….અને સાહેબને ભણાવ્યા વગર જ નીકળી જવું પડ્યું!

એક શાળાનો વર્ગખંડ હતો. તેમાં નવો તાસ (પિરિયડ, યૂ નો!) ચાલુ થવાનો હતો. છોકરાઓ તોફાન કરી રહ્યા હતા. છોકરીઓ શાંત હોવાની અપેક્ષા હોય છે, પણ તેય તોફાન કરી રહી હતી. ત્યાં શિક્ષક આવ્યા. શિક્ષકે કહ્યું : બાળકો, ચાલો આપણે ઇતિહાસ વિશે ભણીશું. ત્યાં એક નટખટ છોકરો ઊભો થયો. તેણે ટચલી આંગળી ઊંચી કરી. એટલે સાહેબે તેને પરવાનગી આપી કે જા જલદી જઈ આવ. સાહેબે થોડું ભણાવ્યું ત્યાં બીજા એક છોકરાએ અંગૂઠાનો ઈશારો મોં આગળ કર્યો. સાહેબ કહે જા, જલદી પાણી પી આવ. વળી, સાહેબ થોડું આગળ ભણાવે ત્યાં ત્રણ છોકરા ઊભા થયા. તેમણે બે આંગળી એક સાથે બતાવી. સાહેબ કહે, જાઓ જાઓ, જલદી જાવ, નહીં તો અહીં જ બગડશે. એટલામાં એક છોકરી ઊભી થઈ અને કહે, સાહેબ, આ જુઓને, પેલો મનુડો મારો ચોટલો ખેંચે છે. સાહેબે મનુને ડારો આપ્યો. મનુ કહે, પણ એ છોકરી મને ચીટલો ભરે છે. સાહેબ કહે, કેમ’લી? તો કહે,સાહેબ એણે મારો ચોટલો પહેલાં ખેંચ્યો એટલે મેં એને ચીટલો ભર્યો. મનુડો કહે, ના એવું નથી, એણે મને પહેલાં ચીટલો ભર્યો. એટલે મેં એનો ચોટલો ખેંચ્યો. બેય પોતાની વાત સાબિત કરવા એકબીજાની સાથે બોલવા લાગ્યા. એટલામાં બે છોકરા ચૂપચાપ વર્ગમાંથી નીકળી ગયા. ત્યાં વળી, એક જણે ઊભા થઈને કહ્યું : સાહેબ, આ રમલાએ મારી પેન્સિલ લઈ લીધી. રમેશ કહે : સાહેબ, કિશોર્યો ખોટો છે. આ પેન્સિલ તો મારી જ હતી. મેં એને આપી હતી, પણ એ પાછી જ આપતો નહોતો. એટલે મેં બળજબરીથી લઈ લીધી. એટલામાં એક છોકરી ઊભી થઈ અને કહે : સાહેબ, આ ચંપાડીએ મારી નોટમાં લીટા કર્યા. ચંપા કહે : આ રમાડી ખોટી ફરિયાદ કરે છે. તેણે પહેલાં મારી નોટમાં તારા અને ચાંદો ચિતરી દીધા હતા. સાહેબ મૂંઝાઈ ગયા. કોને કહેવું અને કોને ન કહેવું? તેમણે કહ્યું : બધા શાંત થઈને બેસી જાવ.

એટલામાં તાસ પૂરો થવાનો ઘંટ વાગી ગયો. સાહેબ ભણ્યા વિના નીકળી ગયા. છોકરાઓ અને છોકરીઓએ તાળી પાડી કે સાહેબને કેવા ભણાવ્યા વગર જ ભણાવી દીધા!

(નોંધ : લોકસભા અને રાજ્યસભા કે ગુજરાત-ઉત્તરપ્રદેશ જેવી રાજ્ય વિધાનસભામાં થતી કાર્યવાહીને આ વાર્તા સાથે બિલકુલ સંબંધ છે.)

મેચ ફિક્સિંગ : કલ ભી, આજ ભી ઔર કલ ભી

વિનોદ કાંબલી ફરી વાર રડી પડ્યો! સ્ટાર ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેણે  જે વાતો કરી તેનાથી ફરી મેચ ફિક્સિંગનું ભૂત ધૂણ્યું છે.

વિનોદ કાંબલી ઘણો પ્રતિભાવાન બેટ્સમેન. વિનોદ કાંબલી અને સચીન તેંડુલકર બંનેએ શાળાકીય ક્રિકેટમાં રનોનો ઢગલો કરીને વિક્રમ કર્યો હતો અને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. બંનેનો ક્રિકેટમાં ઉદય પણ લગભગ સાથે જ થયો. ક્રિકેટઇતિહાસની મારી યાદશક્તિ મુજબ, જ્યારે સચીન લાંબો સ્કોર નહોતો કરી શકતો ત્યારે વિનોદ કાંબલી ટેસ્ટમેચમાં બેવડી સદી ફટકારી ચુક્યો હતો. પણ તેની રમતમાં સાતત્ય નહોતું.

વિનોદ કાંબલીએ સીધે સીધી વાત નથી કરી કે ૧૯૯૬ના વિશ્વકપની સેમી ફાઇનલ ફિક્સ થઈ હતી. પણ માધ્યમોએ આ વાત ઝિલી લીધી છે અને મારી વાત લખી લો, આમાં કંઈ થવાનું નથી. અઝહરુદ્દીનને શું થયું? તેના પર પ્રતિબંધ મૂકાયો. અજય જાડેજાને શું થયું? તેના પર પ્રતિબંધ મૂકાયો. બસ, એટલું જ. જનતાએ તો અઝહરને સાંસદ બનાવ્યો જ ને. અને એક સમાચાર ચેનલ પર બતાવ્યું છે તેમ, અઝહરનું ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડના શરદ પવારના હસ્તે સન્માન કર્યું હતું!

મેચ ફિક્સિંગની વાત છે તો અત્યારે પણ મેચ ફિક્સ નથી થતી, તેમ માનવું ભૂલ ભરેલું છે. અત્યારે જ નહીં, વર્ષોથી આવું થાય છે. નહીં તો વિચાર કરો, ભારે પ્રભુત્વ સાથે વિશ્વકપ જીત્યા પછી તરત ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમનો ટેસ્ટમેચ, વન-ડે અને ૨૦-૨૦ મેચમાં સાવ ધબડકો થાય, ખરો? (એ તો આભાર માનો કે એ વખતે અણ્ણાનું આંદોલન ચાલતું હતું એટલે તેના સમાચારોમાં ભારતીય ટીમનો ધબડકો દબાઈ ગયો નહીંતર તો તેમને ભારત પાછા આવવાનું પણ ભારે પડી ગયું હોત) એ જ ઇંગ્લેન્ડ પાછું ભારત રમવા આવે એટલે તેનો સંપૂર્ણ પરાજય (વ્હાઇટ વોશ) થઈ જાય! વેસ્ટ ઇન્ડિઝ આવે એટલે તે પણ બે ટેસ્ટ શ્રેણી હારી જાય. છેલ્લાં પાંચેક વર્ષની શ્રેણીઓનાં પરિણામ જોશો તો ખ્યાલ આવી જશે, જાણે એવું નક્કી ન થયું હોય કે વિદેશમાં રમવા ગયા હોય ત્યારે શ્રેણી યજમાન ટીમ જીતે અને ભારતની ટીમ હારે. ઘરઆંગણે ભારતની ટીમ શ્રેણી જીતે અને વિદેશની ટીમ હારે. હા, એટલું ચોક્કસ કરાય છે કે પાંચ વન-ડે હોય તો પ્રેક્ષકોની ઉત્સુકતા અને રસ જળવાઈ રહે તે માટે બે વન-ડે ભારત જીતે અને બે વિદેશની ટીમ જીતે એવી ગોઠવણ થાય. એટલે છેલ્લી વન-ડે સુધી કોણ શ્રેણી જીતશે તેનો રસ ક્રિકેટપ્રેમીઓમાં જળવાઈ રહે…ફિલ્મોમાં ક્રિકેટની મેચ (અવ્વલ નંબર, લગાન) સાઇકલની રેસ (જો જિતા વો હી સિકંદર) કે અન્ય રમતોમાં બતાવે તેમ જ હવે મેદાન પરની રમતોમાં થવા લાગ્યું છે.

અને ક્રિકેટની રમતનું મોટું બજાર છે. હવે એ બજાર ભારતમાં વિકસી રહ્યું છે. એટલે ભારતીય ટીમને ઘણી મેચો જીતવા દેવાય છે. અન્ય રમતોમાં આવું બજાર વિકસતું નથી. ઘણી રમતો અને ઘણા કાર્યક્રમોમાં વિજેતા બજારની દૃષ્ટિએ જ નક્કી થતા હોય છે. જરા વિચાર કરી જોજો, વેનેઝુએલાની યુવતી મિસ વર્લ્ડ કે મિસ યુનિવર્સ કેમ થવા લાગી છે? ૯૦ના દાયકામાં સળંગ ભારતની યુવતીઓ જ મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ થવા લાગી હતી. તે પછી ભારતમાં સૌંદર્ય પ્રસાધનો સહિતનું બજાર વિકસી ગયું એટલે હવે તેને એ રીતે ભારતની ગરજ રહી નથી.

