ ‘તારક મહેતા કા ઉલટા ચશમા’ અને ‘લાપતાગંજ’ સાથે આવી સિરિયલોનું ચક્ર પાછું ફર્યું હોય તેમ લાગે છે. ‘લાપતાગંજ’માં શું હશે તે જાણવા વાંચો આ પોસ્ટ.
Continue Reading 1 comment 14/10/2009
પતિ પત્ની ઔર વો : ઓહ!
ગઇ કાલે (તા. ૮ ઑક્ટોબર) ‘પતિ પત્ની ઔર વો’નો હપ્તો જોયો. જોઈને જે માબાપોએ પૈસા માટે પોતાનાં પાંચ -છ મહિના વર્ષ દોઢ વર્ષના સંતાનોને આ અવળચંડી સેલિબ્રિટીઓને હસ્તક મૂક્યા છે તેમના પ્રત્યે તિરસ્કાર છૂટ્યો.
દેબીના બેનર્જી (જે નવી ‘રામાયણ’ સિરિયલમાં સીતા બની હતી) તેને ત્યાં ટી પાર્ટી હતી. તેને વાનગીઓ બનાવવાની હતી. એટલે તે તેને સોંપવામાં આવેલ બાળકને કહેતી હતી, ”રો બેટા, રો, મેરે લિયે તૂ રો!”
‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’માં કૃષ્ણા તુલસી બનનાર મૌની રોય તો વળી ન તો છોકરાને સંભાળી શકતી હતી ન તો રસોઈ. તે છોકરાને બહાર લઈને ગઈ અને પાછી આવી ત્યાં સુધી ગેસ ચાલુ જ હતો. આના કારણે ગૌરવ ચોપરા ગુસ્સે ભરાયો હતો, પણ તેણે મૌનીને કંઈ કહ્યું નહીં!
અને ગ્રેટ રાખી સાવંતની તો વાત જ શું કરવી? તેણે તેને સોંપાયેલ બાળકને બાળકીનો પોશાક પહેરાવ્યો. પોશાક તો ઠીક, સ્ત્રીઓ જેવો મેકઅપ પણ કર્યો. એટલે બાળકની માએ ફોન કરી તેને એવો પોશાક ન પહેરવા કહ્યું. એટલે રાખીનું મોંઢું પડી ગયું.
વળી રાખી આ બાળકને એમ કહેતી હતી કે આપણે તારી વાત ચલાવીશું મૌનીને (કે કોઈક બીજાની, યાદ નથી) સોંપાયેલ દીકરી સાથે. આપણે તો ક્રિશ્ચિયન એટલે આપણે તો વેરોનિકા (એ બાળકીનું નામ) ચાલે! હવે એ છોકરો હિન્દુ. તેણે રાખીનો ધર્મ અપનાવવાનો?
આ છોકરાઓને આ સેલિબ્રિટી થકી કેવા સંસ્કાર મળશે તે તેમનાં માબાપોએ કેમ ન વિચાર્યું?
મને તો નવાઈ લાગે છે કે માબાપ પોતાના આટલા નાનાં સંતાનોને કેવી રીતે બીજા કોઈને સોંપી શકે? તે પણ આટલા બધા દિવસો? પૈસા માટે લોકો કેટલા નીચે જશે? શું કાલે સવારે પતિ-પત્નીનો શો ચાલુ થશે તો પોતાની પત્નીઓ કે પતિઓને પણ આ જ રીતે મોકલશે?
ખરેખર, આ શોના નામ ‘પતિ પત્ની ઔર વો’ની જેમ આ સેલિબ્રિટીઓ તેમને સોંપાયેલ સંતાનને ‘વો’ (‘પતિ પત્ની ઔર વો’માં ‘વો’ સામાન્ય રીતે શોક્યના સંદર્ભમાં વપરાય છે)ની જેમ જ સાચવે છે.
1 comment 09/10/2009
કિતને પાપડ બેલને પડતે હૈ?
નવરાત્રિની એક રાત્રિએ અમદાવાદમાં ભ્રમણ દરમિયાન નજરે પડેલાં અને રજૂ કરવા લાયક લાગેલાં કેટલાંક મજેદાર અવલોકનો.
Continue Reading 3 comments 26/09/2009
વાહ ભાઈ વાહ! સુચિત્રા કૃષ્ણમૂર્તિ પણ આ જ કહે છે
જાણીતી અભિનેત્રી અને દિગદર્શક શેખર કપૂરની ભૂતપૂર્વ પત્ની સુચિત્રા કૃષ્ણમૂર્તિ પણ ‘બહેરા કાન પર દયા જ ખવાય’ પોસ્ટમાં વ્યક્ત મારા વિચારો જેવા જ વિચારો ધરાવે છે તે જાણી-વાંચી આનંદ થયો. લો! તમે પણ વાંચો, સુચિત્રા પણ ઘોંઘાટથી કેવો ત્રાસ અનુભવે છે.
Add comment 25/09/2009
ઉજવણીના આનંદમાં મોતનો મલાજો નહીં પાળવાનો?
શું ગરબા રમવાના હરખમાં સોસાયટીમાં થયેલું મોત પણ ભૂલી જવાય?
Continue Reading 7 comments 25/09/2009
બહેરા કાન પર દયા જ ખવાય!
ઉત્સવો આપણને સાત્વિકતા તરફ વાળવા જોઈએ,તામસિકતા તરફ નહીં
Continue Reading 1 comment 24/09/2009
કૉંગ્રેસના કરકસરનાં પગલાં : દેર સે આયે દુરસ્ત આયે
કૉંગ્રેસે જાહેર કરેલા કરકસરનાં પગલાં વખાણને પાત્ર તો છે જ. કોઈ તેને દંભ કહે તો દંભ. સ્ટંટ કહે તો સ્ટંટ. જે કહો તે પણ, દેશની વર્તમાન પરિસ્થિતિમાં તે અનિવાર્ય હતાં. હા, એમ કહી શકાય કે તે મોડા જરૂર જાહેર થયાં છે
Continue Reading 1 comment 19/09/2009