અને ફિક્સિંગની વાત કરીએ તો રાજકારણમાં પણ મોટા પાયે ફિક્સિંગ થાય છે. રાજ્યસભાની બેઠક હોય તો ત્રણ સાંસદ રાજ્યમાં શાસક પક્ષના અને એક સાંસદ વિપક્ષનો ચૂંટાય. રાજ્યમાં શાસક – વિપક્ષનું ફિક્સિંગ હોય જ છે. વિપક્ષના નેતાઓને લાભ મળતા બંધ થાય એટલે તે કોઈ મુદ્દે ગોકીરો મચાવે એટલે તેને શાસક પક્ષ લાભ આપી દે એટલે વિપક્ષના નેતાઓ ચૂપ થઈ જાય. કેન્દ્રમાં પણ આવું હોય છે. રાજ્ય – કેન્દ્રમાં કેટલીક સમિતિઓમાં વિપક્ષના માણસોને અધ્યક્ષ કે સભ્ય પદે ગોઠવી દેવાતા હોય છે. નહીંતર, ભ્રષ્ટાચાર હોય કે મોંઘવારી કે પાણીની- વીજળીની સમસ્યા, કેમ કોઈ મુદ્દે વિપક્ષો નક્કર રીતે રજૂઆત કરી તેનો ઉકેલ લાવવા શાસકોને મજબૂર કરી શકતા? વાત ક્રિકેટની હતી, પણ ફિક્સિંગ બધે જ છે.

ઉશનસને શ્રદ્ધાસુમન :ઓટને ભરતી ઉભય સંધાય જે ક્ષણ તે સમુંદર જિંદગી

કેટલીક ચીજો કે બાબતો એવી હોય છે જે ક્યારેક વિસરાઈ જતી હોય છે. કોઈ સારા કે માઠા પ્રસંગે તે યાદ કરવાનું થાય ત્યારે તે સ્મરણ સુખદ કે દુખદ જેવું પણ હોય, ભાવુક બનાવી જતું હોય છે.

ગઈ કાલે મહાન કવિ ઉશનસના નિધનના સમાચાર આવ્યા ને ફરી યાદ આવી ગઈ તેમની બે કવિતાઓ. ઇન્ટરનેટ પર સર્ચ કરતા એક તો http://www.mavjibhai.com/kavita%20files/valavibaa.htm પરથી મળી આવી. અને બીજી http://aksharnaad.com/2009/08/10/this-life-by-usnas/ પર હતી.  દિવાળી તણી રજાઓ હમણાં જ પૂરી થઈ છે અને મારી જેમ દરેકને એ અનુભવ થયો હશે. દિવાળીમાં સગાવહાલાંઓ ઘરે આવ્યા હોય મામા- ફઈ…એ બધાના સંતાનો એટલે કે આપણા પિતરાઈઓ સાથે રહેવાનું બન્યું હોય ને એય ને જલસા કર્યા હોય. દિવાળી પૂરી થાય એટલે એ બધાં ક્રમશઃ જતા રહે ત્યારે કેવું દુઃખ થાય તે ઉશનસે ‘વળાવી બા આવી’માં આબાદ ઝિલી છે. ઘરમાં સ્ત્રીનું વધુ ચાલે તે વાત પણ તેમણે ‘ભાભીનું  ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા’ પંક્તિમાં કહી દીધી છે. અને હવે તો કામધંધાર્થે કે અભ્યાસાર્થે કે લગ્ન પછી પત્નીની જીદના કારણે હવે સંતાનો માતાપિતાથી અલગ રહેવા લાગ્યા છે ત્યારે માતાપિતાને કેવા વિરહ સાલતો હશે તે આ કવિતાથી તાદૃશ્ય થાય છે.

‘એ જિંદગી’માં પણ જિંદગી વિશે તેમણે ખૂબ જ સરસ રીતે સમજાવ્યું છે. એક પંક્તિ  વાંચો : ઓટને ભરતી ઉભય સંધાય જે ક્ષણ તે સમુંદર જિંદગી. ભગવદગીતાની સમતાની ભાવના અને બૌદ્ધત્વ આ કવિતામાં તેમણે સુપેરે સમજાવી દીધું છે.સાહિત્યકાર નથી એટલે તેની એટલી સરસ વિવેચના નહીં કરી શકું.બસ, આ બંને કવિતાઓ બ્લોગવાચકો દિલથી માણે અને પ્રભુ ઉશનસના આત્માને શાંતિ અર્પે એ જ અભ્યર્થના.

આરબીઆઈએ ફરી રેટ વધાર્યા : મોંઘવારીને દૂર કરવાનું થાગડથિગડ

આરબીઆઈએ ગયા વર્ષના માર્ચથી આજ દિન સુધીમાં ૧૨ વાર રેપો રેટ વધાર્યા છે. આજે ૧૩મી વાર વધાર્યો! કારણ શું? ફૂગાવો વધારે છે એટલે! પણ અર્થશાસ્ત્રમાં બહુ નહીં જાણકાર એવા મને આ સમજાતું નથી કે શું રેપો રેટ વધારશે એટલે મોંઘવારી કે ફૂગાવો ઘટી જશે? અને જો એવું હોત તો રેપો રેટ ૧૨ વાર વધાર્યા ત્યાં સુધીમાં મોંઘવારી ઘટી જવી જોઈતી હતી.

હકીકતમાં, આપણે ત્યાં કોઈ પણ સમસ્યાના મૂળમાં જવાના બદલે, થાગડથિગડ અથવા બીજા શબ્દોમાં કહીએ તો, થૂંક લગાડીને ચોંટાડવાનો ઉપાય જ અજમાવવામાં આવે છે. સારું ચોમાસું છે,સારો પાક છે છતાં મોંઘવારી કેમ ઘટતી નથી?

એક તો, કઠોળ સહિતની જીવનજરૂરી ચીજોના વાયદાને કૃષિ મંત્રી શરદ પવારે મંજૂરી આપી છે. આમ, સટ્ટો રમાવવાનું ચાલુ થયું ત્યારથી તેના ભાવો સતત વધી જ રહ્યા છે. બીજું, પેટ્રોલ – ડિઝલના ભાવો નક્કી કરવાનું અત્યાર સુધી સરકારના હાથમાં હતું, એ નિયંત્રણ ઉઠાવી લેવાયું. પરિણામે, છાશવારે પેટ્રોલ- ડિઝલના ભાવો વધ્યા જ કરે. તેની અસર પરિવહન (ટ્રાન્સપોર્ટેશન) પર પડે. સરવાળે, બધી ચીજો મોંઘી થાય. ત્રીજું, દૂધ અને તેના ઉત્પાદનો કેમ મોંઘા થઈ રહ્યા છે? અમૂલની વાત કરીએ તો, તેમાં સહકારી મંડળીનો જે દૃષ્ટિકોણ હતો તે દૂર થયો છે. વ્યાપારીકરણ આવી ગયું છે. વળી, જાહેરખબરો પાછળ તોતિંગ બજેટ વપરાય છે જે વસૂલવા માટે છાશવારે દૂધ અને તેનાં ઉત્પાદનોના ભાવ વધારાય છે. ચોથું, ઘઉં, ડુંગળી જેવી બાબતોમાં પહેલાં નિકાસને છૂટ આપવામાં આવે છે. (તેમાં વળી, મહારાષ્ટ્રનું રાજકારણ છે.) નિકાસ કરાય એટલે અહીં તંગી સર્જાય. એટલે બહારથી મોંઘા ભાવે આયાત કરવામાં આવે. પાંચમું, ખાદ્ય નિગમો (ફૂડ કોર્પોરેશન)માં અનાજ સડ્યા રાખે. (હકીકતે તેના અધિકારીઓ સામે ફોજદારી ગુનો લાગુક કરવો જોઈએ…આ રીતે અનાજ સડવા માટે.) અને હા, એક કારણ ભ્રષ્ટાચાર પણ ખરું. માંગરોળ બાજુ જ તાજેતરમાં એક સમાચાર હતા કે નંબર કે એવી કોઈ પ્લેટ જે પહેલાં ૨૫૦ રૂ.માં બનતી હતી, તે અધિકારીઓએ પ્લેટવાળા સાથે મિલીભગત કરીને તેના ૩૫૦ રૂ. કરી નાખ્યા. આમ, ભ્રષ્ટાચારના કારણે પણ મોંઘવારી વધી રહી છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ વધે એટલે સીએનજીના ભાવો આપોઆપ વધી જાય છે.

એટલે આ બધાં કારણો કોઈ નથી જાણતું તેમ નથી, પણ પ્રધાનો, અર્થશાસ્ત્રીઓને સટ્ટામાંથી મળતા લાભો કે આની પાછળના રાજકારણના કારણે ભાવ ઘટાડવામાં રસ નથી.

રસ્તામાં ખાડા પડે એટલે રિસર્ફેસ કરી નાખવામાં આવે. પણ કોઈ લાંબો સમય રસ્તા સારા રહે તેવી સામગ્રી વાપરીને રસ્તા બનાવવાનું વિચારતું નથી. ત્રાસવાદમાંય એવું જ છે. ટૂંકમાં, દરેક સમસ્યાના મૂળમાં જવાના બદલે સમસ્યાનો હાલ પૂરતો અંત આવે તેવા જ પગલાં લેવાનું સહુ કોઈ વિચારે છે. કાં તો વિચારવાનો સમય નથી, કાં તો પગલાં લેવાનો સમય નથી અને કાં તો પગલાં લેવાની દાનત જ નથી.

 

હવે પુરુષો સમાણી ગાળો!

…અને હવે પુરુષો પરની ગાળો ચાલુ થશે! બે દિવસ પછી દિવાળી પર રિલીઝ થવા જઈ રહેલી શાહરુખ ખાનની ફિલ્મ ‘રા.વન’માં આ ટ્રેન્ડ ચાલુ થઈ રહ્યો છે અને આ જાહેરાત ‘સ્ટ્રેઇટ ફ્રોમ હોર્સસ માઉથ’ એટલે કે શાહરુખે પોતે કરી છે, કેબીસીમાં. આ વખતે કેબીસીમાં તે આવ્યો ત્યારે ઘણો ઢીલો, નમ્ર અને નર્વસ જણાતો હતો. શાહરુખ ખાનના વળતા પાણી અને તેના અહંકાર પર અલગથી લેખ થઈ શકે. એ પછી ક્યારેક.

તો, મૂળ વાત પુરુષો પરની ગાળોની વાતો હતી. રાજકુમાર સંતોષીની ‘લજ્જા’માં પણ સ્ત્રી સમાનતાની વાતો હતી. એમાં કુન્દનિકા કાપડિયાની નવલકથા ‘સાત પગલાં આકાશમાં’ની જેમ એવી ઘણી વાતો હતી જે સ્ત્રીને ઘોર અન્યાય જેવી લાગે. સ્ત્રી શા માટે સીટી ન વગાડી શકે? સ્ત્રીને પેશાબ લાગે તો તે જાહેરમાં શા માટે ન કરી શકે? લગ્નમાં કન્યા પક્ષવાળા જ ઝૂકી ઝૂકીને શા માટે ચાલે? વગેરે વગેરે. આ બધી ચર્ચા તો વિગતવાર અહીં થઈ શકે તેમ નથી, પણ એક વાત એ છે કે એમ ટીવી કલ્ચર (એના માટે ગુજરાતી શબ્દ સંસ્કૃતિ પ્રયોજવો યોગ્ય નથી લાગતો)નું આગમન થયું ત્યારથી એક એવી દલીલ, ન માત્ર રાજકારણ ક્ષેત્રે, પણ કળા ક્ષેત્રે પણ ચાલુ થઈ કે ફલાણો આવું ખોટું કરી શકે તો હું કેમ નહીં? ભ્રષ્ટાચાર કે કોમી રમખાણો કે કોઈ દુર્ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારવા જેવી બાબત હોય તો રાજકીય પક્ષો કહેતા હોય છે કે ફલાણા રાજકીય પક્ષના ફલાણા મંત્રીએ આવું કર્યું હતું તો અમે કરીએ? એ જ રીતે, મહેશ ભટ્ટ મર્ડર જેવી ફિલ્મો બનાવતી વખતે દલીલ કરે કે આ બધું તો એમટીવી પર દેખાડાતા વિડિયોમાં બતાવાય જ છે. પહેલાં તેને બંધ કરાવો. એમટીવી વાળા દલીલ કરશે કે ફિલ્મોમાં આઇટમ ગીતોમાં કેટલું બતાવાય છે.

એટલે પુરુષો માબહેન સમાણી ગાળો બોલે એટલે હવે સ્ત્રીઓ પુરુષો સમાણી ગાળો બોલવા માગે છે. ટૂંકમાં, સ્ત્રી પણ પુરુષ જેટલી જ બગડવા માગે છે.

અણ્ણા મહાન નહીં હોય, પણ તેમણે ઉપાડેલા મુદ્દા મહાન છે જ

હમણાં એક જાતઅનુભવ થયો. એક્સિસ બેન્કમાં મારું ખાતું છે. ત્યાં હું  અકસ્માત પામેલા મારાં સાળી માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવા ગયો હતો. રકમ મામૂલી હતી. ૧૦૦ રૂ.ની. ફોર્મ ભરીને લાઇનમાં ઊભો રહ્યો. વારો આવ્યો ત્યાં ટેલર કેબિન બહાર કોઈ મહાશય સાથે વાત કરતા હતા. પેલા મહાશયે મને કહ્યું કે બાજુની બારી પર જતા રહો. મેં દલીલ કરી, આટલી વારથી લાઇનમાં ઊભો છું, હવે વારો લઈ લો ને. એટલે કમને પેલા ટેલરને પાછું આવવું પડ્યું. કદાચ એટલે જ તેમણે મારી પાસે આઈડી પ્રૂફ માગ્યું. મેં દલીલ કરી કે ૧૦૦ રૂ.ની મામૂલી રકમ માટે આઇ.ડી. પ્રૂફ આપવાનું? ૨૫,૦૦૦ કે તેનાથી વધુ રકમ હોય તો હું સમજી શકું, તો કહે, નિયમ છે. મેં કહ્યું, નિયમ હોય તો લેખિત બતાવો. તો ના પાડી અને ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢવાની ના પાડી. ઘણી વાર આપણા પક્ષવાળા જ આપણી વિરુદ્ધ હોય તેમ, એક ગ્રાહક જે મારી પાછળ ઊભા હતા અને તેમને મારી રકઝકથી મોડું થતું લાગ્યું એટલે મને કહે કે ટેલરની વાત સાચી છે, નિયમ તો પાળવો જ પડે. તેમની સાથે દલીલ કર્યા વગર, હું ઘરે પાછો આવ્યો અને આઇ.ડી. પ્રૂફ લઈને પાછો ગયો.

આ વખતે પાછો લાઈનમાં ઊભો રહ્યો. લાઇનમાં પાછળ ઊભેલા એક અન્ય ભાઈએ મને કહ્યું કે બાજુની બારી પર કોઈ નથી, જતા રહો. મને થયું કે આની પહેલાં, મને બેન્કવાળા ભાઈએ જ બાજુની બારી પર જવાનું કહેલું તો લાવ જતો રહું. ત્યાં આમેય કોઈ નથી. બાજુની બારી પર એક બહેન હતા. તેમણે મને પેલી બારી પર જ ડિમાન્ડ ડ્રાફ્ટ નીકળશે તેમ કહ્યું. એટલે ગ્રાહકની લાઈનમાં જે ભાઈએ મને આ બારી પર જવાની સલાહ આપી હતી તેમણે મારી જગ્યા કરી આપી. મારો વારો આવ્યો એટલે પેલા ટેલરભાઈએ ફરી આઇડી પ્રૂફની દલીલ કરી. મેં કહ્યું, આ રહ્યું આઈડી પ્રૂફ, પણ મને નિયમ બતાવો. એટલે તેમણે મેનેજર પાસે જવા કહ્યું.

મેનેજર પાસે જઈને મેં કહ્યું કે મારે ફરિયાદ કરવાની છે. એટલે પહેલાં ૧૦ મિનિટ તો બીજા કોઈ ભાઈ મળવા આવેલા તેમની સાથે જ વિતાવી. તે ભાઈ ઉપરના માળે ગયા એટલે ફોનમાં તેમના સહકર્મચારીને કહ્યું કે આ જે ભાઈ આવ્યા છે તે લપિયા છે, તેને તું ફૂટાવજે. ફોન પત્યો. મને એમ કે હવે મારી વાત સાંભળશે. પણ ના. તેમણે હવે પોતાનું કામ હાથમાં લીધું. તે પછી વળી ફોન. છેવટે હું તેમને વાત સંભળાવી શકું તેટલો સદ્નનસીબ નિવડ્યો ખરો. મેં તેમને મારી વાત કરી, તો મને કહે, તમને બીજી બારી પર જવા કહેલું તે હું જ હતો.

લો બોલો. એ મેનેજર જ હતા, જેમણે મને બીજી બારી પર (તેમની ભાષામાં કહીએ તો, ફૂટવા) કહેલું, કારણ તેમને ટેલર સાથે વાત કરવી હતી. મેં કહ્યું, તમે કહેલું, પણ બીજી બારી પરના બહેન મને ફરી ટેલર પાસે મોકલે છે. તો તમે લોકો શું ગ્રાહકો સાથે ચલકચલાણું રમો છો? અને ૧૦૦ રૂ.ની મામૂલી રકમ અને તેય મારે જીપીએસસીને ચૂકવવાની છે, તેના માટે આઇડી પ્રૂફ માગો છો? તો કહે, નિયમ છે. મેં કહ્યું, ડીડી મારો નથી. મારા સાળીનો છે. વળી, મારા અહીં એકાઉન્ટ છે. એ એકાઉન્ટ તો એમ ને એમ તમે નહીં ખોલ્યા હોય ને. અને એવું હોય તો તમે આરબીઆઈની ગાઇડલાઇન બતાવો.

તો મને કહે, ગાઇડલાઇન તો દળદાર હોય તે તમને કઈ રીતે બતાવી શકું? અને નિયમ મુજબ જાવ તો તમને ડીડી જ ન મળે! તમારી સાળીને જ અહીં લેવા આવવું પડે. આમ કહી, ફરી કોઈ ફોન પર પરોવાઈ ગયા. હું એમ કહીને ત્યાંથી નીકળી ગયો કે તમને મારી ફરિયાદ સાંભળવામાં કોઈ રસ નથી.

ઘરે આવીને એક્સિસ બેન્કને મેઇલ કર્યો, તો બીજા દિવસે બેન્કના મેનેજરે ફોન કરીને તેમના કર્મચારીઓ દ્વારા ઢીલાશ અને કામ ઠેલવાની વૃત્તિ માટે દિલગીરી વ્યક્ત કરી. જોકે આઇડી પ્રૂફની વાત તો પકડી જ રાખી.

પછી બેન્ક ઓફ બરોડામાં ગયો ત્યાં આઈડી પ્રૂફ વગર જ ડિમાન્ડ ડ્રાફ્ટ તો નીકળી ગયો, પણ પ્રિન્ટ કાઢવાની વાત આવી ત્યાં મહિલા કર્મચારી નાસ્તો કરવા બેસી ગયા. આમ ને આમ ૨૦ મિનિટ નીકળી ગઈ. પૂછ્યું તો કહે, રિસેસ છે. બોર્ડ બતાવીને કહ્યું કે રિસેસ ૨ વાગે પડે છે. અત્યારે ૧ વાગ્યો છે તો કહે, મને ડાયાબિટિસ છે એટલે નાસ્તો કરવો પડે. મેં કહ્યું, સાચી વાત છે, પણ પ્રિન્ટ આપતા કેટલી વાર લાગે? છેવટે નાસ્તો પતાવીને પ્રિન્ટ કાઢી આપી ખરી.

તો વાત આમ છે. બેન્કોનું ખાનગીકરણ થયા પછી પણ સેવામાં ખાસ કોઈ ફરક પડ્યો નથી, કારણ આપણી માનસિકતા છે. બધા નહીં, તોય ઘણા ખરા ભારતીય કર્મચારીઓ સરકારી ઢબે જ કામ કરે છે. અમારી અખબારો- મેગેઝિનોમાં પણ આવા જ અનુભવો થાય છે. એચઆર ડિપાર્ટમેન્ટ હોય કે એકાઉન્ટ કે પછી બીજા કોઈ વિભાગ. લાસરિયા વેડા અને પોતાનું કામ બીજા પર ઢોળવાની મનોવૃત્તિ જ કામ કરે છે. એક જગ્યાએ મને પ્રમોશન માટેનો લેટર મળતા પંદર દિવસ લાગેલા. છેવટે ઉપલા અધિકારીને કહ્યું તો કહે, એચઆર મેનેજરને હું કહું છું. મેં તો સાઇન કરી દીધેલી છે. કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય કે બેન્ક હોય કે અન્ય કોઈ પ્રકારની કંપની, વગ ધરાવતા લોકો, ધનિક લોકો, ઉપલા અધિકારીઓ વગેરેનાં કામો ફટાફટ કરી આપશે. બાકી બધા જાય ચૂલામાં.

આવી હાલત હોય ત્યાં અણ્ણાના મુદ્દા યાદ આવે. તેમણે નિમ્ન કર્મચારીઓને લોકપાલ હેઠળ આવરી લેવા કહ્યું છે. નિર્ધારિત સમયની અંદર કામ ન થાય તો તેને ભ્રષ્ટાચાર ગણવાની તેમની માગણી છે. અણ્ણા વ્યક્તિ તરીકે કે નેતા તરીકે મહાન હશે કે નહીં હોય તે અલગ મુદ્દો છે, પણ તેમણે જે મુદ્દાઓ ઉપાડ્યા છે તે તો મહાન  – મોટા છે જ. આ દેશમાં બધું જ સડી ગયેલું છે. અને કમનસીબે, આપણી મનોવૃત્તિ જ સાલી, સડેલી છે. સ્વાધ્યાય પરિવારથી માંડીને આરએસએસ સુધીના સંગઠનો આ વાત કહેતા રહ્યા છે. આખો સમાજ ક્યારેય નહીં બદલાય. વ્યક્તિએ બદલવું પડશે. વ્યક્તિ પરિવર્તન થકી સમાજપરિવર્તન આવશે. પણ, સાલું થાય છે એવું કે આવા સમાજસુધારક સંગઠનોમાં જ સડેલી વ્યક્તિઓ ઘૂસી જઈ તેને સડાવી નાખે છે. સંઘના સ્વયંસેવકો વાઘેલા, યેદીયુરપ્પા, ગડકરી જેવા નીકળે છે. સ્વાધ્યાય પરિવારમાં શું થયું છે તે બધાને ખબર છે. કમનસીબી એ છે કે દુષ્ટો – દુર્જનો, ભ્રષ્ટાચારીઓ વચ્ચે એકતા છે, પણ સજ્જનો (દા. ત. અણ્ણા ટીમ)માં એકતા નથી. સજ્જનોને તેમનો અહંકાર એક થવા દેતો નથી.

એટલે ક્યારેક થાય છે કે આપણો દેશ ચમત્કારને જ નમસ્કાર કરે છે. અમદાવાદમાં હેલમેટના કાયદાનું કેટલું ચુસ્તીથી પાલન થાય છે તે બધા જાણે છે. નો પાર્કિંગમાં વાહન પાર્ક કર્યું હોય તો ટોઇંગ વાન વાળા સ્કૂટર ઉપાડી જાય છે. પરિણામે મોટી સંખ્યામાં હેલમેટ પહેરતા થયા છે. વાહન પાર્કિંગમાં ધ્યાન રાખવામાં આવે છે. આમ, કાયદાનું ચુસ્તીથી પાલન થાય તો ભ્રષ્ટાચારની બાબતમાં, કર્મચારીઓ દ્વારા કામમાં ઢીલાશ વગેરે બાબતો દૂર થાય જ. એમાં કોઈ બે મત નથી.

દિગ્વિજયો ઠેરઠેર છે

દિગ્વિજયસિંહ અણ્ણા હઝારે અને તેમની ટીમ સામે, સંઘ સામે, ભાજપ સામે એટલા બકવાસ નિવેદનો કરતા રહે છે, કે આપણને એમ થાય કે તેમને તેમના માઈબાપ સમાન સોનિયા ગાંધી કેમ ટપારતા નહીં હોય? પણ આ રાજનીતિનો જ એક ભાગ છે. સોનિયા ગાંધીએ જ તેમને છૂટો દોર આપ્યો હોય છે. જ્યારે સંમત હોય ત્યારે કહેવામાં આવે કે આ તો કોંગ્રેસનું નિવેદન છે અને જ્યારે અસંમત હોય ત્યારે હાથ ખંખેરી નાખવાના,એમ કહીને કે આ તો તેમના અંગત વિચારો છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં દિગ્વિજયે આવાં જે બકવાસભર્યા નિવેદનો પર નજર કરીએ તો તેમના પ્રત્યેની ઘૃણામાં ઓર વધારો થાય. જોકે, અહીં વાત બીજી કરવી છે.

અહીં એ કહેવું છે કે કોઈ પણ સંસ્થા, કંપની કે અન્ય પ્રકારના સંગઠનોમાં આવા દિગ્વિજયો હોય જ છે. તેઓ ચમચાગીરી કરીને, બીજાની ખામી દેખાડીને આગળ આવ્યા હોય છે. અને પછી પણ એ જ કામ તેઓ કરતા હોય છે. રોજ સવાર પડે ને તેમનું કામ બીજાની ભૂલો શોધવાનું જ હોય છે. અમારી પત્રકાર દુનિયાની વાત કરીએ તો કેટલાક અખબારો – મેગેઝિનોમાં તો બાકાયદા વિશ્લેષણકારોને રાખવામાં આવ્યા હોય છે. તેઓ પોતે કંઈ સારું કરી શકતા નથી. પણ બીજાની (મોટા ભાગે ખોટી ) ભૂલો આરામથી શોધી કાઢે છે અને તેને મોટી બનાવીને માલિકો – તંત્રીઓ – ડિપાર્ટમેન્ટ હેડ સુધી પહોંચાડે છે. આ ભૂલોના આધારે જે ખરેખર કામ કરે છે તે બિચારો કારણવગર દંડાયા કરે છે. એ તો ઠીક, આવા માણસો જાસૂસીનું કામ પણ કરતા હોય છે. તેઓ તમારી પર સતત નજર રાખે. કારણવગર તમારી પાસે આવી જઈ ચડે. તમારી આગળ માલિક- તંત્રી- મેનેજમેન્ટનું વાંકું બોલે અને તમે શું બોલો છો તે વાત કઢાવે. જો તમે વાંકું બોલ્યા (જે તમે બોલવાના જ, કારણ દરેકની કંઈ ને કંઈ ફરિયાદ તો હોવાની જ) તો તેને મરીમસાલા ભભરાવીને માલિક- તંત્રી- ડિપાર્ટમેન્ટ હેડ સમક્ષ રજૂ કરશે. આવા લોકોને સારો પગાર  મળતો હોય છે અને દર વર્ષે તેમના પગારમાં સારી એવી વૃદ્ધિ થતી રહે છે. જે સંગઠન,સંસ્થા કે કંપનીમાં તમે કામ કરતા હો તેમાં તમને આવા ભાઈ કે બહેનને જોઈને થાય કે આને કંઈ આવડતું નથી છતાં માલિક- મેનેજમેન્ટ તેને કેમ આટલું બધું મહત્ત્વ આપે છે અને આની પાસે કંઈ કામ પણ નથી, પણ તેનું નહીં દેખાતું કામ આપણને ખબર હોતી નથી અને ખબર હોય તો પણ આપણે એમાં કંઈ કરી શકતા નથી, સિવાય કે આવા લોકોથી બચીને રહેવાનું. અણ્ણા અને ભાજપ જેમ કહે છે કે અમે દિગ્વિજયને ગંભીરતાથી લેવાનું બંધ કરી દીધું છે, તેમ આવા લોકોને ખાસ મહત્ત્વ નહીં આપવાનું.

મોદી વિ. નીતીશકુમાર : વડા પ્રધાન બનવા મોદીએ ઘણું બદલાવવું પડશે

આજે લાલકૃષ્ણ આડવાણીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનચેતનાયાત્રાનો પ્રારંભ કર્યો છે. પણ કોંગ્રેસ સામે ભાજપમાંય ભ્રષ્ટાચાર ઓછો નથી, વળી ભાજપ હવે કોંગ્રેસના પ્રતિબિંબ જેવો બનતો જાય છે. તેણે ફાઇવસ્ટાર કલ્ચર અપનાવ્યું છે. આડવાણીજીય હેલિકોપ્ટરમાં અને અદ્યતન સગવડો ધરાવતી બસમાં મુસાફરી કરવાના છે. ભાજપે થોડા વર્ષો પહેલાં જે અધિવેશન કરેલું તેમાં તંબૂ ફાઇવસ્ટાર કલ્ચરને આંટી મારે તેવા હતા. આવો દેખાડો ભાજપના મતદારને ભાજપથી દૂર લેતો જાય છે. ભ્રષ્ટાચાર અને મોંઘવારી સામે પહેલાં કોઈ રાષ્ટ્રવ્યાપી આંદોલન ન કર્યું અને અણ્ણા તેમજ રામદેવ બાબાએ આંદોલન કર્યું તો તેને વટાવી ખાવા હવે આડવાણીજી નીકળી પડ્યા છે.

ઠીક છે. આ વાતથી હવે બીજી વાત કરીએ. ૨૦૧૪માં વડા પ્રધાન બનવા માટે જે અનેક લોકો મેદાનમાં છે, તેમાં નરેન્દ્ર મોદી અને નીતીશકુમાર પ્રમુખ છે. આ બંનેએ પોતપોતાના રાજ્યમાં વિકાસ સાધ્યો છે અને તેની અમેરિકાની કોંગ્રેસ (સંસદ)ની એક સંસ્થાએ પણ પ્રશંસા કરી છે. કેટલાક કહે છે કે કોંગ્રેસની આ સંસ્થાના રિપોર્ટનું કંઈ મહત્ત્વ નથી. મહત્ત્વ એટલા માટે છે કે તેનાથી ત્યાંના સાંસદોનો અભિપ્રાય બંધાવા લાગ્યો છે. હવે મોદી અને નીતીશકુમારની ચર્ચા કરીએ તો આ બંને વૃશ્ચિક રાશિના વિકાસપુરુષો વચ્ચે ચર્ચા સ્વાભાવિક છે, ખાસ તો જ્યારે તેઓ વડા પ્રધાન બનવાનાં સપનાં જોઈ રહ્યા છે અથવા તો તેમને સપનાં દેખાડવામાં આવી રહ્યા છે.

એમાં કોઈ શંકા નથી કે બંનેએ પોતપોતાના રાજ્યમાં વિકાસ સાધ્યો છે, પણ જો સરખામણી કરીએ તો નીતીશકુમારની તરફેણમાં પલ્લું ઝૂકતું લાગે છે. મોદીચાહકોને આ વાત નહીં ગમે, પણ આ વાત સત્ય છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સધાયેલા વિકાસનો એટલો જ પ્રચાર થયો છે. તેમણે જે કંઈ કર્યું છે તે મોટા ફલક પર કર્યું છે. સદ્ભાવના ઉપવાસ કર્યા તો પણ મોટા ફલક પર. નીતીશકુમાર આવા દેખાડાથી સામાન્ય રીતે દૂર રહે છે, જે તેમનું જમા પાસું છે.

અહીં સદ્ભાવના ઉપવાસમાં આવીને નવજોતસિંહ સિદ્ધુ અને અન્ય લોકો જે બફાટ કરી ગયા કે પહેલાં ગુજરાત કંગાળ હતું અને હવે સમૃદ્ધ થયું છે તેના સંદર્ભમાં આ લોકોને લાફા મારવાનું મન થાય. ગુજરાત ક્યારેય કંગાળ હતું જ નહીં. એમાં કોઈ શંકા નથી કે નરેન્દ્ર મોદીએ ગુજરાતને સબળ નેતૃત્વ પૂરું પાડ્યં છે અને વધુ સબળ બનાવ્યું છે. ૨૦૦૧માં કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે મોદીજી ગુજરાતમાં નહોતા. એ વખતે કેટકેટલી સહાય આવી હતી? કેટલી ઝડપથી કચ્છ બેઠું થઈ ગયું હતું? તે પછી કચ્છમાં વાવાઝોડું પણ આવ્યું હતું.

ગુજરાતનો અવાજ રાષ્ટ્રીય સ્તરે ગૂંજતો કરનારા નેતામાં મને ચીમનભાઈ પટેલનું નામ સ્મરે છે. (અલબત્ત, તેમના વખતમાં અપરાધીઓને છૂટો દોર અને ભ્રષ્ટાચારના આક્ષેપો ઘણા થયેલા.) જોકે મોદીજીના વખતમાં ગુજરાત વધુ ચર્ચામાં રહેવા લાગ્યું છે. ગુજરાતમાં વિકાસનું કામ અટકી પડ્યું છે તેનો દાખલો બીજે ક્યાંય નહીં પણ તેની આર્થિક રાજધાની અમદાવાદના રસ્તા જોવા પડે. એટલા ખાડા છે અને માર્ગો પર માત્ર રિસર્ફેસિંગ જ થાય છે. અને ફૂટપાથ તો માત્ર નામની જ. ગેરકાયદે દબાણોના કારણે તેના પર પદયાત્રી ચાલી જ ન શકે. ગુજરાતમાં ગુનાખોરી કેટલી વકરી છે અહીં. (એમાં જોકે પોલીસનું નબળું પડેલું મનોબળ પણ કહી શકાય અને બીજું કારણ ગુજરાતમાં વધેલી પરપ્રાંતીયોની સંખ્યા પણ છે.)

નીતીશકુમાર હંમેશાં લોપ્રોફાઇલ રહીને કામ કરે છે. તેમની ખાસ સ્ટાઇલની તસવીરો વેબસાઇટ પર જોવા મળતી નથી. તેમણે ક્યારેય ખોટા ‘હુંકારો’ કર્યા નથી કે નથી કર્યા દાવા. મોદીજી જ્યારે રાષ્ટ્રીય ચેનલ કવરેજ કરતી હોય કે ન કરતી હોય, હિન્દીમાં પ્રવચન આપે છે, પરંતુ મહારાષ્ટ્રના બાળ ઠાકરેને જ્યારે પ્રવચન કરવાનું હોય ત્યારે તેઓ મરાઠીમાં જ પ્રવચન કરે છે અને છતાંય તેમની ત્રાડ દેશભરમાં સંભળાય છે. એટલે ગુજરાતીમાં મોદીજી પ્રવચન કરે તોય તેમની વાત દેશભરમાં પહોંચી જ શકે.

નીતીશકુમાર હિન્દુ અને મુસ્લિમોમાં સરખા લોકપ્રિય છે. તેમણે તુષ્ટીકરણની નીતિ બહુ ખાસ અપનાવી હોવાનું જણાયું નથી. અલબત્ત, નીતીશકુમારની ગાડીમાં પંક્ચર કરવા માટે તેમના પક્ષના પ્રમુખ શરદ યાદવ તેમની ભાષા થકી પ્રયાસો કરતા રહે છે. એ બાબતમાં નીતીશ અને મોદી બંને વચ્ચે સમાનતા છે. મોદીની જ નહીં, ભાજપની ગાડીમાં નીતીન ગડકરીની ભાષાના કારણે પંક્ચર પડતું રહે છે. ગડકરી જેવી ભાષા વાપરે છે તેવી આજ સુધી ભાજપના કોઈ નેતાએ વાપરી નથી. પ્રહારો બધાએ કર્યા છે, પણ અટલ બિહારી વાજપેયી, ગોવિંદાચાર્ય, લાલકૃષ્ણ આડવાણી, મુરલી મનોહર જોશી, કુશાભાઉ ઠાકરે, પ્રમોદ મહાજન, સુષમા સ્વરાજ અને અરુણ જેટલીએ ક્યારેય ગડકરી જેવી ભાષા વાપરી નથી.

નીતીશકુમાર જમીની હકીકતથી અને જમીની જીવનશૈલીથી વધુ નજીક છે. તેમણે મોદી જેવી સ્ટાઇલો ક્યારેય અપનાવી નથી. ગોગલ્સ, સૂટ વગેરેમાં તેમણે તસવીરો પડાવી હોય તેવું જાણવા મળ્યું નથી. વળી, તેમણે ઉદ્યોગપતિઓને બોલાવીને તમાશા કર્યા હોવાનું સમાચારમાં આવ્યા નથી. મોદીને પોલીસ તરફથી જેટલી બદનામી અને તકલીફ પડી રહી છે તેટલી નીતીશને પડી નથી. રમખાણો કે અન્ય કોઈ મુદ્દે તેમને આટલી બદનામી સહેવી નથી પડી.

છેલ્લે, નીતીશકુમારની તરફેણમાં વધુ પલ્લુ એટલા માટે નમે છે કે તેમને જે બિહાર મળ્યું હતું તે અપરાધોથી ભરપૂર અને એકદમ પછાત તરીકે વગોવાયેલું અને ખરેખર એવું જ બિહાર હતું. રાજકારણમાં અપરાધીઓ અને મસલ્સ પાવરની બોલબાલા હતી. આવા બિહારમાં તેમણે વિકાસ સાધ્યો છે. મોદીજીને મળેલું ગુજરાત તો સમૃદ્ધ હતું જ, હા, તેમણે તેને વધુ સમૃદ્ધ બનાવ્યું છે અને રાષ્ટ્રીય ફલક પર ચર્ચામાં મૂકી દીધું છે તે જરૂર.

એટલે મોદીજીને ૨૦૧૪માં કે એ પહેલાં ચૂંટણી આવી પડે તો ત્યારે, વડા પ્રધાન બનવું હશે તો ઘણું બધું બદલાવું પડશે. અગાઉ ઘણા મુદ્દે તેમની મેં પ્રશંસા કરી છે, પરંતુ જે નકારાત્મક બાબતો તેમને નડી રહી છે તે પણ મારે મૂકવી જોઈએ એમ મને લાગ્યું એટલે આ લખ્યું છે.

शुभमस्तु !……ब्रिटिश बाळका: संस्कृत वदति।

મિત્ર અને ગુજરાતી – હિન્દી ફિલ્મોના એન્સાઇક્લોપિડિયા જેવા – હરીશ રઘુવંશી તરફથી મળેલો ઇમેઇલ સંસ્કૃત ભાષા શીખતા બ્રિટિશ અને ભારતીય મૂળના બ્રિટિશ બાળકો વિશેનો છે. આપણે ત્યાં સંસ્કૃત ભણાવવા ખાતર ભણાવાય છે અને હવે ‘ણ’, ‘ળ’, ‘દ’, ‘શ’ અને ‘ષ’  જેવા અક્ષરોના ઉચ્ચાર જ ભૂલાતા જાય છે (આપણેને બદલે આપડે બોલાય, પળાય ના બદલે પડાય બોલાય છે) ત્યારે આ પોસ્ટમાં આપેલા વિડિયો જોવા ગમશે. મેઇલ યથાવત જ પોસ્ટ કરેલો છે. (મેં મારી લગ્નની કંકોત્રી અને ૨૦૧૦માં કરેલી ભાગવત સપ્તાહની આમંત્રણ પત્રિકા સંસ્કૃતમાં ભાષાંતર કરાવીને છપાવેલી, જે ઘણા લોકોને પસંદ પડી હતી.)

शुभमस्तु !…… They’ll teach you Sanskrit in London but not in India!!!

I am really “amazed” and “ashamed” at the same time seeing these videos and reading about Sanskrit in British schools.
Don’t miss any of the weblinks given below…..

We should all learn this greatest language on Earth.

sanskrit-300x220.jpgभवतीसंस्कृतंभाषतेवा ?
भवान्संस्कृतंभाषतेवा ?

नालमेकभाषया !

The study of Sanskrit in schools may be dipping in India or may be facing resource cuts, according to news reports,
but it is thriving in a most unlikely place — a set of British schools!

Here are links to the St James Independent Group of Schools, London,
where Sanskrit is taught (indeed, its study is compulsory until age 11):

Link 1:

Link 2: http://sanskritdocuments.org/articles/sanskritlondon.pdf

Link 3: Recitation of Sanskrit slokas from Upanishads outside Buckingham Palace:

Link 4 and 5: (from the school’s web site): http://www.stjamesschool.org.uk/?area=school_life&page=intellectual&sub_page=sanskrit and

http://www.stjamesschools.co.uk/juniorschools/school-life.php?page=Academic&subsection=Languages

Link 6:

A school excursion to Oxford ! Students in their 10th yr of school (10th Std/ 10th Grade) of St James School visit the Bodleian Library at Oxford University to view carefully preserved manuscripts of Kalidasa’s “Shakuntala,” a 300-year old copy of Valmiki’s “Ramayana,” a 200-year old Sanskrit manuscript of “The Mahabharata” and other literary and art treasures: http://claysanskritlibrary.wordpress.com/2011/06/28/sanskrit-show-and-tell-with-st-james-school-pupils/

Interview with one of the Sanskrit teachers follows:

જનલોકપાલ કાયદો ક્યારે? સરકાર-વિપક્ષ ધારે ત્યારે!

પોતાના ઉપવાસને તોડતા લોકોના ‘હીરો’ બની ચુકેલા અણ્ણા હઝારેએ કહ્યું કે મેં મારા ઉપવાસ મોકૂફ રાખ્યા છે, છોડયા નથી. જ્યાં સુધી જન લોકપાલનો કાયદો ન આવે ત્યાં સુધી મારું આંદોલન ચાલુ રાખીશ.

પણ જન લોકપાલ ખરડો કાયદો ક્યારે બનશે? જે રીતે, અણ્ણા હઝારેની માગણીઓ માનતા સરકારે એપ્રિલથી ઓગસ્ટ અને એમાંય છેલ્લાં ૧૨ દિવસોમાં ‘કભી નરમ, કભી ગરમ’નું ઢીલાશભર્યું વલણ અપનાવ્યું, જો તેને ધ્યાનમાં લઇએ, તો, જન લોકપાલ કાયદાનું સ્વરૃપ ધારણ કરે તે માટે, ‘દિલ્હી અભી બહોત દૂર હૈ.’

આને તમે ‘ટિપિકલ સરકારી વલણ’ પણ કહી શકો અને સરકારી પ્રક્રિયાઓ જ એવી છે કે તેમાં સમય લાગે તેવું બહાનું પણ આગળ ધરી શકો.

હકીકતે સંસદીય પ્રક્રિયા ઘણી જટિલ છે. સરકાર અને વિપક્ષો ધારે તો એક જ દિવસમાં ચર્ચા કર્યા વગર પગાર ભથ્થાં વધારી શકે છે, અને શનિવારે ૨૭ ઓગસ્ટે આપણે જોયું તેમ, એક દિવસમાં ‘સેન્સ ઓફ હાઉસ’ પણ, જો પરિસ્થિતિ વણસતી લાગે તો લઇ શકાય છે. ‘સેન્સ ઓફ હાઉસ’ એવી જોગવાઇ છે જેમાં ગૃહના અધ્યક્ષને લાગે કે ચર્ચા લાંબી ચાલે તેમ છે તો ગૃહના સાંસદોના મુખ્ય સૂર પકડીને તેનો ઠરાવ બનાવી શકાય છે.

આમ, સરકારના હાથમાં ‘ઘણું’ હોય છે. તે ધારે તો, ‘શાંતિ જોખમાતી હોવાના’ આરોપસર અણ્ણાને જેલમાં (લોક અપમાં નહીં) પૂરી શકે અને એ જ સાંજે કેસ પાછા ખેંચીને તેમને મુક્ત કરવાના આદેશ પણ આપી શકાય છે.

તો, હવે જન લોકપાલ ખરડાને કાયદો બનતા કેટલી વાર લાગશે? એ તો એક રામ જાણે અને બીજા મનમોહન. પ્રક્રિયા મુજબ, જોવા જાવ તો, ખરડો હજુ સ્ટેન્ડિંગ કમિટી પાસે જશે. પ્રણવ મુખર્જીએ ગઇકાલે કહ્યું તેમ, સ્ટેન્ડિંગ કમિટી ખરડાની વ્યવહારુક્ષમતા અને અમલક્ષમતા બંનેને ધ્યાનમાં રાખીને તેનો નિર્ણય લેશે. (અને સ્ટેન્ડિંગ કમિટીમાં લાલુપ્રસાદ યાદવ અને રામવિલાસ પાસવાન જેવા લોકો છે અને તેના અધ્યક્ષ કોંગ્રેસના ‘વકીલ’ અભિષેક મનુ સિંઘવી છે!) પછી સંસદમાં મતદાન થઇ ખરડો પસાર કરાશે. ખરડો રાષ્ટ્રપતિની મંજૂરી માટે જશે. રાષ્ટ્રપતિ ધારે તો ખરડાને સંસદ પાસે પાછો મોકલી શકે છે. અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમણે આવું કરેલું પણ ખરું.

આમ, જન લોકપાલ ખરડામાંથી કાયદો બને તે આડે હજુ ઘણા ‘જો’ અને ‘તો’ છે. આશા રાખીએ કે અણ્ણાને છેલ્લા ૧૨ દિવસ કર્યા તેવા ઉપવાસ ફરી કરવા ન પડે.

સંસદમાં લોકપાલ પર સંમતિ સધાઈ જશે, પણ મોટો અંતરાય હજુ બાકી છે!

સંસદમાં આજે લોકપાલ પર ચર્ચા છે. શરદ યાદવ જેવા નબળા સ્તરના નેતાએ અગાઉ પણ સર્વપક્ષીય બેઠક પછી અણ્ણા અને તેમના સમર્થકોની ઠેકડી ઉડાવી હતી. આજે પણ ચર્ચા દરમ્યાન તેઓ એ કહેવાનું ન ભૂલ્યા કે સાંસદ બનવા માટે કેટલો પરિશ્રમ કરવો પડે છે. એમ ને એમ સાંસદ નથી બનાતું.

શરદ યાદવની વાત સાચી છે. સાંસદ બનવા કેટલા રૂપિયા વેરવા પડે, કેટલી દારૂની કોથળીઓ છૂટી મૂકવી પડે, કેટલી ધોતી ને કેટલી સાડીઓ આપવી પડે, કેટલાં (ઠાલાં) વચનો આપવા પડે છે, કેટલા ભાડૂતી ગુંડા રાખવા પડે, કેટલું બુથ કેપ્ચરિંગ કરવું પડે, કેટલા મત ખરીદવા પડે, કેટલું જ્ઞાતિવાદી (વિભાજનકારી) રાજકારણ ખેલવું પડે, તે અબૂધ અણ્ણા સમર્થકોને ક્યાંથી ખબર હોય. સંસદમાં ગયા પછી ઉદ્યોગગૃહો કહે તે પ્રશ્નો પૂછવા પડે (અને તેના બદલામાં પૈસા મળે), સંસદમાં સહી કરીને પછી ગેરહાજર રહેવાનું (જેમ વડા પ્રધાન સર્વપક્ષીય બેઠકમાં અને પોતાનું નિવેદન આપીને સંસદમાંથી ચાલ્યા ગયા હતા તેમ). સંસદના સત્રોમાંથી કેટલા (ઓછા) દિવસો કામ કરવાનું (અને બાકીના દિવસો તોફાનો અને શોરબકોર કરીને વોકાઉટ અથવા તો આખા દિવસ માટે મુલતવી રહે તેવું કરવાનું)…સાંસદ બનવા માટે કેટલી લાયકાત જરૂરી છે તે ભણેલા ગણેલા અને ઘણા અભણ સમર્થકોને ક્યાંથી ખબર હોય? તેના માટે બળાત્કાર કે ખૂન કે ચોર કે ભ્રષ્ટાચારનો આરોપ લાગેલો હોવો જરૂરી છે તે અણ્ણા સમર્થકોને ખબર ક્યાંથી હોય?

ખેર. આજે ચર્ચા થશે અને જનલોકપાલ પર બધા (બહુમત) પક્ષો સંમત છે તેવું વાતાવરણ બની જશે અને મોટા ભાગે અણ્ણાના ઉપવાસ પણ તૂટી જશે. પરંતુ તેનાથી ખુશ થઈ જવા જેવું નથી. પ્રણવ મુખર્જીએ કહ્યું છે તેમ સંસદમાં ચર્ચા પછી સંસદીય સમિતિ (સ્ટેન્ડિંગ સમિતિ, જેમાં લાલુપ્રસાદ યાદવ જેવા લોકો બેઠા છે) પાસે જશે અને તેઓ આ ખરડો ‘વ્યવહારુ’ છે કે કેમ તે જોશે. તે કેટલો અમલ થઈ શકે તેમ છે તે જોશે. એટલે એ મોટો અંતરાય તો છે જ. તેના માટે અણ્ણાએ બીજું ઉપવાસ આંદોલન કરવું ન પડે તો સારું.

 

(લોકાયુક્ત મામલે) ભાજપ ફરી એક વાર કોંગ્રેસ સામે ડફોળશંકર પુરવાર!

ફરી એક વાર સાબિત થયું કે કોંગ્રેસીઓના રાજકારણ સામે ભાજપ હજુ બગલબચ્ચું જ છે. ભાજપ હંમેશાં કોંગ્રેસના હાથે માર ખાતો આવ્યો છે. જ્યારે જ્યારે રાજ્યોમાં ભાજપની સત્તા આવી છે ત્યારે કોંગ્રેસે કેન્દ્રમાંથી તેને હટાવવા તમામ પ્રયાસો કર્યા છે. કોંગ્રેસને ઊંધે કાંધ પટકનાર ભાજપમાંથી એક જ વ્યક્તિ હતા – નરેન્દ્ર મોદી, પરંતુ તેઓ પણ આ વખતે મ્હાત ખાઈ ગયા છે.

ઉત્તર પ્રદેશમાં માયાવતી સાથે સરકાર રચવાની વાત હતી ત્યારે કોંગ્રેસના પીઠ્ઠુ જેવા રોમેશ ભંડારીએ શું ખેલ ખેલ્યો હતો તે અજાણ નથી. બિહારમાં એન. ડી. એ. શાસનમાં આવે તેમ હતો ત્યારે રાજ્યપાલ તરીકે (નામ ન ભૂલાતું હોય તો) બુટાસિંહે તેમને સરકારમાં આવવા દીધો ન હતો. કર્ણાટકમાં યેદીયુરપ્પા ભ્રષ્ટાચારી હશે પરંતુ તેને હટાવવા માટે રાજ્યપાલ ભારદ્વાજે પણ રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી દીધી હતી. ગુજરાતમાં પહેલી વાર ભાજપ સત્તામાં આવ્યો ત્યારે સુરેશ મહેતા મુખ્યમંત્રી હતા ત્યારે કોંગ્રેસીઓએ વિધાનસભામાં તોડફોડ કરીને માઇકો ઉછાળીને, ખુરશીઓ તોડી નાખી હતી અને રાષ્ટ્રપતિશાસન લદાય તેવું કર્યું હતું. ભાજપના શંકરસિંહ વાઘેલાને ટેકો આપીને કોંગ્રેસે સરકાર રચી હતી.

પરંતુ જ્યારે એન. ડી. એ. કેન્દ્રમાં સત્તામાં આવ્યો ત્યારે તેણે નીતિમત્તા રાખીને એવું કંઈ કર્યું નહીં જેથી કોંગ્રેસ સાફ થઈ જાય. એ તો હવે દૂરનો ભૂતકાળ થઈ ગયો. પણ નજીકના ભૂતકાળની વાત કરીએ તો કેન્દ્રની કોંગ્રેસ સરકારના અનેક કૌભાંડો બહાર આવ્યા – કલમાડીનું કોમનવેલ્થનું કૌભાંડ, ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ, આદર્શ કો ઓપરેટિવ સોસાયટી કૌભાંડ…અને એ બધાં કરતાંય દેશના જનસામાન્યને સ્પર્શે તેવો મોંઘવારીનો મુદ્દો…ભાજપે ઈચ્છ્યું હોત તો આ મામલે કોંગ્રેસ વિરુદ્ધ દેશભરમાં વાજબી કારણોસર વાતાવરણ ઊભું કરી શક્યો હોત, પણ હિન્દીમાં કહે છે તેમ ભાજપ કો સાપ સૂંઘ ગયા હૈ.

એ પછી, બાબા રામદેવે ભાજપના જ એલ. કે. અડવાણીએ (સૌપ્રથમ) ઉઠાવેલા કાળા નાણાના મુદ્દે આંદોલન કર્યું ત્યારેય ભાજપ કિનારે બેસીને તમાશો જોતો રહ્યો. રામદેવના આંદોલન પર પોલીસ તૂટી પડી ત્યારે તેણે એક દિવસ રાજઘાટ પર ધરણા (અને એમાંય વળી, વિપક્ષ નેતા જેવા ઉચ્ચ પદે આસીન સુષમા સ્વરાજના નાચ!) સિવાય કંઈ કર્યું નહીં.

જવા દો એ વાત પણ! અણ્ણા હઝારેના અત્યારે જબરદસ્ત લોકજુવાળ બની ગયેલા લોકપાલના મુદ્દે પણ તે નિવેદન કરતો રહ્યો. સંસદમાં પણ કંઈ કર્યું નહીં. અણ્ણાના આંદોલનને બહુ પહેલાં ટેકો જાહેર કરી દેવાની જરૂર હતી. તેમાંય મોડું કર્યું નહીં. ડફોળશંકર જેવો ભાજપ ભૂલી ગયો કે મોરારજી દેસાઈની જનતા પક્ષની સરકાર હતી જેમાં ભાજપ ભારતીય જનસંઘના નામે હિસ્સો હતો ત્યારે સર્વપ્રથમ લોકપાલ વિધેયક અત્યારે અણ્ણા હઝારેના સાથી બની ગયેલા શાંતિભૂષણ એ વખતે કાયદા મંત્રી તરીકે લાવ્યા હતા. અટલબિહારી વાજપેયી વડા પ્રધાન હતા ત્યારેય તેઓ લોકપાલ હેઠળ વડા પ્રધાન પદ લાવવા સંમત હતા પણ ત્યારે તેમની પાસે બે તૃત્તીયાંશ બહુમતી નહોતી.

પહેલાં ગુંડા સોહરાબુદ્દિનના મામલે નરેન્દ્ર મોદીને ઘેરી લીધા પછી, હવે લોકાયુક્તના મામલે કોંગ્રેસે રાજ્યપાલ મારફતે બરાબરના ઘેરી લીધા છે. નરેન્દ્ર મોદી દિલ્હી જાય તે પહેલાં ગુજરાતમાં જ તેમને ઘેરીને સમાપ્ત કરવાની અને અભિમન્યુની જેમ ચક્રવ્યૂહમાં જ ખતમ કરવાની આ યોજના છે. યેદીયુરપ્પાની માફક નરેન્દ્ર મોદીને પણ જવું પડે તો આશ્ચર્ય ન પામશો. જોકે નરેન્દ્ર મોદીની વાત જરા જુદી છે. એમને તમામ મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢતા આવડે છે, પરંતુ જો તેમણે લોકાયુક્ત મામલે વેળાસર નિર્ણય કરી લીધો હોત તો વાંધો ન આવત. હજુ પણ સમય ગયો નથી. તેઓ પોતાની પ્રમાણિકતાનો પુરાવો આપી શકે છે. વડા પ્રધાન મનમોહનસિંહ સંસદમાં ઠાલું પ્રવચન આપીને પ્રમાણિકતાનો પુરાવો આપી શકતા હોય તો નરેન્દ્ર મોદી પાસે તો સરસ્વતીમાની કૃપા અને રાજકારણ રમવાની આવડત છે અને જો તેમની સરકાર સાચે જ પ્રમાણિક હોય તો પછી ડરવાની શી જરૂર છે.

પણ હા, ભવિષ્યમાં યાદ રાખવું પડશે કે જ્યારે ભાજપને મોકા મળે ત્યારે આ કોંગ્રેસને સાફ કરવાની એક તક ન છોડે. ત્યાં જો યુધિષ્ઠિર જેવી નીતિ રાખશે તો નહીં ચાલે, ત્યાં તો કૃષ્ણનીતિ જ ચાલશે.

વડા પ્રધાનનું રોતલ નિવેદન અને તેમનો પાંગળો બચાવ

ગઈ કાલે વડા પ્રધાન મનમોહનસિંહે સાવ પોકળ નિવેદન કર્યું, પણ ટીવી ચેનલોને એમનામાં ફરી પ્રમાણિક વડા પ્રધાનની છબી દેખાઈ. હશે, પ્રમાણિક હશે, પણ અસરકારક નથી અને રાજકારણી તો પૂરેપૂરા છે જ.

ભાજપમાંથી એક ભડવીર મુરલીમનોહર જોશી નીકળ્યા જેમણે વડા પ્રધાનને ખરી વાત સંભળાવી દીધી. બાકી, બધા ચૂપચાપ છે. મુરલીમનોહર જોશીની વાતથી વડા પ્રધાન ઉકળી ઉઠ્યા અને કહ્યું કે ભ્રષ્ટાચાર કર્યો હોય તો તપાસ કરો. ભ્રષ્ટાચાર કર્યો છે કે નથી કર્યો તેની વાત નથી, પણ છેલ્લાં એક બે વર્ષમાં તમારી આંખ નીચે કલમાડીઓ, રાજાઓ, કનિમોઝીઓ, વિલાસરાવ દેશમુખો, અશોક ચવ્હાણો સહિતના લોકો કેટલાં કૌભાંડો કરતા રહ્યા? તે કહો ને, મિ. પ્રાઇમ મિનિસ્ટર! અણ્ણાના ઉપવાસના મામલે તમે કેટલી ગંભીરતા દાખવી અને કેટલા ટાળમટોળના પ્રયાસો કર્યા તે તમે કહેશો?

આંદોલન તો ગત એપ્રિલથી ચાલુ છે, પણ તમે તેના વિશે ઓગસ્ટ સુધી કંઈ કર્યું જ નહીં. આંદોલન મોટું થવા દીધું. મોટું થયું એટલે તમને ખૂંચ્યું. કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારી મારફત તમે અણ્ણાને તુંકારો કરીને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા. એ તો કિરણ બેદી અને અરવિંદ કેજરીવાલની બાહોશી હતી બાકી, તમે રામદેવ બાબાના આંદોલન પર મધરાત્રે પોલીસને ત્રાટકાવી તેમ અહીંય તેવું કરવાના હતા, કિરણ બેદી, અરવિંદ કેજરીવાલ અને સ્વયં અણ્ણાએ મિડિયાને બોલાવીને દેકારો મચાવી દીધો એટલે તમે પગલાં ભરતાં બચી ગયા, વડા પ્રધાન.

તમે કહો છો કે વડા પ્રધાન અને નાણા પ્રધાન તરીકે તમેય દેશ માટે પ્રદાન કર્યું છે? તમે ગ્લોબલાઇઝેશન કર્યું, બધી ચીજોનું ખાનગીકરણ કરી નાખ્યું. અલબત્ત, તેનાથી ખાનગી બેંકો આવી અને સેવાઓ થોડી ઘણી સુધરી પણ ખરી, પણ શું તમે એ સુધારા આઈએમએફ અને અમેરિકાના ઈશારે નહોતા કર્યા? ખાનગીકરણ અને ગ્લોબલાઇઝેશનના કારણે ભારત બીજું અમેરિકા બની ગયું છે. તેનું શું?

તમે કહ્યું કે સંસદ સર્વોપરી છે. પણ સંસદમાં અપરાધી તત્ત્વો નથી બેસતા? સંસદ તેના સાંસદોના પગારવધારો એક જ દિવસમાં કરી શકે છે. બીજા કાયદા પસાર કરવા હોય તોય ઝડપથી કાર્યવાહી થઈ શકે છે, પણ જે કાયદા કરવા ન હોય તેમાં વર્ષોના વર્ષો વિતી જાય છે તે અમે જાણીએ છીએ, વડા પ્રધાનજી. મહિલા અનામતનો કાયદો વર્ષોથી લટકેલો છે, તે અમને ખબર છે. (જોકે અમે તેની તરફેણમાં છીએ તેવું નહીં માનતા, પણ આ તો એક વાત છે.)

તમે ભારતનું ખાઈને ભારતનું જ બગાડતા કાશ્મીરી ગિલાણી વિરુદ્ધ કંઈ પગલાં નથી ભરતા, પણ અણ્ણાનું આંદોલન શરૂ થાય એ પહેલાં જ શાંતિ જોખમાશે તેમ માનીને તમે ધરપકડ કરાવી શકો છો અને અચાનક તમને લાગે કે તેઓ જેલની અંદર રહેશે એટલે શાંતિ વધુ જોખમાશે એટલે તરત તમે કેસો પાછા પણ ખેંચી શકો છો, વડા પ્રધાનજી! મતલબ કે તમે કાયદા અને પોલીસને જેમ ફાવે તેમ નચાવી શકો છો. તો પછી તમને મજબૂત લોકપાલ કાયદો પસાર કરતાં ક્યાં ચૂંક આવે છે તે કહેશો?

પ્રમાણિક અણ્ણાની સામે વડા પ્રધાને પોતે પણ પ્રમાણિક છે તેમ કહેવાની કોશિશ કરી. એક તરફ બુચકાર કર્યો તો બીજી તરફ દિલ્હી પોલીસ દ્વારા ફટકાર પણ કર્યો. દિલ્હી પોલીસે અણ્ણા ટીમને કહ્યું છે કે તેમણે ઉશ્કેરણીજનક ભાષણો કર્યાં છે, રાત્રે દસ પછી લાઉડસ્પીકર વગાડ્યું છે, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભંગ થાય તેવું કર્યું છે.

ટૂંકમાં વડા પ્રધાન અને સરકાર પરિસ્થિતિને જેટલી બને તેટલી ટાળમટોળ કરીને અણ્ણાના ઉપવાસ કંઈ ખાસ આપ્યા વગર જ તોડાવવા માગે છે.

 

અણ્ણા હઝારે વિ. સંસદ : બીજું મહાભારત યુદ્ધ?

અણ્ણા હઝારે અને તેમના સાથીઓ અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી અને શાંતિ ભૂષણ – પ્રશાંત ભૂષણ, મનીષ સિસોદિયા – આ મુખ્યત્વે પાંચ લોકો છે. મેં અગાઉ પણ લખ્યું છે કે સ્વામી અગ્નિવેશ અને મેધા પાટકર પર ભરોસો કરવા જેવું મને બહુ લાગતું નથી. અણ્ણા અને તેમના સાથીઓની વચ્ચે રહીને તેઓ સરકારને મદદ કરવા જેવું કામ કરતા હોઈ શકે. તો અણ્ણાને શ્રીકૃષ્ણ તરીકે ગણો અને બાકીના પાંચ લોકોને પાંડવ તો એક રીતે આ બીજું મહાભારત યુદ્ધ જેવું છે.

આ મહાભારતમાં એક તરફ અત્યાર સુધી અણ્ણા વિ. કેન્દ્રની કોંગ્રેસ સરકાર જેવું હતું, પરંતુ કોંગ્રેસ સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવીને જે આબાદ ખેલ ખેલ્યો છે તેનાથી હવે અણ્ણા વિ. સંસદ એવું થઈ ગયું છે. કૌરવોના પક્ષે અક્ષોહિણી સેના હતી તેવું અત્યારે પણ થઈ ગયું છે. આમાં યુવરાજ દુર્યોધનની હઠ પણ ક્યાંક ક્યાંક જવાબદાર લાગે છે. તેના મામા ઈટલીમાં હોઈ શકે છે. અને યાદ રાખો, પાંડવના મોટા ભાઈ કર્ણ જેવો ભાજપ પણ કૌરવોની સાથે જ છે.

જેવી રીતે મહાભારતમાં પાંડવના જ્યેષ્ઠ બંધુ યુધિષ્ઠિરને જુગાર રમવા બોલાવાયા હતા અને પછી ઇન્દ્રપ્રસ્થ નગરીના નામે સાવ ઉજ્જડ જમીનનું બટકું નાખી દેવાયું હતું તેવું આ કિસ્સામાં પણ થયું હતું. પહેલાં આંદોલન વખતે લોકપાલ અંગે સંયુક્ત મુસદ્દા સમિતિ બનાવી દેવાઈ અને જુગટું રમતી વખતે શકુનિની તરફેણમાં જ પાસાં પડતાં હતાં તેમ સંયુક્ત મુસદ્દા સમિતિમાં પણ સરકાર તરફી જ વલણ અપનાવાતું હતું. કૌરવોએ કહેલું કે અમે એક તસુભાર જમીન પણ નહીં આપીએ. કેન્દ્રની કોંગ્રેસ સરકાર ૧૧ દિવસથી નહીં, પણ ગત એપ્રિલ મહિનાથી અને તે કરતાંય, તમામ પક્ષો છેલ્લાં ૪૦ વર્ષથી લોકપાલ લાવવા માગતા નથી, કારણ સાફ છે – નિયતમાં ખોટ!

કૌરવો તરફથી તમામ પ્રપંચો અપનાવાઈ રહ્યાં છે. વડા પ્રધાને ગઈ કાલે રોતલ નિવેદન કરી દીધું. કેટલાક તેનાથી પ્રભાવિત પણ થઈ ગયા હશે. પણ સાથેસાથે તેમણે લોકપાલ મુદ્દે કંઈક નક્કર થાય તેવો સંદેશો તો આપ્યો જ નથી. દિવસો પસાર કરાઈ રહ્યા છે – પાંડવોની ધીરજ ખૂટે તેની રાહ જોવાઈ રહી છે, બદમાશ કૌરવોને ખબર નથી કે ધીરજ સાથે દેશવાસીઓની હવે સહનશક્તિય ખૂટી રહી છે.

બદમાશ રાજકારણીઓની સહાયથી લુચ્ચી સરકારનો દાવ

અણ્ણા હઝારેનું ભ્રષ્ટાચાર હટાવો માટેનું આંદોલન હવે અણ્ણા વિ. સંસદનું આંદોલનમાં પલટાઈ રહ્યું છે. ભ્રષ્ટાચાર મામલે કોઈ પક્ષ દૂધે ધોયેલો લાગતો નથી. પરમ દિવસે ચોતરફથી ફસાયેલી કોંગ્રેસ સરકારે એટલે જ સર્વપક્ષીય બેઠક બોલાવીને ગજબનો વ્યૂહ રચ્યો. અત્યાર સુધી મૌન તમાશો જોઈ રહેલા વિપક્ષને કોંગ્રેસે સમજાવ્યું હશે કે કાલે અમે સત્તામાં નહીં હોઈએ તો તમેય ભ્રષ્ટાચાર કરી શકશો નહીં. વળી, ઘણાં રાજ્યોમાં તમે બધા સત્તા પર છો અને લોકપાલની સાથે લોકાયુક્તનો મુદ્દો તમનેય પરેશાન કરી શકે છે (ગુજરાત-કર્ણાટક-ઉત્તરપ્રદેશના દાખલા તાજા જ છે). પરિણામે તમામ રાજકીય પક્ષોએ કોરસગાન કર્યું કે સંસદ જ સર્વોપરી છે અને તેમણે અણ્ણા આણિ મંડળીએ રજૂ કરેલા ખરડાના સાત મુદ્દા પર અસંમતિ વ્યક્ત કરી.

લુચ્ચી સરકાર માપી ગઈ કે હવે સંસદમાં અણ્ણાનો ખરડો રજૂ કરવામાં વાંધો નથી. આનાથી એક તો એ થશે કે પોતાની છબિ સારી થશે અને બીજું એ થશે કે એક દિવસ પસાર થશે, અણ્ણા અને તેમના સાથીઓની ધીરજ ખૂટતી જશે. ત્રીજું એ થશે કે તમામ પક્ષો એક સાથે મળીને આને ફગાવી દેશે. એટલે પોતે એકલા બદનામ નહીં થવું પડે.

બદમાશ રાજકારણીઓ સામે લડવું સરળ નથી, એ અણ્ણા આણિ મંડળીને કદાચ હવે સમજાતું હશે.